Sunday, December 5, 2021

એક સુંદર હકારાત્મક સંદેશ

એક રાજાએ બે કેદીઓને મોતની સજા સંભળાવી.

એમાંથી એક કેદી જાણતો હતો કે રાજાને તેના ઘોડા માટે ખુબ જ પ્રેમ અને લગાવ છે.

એણે રાજાને કહ્યું કે,"જો તેની સજા માફ કરવામાં આવે તો તે એક વર્ષમાં તેના ઘોડાને ઉડતાં શીખવાડી દેશે!"


આ સાંભળીને રાજા ખુશ થઈ ગયો. તેને વિચાર આવ્યો કે તે દુનિયાના  એક માત્ર ઉડતા ઘોડા પર સવારી કરી શકશે!


બીજા કેદીએ તેના આ મિત્ર સામે અવિશ્વાસની નજરે જોયું અને કહ્યું: "તું તો જાણે જ છે કે કોઈપણ ઘોડો ક્યારેય ઉડી શકે નહીં. તેં આવી અશક્ય જેવી વાત વિચારી જ કેવી રીતે? તું આ રીતે તારા મોતને એક વર્ષ માટે ટાળી શકે છે, પણ પછી?"


પહેલા કેદીએ કહ્યું કે, " વાત એમ નથી. પરંતુ હકીકતમાં આમ કરીને મેં મારી જાતને સ્વતંત્ર કરવાના ચાર મોકા આપ્યા છે.

એક : શક્ય છે કે રાજા એક વર્ષમાં મૃત્યુ પામી શકે છે.

બે : શક્ય છે કે એક વર્ષમાં હું મરી શકું છું.

ત્રણ : શક્ય છે કે એક વર્ષમાં ઘોડો મૃત્યુ પામી શકે છે.

ચાર : શક્ય છે કે હું એક વર્ષમાં ઘોડાને ઉડવાનું શીખવાડી શકું!"


આ વાર્તા પરથી એ શીખવા મળે છે કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ આશા છોડવી જોઈએ નહીં.


કોરોના મહામારી સંદર્ભે આ વાર્તાનો વિચાર કરતાં જણાશે કે

-  કોરોનાના પોઝીટીવ કેસ ઘટવાની શરૂઆત થઈ ચુકી છે.

-  રીકવરી દર વધી રહ્યો છે.

-  હોસ્પિટલ અને બેડની સંખ્યા વધી રહી છે. લશ્કરે પણ મોરચો સંભાળી લીધો છે.

-  ઓક્સિજન ઉત્પાદન વધી રહ્યું છે. વિદેશથી ઓક્સિજન સહાય આવી રહી છે. ઓક્સિજન સપ્લાય વધી રહ્યો છે.

-  દવાઓ અને ઈન્જેક્શનનું ઉત્પાદન વધી રહ્યું છે અને વિદેશથી પણ સહાય આવી રહી છે.

-  વેક્સિનેશનનું પ્રમાણ વધી રહ્યું છે, વેક્સિન ઉત્પાદન વધી રહ્યું છે, વિદેશથી વેક્સિન આવી રહી છે.

-  ટ્રાન્સપોર્ટ વાહનો, રેલવે ગુડ્સ ટ્રેન, વિમાન, જહાજ રાત-દિવસ દોડી રહ્યાં છે.

-  એલોપથી, હોમિયોપથી, આયુર્વેદ અને યોગ એમ દરેક ચિકિત્સાના વોરિયર્સ પૂરી શક્તિ સાથે કામ કરી રહ્યા છે.


આપણે ધૈર્ય રાખીએ.

આપણે જીતી રહ્યા છીએ.....!


આત્મ વિશ્વાસ જાળવી રાખીએ.....

આપણે જીતી રહ્યા છીએ.....!


આપણે સકારાત્મક / હકારાત્મક રહેવાનું છે.....

આપણે જીતી રહ્યા છીએ.....!


બધી જ તરફથી બધુ સારૂ જ થઈ રહ્યું છે અને સારૂ જ થવાનું છે.....!


ચાલો,

આત્મ વિશ્વાસ અને હકારાત્મક અભિગમ સાથે.....

ઘરમાં પરિવાર સાથે રહીએ.....

સુરક્ષિત રહીએ.....!


(ઈન્ટરનેટ પરથી)

કંઈક આપવું

હું બસમાં ચડી ગયો. ભીડને અંદર જોઇને હું પરેશાન થઈ ગયો. બેસવાની જગ્યા નહોતી. બસ, પછી એક વ્યક્તિએ તેની બેઠક ખાલી કરી. ખાલી પડેલી બેઠકની બાજુમાં ઊભેલો માણસ ત્યાં બેસી  શકતો હતો, પરંતુ તેના બદલે તેણે મને બેઠક આપી.

પછીના સ્ટોપ પર, ફરીથી એવું જ બન્યું. તેણે પોતાની બેઠક બીજાને આપી. આખી મુસાફરી દરમ્યાન ચાર વાર આ બન્યું. તે માણસ એક સામાન્ય કામદાર જેવો લાગતો હતો, કામ પર લાંબા દિવસ પછી ઘરે પાછો ફરતો હતો ...

છેલ્લા બધા સ્ટોપ પર જ્યારે  બધા ઉતર્યા ત્યારે મેં તેની સાથે વાત કરી.

"દર વખતે જ્યારે તમે ખાલી બેઠક મેળવતા હો ત્યારે તમે કોઈ અન્ય વ્યક્તિને તમારી બેઠક કેમ આપતા હતા?"

તેના જવાબથી મને આશ્ચર્ય થયું.

"મેં મારા જીવનમાં વધારે અભ્યાસ કર્યો નથી કે મને ઘણી વસ્તુઓ ખબર નથી. મારી પાસે પણ વધારે પૈસા નથી. તેથી મારી પાસે કોઈને આપવા માટે કંઈ નથી. તેથી જ હું આ રોજ કરું છું. તે કંઈક છે હું સરળતાથી કરી શકુ .

"આખો દિવસ કામ કર્યા પછી હું થોડો લાંબો સમય ઊભો રહી શકું છું. મેં મારી બેઠક તમને આપી અને તમે કહ્યું  

 ' આભાર '. મને સંતોષ મળ્યો કે મેં કોઈ માટે કંઇક કર્યું.

હું દરરોજ આ કરું છું અને લાગે છે કે હું કોઈ રીતે ફાળો આપી રહ્યો છું. હું રોજ આભાર મેળવું  અને દરરોજ ખુશ છું કે મેં કોઈને કંઇક આપ્યું. "

હું અવાક હતો !!! દૈનિક ધોરણે કોઈક માટે કંઇક કરવા માંગતા હો તે અંતિમ ઉપહાર છે.


આ અજાણી વ્યક્તિએ મને ઘણું શીખવ્યું -

અંદરથી ધનિક બનવું કેટલું સરળ છે! 


સુંદર કપડાં, બેંક ખાતામાં ઘણાં પૈસા, મોંઘા ગેજેટ્સ, એક્સેસરીઝ અને લક્ઝરી અથવા તો શૈક્ષણિક ડિગ્રી - તમને સમૃદ્ધ અને ખુશ કરી શકે છે અથવા નહીં પણ; પરંતુ આપવાનું એક નાનું કૃત્ય તમને રોજિંદા સમૃદ્ધ અને સુખી લાગે તે માટે પૂરતું છે.


(ઈન્ટરનેટ પરથી)

તમારી ચા ધીમેથી ચૂસકી લેતા, સુખેથી માણો

સિંગાપુર સાંસ્કૃતિક પદક જીતનાર લી ત્ઝૂ ફેંગ દ્વારા રચિત એક સુંદર અંગ્રેજી કાવ્યનો ભાવાનુવાદ


તમારી ચા ધીમેથી ચૂસકી લેતા, સુખેથી માણો

કોઈ જાણતું નથી ક્યારે આવવાનો અને જવાનો સમય થઈ જાય છે...

ચળકાટ (સુખ) માણવાનો સમય રહેશે નહીં

આથી, તમારી ચા ધીમેથી ચૂસકી લેતા, સુખેથી માણો...

જિંદગી ખૂબ ટૂંકી છે પણ લાગે છે ઘણી લાંબી,

ઘણું કરવાનું (બાકી) છે અને ઘણું ખોટું પણ થઈ જાય છે અને તમે મોટા ભાગનો સમય સંઘર્ષમાં, સખત રહી શીખવામાં વિતાવો છો.

જવાનો સમય આવી જાય અને ખૂબ મોડું થઈ જાય, એ પહેલાં, તમારી ચા ધીમેથી ચૂસકી લેતા, સુખેથી માણો...

કેટલાંક મિત્રો ટકી રહે છે, કેટલાંક ચાલ્યાં જાય છે

વ્હાલા મિત્રોનો સંગાથ ખૂબ ગમે છે પણ તેઓયે કાયમ સાથે રહેવાના નથી.

સંતાનો મોટાં થશે અને તેઓ પણ પોતપોતાના માળામાં ઉડી જશે

શું કેમ થશે તેનું ગણિત કોઈ માંડી શક્યું નથી

આથી, તમારી ચા ધીમેથી ચૂસકી લેતા, સુખેથી માણો...

અંતે તો આ પૃથ્વી પર કે આકાશમાં ટમટમતાં તારાઓ પર,

સાચો પ્રેમ સમજી લેવામાં જ જીવનનો સાર છે

જે (તમારી) સાચી પરવા કરે છે તેની કદર કરો, તેનું મૂલ્ય સમજો...

સ્મિત કરો, ઉંડો શ્વાસ લો અને સઘળી ચિંતાઓ ત્યજી દો...

તમારી ચા ધીમેથી ચૂસકી લેતા, સુખેથી માણો...

(ઈન્ટરનેટ પરથી) 

સાચું સુખ

જ્યારે નાઈજીરીયન અબજોપતિ ફેમી ઓટેડોલાને એક રેડિયો પરની મુલાકાતમાં મુલાકાત લેનારે પૂછ્યું, "સર, તમને શું લાગે છે, કઈ બાબતે તમને સૌથી વધુ સુખી બનાવ્યા છે?"

ફેમીએ જવાબ આપ્યો, "હું જીવનમાં સુખનાં ચાર તબક્કામાંથી પસાર થયો છું અને ત્યાર બાદ મને આખરે સમજાયું છે કે સાચું સુખ શેમાં છે.

પહેલો તબક્કો સંપત્તિ અને સાધનો ભેગાં કરવામાં છે. પણ આ તબક્કે મને સાચા સુખનો અનુભવ થયો નહીં. પછી આવ્યો બીજો તબક્કો જેમાં ફરી મૂલ્યવાન ચીજ વસ્તુઓ ભેગી કરવામાં સમય ગયો. પણ આ તબક્કે પણ મને સમજાયું કે આની અસર પણ હંગામી છે, ક્ષણિક છે અને મૂલ્યવાન વસ્તુઓનું આકર્ષણ પણ લાંબો સમય ટકતું નથી.

પછી આવ્યો મોટા પ્રયોજનોનો ત્રીજો તબક્કો. આ તબક્કે હું નાઈજીરીયા અને આફ્રિકાના પંચાણુ ટકા ડીઝલ સપ્લાયનું નિયંત્રણ કરતો હતો. આફ્રિકા અને એશિયાના સૌથી મોટા વહાણોનો પણ હું માલિક હતો. પણ આ તબક્કે પણ મને જે સાચા સુખની ખેવના હતી તેનો અનુભવ મને થયો નહોતો. 

ચોથો તબક્કો ત્યારે આવ્યો જ્યારે એક મિત્રે મને દિવ્યાંગ બાળકો માટે વ્હીલ ચેર ખરીદવા વિનંતી કરી. માત્ર બસો બાળકો માટે. એ મિત્રની વિનંતીને માન આપી મેં તરત બસો વ્હીલચેર ખરીદી લીધી.

પણ મારો એ મિત્ર એટલેથી માન્યો નહીં. તેણે મને જાતે એ બાળકો પાસે જઈ તેમને એ વ્હીલચેર આપવાની વિનંતી કરી. હું એ માટે તૈયાર થઈ ગયો. 

ત્યાં એ બસો બાળકોને મારા હાથે મેં એ વ્હીલચેર આપી. મેં એ બાળકોના મુખ પર એક અજબ સુખનો ચમકારો જોયો. મેં તેમને એ વ્હીલચેર પર બેસી આસપાસ ફરતાં અને મોજ કરતાં જોયાં.

એવું લાગતું હતું જાણે તેઓ પોતાની મનપસંદ જગાએ પિકનિક પર આવ્યાં હતાં અને જાણે તેમને કોઈ મોટો ખજાનો હાથ લાગી ગયો હતો!

મારી અંદર પણ આ સુખદ દ્રશ્ય જોતાં જાણે સુખની સરવાણી ફૂટી. હું જ્યારે ત્યાંથી જવા માટે તૈયાર થયો ત્યારે એક બાળકે મારા પગ પકડી લીધા. મેં નમ્રતાથી મારા પગ છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ એ બાળક એકી ટશે મારી સામે જોઈ રહ્યો અને તેણે મારા પગ જોરથી પકડી રાખ્યાં.

હું નીચો નમ્યો અને મેં તેને પ્રેમથી પૂછયું કે શું તેને બીજું કંઈ જોઈએ છે?

એ બાળકે ત્યારે જે જવાબ આપ્યો તે સાંભળી હું અપાર સુખ તો પામ્યો જ, પણ તેણે મારો જીવવાનો આખો અભિગમ બદલી નાખ્યો. એ બાળકે જવાબ આપ્યો : મારે તમારો ચહેરો ધારી ધારીને જોઈ લેવો છે અને યાદ રાખી લેવો છે જેથી આપણે સ્વર્ગમાં મળીશું ત્યારે હું ફરી એક વાર તમારો આભાર વ્યકત કરી શકું! "

તમે કોઈક જગા છોડી જાવ પછી તમે લોકો તમને શેના માટે યાદ રાખે છે એ મહત્વનું છે.

શું તમે એવાં કામ કરો છો કે કોઈ તમારો ચહેરો ફરી જોવાની ઈચ્છા રાખે?

(ઈન્ટરનેટ પરથી)

Sunday, July 25, 2021

આશા, ઉત્સાહ અને હકારાત્મકતાનો સંચાર

એક રાજા પાસે ઘણાં હાથી હતાં. પણ આ બધાં માંથી રાજાને એક હાથી વિશેષ પ્રિય હતો કારણ તે ઘણો શકિતશાળી, આજ્ઞાકારી, સૂઝબૂઝ ધરાવતો અને કૌશલ્યધારી હતો - ખાસ કરીને યુદ્ધમાં લડવામાં.

ઘણાં યુદ્ધમાં તેને સમરાંગણમાં મોકલવામાં આવતો અને તે યશસ્વી થઈ પાછો ફરતો. આમ રાજાને ઘણી વાર વીજયી બનાવવાને કારણે તે રાજાને ખૂબ પ્રિય હતો.

સમય તો વહેતો જ રહે છે. તેના વહેણમાં એક સમય એવો આવ્યો જ્યારે આ હાથી વૃદ્ધ થઈ ગયો. હવે તેનું બળ ઓછું થયું હતું. આથી રાજાએ તેને લડાઈના મેદાનમાં મોકલવાનું બંધ કર્યું. છતાં તે રાજાના કાફલાનો તો ભાગ હતો જ.

એક દિવસ આ હાથી પાણી પીવા તળાવે ગયો. પણ તેનો પગ ત્યાં કાદવમાં ખૂંપી ગયો અને તે ડૂબવા લાગ્યો. તેણે બચવા માટે ખૂબ ફાંફા માર્યા પણ એમાં તે ફાવ્યો નહીં.

તેની બૂમો સાંભળી લોકો ત્યાં ભેળાં થયાં અને સૌ એ જોયું કે હાથી મુશ્કેલીમાં ફસાયો છે. રાજા સુધી આ ખબર પહોંચી ગઈ.

રાજા પોતાના ખાસ માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને બધાં એ હાથીને બચાવવાના પ્રયત્નો કરવા માંડ્યા. પણ ઘણાં સમય સુધી મહેનત કરવા છતાં કોઈ હાથીને કાદવમાંથી બહાર કાઢી શક્યું નહીં.

એ સમયે ગૌતમ બુદ્ધ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે આ દ્રશ્ય જોયું. તેમણે રાજાને હાથીને બચાવવા તળાવ પાસે યુદ્ધમાં વગાડાતાં નગારા વગાડાવવાનું સૂચન કર્યું.

સાંભળનારાઓ સૌ આવું વિચિત્ર સૂચન સાંભળી ચોંકી ઉઠયા. યુદ્ધમાં વગાડાતાં નગારા વગાડી કઈ રીતે કાદવમાં ફસાયેલા હાથીને બહાર કાઢી શકાય એ તેમની સમજની બહાર હતું. પણ તેમનામાં ગૌતમ બુદ્ધના સૂચન સામો પ્રશ્ન કે સંદેહ કરવાની હિંમત નહોતી. તરત તળાવ પાસે નગારા મંગાવવામાં આવ્યા અને તેમને વગાડવાનું શરૂ થયું.

જેવો હાથીએ યુદ્ધમાં વગાડાતાં નગારાંનો ધ્વનિ સાંભળ્યો કે તરત તેના હાવભાવ, વર્તન અને નિર્ધારમાં દેખીતું પરિવર્તન જોવા મળ્યું.

પહેલાં હાથી ધીરે ધીરે પોતાના પગ પર જ ઉભો થયો અને પછી તેણે પોતાના બળ અને બુદ્ધિનો ઉપયોગ કર્યો અને થોડી જ વારમાં તે પોતાની મેળે કાદવમાંથી બહાર આવી ગયો. સૌ કોઈ આ જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં.

ગૌતમ બુદ્ધે સસ્મિત કહ્યું, "હાથીમાં બળની કમી નહોતી પણ તેનામાં ઉત્સાહ, પ્રેરણા અને અંતર થી જીતવાની ઈચ્છા ફૂંકવાની જરૂર હતી. જીવનમાં ઉત્સાહ જાળવી રાખવા મનુષ્યે પણ અર્થપૂર્ણ વિચારધારા અપનાવવાની જરૂર છે અને નિરાશાને પોતાના પર હાવી થવા દેવાની નથી."

  આજે સમય થોડો કઠણ છે, તેવામાં આપણે સૌ એ પોતાનામાં તેમજ આપણી આસપાસનાં લોકોમાં આશા અને ઉત્સાહનો સંચાર કરતા રહેવાનો છે, પેલાં હાથીને મુશ્કેલીમાંથી બહાર કાઢનાર યુદ્ધનગારાં જેવાં વાદ્ય વગાડી. તેના હકારાત્મક ધ્વનિ દ્વારા આનંદની છોળો ઉડાડવાની છે અને તંદુરસ્તી અને સુખ છલકાવવાના છે.

યાદ રાખો : આ પણ પસાર થઈ જશે. સુખ ફેલાવો... આનંદ પ્રસરાવો...

 

(ઈન્ટરનેટ પરથી)

કેટલીક પ્રેરણાત્મક કોર્પોરેટ કથાઓ

આ બે કોર્પોરેટ કથાઓ સદાય યાદ રહેશે.

૧. Yahoo એ Google ને નકારી હતી.

૨. Nokia એ Android ને જાકારો આપ્યો હતો.

ઉપસંહાર :

- તમારી જાતને સમય સાથે અપડેટ કરતા રહો, નહિતર એક દિવસ તમે બિન જરૂરી બની રહેશો અને ફેંકાઈ જશો.

- જોખમ ના લેવું એ સૌથી મોટું જોખમ છે. સાહસી બનો અને નવી નવી ટેકનોલોજી સ્વીકારતા રહો.


બીજી બે કોર્પોરેટ કથાઓ પણ યાદ રાખો :

૧. Google એ You Tube અને Android ને હસ્તગત કરી લીધાં.

૨. Facebook એ Instagram અને WhatsApp હસ્તગત કરી લીધાં.

ઉપસંહાર :

- એટલાં શક્તિશાળી બનો કે તમારાં શત્રુ કે પ્રતિસ્પર્ધીને તમારાં દોસ્ત બની જવાની ફરજ પડે.

- ઝડપથી વૃદ્ધિ સાધો, મોટાં બની જાઓ અને સ્પર્ધા દૂર કરી દો.


આ બે મહાન હસ્તીઓનાં ભૂતકાળની કથા વાંચો :

૧. બરાક ઓબામા એક સમયે આઇસક્રીમ વેચવાનું કામ કરતા હતા.

૨. એલન મસ્ક લાકડાની વખારનો કક્ષ સાફ કરવાનું કામ કરતા હતા.

ઉપસંહાર :

- કોઈનું તેના ભૂતકાળના કામ ને આધારે આકલન ના કરો.

- તમારો વર્તમાન તમારું ભવિષ્ય નક્કી કરતો નથી, તમારી મહેનત અને હિંમત એનું નિર્માણ કરે છે.


આ બે વાતો જાણો છો? :

૧. કર્નલ સેન્ડર્સ પાંસઠ વર્ષની ઉંમરે KFC નું સર્જન કરે છે.

૨. જેક મા KFC દ્વારા અસ્વીકૃતી પામી Alibaba નું સર્જન કરે છે.

ઉપસંહાર :

- ઉંમર માત્ર એક આંકડો છે. તમે ગમે તે ઉંમરે સફળતા પામી શકો છો.

- જીવનમાં ક્યારેય હિંમત હારશો નહીં, જે ક્યારેય હિંમત હારતાં નથી, તે અંતે જીતે જ છે.


આ પણ વાંચો અને તેમાંથી બોધપાઠ લો :

૧. Ferrari નાં માલિકે એક ટ્રેક્ટર બનાવનારનું અપમાન કર્યું હતું.

૨. એ જ ટ્રેક્ટર બનાવનારે Lamborgini નું સર્જન કર્યું.

ઉપસંહાર :

- ક્યારેય કોઈને નાના ગણશો નહીં કે કોઈનું અપમાન કરશો નહીં.

- સફળતા એ બદલો લેવાની શ્રેષ્ઠ રીત છે.


આ બધી કથાઓ પરથી શીખવા મળે છે કે :

- તમે કોઈ પણ કામ કરતાં હોવ કે કોઈ પણ ઉંમર ના હોવ; ખંત, ધગશ અને મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી શકો છો.

- મોટાં સ્વપ્નો જુઓ. ધ્યેય નિર્ધારીત કરો. અથાગ મહેનત કરો.

- જીવનમાં ક્યારેય હિંમત હારશો નહીં. સદાય એવી શ્રદ્ધા રાખો કે આવતી કાલ બહેતર હશે.

(ઈન્ટરનેટ પરથી)

ભગવાનનો ભાગ...!

       હું નાની હતી ત્યારે મારી બા અમને બધા બાળકોને બધી જ વસ્તુના ભાગ પાડી દેતી. અમે કાકા બાપાના થઇ તેર બાળકો, એટલે ફળ હોય, ડ્રાયફ્રુટ હોય કે મીઠાઈ, ભાગ જરૂર પડતા. ધારોકે દ્રાક્ષ હોય, તો ૧૩ વાટકીમાં બધાને ૩૫-૩૫ દાણા અપાતા અને પછી એક ૧૪મી વાટકી મૂકી બા કહેતી કે, “ આ ભગવાનની વાટકી છે, તમારામાંથી બધાએ એમાં ૨-૨ નંગ મૂકવાના. અને અમે એવું કરતા પણ ખરા. ભગવાનની વાટકી એમ જ ભરેલી પડી રહેતી અને અમે રમવા ચાલી જતા.

      ઘણીવાર એમ બનતું કે અચાનક કોઈ મહેમાન આવી જાય, તો એ વાટકીમાંથી એમને પણ પીરસાતું. અને કોઈ ના આવે, તો એને ઝાડ નીચે પધરાવવાનું. અને પક્ષીઓ, કીડીઓ, મંકોડાને આ ખાતા અમે જોઈ રહેતા. પણ અમને એ રીતે બાએ શીખવાડ્યું કે આંગણે આવેલા મહેમાન, ભિક્ષુક, કે જીવજંતુમાં ભગવાન આવીને એમનો ભાગ ખાઈ જાય છે. અમને ક્યારેય એવું ના લાગ્યું કે બાજુવાળા રમીલામાસી અમારી કેરી ખાઈ ગયા! અમને સંતોષ હતો કે ભગવાન જ આવીને આ લે છે.

     સાયકોલોજીકલી આ વાતથી કેટલી અસર અત્યારે પણ મારા જીવનમાં પડે છે! બાનું ગણિત કેટલું સાચું હતું! અત્યારે હું જમવા બેસું  ને કોઈ આવી જાય, તો મારો મૂડ બગડી નથી જતો. બિલાડી આવીને કોઈવાર દૂધ પી જાય, ઢોળી નાખે, બનાવીને ઢાંકીને મૂકેલા લાડુ પર કીડીઓ ચડી જાય તો ગુસ્સો નથી આવતો, એ રીતે કદાચ ભગવાન એમનો ભાગ લઇ રહ્યા છે એમ માની હળવી થઇ જાઉં છું. ચિડચીડી નથી થઇ જતી. અને શાંતિથી વિચારીને ફરીથી કામે લાગી જાઉં.

     સૌથી મોટો ફાયદો એ થયો કે ક્યારેય એવું નથી લાગ્યું કે “જોયું? મેં આપ્યું! હું બીજા કરતા ચઢિયાતી છું. મેં ના આપ્યું હોત, તો એનું શું થાત !" આમ ક્યારેય અભિમાન નથી આવ્યું. અને અભિમાન ના આવે, એટલે છકી પણ ન જવાય!

      દોસ્તો, ભગવાને તો આપણને કેટલું બધું આપ્યું છે. માતા, પિતા, ભાઈ, બહેન, દાદી, દાદા - આખું કુટુંબ, રહેવા માટે ઘર, ખાવા માટે જમીનમાં અનાજ, ફળફળાદિ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને કંઈ કેટલુંય! હવે થોડુંક જતું કરવું પડે, તો એનો અહંકાર શેનો? માતાએ નાના ભાઈ ને કશુંક વધારે આપ્યું, તો એ મારામાંથી ભગવાનનો ભાગ હતો, એમ માનીએ, તો કેટકેટલા સંઘર્ષો અટકી જાય! કેટલા કેસ સમૂળગા બંધ થાય! અહંકાર અને મનદુઃખ કશું જ ના રહે, ત્યારે જીવવાની કેવી મઝા આવે !

     ભગવદ્ગીતામાં પણ કૃષ્ણ એ જ કહે છે ને કે, “ તું કર્મ કર ! ફળની અપેક્ષા ના રાખ ! ફળ તને આપોઆપ મળશે.” તો આ રીતે જીવીશું, તો આપોઆપ જ ફળની અપેક્ષા નહિ રહે. 

ઈશ્વર કરે આપણે બધાજ આવા અહોભાવથી જીવી શકીએ!

(ઇન્ટરનેટ પરથી)

શંખલા - છીપલાના બદલામાં ઢીંગલી

    છ વર્ષનો એક છોકરો તેની ચાર વર્ષની બહેન સાથે બજારમાં ચાલી રહ્યો હતો. તેણે જોયું કે બહેન થોડી પાછળ રહી ગઈ હતી. તે પણ થોભ્યો અને તેણે નોંધ્યું કે બહેન રમકડાંની એક દુકાન પાસે ઉભી રહી ગઈ હતી અને ભારે કુતૂહલ પૂર્વક અને ધ્યાનથી કંઈક જોઈ રહી હતી. 

    છોકરાએ તેની પાસે જઈ પૂછયું કે શું તેને કંઈ જોઈએ છે? છોકરીએ એક ઢીંગલી તરફ આંગળી ચીંધી. છોકરાએ એક જવાબદાર મોટા ભાઈ ની જેમ એ ઢીંગલી લીધી અને નાની બહેનના હાથમાં મૂકી દીધી. છોકરી તો રાજીના રેડ થઈ ગઈ. 

     દુકાનદાર આ બધું જોઈ રહ્યો હતો અને તેને આ નાનકડા છોકરાની મોટેરી ચેષ્ટા જોઈ ભારે આશ્ચર્ય થયું. ખુશી પણ થઈ. 

    હવે એ છોકરો દુકાનદાર પાસે આવ્યો અને તેણે દુકાનદારને પૂછયું, "કાકા, આ ઢીંગલી કેટલાની છે?" 

    દુકાનદાર એક ભલો આદમી હતો અને તેણે જીવનમાં અનેક તડકા-છાંયા જોયાં હતાં. તેણે પ્રેમ પૂર્વક છોકરાને સામો પ્રશ્ન કર્યો, "તું કેટલી કિંમત આપી શકીશ?" 

    છોકરાએ દરિયા કિનારેથી જમા કરેલા બધાં શંખલા - છીપલા પોતાના ખિસ્સામાંથી ખાલી કરી તે દુકાનદાર સમક્ષ ઢગલો કર્યા. દુકાનદારે જાણે પૈસાના સિક્કા ગણતો હોય એમ એ શંખલા - છીપલા એક એક કરી ગણવા માંડ્યા. ગણી રહ્યા બાદ તેણે છોકરા સામે જોયું. છોકરાએ ભારે નિર્દોષતા સાથે પૂછયું, " ઓછા છે?" 

   દુકાનદારે કહ્યું, "ના... ના...આ તો ઢીંગલીની કિંમત કરતાં વધારે છે. એટલે હું તને વધારાના છે એ પાછા આપીશ." આમ કહીને તેણે માત્ર ચાર છીપલા પોતાની પાસે રાખી બાકીનાં બધાં છોકરાને પાછા આપી દીધાં. 

   છોકરાએ તો ખુશી ખુશી પાછા મળેલા શંખલા - છીપલા પોતાના ખિસ્સામાં સેરવી દીધાં અને બહેનનો હાથ પકડી દુકાનમાંથી વિદાય લીધી. 

    દુકાનમાં કામ કરતા નોકરે પણ આ સમગ્ર ઘટના ક્રમ નિહાળ્યો અને છોકરાંઓના ગયા પછી દુકાનદારને પૂછયું, "સાહેબ, તમે શા માટે આટલી મોંઘી ઢીંગલી આ છોકરાઓને માત્ર ચાર છીપલા લઈને તેના બદલામાં આપી દીધી?" 

દુકાનદારે સ્મિત સાથે કહ્યું," ભાઈ, આપણાં માટે એ માત્ર મામૂલી શંખલા - છીપલા હશે, પણ એ નાના ભૂલકાઓ માટે એ ભારે કિંમતી છે. આ ઉંમરે એ છોકરાને પૈસાનું મૂલ્ય શું છે તેનો ખ્યાલ નહીં હોય, પણ એ મોટો થશે એટલે તે એને આપોઆપ સમજાઈ જશે. અને ત્યારે જ્યારે એને યાદ આવશે કે તેણે પોતાની નાની બહેન માટે ઢીંગલી પૈસા ને બદલે શંખલા - છીપલા આપીને ખરીદી હતી, એ વેળાએ તે વિચારશે કે વિશ્વ ઘણાં સારા લોકોથી ભરેલું છે. આથી તે એક હકારાત્મક અભિગમ કેળવી શકશે અને પોતે પણ સારો માણસ બની સારા કાર્યો કરવા પ્રેરાશે."

(ઇન્ટરનેટ પરથી) 


સ્વીસ ટાઇમ બૅન્ક

    જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ ૬૭ વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યાં હતાં. સ્વિત્ઝર્લેન્ડમાં પેન્શનની સુવિધા ઘણી સારી છે. ક્રિસ્ટિનાને પણ ઘણું સારું પેન્શન મળતું હતું અને તેને જીવન નિર્વાહની કોઈ ચિંતા નહોતી.

    છતાં તેણે ૮૭ વર્ષના એક એકાકી વૃદ્ધની કાળજી રાખવાનું 'કામ' સ્વીકાર્યું હતું. મેં ક્રિસ્ટિનાને પૂછ્યું શું તે પૈસા માટે આ કામ કરી રહી હતી?

તેના જવાબે મને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂક્યો. તેણે કહ્યું, "હું આ કામ પૈસા માટે નથી કરતી પણ હું મારો સમય 'ટાઇમ બૅન્ક'માં જમા કરાવું છું. જ્યારે હું ઘરડી થઈશ અને હલનચલન કરવા અસમર્થ બની જઈશ ત્યારે હું 'ટાઇમ બૅન્ક'માંથી એનો ઉપાડ કરી શકીશ."

પહેલી વાર મેં 'ટાઇમ બૅન્ક' વિશે સાંભળ્યું. મને ઉત્સુકતા થઈ અને મેં એ વિશે વધુ જાણવા રસ દાખવ્યો.

    મૂળ 'ટાઇમ બૅન્ક' સ્વીસ ફેડરલ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ સિક્યોરિટી દ્વારા વિકસાવાયેલો એક વૃદ્ધાવસ્થા માટેનો પેન્શન કાર્યક્રમ હતો. લોકો જ્યારે જુવાન હોય ત્યારે ઘરડાં લોકોની સેવા કરી સમયને 'જમા' કરે અને પછી પોતે ઘરડાં થાય કે માંદા પડે કે અન્ય કોઈ કારણ સર જરૂર પડે ત્યારે તેનો 'ઉપાડ' કરવાનો.

  ઉમેદવાર તંદુરસ્ત, સારી વાક્છટા ધરાવનાર અને પ્રેમથી સભર હોવો જોઈએ. રોજ તેમણે જરૂરિયાતમંદ વ્યક્તિની કાળજી રાખવાની અને તેને મદદ કરવાની.

જેટલો સમય તે સેવા આપે તે એના સોશિયલ સિકયુરિટી સિસ્ટમના વ્યક્તિગત 'ટાઇમ' અકાઉન્ટમાં જમા થાય. 

ક્રિસ્ટિના અઠવાડિયામાં બે વાર કામે જતી. દરેક વખતે બે કલાક ૮૭ વર્ષના પેલા વૃદ્ધની મદદ કરવા, તેમની માટે ખરીદી કરવા, તેમના ઘરની સાફ સફાઈ કરવા, તેમને સૂર્ય પ્રકાશમાં આંટો મારવા લઈ જવા, તેમની સાથે વાતો કરવા.

કરાર મુજબ, તેની એક વર્ષની સેવા બાદ, 'ટાઇમ બૅન્ક' તેના કુલ સેવાના કલાકોની ગણતરી કરી તેને એક 'ટાઇમ બૅન્ક કાર્ડ' આપશે. જ્યારે તેને મદદની જરૂર પડે ત્યારે તે આ કાર્ડ નો ઉપયોગ કરી વ્યાજ સાથે જમા થયેલ સમય નો 'ઉપાડ' કરી શકશે.

માહિતી ચકાસ્યા બાદ 'ટાઇમ બૅન્ક' તેને મદદ કરી શકે એવા ખાતેદારને હોસ્પિટલ કે તેના ઘેર મોકલી આપશે.

એક દિવસ હું શાળામાં હતો અને ક્રિસ્ટિનાનો ફોન આવ્યો કે તે ઘરમાં બારી સાફ કરતાં ટેબલ પરથી પડી ગઈ છે. મેં અડધી રજા મૂકી ઘેર દોટ મૂકી અને ક્રિસ્ટિનાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી. તેને પગની એડી એ ઇજા પહોંચી હતી અને થોડા સમય સુધી ખાટલે આરામ કરવાની ફરજ પડી.

મને જ્યારે ચિંતા થઈ કે હવે તેનું ધ્યાન કોણ રાખશે ત્યારે તેણે તરત મને ચિંતા ન કરવા જણાવ્યું. તેણે 'ટાઇમ બૅન્ક' માં 'ઉપાડ' ની અરજી કરી દીધી હતી! બે જ કલાકમાં એક સ્વયંસેવક હાજર પણ થઈ ગયો ક્રિસ્ટિનાની સેવામાં. 'ટાઇમ બૅન્કે' વ્યવસ્થા કરી હતી તેની. 

એ પછી એક મહિના સુધી, તે સ્વયંસેવકે ક્રિસ્ટિનાની ખૂબ સારી કાળજી રાખી, રોજ તેની સાથે સમય પસાર કર્યો, વાતો કરી તેના માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું. એક મહિનામાં તો આ સ્વયંસેવકની દેખરેખ હેઠળ ક્રિસ્ટિના સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ.

સાજા થયા બાદ ક્રિસ્ટિના ફરી 'કામે' લાગી ગઈ. તેની ઈચ્છા હતી કે તે જ્યાં સુધી તંદુરસ્ત છે ત્યાં સુધી આ રીતે કામ કે સેવા કરી શકય એટલો વધુ સમય 'ટાઇમ બૅન્ક' માં જમા કરી શકે.

સ્વિત્ઝર્લેન્ડમાં વૃદ્ધોની મદદ માટે 'ટાઇમ બૅન્ક'નો ઉપયોગ પ્રચલિત છે. આ પ્રથા માત્ર દેશના પેન્શન ખર્ચાઓ ને જ નથી બચાવતી પણ અન્ય સામાજિક સમસ્યાઓનો પણ ઉકેલ લાવે છે.

ઘણાં સ્વીસ નાગરિકો આ ઓલ્ડ - એજ પેન્શન પ્રથાને ઉત્સાહભેર આવકારે છે અને તેનો ભાગ બનવા ટાઇમ બૅન્કમાં જોડાય છે.

સ્વીસ સરકારે ટાઇમ બૅન્ક પેન્શન યોજનાને લગતો કાયદો પણ પાસ કર્યો છે.

આપણે ત્યાં પણ આવી ટાઇમ બૅન્ક હોય તો?


(ઇન્ટરનેટ પરથી)

Sunday, July 18, 2021

વર્ક ફ્રોમ હોમ

'વર્ક ફ્રોમ હોમ'ને કારણે હવે પછી બાયો-ડેટા માં કંઈક આવી હાઈલાઈટ્સ જોવા મળશે :

- સાઉન્ડપ્રૂફ વર્કસ્ટેશન સાથેનું ઘર ધરાવું છું.

- બાળકોના ભણવા માટે અલાયદા રૂમ સાથેનું ઘર ધરાવું છું.

- ઘેર ચોવીસ કલાક ઘરકામ કરનાર બાઈ છે.

- ઘેર બે બ્રોડબૅન્ડ કનેક્શન અને મોબાઈલ નેટવર્ક બૂસ્ટરની સુવિધા ઉપલબ્ધ છે.

- ફોન દ્વારા જ સવારે ઉંઘ ઉડે ત્યારે પણ એક સરખો અવાજનો ટોન જાળવી શકવાની ક્ષમતા.

- માત્ર સત્તર સેકંડમાં ઓનલાઈન મીટિંગ શરૂ કરી શકવાની કે તેમાં જોડાવાની ક્ષમતા.


તો હવે પછીના કોરોના કાળ બાદના ઇન્ટરવ્યૂમાં આવા પ્રશ્નો જોવા મળશે :


- તમારું બાળક રડી રહ્યું છે, તમારી કામવાળી બાઈ નથી આવી અને તમારે એક ઝૂમ કોલ હોસ્ટ કરવાનો છે - તમારી અગ્રતા જણાવો!

- તમારા ઇન્ટરનેટની સ્પીડ ૧૦  એમ. બી. પી. એસ. છે, તમારી પત્નીને એક ઓનલાઈન મીટિંગ એટેન્ડ કરવાની છે, તમારી સાસુ નેટફ્લિક્સ પર એક ફિલ્મ જોઈ રહી છે અને તમારા સંતાનના ઓનલાઈન ક્લાસ છે. તમારી ટીમ ફરિયાદ કરી રહી છે કે વિડિયો કોન્ફરન્સમાં તમારો અવાજ બ્રેક થઈ રહ્યો છે. તમે શું કરશો?


(ઈન્ટરનેટ પરથી)  


તમારું ઘર

કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે તેવા ટાણે વોટ્સએપ પર વાંચવામાં આવેલો આ સંદેશ વ્યાજબી જણાય છે.

મારી દ્રષ્ટિએ આપણે જેને ચાહતા હોઈએ તેમની સાથે ઘરમાં રહેવાને આઈસોલેશન કે લોકડાઉન ગણવું જોઈએ નહીં.

આઈસોલેશન તો હોસ્પિટલમાં ગંભીર માંદગીને બિછાને પીડાતા દર્દી ભોગવે છે તેને કહેવાય.

મહેરબાની કરીને એમ કહેવાનું બંધ કરી દો કે તમે કંટાળી ગયા છો કારણ તમે ઘરની બહાર નીકળી શકતા નથી. હોસ્પિટલમાં લાંબા સમયથી સારવાર લઈ રહેલી વ્યક્તિને પૂછો તેને ઘેર જવાની કેટલી ઉત્કંઠા અને ઉતાવળ હોય છે.

ઈશ્વરનો પાડ માનો કે તમને ઘેર રહેવા મળે છે કારણ પૈસા સાથે કે પૈસા વગર, નોકરી સાથે કે નોકરી વગર, ઘેર હોવ ત્યારે તમે દુનિયાની શ્રેષ્ઠ જગા એ હોવ છો, તમને પ્રેમ કરતી વ્યક્તિ કે વ્યક્તિઓ સાથે!

કદાચ આ સમય છે તમારા ઘરને ધરમૂળથી પરિવર્તિત કરવાનો એવી અદ્ભુત જગામાં, જ્યાં શાંતિ હોય, યુદ્ધ કે કંકાસ નહીં ; જ્યાં આલિંગન હોય, અંતર નહીં.

તમે હાલ જે પરિસ્થિતિમાં છો તેને એક નવી દ્રષ્ટિએ નિહાળવાનો પ્રયત્ન કરો.

તમારા ઘરને પાર્ટી કરવાનું સ્થળ બનાવો - તેમાં સારું સંગીત સાંભળો, ગાઓ, નાચો...

તમારા ઘરને એક મંદિર બનાવો - તેમાં પ્રાર્થના કરો, ધ્યાન ધરો, પ્રશ્નો પૂછો, આભાર માનો, પ્રશંસા કરો, આજીજી કરો...

તમારા ઘરને એક શાળા બનાવો - તેમાં વાંચો, લખો, ચિત્રકામ કરો, રંગો, અભ્યાસ કરો, શીખો, શીખવો...

તમારા ઘરને એક દુકાન જેવું બનાવો - તેમાં સ્વચ્છતા જાળવો, ચીજ વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવો, સુશોભન કરો, ચીજ વસ્તુઓને નામ આપો, તેમની જગા બદલો, નકામી ચીજ વસ્તુઓ વેચી દો કે તેમનું દાન કરો...

તમારા ઘરને એક સારી હોટલ બનાવો - તેમાં સારું સારું રાંધો, ખાઓ, નવા પ્રયાસો હાથ ધરો, નવી વાનગીઓ બનાવો, નવા મસાલા ચકાસો, નાનું કિચન ગાર્ડન બનાવો...

આ બધાં સાથે તમારા ઘરને તમારા પરિવાર સમું બનાવો - તેમાં પ્રેમથી ઘરનાં સૌ સભ્યો સાથે હસી ખુશી સાથે રહો... જીવનમાં આવી પડેલી આ તક નો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો...


(ઈન્ટરનેટ પરથી)

ગાય દૂધ નથી આપતી, તમારે તેને દોહવી પડે છે

    એક ગોવાળિયાએ તેનાં પુત્રોને કહ્યું જ્યારે તમે બાર વર્ષના થઈ જશો ત્યારે હું તમને જીવનનો એક મંત્ર જણાવીશ. સૌથી મોટો પુત્ર જ્યારે બાર વર્ષનો થઈ ગયો ત્યારે તેણે જઈને પિતાને મંત્ર વાળી વાત યાદ કરાવતા ભારે ઉત્સુકતાપૂર્વક પૂછયું કે એ મંત્ર કયો છે. ગોવાળિયાએ કહ્યું કે એ જરૂર આ મંત્ર તેને જણાવશે પણ તેણે પોતાના નાના ભાઈઓને આ મંત્ર જ્યાં સુધી તેઓ પણ બાર વર્ષના ન થઈ જાય ત્યાં સુધી ના જણાવવો.

પછી તેણે જીવનનો મંત્ર કહ્યો : ગાય દૂધ આપતી નથી.

છોકરાએ ગાઢ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતાં પૂછ્યું, 'બાપુ, એ તમે શું બોલ્યા?'

  ગોવાળિયાએ કહ્યું, 'હા બેટા, તેં બરાબર જ સાંભળ્યું. ગાય દૂધ આપતી નથી. દૂધ મેળવવા તમારે એને દોહવી પડે છે. તમારે સવારે ચાર વાગે ઉઠી ખેતરે જવું પડે છે, ત્યાં છાણથી ભરેલાં ગમાણમાં જઈ ગાયનું પૂંછડું ખીલે બાંધવું પડે છે, તમને એ લાત ના મારે એટલે એના પગ દોરડાંથી બાંધવા પડે છે. પછી ટેબલ પર બેસી, ગાયના આંચળ નીચે બાલદી બરાબર ગોઠવવી પડે છે અને છેલ્લે ગાયને બરાબર દોહો એ પછી દૂધ મળે છે. આ બધું કામ જાતે કરો એ પછી જ દૂધ મેળવી શકો છો. આ જ જીવનનું રહસ્ય છે - ગાય દૂધ નથી આપતી. તમે એને ન દોહો, મહેનત ના કરો તો એ દૂધ નથી આપતી. પણ નવી પેઢીને બધું તૈયાર ભાણે જોઈએ છે. તેઓ માને છે કે ગાય દૂધ આપે છે. વગર મહેનતે, વગર પૈસે - મફતમાં. આ માનસિકતા ખોટી છે.

તેઓ ધારે છે "મારે બસ ઈચ્છા કરવાની છે, માગવાનું છે અને મને વસ્તુ મળી જાય છે."

તેમને તેઓ જે ઈચ્છે તે સરળતાથી મેળવવાની આદત પડી ગઈ છે. પણ ના, જીવનમાં બધું એટલું સરળ નથી. તમે ધારો, માગો એ બધું તમને વગર મહેનતે મળી જતું નથી. સિંહના મોઢામાં હરણ સામે ચાલીને આવી પડતું નથી. કોઈને પણ જે મળે છે એ મહેનત કર્યા બાદ જ મળે છે. એ મહેનત કર્યા બાદ તમને સાચું સુખ અનુભવવા મળે છે. વગર મહેનતે ક્રોધ અને નિરાશા સાંપડે છે.'

    તમારા બાળકો નાના હોય ત્યારથી જ જીવનનો આ મંત્ર તેમને જણાવો. જેથી તેઓ એવી માનસિકતા સાથે મોટા ન થાય કે તેમને જે કંઈ પણ જોઈએ છે તે સરકાર કે તેમના માતા પિતા કે પછી તેમનો નાજુક, સુંદર ચહેરો તેમને વગર મહેનતે રળી આપશે. જેની તેમને જીવનમાં જરૂર છે, એ મેળવવા તેમણે મહેનત કરવી પડશે.

યાદ રાખો -

ગાય દૂધ નથી આપતી, તમારે તેને દોહવી પડે છે.

(ઇન્ટરનેટ પરથી)  


સુવર્ણકણિકાઓ

અપેક્ષા રાખવાનું છોડી દેશો અને સ્વીકાર કરવાનું શીખી લેશો ત્યારે જીવન સરળ બની જશે.


'એવરેસ્ટ' ની ટોચે પહોંચવું હોય તો 'એવર' 'રેસ્ટ' લેવાનું નહીં વિચારતા. (સફળતાના શિખરની ટોચે પહોંચવા 'આરામ હરામ હૈ' નો મંત્ર અનુસરો)


જ્યારે તમે તમારા સપનાં માં વિશ્વાસ રાખશો ત્યારે એ પૂરા કરવાના સાધનો આપોઆપ જડી રહેશે.


જ્યારે તમે તમારી જાતને જીતી લેશો ત્યારે તમે તમારા બધાં સ્પર્ધકોથી આગળ હશો.


સુખી લોકો માત્ર કર્મનું આયોજન કરતાં હોય છે, પરિણામોનું નહીં.


જો તમારા હેતુ, તમારી ભાવનાઓ શુદ્ધ હશે તો તમે કોઈને ગુમાવશો નહીં.


જ્યારે આપણે પોતાની જાત પ્રત્યે જ નિરુત્સાહી હોઈએ ત્યારે આપણે બીજાઓ માટે પણ ઠંડા જ સાબિત થતાં હોઈએ છીએ.


તમારી હકારાત્મક વિચારસરણી દ્વારા તમે તમારી સાજા થવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવી શકો છો.


ખજાનો તમારી નીચે નહીં, ભીતર છે.


દરેક બાબત તમારી પાસે પરત ફરે છે - સારી અને ખરાબ.


એક માત્ર સમય ફરી પેદા કરી શકાતો નથી કે પાછો લાવી શકાતો નથી.


જીવન તમારા આરામના દાયરાની બહારથી શરૂ થતું હોય છે.


ધૈર્ય કેળવો અને તમારા (જીવન) સફરમાં વિશ્વાસ રાખો.


સારું હ્રદય અને પરિપક્વ મન પસંદ કરો (કેળવો).


જ્યારે તમે તમારો ભાગ ભજવી રહો છો, પછી જ ઈશ્વર તેનો ભાગ ભજવે છે.


જ્યારે તમારા બધાં બહાના પૂરાં થઈ રહે, પછી જ તમને પરિણામ મળે છે.


અનુભવનો ખરો નીચોડ શિક્ષણ કે અભ્યાસ છે.


(ઇન્ટરનેટ પરથી)


સ્વ. મનોહર પાર્રિકરનું એક યાદગાર વક્તવ્ય

   આપણાં ભૂતપૂર્વ સુરક્ષા મંત્રી અને ઘણાં વર્ષો સુધી ગોવાના મુખ્યમંત્રી રહી ચૂકેલા સ્વ. મનોહર પાર્રિકરની દ્વિતિય મરણતિથી ૧૭મી માર્ચે ગઈ. તેમનું એક પ્રેરણાત્મક અને યાદગાર વક્તવ્ય વાંચી તેમને યાદ કરીએ.

"હું ગોવાના પાર્રા નામનાં ગામનો વતની છું એટલે મારી અટક પાર્રિકર છે. મારું ગામ કલિંગર માટે પ્રખ્યાત હતું. જ્યારે હું નાનો હતો ત્યારે મે મહિનામાં કાપણીની મોસમ પતે એટલે ખેડૂતો કલિંગર ખાવાની એક સ્પર્ધા યોજતા. દરેક બાળકને તેણે જેટલા કલિંગર ખાવા હોય તે ખાવાની છૂટ અપાતી. વર્ષો બાદ હું એંજિનિયરીંગ ભણવા માટે મુંબઈના આઈ. આઈ. ટી. ખાતે આવ્યો. સાડા છ વર્ષ અહીં ભણ્યા બાદ હું ફરી મારે ગામ ગયો અને ત્યાં જઈ મેં મોટા કલિંગર શોધ્યા. પણ એ મને ક્યાંય ન જડયા. જે થોડા ઘણાં હતાં તે કદમાં સાવ નાના હતાં.

હું એક ખેડૂતને જઈ મળ્યો જે થોડાં વર્ષો પહેલાં કલિંગર ખાવાની સ્પર્ધા યોજતો હતો. હવે તેના પુત્રે કામકાજની દોર પોતાના હાથમાં લઈ લીધી હતી. તે પણ આ સ્પર્ધા યોજતો હતો પણ હવે તેનું સ્વરૂપ બદલાયું હતું. તેનો પિતા જ્યારે અમને કલિંગર ખાવા આપતો ત્યારે સાથે એક વાડકો આપતો જેમાં અમારે કલિંગરના બીજ થૂંકવાના રહેતાં. અમને સૂચના આપવામાં આવતી કે બીજ ખાઈ જવા નહીં. એ બીજ નો ઉપયોગ તે આવતા વર્ષની વાવણી માટે કરતો. ખરું જોઈએ તો અમે જેને વેતન આપવામાં આવતું નહોતું એવા બાળ મજૂરો હતાં! એ અમને તેનાં શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતાં કલિંગર ખાવા આપતો. જેમાંથી ખૂબ સારા બીજ નીકળતા અને આવતા વર્ષે તેનો પાક વધુ સારો અને વધુ મોટા કલિંગરનો પાકતો.

તેના પુત્રે કામકાજની દોર સંભાળ્યા બાદ જાણ્યું કે મોટા કલિંગર બજારમાં વેચતા તેના વધુ પૈસા નિપજે છે. આથી તેણે મોટા કલિંગર બજારમાં વેચવા મોકલી દઈ, સ્પર્ધા માટે નાના કલિંગર રાખ્યાં અને બાળકોને ખાવા આપ્યાં. અને દર વર્ષે ઉગતા પાકના કલિંગરોનું કદ ક્રમશઃ ઘટતું ચાલ્યું.

કલિંગરનો પાક વર્ષમાં એક વાર લેવામાં આવે છે. સાત વર્ષમાં તો પાર્રાના પેલાં શ્રેષ્ઠ મોટા કદના કલિંગરની જાત જ ખતમ થઈ ગઈ.

મનુષ્ય જાતમાં પેઢી દર પચ્ચીસ વર્ષે બદલાય છે.

આપણાં બાળકોને શિક્ષણ આપતાં આપણે શું ભૂલ કરી તે સમજાતા બસ્સો વર્ષ નીકળી જશે. જો આપણે સારા શિક્ષકોને બાળકોને ભણાવવાની તક આપીશું તો 'કલિંગર વાળી' આપણી સાથે નહીં થાય. શિક્ષણ ક્ષેત્રે આપણે શ્રેષ્ઠ લોકોને ચૂંટવાની (નિયુક્ત કરવાની) જરૂર છે."

(ઇન્ટરનેટ પરથી) 

જીવન જીત કે હારથી કંઈક વિશેષ છે

એક દિવસ એક યુવાન લામાઓનાં મઠમાં જઈ તેને ખાવાનું અને કંઈક કામ આપવાની વિનંતી કરવા લાગ્યો.

મુખ્ય લામાએ તેને પૂછયું કે તે શું શું જાણે છે? તેણે શું શું વાંચ્યું છે? તે કયા કયા કામ કરી જાણે છે?

યુવાને જવાબ આપ્યો : હું શાળામાં તો ક્યારેય જઈ શક્યો નથી કે નથી મારી પાસે કોઈ વિશેષ પ્રકારની આવડત. મેં અત્યાર સુધી છૂટક છૂટક કામો કર્યાં છે જેવા કે એઠાં વાસણ ધોવા, મકાન સાફ કરવું વગેરે. મને બીજું કંઈ ખબર નથી.

મુખ્ય લામાએ ફરી પ્રશ્ન કર્યો : શું તને ખાત્રી છે કે તને બીજું કંઈ આવડતું નથી?

યુવાને જવાબ આપ્યો : અરે હા! હવે યાદ આવ્યું, હું સારી રીતે શતરંજ રમી જાણું છું.

મુખ્ય લામાએ કહ્યું : સરસ. તારે આ સાબિત કરવા કસોટીમાંથી પસાર થવું પડશે. તેણે અન્ય એક લામા સાધુને શતરંજનું પાટીયું અને સોગઠીઓ લઈ આવવા જણાવ્યું અને એક લામા જેને શતરંજ રમતા આવડતી હતી તેને યુવાન સાથે રમત શરૂ કરવા જણાવ્યું.

હવે શતરંજની રમત શરૂ થાય એ પહેલાં એક તલવાર હાથમાં લઈ તેમણે એલાન કર્યું કે જે આ રમત હારશે તેનું નાક આ તલવારથી કાપી નાખવામાં આવશે.

યુવાન થોડો ગભરાયો. પણ તેણે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી આ શરત સ્વીકારી લીધી અને રમત શરૂ કરી.

શરૂઆતમાં યુવાને થોડી ભૂલો કરી અને રમતમાં તેની સ્થિતી અતિ ખરાબ બની ગઈ. પણ પછી તેણે સ્વસ્થતા હાંસલ કરી, પોતાનું સંપૂર્ણ ધ્યાન રમત પર કેન્દ્રિત કર્યું અને હારેલ બાજી તેણે સુધારી લીધી. હવે જીત તેના હાથવેંતમાં હતી.

તેણે સામે બેઠેલા લામા સાધુ સામે જોયું. તે અસ્વસ્થ નહોતો પણ રમતની સ્થિતી તેની તરફેણમાં ન રહેતા તે થોડો વિચલિત જણાયો.

યુવાને વિચાર્યું, "હું સાવ નકામો છું. હું હારી જઈશ અને મારું નાક કપાઈ જશે તો દુનિયામાં કોઈને કંઈ ફરક પડવાનો નથી. પણ આ લામા સાધુ જ્ઞાની છે, ધ્યાન ધરે છે અને બુદ્ધત્વ ધારણ કરવાના માર્ગે છે. તે શા માટે હારી જવો જોઈએ. એ હારશે તો ચોક્કસ ફરક પડશે. એમ ન થવું જોઈએ." આમ વિચારી તેણે જાણી જોઈને એવી ચાલ ચાલી કે પોતે હારી જાય અને સામે વાળા લામા સાધુને જીતવાની તક મળે.

મુખ્ય લામા આ સમગ્ર ઘટના ક્રમ નિહાળી રહ્યા હતા. તેમણે અચાનક રમત પૂરી થાય એ પહેલાં તલવાર વડે રમત વિખેરી નાખી અને કહ્યું રમત પૂરી થઈ ગઈ છે. છોકરા, તું જીતી ગયો. હવે તું અમારી સાથે જ મઠમાં કાયમ માટે રહી શકશે.

યુવાન મૂંઝાઈ ગયો. મુખ્ય લામા એ તેને સમજાવ્યું : મેં તને શતરંજ રમવા તારું રમતમાં કૌવત કેટલું છે તે સાબિત કરવા નહતો આમંત્ર્યો. પણ મારે બે અતિ મહત્ત્વની બાબતો તારામાં ચકાસવી હતી.

એક છે મહા પ્રજ્ઞા. પોતાની જાત અંગે સભાનતા. જે મેં તારામાં જોઈ છે. જ્યારે તું હારવા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે એક સમયે તે એ અંગે જાગૃત થઈ પોતાનું સંપૂર્ણ ધ્યાન રમત સુધારવા પર કેન્દ્રિત કરી બાજી પલટી નાંખી. તું જીત સુધી પહોંચી ગયો. આ મહા પ્રજ્ઞા છે.

બીજી છે મહા કરુણા. દયા. એ પણ તે ખૂબ સારી રીતે દાખવી. જ્યારે તારો પ્રતિસ્પર્ધી હારવાની અણી પર હતો ત્યારે તે પરમ કરુણા દાખવી અને જાણી જોઈને એવી ચાલ ચાલી કે એ જીતી શકે.

આ બે સદ્ગુણો તમે જે જીવન જીવી રહ્યા છો તે અર્થપૂર્ણ બનાવવા અને સાધના કરવા પૂરતા છે.

જીવન માત્ર જીતવા કે હારવાનું નામ નથી. તમે કંઈ જીતતા નથી અને કંઈ હારતા નથી. વધુ માં વધુ તમે તમારો મર્યાદિત સમય જેને જીવન કહે છે તે શ્રેષ્ઠ રીતે માણી અથવા સહન કરી શકો છો. પણ આ માણો છો એ આનંદ કે સહન કરો છો એ પીડા પણ તમારી કલ્પનાથી વિશેષ બીજું કંઈ નથી.

જૂજ લોકો આ આનંદ કે પીડા, જીત કે હાર વગેરે થી પાર જઈ જુદી જ કેડી કંડારે છે.

જીતો કે હારો, પણ એક મહાન જીવન જીવો.

(ઇન્ટરનેટ પરથી)


આનંદમ્ પરમ સુખમ્

વોટ્સ એપ પર વાંચવામાં આવેલો એક સુંદર મેસેજ :

એક આધેડ ઉંમરના કાકા બોલ્યા, ઘરે પહોંચું તો ઓછું જોઈ શકતી મારી વૃદ્ધ મા મારી આહટ ઓળખીને કહે આવી ગયો દીકરા.... એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક યુવાન બોલ્યો, કંઈ વાંધો નહિ, બીજી નોકરી મળી જશે કહેતો.. પત્નીનો હિંમત આપતો અવાજ એટલે 'આનંદમ પરમ સુખમ'.

એક પિતાએ કહ્યું, કંઈ જ કહ્યા વિના બધું સમજી જતું સંતાન એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક ભાઈએ કહ્યું, રોજ ઈશ્વર સમક્ષ કોઈ માગણી વિનાની પ્રાર્થના એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક કાકીએ કહ્યું, રોજ જમતી વખતે આ પ્રભુકૃપા જ છે એનો અહેસાસ એટલે 'આનંદમ પરમ સુખમ્'.

એક કાકા બોલ્યા, વહેલી સવારે મૉર્નિંગ વૉક પર પાછળથી ધબ્બો મારી... અલ્યા રસિકયા.... કહી વર્ષો પછી મળનાર જૂનો મિત્ર એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક દાદા બોલ્યા, પૌત્રના સ્વરૂપમાં મળી જતો એક નવો મિત્ર એટલે 'આનંદમ પરમ સુખમ. '

બીજા કાકાએ કહ્યું, સાસરે ગયેલી દીકરીની ખોટ પૂરી દેતી વહુનો મીઠો રણકો એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક યુવતી બોલી, ઓફિસેથી ઘરે પહોંચતાં સાસુમાએ આપેલો પાણીનો ગ્લાસ એટલે 'આનંદમ પરમ સુખમ'.

એક મહિલાએ કહ્યું, થાકી ગયાં હોઈએ. ત્યારે વહાલથી પતિનું કહેવું કોઈ એક વસ્તુ બનાવ ચાલશે એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક ભાઈએ કહ્યું, પથારીમાં પડતાંવેંત આંખ ક્યારે મીંચાઈ જાય એ ખબર પણ ન પડે એટલે 'આનંદમ પરમ સુખમ'.

આ બધાં 'આનંદમ પરમ સુખમ' ની વાતોમાં ક્યાંય પૈસા, મોંઘાં વસ્ત્રો કે દાગીના કે અન્ય ચીજો નથી એ ધ્યાનથી જોજો અને આવી કેટલીયે 'આનંદમ પરમ સુખમ' ની ક્ષણો તમારી પાસે છે એ તપાસી ઈશ્વરનો આભાર ચોક્કસ માનજો..


(ઈન્ટરનેટ પરથી) 

Sunday, June 6, 2021

આઠ મિનિટની શ્રેષ્ઠ ફિલ્મ

      એક સિનેમાગૃહે જાહેર કર્યું કે આઠ મિનિટની એક ટૂંકી ફિલ્મને જગતની શ્રેષ્ઠ ફિલ્મ ગણાવવામાં આવી છે અને મહત્તમ લોકો તે જોઈ શકે એટલે તેના એક વિનામૂલ્ય શો નું આયોજન કરવામાં આવ્યું છે. નિયત દિવસે શો નો સમય થયો અને આખો સિનેમા હોલ ભરાઈ ગયો. ફિલ્મ શરૂ થઈ અને પડદા પર એક ખાલી ઓરડાની સાવ સાદી છત પ્રદર્શિત થઈ, કોઈ પ્રકારના રંગરોગાન કે ભપકા વગરની, માત્ર સફેદ રંગની સાદી છત.

ત્રણ મિનિટ પસાર થઈ ગઈ. પણ પડદા પરનું દ્રશ્ય બદલાયું જ નહીં. માત્ર પેલી ધોળી છત જ સિનેમા હોલના પડદા પર કાયમ રહી.

    બીજી ત્રણ મિનિટ પસાર થઈ ગઈ, પણ કેમેરો પેલી છત પરથી ખસતો જ નહોતો. છ મિનિટ પસાર થઈ જવા છતાં સિનેમા માં કંઈ આગળ જ વધતું નહોતું એટલે હવે પ્રેક્ષકો અકળાયા. કેટલાક ઉભા થઈ બહાર જવા પ્રયત્ન કરવા લાગ્યાં. કેટલાકે બૂમો પાડી વિરોધ નોંધાવ્યો અને એવો સૂર જતાવ્યો કે માત્ર છત બતાવવા બોલાવી શા માટે આટલાં બધાં લોકોનો સમય બરબાદ કર્યો.

   પણ વધુ હોબાળો થાય એ પહેલાં, સિનેમા હોલ ના પડદાં પરનો કેમેરો ધીમે ધીમે છત પરથી ખસી ઘરની એક ખાલી દિવાલ પર કેન્દ્રિત થયો અને થોડી વાર પછી ઘરની જમીન પડદા પર દેખાઈ. જ્યાં એક ખાટલો હતો અને તેના પર એક દિવ્યાંગ બાળક સૂતેલ નજરે ચડયો, જેના નાનકડા શરીરની કરોડરજ્જુમાં ઈજાને કારણે તે બિલકુલ હલનચલન કરી શકતો નહોતો.

    થોડી વાર પછી કેમેરો ફરી પાછો પેલી કંટાળાજનક છત પર પાછો ફર્યો પણ આ વખતે તેના પર આ પ્રમાણે લખાણ અંકિત થયેલું હતું :

અમે તમને આ બાળકની રોજનીશીમાંથી માત્ર આઠ મિનિટ બતાવી છે. તમે જે માત્ર થોડી મિનિટ જોયું તે આ દિવ્યાંગ બાળક તેની આખી જિંદગી જુએ છે. તમે એ માત્ર આઠ મિનિટ પણ સહન કરી શક્યા નહીં... આથી તમારા જીવનની સાજા સારા વિતાવેલી દરેક ક્ષણનું મૂલ્ય સમજો અને તેને ઈશ્વરના તમારા પર આશિર્વાદ સમજી એ માટે તેનો આભાર વ્યક્ત કરો. જીવન અને સમયનું મૂલ્ય તમે તેને ગુમાવી નહીં બેસો ત્યાં સુધી તમને સમજાશે નહીં.

તમે મુક્ત રીતે હલનચલન કરી શકો છો, ઘરની બહાર નીકળી જીવન, તાજી હવા, પ્રકૃતિ વગેરે જુદા જુદા રંગે, સ્વરૂપે માણી અને અનુભવી શકો છો. તેનું મૂલ્ય સમજી તેને વેડફી ન દો.

(ઇન્ટરનેટ પરથી)


ભગવાન અને શેતાન

નાનો પરિવાર ધરાવતી એક અતિ ગરીબ સ્ત્રીએ એક વાર "મહાદેવ"ની મદદ માગવા રેડીઓ સ્ટેશને ફોન કર્યો. એક નાસ્તિક માણસ પણ આ રેડીઓ કાર્યક્રમ સાંભળી રહ્યો હતો. તેણે પેલી ગરીબ સ્ત્રીની મજાક ઉડાવવાનું નક્કી કર્યું.

તેણે એ સ્ત્રીનું સરનામુ નોંધી લીધુ અને પોતાની સેક્રેટરીને સારી એવી ખાદ્યસામગ્રી ખરીદી પેલી સ્ત્રીને ત્યાં પહોંચાડીઆવવાની આજ્ઞા કરી.

પણ તેણે પોતાની સેક્રેટરીને એક વિચિત્ર સૂચના આપી.

તેણે કહ્યું જ્યારે એ ગરીબ સ્ત્રી પૂછે કે આ ખાવાનું કોણે મોકલાવ્યું છે? ત્યારે જવાબ આપવો કે એ `શેતાને` મોકલાવ્યું છે.

સેક્રેટરીએ તો પોતાના બોસની આજ્ઞા પ્રમાણે સારી એવી માત્રામાં ખાદ્યસામગ્રી ખરીદી અને પેલી

ગરીબ સ્ત્રીના ઘરે પહોંચાડી. ગરીબ સ્ત્રી તો આટલી બધી ખાદ્યસામગ્રી જોઈને રાજીના રેડ થઈ ગઈ. આભારવશતાની લાગણી અનુભવતા અનુભવતા તેણે એ બધો સામાન પોતાના નાનકડા ઘરમાં ગોઠવવા માંડ્યો.

સેક્રેટરી એ થોડી રાહ જોયા બાદ જ્યારે ગરીબ સ્ત્રીના તરફથી કોઈ સવાલ ન થયો ત્યારે અકળાઈને સામેથી જ પૂછી નાખ્યું , "શું તમને એ જાણવાની ઇચ્છા નથી કે આ બધું કોણે મોકલાવ્યું?"

ગરીબ સ્ત્રીએ જવાબ આપ્યો, "ના. જેણે મોકલાવ્યું હોય તેનો ખૂબ ખૂબ આભાર માનજો. મને એની પરવા નથી એ જે કોઈ પણ હોય કારણ જ્યારે મારો 'નાથ' હૂકમ કરે ત્યારે શેતાને પણ તેની આજ્ઞાનું પાલન કરવું પડતું હોય છે!"

(ઇન્ટરનેટ પરથી)

અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડેન વિશે જાણવા જેવું

*અમેરિકાના નવા પ્રમુખ:- જો બાઇડેન.*

                ઉ.વ.૭૮.                  

1. પ્રથમ પત્ની નીલીયા હંટર બાઈડેન શિક્ષિકા હતા અને લગ્નના છ વર્ષ બાદ એક વર્ષની પુત્રી નાઓમી અને બે પુત્રો બીઉ અને હંટર સાથે ક્રિસમસ ટ્રી ખરીદવા જતાં રોડ અકસ્માતનો ભોગ બન્યા અને આ અકસ્માતમાં નીલીયા અને નાઓમી મૃત્યુ પામ્યા. બીઉ અને હંટર પણ ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા હતા પણ બચી ગયા. 

2. પુત્ર બીઉ ૪૬ વર્ષની વયે ૩૦મી મે, ૨૦૧૫ ને દિવસે બ્રેઇન કેન્સરથી મૃત્યુ પામ્યો. 

3. પુત્ર હંટરને મે ૨૦૧૩ માં ડ્રગ્ઝના વ્યસનના

    કારણે નેવીમાંથી હાંકી કાઢવામાં આવ્યો.

4. બાઇડેન પોતે પણ સ્નાયુના લકવાની બીમારીનો (ફેસિયલ પાલ્સી) સામનો કરી ચૂકયા છે.

જીવનમાં આટલી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કર્યો હોવા છતાં જો બાઇડેન ૭૮ વર્ષની ઉંમરે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ બન્યા છે. તેઓ શારીરિક તેમજ માનસિક રીતે આટલી મોટી જવાબદારી નિભાવવા સક્ષમ છે.

         જ્યારે કેટલાક વયસ્કો ૬૦ની ઉંમરે એવું માને છે કે - હવે બધું જ પુરું થઇ ગયું, હવે આપણાથી કંઈ થાય નહી.

        બધા સિનીયર સિટીઝનોએ બાઇડેનનું ઉદાહરણ નજર સમક્ષ રાખીને નવી શરુઆત કરવાની છે. એમ વિચારો કે તમે હજુ પણ યુવાન છો. તેથી તમે જીવનમાં હજુ સુધી જે કરી શક્યા નથી તે કરવા, શીખી શકયા નથી તે શીખવા, જાણી શકયા નથી તે અંગે જાણવા અને મેળવી શક્યા નથી તે મેળવવા તન-મનથી પ્રયત્ન કરો.

(ઈન્ટરનેટ પરથી) 

Sunday, January 24, 2021

અજાણ્યું પાત્ર

      હું જન્મ્યો તેના થોડાં વર્ષ બાદ મારા પિતાની મુલાકાત એક અજાણ્યા પાત્ર સાથે થઈ. એ અમારા શહેરમાં નવો હતો. શરૂઆતથી જ મારા પિતા આ આકર્ષક અજાણ્યા પાત્રથી ખાસ્સા પ્રભાવિત થયા હતા અને તેમણે તેને અમારા ઘરમાં રહેવા આમંત્રણ પાઠવ્યું. આ પાત્રે ધીમે ધીમે બધાં તરફથી સ્વીકૃતિ પામી અને ત્યાર બાદ તે અમારા ઘરનો જ એક સભ્ય બની ગયો.

      જ્યારે હું મોટો થયો ત્યારબાદ મેં ક્યારેય તેના મારા પરિવારમાં સ્થાન અંગે કોઈ પ્રશ્ન કર્યો નથી. મારા યુવાન મનમાં, તેનું એક ખાસ સ્થાન હતું. મારા માતા - પિતાનો મારા ચારિત્ર્ય ઘડતરમાં મોટો ફાળો રહ્યો છે - મા એ મને સારા અને ખરાબનો ભેદ પારખતાં શીખવ્યું છે. બાપુએ મને આજ્ઞાકારી બનતાં શીખવ્યું છે. પણ, આ અજાણ્યા પાત્રની વાત જ કંઈક નોખી છે. એ મનોરંજક વાર્તાકાર બની રહ્યો છે! તેણે અમને કલાકો સુધી જકડી રાખી રોમાંચક, રહસ્યમય, રમૂજી અને એવાં ઘણાં જુદા જુદા પ્રકારના પાઠ મંત્રમુગ્ધ બનાવીને શીખવ્યા છે.

    જો મને રાજકારણ, ઈતિહાસ કે વિજ્ઞાન અંગે કંઈ પણ જાણવું હોય, તો એ દરેક વિષયના જવાબ તેની પાસે હાજર રહ્યા છે. તે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ સુદ્ધાનાં જવાબો જાણે છે! એ મારા પરિવારને પ્રથમ પ્રીમિયરશીપ ગેમ જોવા લઈ ગયેલો. તેણે અમને હસાવ્યા છે અને રડાવ્યા પણ છે. તે ક્યારેય મૂંગો રહ્યો જ નથી, સતત બોલતો રહ્યો છે અને એનો કોઈ વાંધો બાપુજીએ પણ લીધો નથી!

     ક્યારેક અમે બધાં તેને ધ્યાનથી સાંભળી રહ્યા હોઈએ ત્યારે મા ને કંટાળી રસોડામાં ચાલી જતાં મેં જોઈ છે. કદાચ એણે આ અજાણ્યા પાત્રના અમારા સૌથી અળગા થવાની પ્રાર્થના પણ કરી હશે!

  બાપુએ હંમેશા કેટલાક ચોક્કસ સિદ્ધાંતોને વળગીને ઘર ચલાવ્યું છે, પણ અજાણ્યા પાત્રે ક્યારેય તેની દરકાર કરી નથી. જેમ કે, ભ્રષ્ટ વ્યવહાર કે ભાષા અમને, અમારા મિત્રો કે મુલાકાતીઓને પણ અમારા ઘરમાં વાપરવાની છૂટ નથી. પણ, આ અજાણ્યા પાત્રે ક્યારેક એવી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે જે સાંભળી કાન ના કીડા ખરી પડે કે બાપુ ધૂંધવાયા હોય અને મા શરમથી લાલઘૂમ થઈ ગઈ હોય! બાપુ ક્યારેય મદ્યપાન કે ધૂમ્રપાન કરતા નથી, પણ આ અજાણ્યા પાત્રે એક વાર નહીં, અનેક વાર તેમનું સમર્થન કર્યું છે. સેક્સની પણ તેણે છડેચોક ચર્ચા બિનધાસ્ત રીતે કરી છે! તેણે અમને ઘણી વાર પરિવારમાં એકમેક સામે સંકોચમાં મૂક્યા છે!

     હું જાણું છું કે મારા કિશોર અને યુવાન મન પર સંબંધો અંગેની સમજણ પર, આ અજાણ્યા પાત્રની ઘેરી અસર રહી છે. તેણે સતત મારા માતાપિતાના સંસ્કાર અને મૂલ્યો કરતાં વિરુદ્ધ વર્તન કર્યું હોવા છતાં તેને અમારા ઘરમાંથી જાકારો મળ્યો નથી.

આ અજાણ્યા પાત્રને અમારા પરિવારમાં ભળી જતાં ચાર દાયકા જેટલો સમય થઈ ગયો છે.

એ અમારા સૌ સાથે ઘણી સારી રીતે હળીમળી ગયો છે. પણ હવે એવું લાગે છે કે તેનો પ્રભાવ તે જ્યારે નવો નવો આવ્યો હતો ત્યારે હતો, તેવો નથી. આજે પણ તમે મારા ઘેર પ્રવેશશો, તો તમને આ અજાણ્યું પાત્ર એક ખૂણે બેઠેલું દેખાશે, જાણે પ્રયત્નો કરતું હોય ધ્યાન ખેંચવાના તેને બોલતું સાંભળવા... તેને જોવા...

ખ્યાલ આવ્યો કે આ અજાણ્યું પાત્ર કોણ છે? તેનું નામ છે "ટી. વી."

હવે તો એ પરણ્યું પણ છે - કોમ્પ્યુટરને!

તેમનું પહેલું સંતાન એટલે "મોબાઈલ ફોન" અને બીજું "વિડિયો ગેમ્સ".

અને છેલ્લાં ખબર આવ્યાં મુજબ તેમને એક સુંદર પૌત્રી પણ આવી છે જેનું નામ છે "વોટ્સ એપ" જે લોકપ્રિયતામાં તેના માતાપિતાને પણ વટાવી ગઈ છે! તેના મોટા પિતરાઈ ભાઈનું નામ છે "ફેસબુક" અને નાના પિતરાઈ ભાઈઓના નામ છે "સ્નેપચેટ" અને "ઈન્સ્ટાગ્રામ".

આ આખા પરિવારે આપણાં દરેકના ઘરમાં એવો પગપેસારો કર્યો છે કે હવે તેઓ ક્યારેય આપણો પીછો છોડશે એ શક્ય લાગતું નથી...

(ઇન્ટરનેટ પરથી)

જતું કરતા શીખીએ

     એક વેપારીને બે પુત્રો હતાં. તેઓ પિતા સાથે જ તેમની મોટી દુકાનમાં કામ કરતાં. વેપારીના મૃત્યુ બાદ તેમણે કામ વહેંચી લીધું પણ તેઓ સાથે જ દુકાન સંભાળતા. બધું થોડા સમય સુધી બરાબર ચાલ્યું પણ એક દિવસ બે હજાર રૂપિયાની એક નોટ ગાયબ થઈ ગઈ અને એ તેમની વચ્ચે વિખવાદ અને ભાગલાનું કારણ બની.

     એક ભાઈએ બે હજાર રૂપિયાની એક નોટ હિસાબના ચોપડા પર મૂકી હતી અને તેને એક ગ્રાહક સાથે અચાનક બહાર જવાનું થયું. જ્યારે તે પાછો આવ્યો ત્યારે એ નોટ ત્યાં ના હતી. તેણે બીજા ભાઈને પૂછયું કે શું તેણે એ નોટ લીધી છે? બીજા ભાઈએ નકારમાં જવાબ આપ્યો. પણ પહેલાં ભાઈને વિશ્વાસ આવ્યો નહીં અને તેણે બીજા ભાઈ પર શંકા કરી સતત તેને એ બે હજાર રૂપિયા વિશે પૂછ્યા કર્યું. તેણે એવા ટોણાં પણ માર્યા કે બે હજારની નોટ ને કંઈ પગ ના આવે અને તે દોડીને આપમેળે ક્યાંય જતી ન રહે. ચોક્કસ એ 'કોઈએ' ચોરી લીધી છે. આ બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું. પહેલાં ભાઈનું સ્વમાન ઘવાયું. તેમના સંબંધો બગડયા અને આ વિખવાદ તેમને ભાગલા સુધી દોરી ગયો. તેમણે એકમેક સાથે બોલવાનું પણ બંધ કરી દીધું.

     તેમણે ધંધાના પણ ભાગલા કરી નાખ્યા અને દુકાન વચ્ચે એક મોટી દિવાલ ચણી દીધી.

આ વાતને વીસ વર્ષ વીતી ગયાં. તેમની વચ્ચે વૈમનસ્ય, કડવાશ વધતા ચાલ્યા અને તેમની વચ્ચે મોઢું જોવા સુદ્ધાનાં સંબંધ ના રહ્યાં.

     પછી એક દિવસ એક આગંતુક દૂર દેશથી દુકાનમાં આવ્યો અને તેણે હિસાબનીશને પૂછયું કે તે કેટલા સમયથી આ દુકાનમાં કામ કરે છે. હિસાબનીશે જવાબ આપ્યો કે તે વર્ષોથી ત્યાં જ કામ કરે છે. આ સાંભળી આગંતુકે કહ્યું "મારે એક ઘણી જૂની પણ અગત્યની વાત કરવી છે. વીસ વર્ષ પહેલાં હું ગાડી ચલાવવાનું કામ કરતો હતો અને અચાનક આ દુકાન સામે આવી ચડયો હતો. મારી પરિસ્થિતિ ઘણી ખરાબ હતી અને ત્રણ દિવસ સુધી હું કંઈ ખાવા પામ્યો નહોતો. હું દુકાનમાં કંઈક મેળવવાની આશાએ આવી ચડયો અને મારી નજર હિસાબના ચોપડા પર પડેલી બે હજારની નોટ પર ગઈ. દુકાનમાં કોઈ હાજર નહોતું. મારા મનમાં શેતાન પેઠો અને મેં જીવનમાં પહેલી વાર ચોરી કરી. પણ ત્યાર પછી આજ સુધી હું એ ઘટનાને ભૂલી શક્યો નથી. આજે ભગવાનની દયાથી મારી આર્થિક પરિસ્થિતિ સુધરી છે. પણ મારાથી રહી ના શકાતા આજે હું એ પાપ ની માફી માગવા આવ્યો છું."

    તે એકી શ્વાસે આ બધું બોલી ગયો તે બીજા ભાઈએ પણ સાંભળ્યું અને તેની આંખમાંથી પસ્તાવાનાં આંસુ વહી રહ્યાં. તે સીધો દીવાલની બીજી બાજુ દોડયો અને પહેલાં ભાઈના પગમાં પડ્યો. બંને ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા અને ખૂબ રડયા.

વીસ વર્ષ બાદ તેમના સંબંધો વચ્ચેનું ભંગાણ તૂટયું. તેમની વચ્ચે જે દિવાલ ચણાઈ હતી તે તૂટી ગઈ. તેઓ ફરી એક થયાં.

     આવું ઘણી વાર જીવનમાં બનતું હોય છે જ્યારે નાની નાની ક્ષુલ્લક વાતોને કારણે સ્વજનો વચ્ચેના મહામૂલા સંબંધો તૂટી જતાં હોય છે. પણ કોઈ એક પક્ષે જતું કરવાની જરૂર હોય છે. આપણે પોતે કેમ એ પક્ષ ના બનીએ અને જીવનમાં જતું કરતા શીખીએ? કોઈ પ્રત્યે કડવાશ અને વેરવૃત્તિ ના રાખીએ. આ દ્વારા આપણી ઘણી માનસિક શક્તિ આપણે બચાવી તેને સંબંધો મધુર બનાવી કે ટકાવી રાખવામાં વાપરી શકીશું. ચાલો એક નવી સારી શરૂઆત કરીએ, જતું કરવાની...

(ઇન્ટરનેટ પરથી)  


સુખી કરતા ૪ હોર્મોનની વાત

    જેવો હું મારું મોર્નિંગ વોક પતાવી બગીચાના બાંકડે બેઠો કે મારી પત્ની પણ આવી અને બાજુમાં બેસી હાંફવા માંડી. તેણે તેનો અડધો કલાકનો જોગીંગ રાઉન્ડ પૂરો કર્યો હતો. અમે થોડી વાર પોરો ખાધો અને પછી વાતચીત શરૂ કરી. તેણે કહ્યું કે તે જીવનથી સુખી નથી. મેં વિશ્વાસ ન બેસતો હોય એવી દ્રષ્ટિ સાથે તેની સામે જોયું કારણ મારા મતે તેના જીવનમાં બધું શ્રેષ્ઠ તેની પાસે હતું.

મેં તેને પૂછયું, "તું એવું શા માટે વિચારે છે કે તું દુઃખી છે? “

તેણે જવાબ આપ્યો," ખબર નહીં કેમ. બધા કહે છે કે મારી પાસે કોઈ વસ્તુની કમી નથી. છતાં મને એવું લાગે છે કે હું સુખી નથી. "

મેં મારી જાતને પ્રશ્ન કર્યો," શું હું પોતે સુખી છું? “

અંદર થી જવાબ આવ્યો, "ના."

હવે આ મારા માટે ઓર વધુ આશ્ચર્યકારક હતું.

મેં મારા દુઃખી હોવાનું મૂળ કારણ શોધવાની કોશિશ કરી, પણ મને કંઈ ઝાઝું હાથ લાગ્યું નહીં.

હું મારા અંતરમાં વધુ ઉંડો ઉતર્યો. મેં સાહિત્ય ફંફોસ્યું, લાઇફ કોચીસ સાથે વાતો કરી, પણ કોઈ ફાયદો થયો નહીં. અંતે મારા એક ડોક્ટર મિત્રે મને જે કહ્યું તેમાં મારા સઘળાં પ્રશ્નોનો ઉત્તર જડી ગયો. તેણે જે સૂચનો કર્યા તે મેં અનુસર્યા અને ત્યાર બાદ હું ખરેખર સુખી થઈ ગયો. તે ડોક્ટર મિત્રે મને જાણ કરી કે ચાર જાતના હોર્મોન હોય છે જે માણસને સુખી બનાવે છે -

૧. એન્ડોર્ફિન

ર. ડોપામાઈન

3. સેરોટોનિન

૪. ઓક્સિટોસિન 

  આપણાં માટે આ હોર્મોનને સમજવા ખૂબ જરૂરી છે. કારણ આપણને સુખી કરવા એ ચારે ખૂબ જરૂરી છે.

એન્ડોર્ફિન - જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે આપણાં શરીરમાં એન્ડોર્ફિનનો સ્ત્રાવ થાય છે. આ હોર્મોન શરીરને કસરતથી થતી પીડા સહન કરવામાં મદદ કરે છે. પછી આપણે કસરત માણવા માંડીએ છીએ કારણ કે એન્ડોર્ફિન આપણને ખુશ બનાવે છે. હસવું એ એન્ડોર્ફિન પેદા કરવાનો બીજો માર્ગ છે. આપણે રોજ ઓછામાં ઓછી અડધો કલાક કસરત કરવી જોઈએ અથવા કંઈક રમૂજી વાંચવું કે જોવું જોઈએ જેથી આપણને જરૂરી એવો દૈનિક એન્ડોર્ફિનનો ડોઝ આપણને મળી રહે.

  બીજો હોર્મોન છે ડોપામાઈન. જીવન સફરમાં જ્યારે જ્યારે આપણે કોઈ નાના કે મોટા કામ પૂરા કરતા હોઈએ છીએ, એ જુદા જુદા પ્રમાણમાં ડોપામાઈન ઉત્પન્ન કરે છે. જ્યારે આપણાં કામ બદલ ઓફિસમાં કે ઘરમાં કોઈ આપણી પ્રશંસા કરે છે ત્યારે આપણને કંઈક હાંસલ કર્યાની અને સારી લાગણીનો અનુભવ થાય છે કારણકે ત્યારે ડોપામાઈન ઉત્પન્ન થાય છે. આ જ કારણ છે મોટા ભાગની ગૃહિણીઓના દુઃખી હોવાનું. તેમને કોઈ તેમના કામ બદલ પ્રશંસા ના બે શબ્દો કહેતું નથી. જ્યારે આપણને નવી નોકરી મળે, આપણે નવી ગાડી ખરીદીએ, નવું ઘર લઈએ કે નવું કોઈ સાધન ખરીદીએ છીએ તે દરેક વેળાએ ડોપામાઈન નો સ્ત્રાવ થાય છે જે આપણને સુખી બનાવે છે. હવે ખ્યાલ આવે છે શોપિંગ કર્યા બાદ ખુશી કેમ અનુભવાય છે?

ત્રીજો હોર્મોન છે સેરોટોનિન. આ હોર્મોન આપણે બીજાનું ભલું કરીએ ત્યારે સ્ત્રવે છે. જ્યારે આપણે પોતાની જાતને ભૂલી જઈ બીજાને કે પ્રકૃતિ કે સમાજ ને કંઈક આપીએ ત્યારે સેરોટોનિન પેદા થાય છે. ઇન્ટરનેટ પર અન્યો સાથે બ્લોગ દ્વારા માહિતી શેર કરો કે ક્વોરા કે ફેસબુક ગ્રૂપ પર કોઈના પ્રશ્નોના જવાબ આપો ત્યારે પણ સેરોટોનિન ઉત્પન્ન થાય છે. કારણ આપણાં લેખ કે જવાબ દ્વારા આપણો કિંમતી સમય આપી આપણે ત્યારે અન્યની મદદ કરતા હોઈએ છીએ.

છેલ્લો અને ચોથો હોર્મોન છે ઓક્સિટોસિન. જ્યારે આપણે સંબંધોમાં કોઈ અન્ય વ્યક્તિની નજીક આવતા હોઈએ છીએ ત્યારે આ હોર્મોન પેદા થાય છે. જ્યારે આપણે મિત્રો કે સ્વજનો ને ભેટીએ છીએ ત્યારે ઓક્સિટોસિન પેદા થાય છે. મુન્નાભાઈ ની 'જાદુ કી ઝપ્પી' ખરેખર કામ કરે છે!

આપણે જ્યારે કોઈ સાથે હાથ મિલાવીએ કે કોઈના ખભે હાથ મૂકીએ છીએ ત્યારે પણ વત્તા ઓછા પ્રમાણમાં ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે.

હવે સમજાયું મૂડ ખરાબ હોય ત્યારે બાળકને શા માટે ભેટવું જોઈએ??

આમ, સુખી થવું સરળ છે - એન્ડોર્ફિન પેદા કરવા માટે રોજ કસરત કરવી જોઈએ. નાના નાના ધ્યેય સિદ્ધ કરી ડોપામાઈન પેદા કરવું જોઈએ. અન્યો સાથે સારી રીતે વર્તી સેરોટોનિન ઉત્પન્ન કરવું જોઈએ અને ઓક્સિટોસિનનો જરૂરી ડોઝ મેળવવા આપણાં બાળકો, મિત્રો અને સ્નેહીજનોને વારંવાર ભેટવું જોઈએ.

જ્યારે આપણે સુખી હોઈએ છીએ ત્યારે આપણે આપણી સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો વધુ સારી રીતે કરી શકીએ છીએ.

દિવસે ને દિવસે વધુ ને વધુ સુખી થવા...

૧. રમવા અને થોડી મજા કરવા પોતાને પ્રોત્સાહિત કરો - એન્ડોર્ફિન

૨. નાની કે મોટી સિદ્ધિઓ માટે લોકોને બિરદાવો. - ડોપામાઈન

૩. વહેંચવાની આદત પાડો અને અન્યોને પણ તેમ કરવા પ્રેરો. - સેરોટોનિન

૪. તમારા પરિવારજનો અને મિત્રોને આલિંગન આપો. - ઓક્સિટોસિન

સુખી થાઓ!


(ઇન્ટરનેટ પરથી)

કોરોનાનું સેલ્ફ - અપ્રેસલ

જો કોરોના પોતાનું વાર્ષિક સેલ્ફ - અપ્રેસલ (ઓફિસમાં રજૂ કરવું પડતું સ્વ - મૂલ્યાંકન જેના બાદ બઢતી મળે છે) કરે તો તે કંઈક આવું વંચાશે :

# વૈશ્વિક સ્તરે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ફાસ્ટ - ટ્રેકિંગ શક્ય બનાવ્યું.

# ગ્લોબલ કાર્બન ડાયોક્સાઈડ એમિશનનું સ્તર ઘટાડયું.

# પચાસ લાખ નોકરીઓનું રીસ્ટ્રક્ચરીંગ કર્યું.

# વૈશ્વિક સ્તરે આરોગ્ય ક્ષેત્રે નવી પહેલ : સાબુથી હાથ ધોવામાં સો ટકા કમ્પલાયન્સ જેના કારણે અન્ય સંસર્ગજન્ય રોગોના ફેલાવામાં ધરખમ ઘટાડો.

# વૈશ્વિક સ્તરે ઉદ્યોગધંધાઓમાં વર્ક ફ્રોમ હોમનું નવું પરિમાણ ઉમેર્યું જેનાથી જોખમો અને ખર્ચમાં તોતિંગ ઘટાડો.

# લોકોને માસ્ક પહેરતા કરી દઈ મોઢું બંધ રાખવાની ફરજ પાડી જેથી ધ્વનિ પ્રદૂષણમાં અપૂર્વ ઘટાડો.

# ઘણાંને રસોઈ, શાકભાજીની ખરીદી અને ઘર ચલાવવાની રીતભાત શીખવી.

# દરેક ક્ષેત્રે ગવર્નન્સ, લવચીકતા અને દૂરંદેશી આયોજનના મહત્ત્વને ઉજાગર કર્યું.

# આધ્યાત્મિક પ્રદાન : ઘમંડી અને સ્વાર્થી લોકોને પોતાના અને નૈતિક મૂલ્યો વિષે વિચાર કરવા ભરપૂર સમય આપ્યો.

# ફાર્મા સેક્ટરને મહામોટું પ્રોત્સાહન આપ્યું અને  જરૂરી ચીજ વપરાશની વસ્તુઓની નાની દુકાનોને અગ્રતા અપાવી.

# લોકોને પરિવાર અને જીવનનું સાચું મહત્ત્વ અને મૂલ્ય સમજાવ્યું.

# ઘણાંને શીખવ્યું કે બિનજરૂરી ખર્ચા ટાળી ફંડ કઈ રીતે મેનેજ કરાય.

# દાખલા દ્વારા સાબિત કરી બતાવ્યું કે કંઈ પણ ઘેર બેઠાં કરી શકાય છે.

સ્વ મૂલ્યાંકન રેટિંગ - A++


(ઇન્ટરનેટ પરથી) 

નાતાલ ચમત્કાર

 નાતાલ ચમત્કાર

----------------------

    એક કંપનીનો દર વર્ષે નાતાલની સાંજે પોતાના કર્મચારીઓ માટે એક પાર્ટી અને લોટરી નું આયોજન કરવાનો નિયમ હતો.

     લોટરીના ડ્રો ના નિયમો આ મુજબ હતાં : દરેક કર્મચારી દસ ડોલર જમા કરે. કંપનીમાં ત્રણસો જેટલાં કર્મચારીઓ હતાં. આ પ્રમાણે કુલ ત્રણેક હજાર ડોલર જેટલી રકમ જમા થતી. ડ્રો માં એક વિજેતા નક્કી થતો અને તે આ સઘળી રકમ જીતી ને ઘેર લઈ જઈ શકતો.

    લોટરી ડ્રો સમયે ઓફિસનું વાતાવરણ જીવંત બની જતું. દરેક જણ પોતાનું નામ લખેલી ચબરખી લોટરીબોક્સમાં નાખતા.

    હવે આ વર્ષે એવું બન્યું કે એક યુવાન કર્મચારી ને પોતાનું નામ લખેલી ચબરખી લોટરીબોક્સમાં નાખતા સંકોચ થયો. તે જાણતો હતો કે ઓફિસમાં કચરો સાફ કરતી બાઈને એક નો એક દીકરો હતો જે અતિ દુર્બળ અને માંદો હતો અને ટૂંક સમયમાં તેનું ઓપરેશન થવાનું હતું જે માટે ના પૈસા બાઈ પાસે નહોતા.

     તેને ખબર હતી કે પોતે એ બાઈનું નામ ચબરખીમાં લખી લોટરીબોક્સમાં નાખશે, તો પણ એ બાઈના જીતવાના સંજોગો અતિ પાંખા હશે. છતાં તેણે એ પ્રમાણે કર્યું.

    પછી તો એ ક્ષણ આવી. કંપનીના માલિકે લોટરીબોક્સમાંથી એક ચબરખી બહાર કાઢી અને તે ખોલી વિજેતાનું નામ વાંચવા ચશ્મા ઉંચા ચડાવ્યા. પેલા યુવાન કર્મચારીએ મનમાં પ્રાર્થના કરી કે વિજેતા તરીકે પેલી બાઈનું નામ જ જાહેર થાય. અને ચમત્કાર થયો! એ બાઈનું નામ જ વિજેતા તરીકે જાહેર થયું!

      હર્ષની ચિચિયારીઓથી ઓફિસનું વાતાવરણ ગૂંજી ઉઠયું. પેલી બાઈ રાજીના રેડ થતી ઈનામ લેવા મંચ પર જઈ પહોંચી. તેના અશ્રુઓ રોક્યા ના રોકાયા. તે ભાવવિભોર થઈ બોલી, "હું કેટલી નસીબદાર છું. હવે મારો દીકરો ચોક્કસ બચી જશે... "

    પાર્ટી પૂરી થયે, આ "નાતાલ ચમત્કાર" વિશે વિચારતો પેલો યુવાન મંચ પાસે જઈ ચડયો અને તેનું ધ્યાન લોટરી બોક્સ તરફ ગયું. તેને બોક્સમાંની અન્ય ચબરખી વાંચવાની ઉત્કંઠા થઈ આવી. તેણે એક ચબરખી બહાર કાઢી અને ખોલીને તેના પર લખેલું નામ વાંચ્યું. તેના આશ્ચર્ય સાથે આ ચબરખી પર પણ પેલી બાઈનું નામ હતું! પછી તો તેણે ત્રીજી, ચોથી, પાંચમી અને એમ કરતાં બીજી ઘણી ચબરખીઓ બહાર કાઢી વાંચી. એ બધી પર જુદા જુદા અક્ષરોમાં પેલી બાઈનું જ નામ લખેલું હતું. યુવાનની આંખોમાં પાણી આવી ગયું. તેને સમજાઈ ગયું કે "નાતાલ ચમત્કાર" જેવું જગતમાં હોય છે ખરું, પણ એ કંઈ આકાશમાંથી સર્જાતું નથી, લોકો પોતે એને સર્જી શકે છે.


(ઈન્ટરનેટ પરથી)  


સોનેરી સુવિચારો

# સદાયે સિદ્ધિનો લક્ષ્ય રાખો, સફળતા ભૂલી જાવ.

# એક તીર બે પક્ષી એક સાથે મારી શકતું નથી.

# જ્યારે તમારી સાથે યોગ્ય માણસોનો સહકાર હોય ત્યારે કંઈ પણ શક્ય છે.

# જ્યારે તમારી આગળ જે છે એ તમને ડરાવતું હોય અને પાછળ જે છે એ તમને પીડા આપતું હોય ત્યારે ઉપર (વાળા તરફ) જુઓ.

# દરેક સાચા શિક્ષણનું પરિણામ પરિવર્તન હોય છે.

# અહમને સંખ્યા જોઈએ છે જ્યારે આત્માને ગુણવત્તા.

# શ્રેષ્ઠ બનવા માટે તમને કનિષ્ઠ સાથે પાર પડતાં આવડવું જોઈએ.

# જે તમારા મૌન અને મનને સમજે છે તે તમારો સાચો મિત્ર.

# સુરક્ષિત રહેવાનો અર્થ દટાઈ જવું એવો નથી થતો.

# તમારે ક્યારે ડરવાની જરૂર છે એ સમજવું હિંમતનું કામ છે.

# જ્યારે તમને કંઈ દેખાતું ન હોય ત્યારે શ્રદ્ધાની મદદથી આગળ વધો.

# લોકોના ચહેરાની જગાએ તેમના હ્રદયને જુઓ.

# મુશ્કેલીઓ વિજયની કસોટી સમાન છે.

# તમે જ્યારે જોખમ ઉઠાવો છો ત્યારે જ સુરક્ષિત હોવ છો.

# ઈચ્છા હશે તો માર્ગ આપોઆપ બની જશે.

# સમૃદ્ધિ પસીનો માગે છે.

# જ્યારે અહમ વિવેકબુદ્ધમાં ઓગળી જાય છે ત્યારે ઉદારતા જન્મે છે.

# સંઘર્ષ આપણને મજબૂત બનાવે છે.

# જાત પર દયા ખાવાથી વધુ મોટી જેલ કોઈ હોઈ શકે નહીં.

# જ્યાંથી આરામની શરૂઆત થાય છે ત્યાં રોમાંચ પૂરો થઈ જાય છે.

# સંતોષ તમારી ક્ષમતાને મર્યાદિત કરી મૂકે છે.

# એક યોદ્ધા જ જીતી શકે છે.

# એક હિંમતવાન દસ જણ બરાબર છે.

# દ્રષ્ટિકોણ વિરાટ રાખો પણ હ્રદય બાળકનું.

# દૃઢતા અડચણોનું મારણ છે.

# જો ખૂબ મહેનત કરશો તો પૂરો ખજાનો પામશો.

# સમય નથી રૂઝવતો પણ અનુભવ બધું જ રૂઝવી દે છે.

# ગરીબાઈ આળસુની સહકાર્યકર છે.

(ઇન્ટરનેટ પરથી)  


કોની રામાયણ વધુ સારી?

     જ્યારે મહર્ષિ વાલ્મીકીએ તેમની રામાયણ લખવાની પૂરી કરી, નારદ મુનિ ખાસ પ્રભાવિત થયા નહીં. "તમારી રામાયણ સારી છે, પણ હનુમાનજીની તેના કરતાં પણ વધુ સારી છે." નારદજીએ કહ્યું.

    વાલ્મીકિ મનમાં બોલ્યા, "હનુમાને પણ રામાયણ લખી છે?? “. એમને આ ન ગમ્યું. તે વિચારવા લાગ્યા કોની રામાયણ ખરેખર વધુ સારી હશે. તેઓ હનુમાનજીને ગોતવા નીકળી પડ્યા.

     કડાલી વનમાં એક ઉપવન ખાતે એક કેળનાં ઝાડનાં સાત પહોળા પત્તા પર તેમણે 'રામાયણ' લખેલું જોયું. તેમણે એ વાંચ્યું. તેમને એ આદર્શ લાગ્યું - સારામાં સારા શબ્દો અને વ્યાકરણ, લય અને રચનાનો અદ્ભુત સમન્વય. તેમની આંખમાંથી અશ્રુ સરી પડ્યાં.

    હનુમાનજી આ જોઈ બોલ્યાં, "શું એ એટલી બધી ખરાબ છે કે એને વાંચી તમે રડી પડ્યા? “

વાલ્મીકી કહે," ના, ઉલટું એ એટલી બધી સારી છે કે હું મારી જાતને રડતાં ના રોકી શક્યો. "

    તેમણે આગળ કહ્યું," તમારી રામાયણ વાંચ્યા પછી તો કોઈ મારી રામાયણ વાંચશે જ નહીં..."

    આ સાંભળી હનુમાનજી એ એ સાતે કેળના પાન ફાડી નાંખ્યા અને તે બોલ્યા, "હવે કોઈ ક્યારેય હનુમાનજીની રામાયણ વાંચી શકશે જ નહીં. મને મારી રામાયણની જેટલી જરૂર છે તેના કરતાં તમારે તમારી રામાયણની વધારે જરૂર છે. તમે તમારી રામાયણ લખી છે જેથી દુનિયા એ વાંચીને વાલ્મીકિને યાદ કરે. જ્યારે મેં મારી રામાયણ લખી હતી જેથી હું મારા સ્વામી રામ ને યાદ રાખી શકું."

      આ સાંભળતા જ વાલ્મીકિજીને ખ્યાલ આવ્યો કે તેઓ પોતાના કામને લોકો વખાણે એ બાબતની ઝંખનામાં કેટલા ગળાડૂબ હતા. 

    લોકોને પોતાનું કામ ગમશે કે નહીં એ ભયમાંથી તેમનું આ ઉમદા કામ પણ તેમને મુક્ત કરી શક્યું નહોતું. રામની કહાણીની સાત્ત્વિકતા પણ તેમના મનની ગાંઠો ખોલી શકી નહોતી.

     તેમની રામાયણ મહત્વાકાંક્ષાનું ફળ હતું જ્યારે હનુમાનની રામાયણ પવિત્ર સ્નેહનું ઉત્પાદન હતું. આથી જ હનુમાનજીની રામાયણ આટલી બધી વધુ સારી ભાસી રહી હતી. વાલ્મીકિજી ને સમજાયું કે "राम से बड़ा राम का नाम" .

  કેટલાક લોકો હનુમાનજી જેવા હોય છે જેમને પ્રસિદ્ધિ નથી જોઈતી. તેઓ બસ પોતાનું કર્તવ્ય નિભાવ્યે જાય છે અને તેમના આશયની પરિપૂર્તિ કરે છે. આપણે વાલ્મીકિજી જેવા નથી બનવાનું જે સતત વિચારે કે "મારી જ રામાયણ શ્રેષ્ઠ".

      આપણાં જીવનમાં પણ ઘણાં "હનુમાનજી" હોય છે જેમને આપણે ભૂલી જઈએ છીએ - જીવનસાથી, માતા પિતા, મિત્રો, સંતાનો, સગા વહાલા વગેરે. તેમને સતત યાદ રાખીએ અને તેમનો આભાર માનીએ.

(ઇન્ટરનેટ પરથી)