શ્રીરવિશંકરજી
પચ્ચીસ એવાં પગલાં બતાવે
છે, જેનો અમલ કરવાથી
આપણી જિંદગી જરૂર બહેતર
બની શકે.
[11] ટૂંકા
અને લાંબાગાળાનાં લક્ષ્યોનું આયોજન કરો : તમે
જોશો કે તમારું મન
ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે
ભીંસાયા કરે છે. કાં
તે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના
અંગે ક્રોધિત યા ઉદાસ હશે,
કાં ભવિષ્યની ચિંતાથી ઘેરાયેલું. આનો અર્થ એ
નથી કે ભવિષ્ય માટે
આયોજન ન કરવું. ટૂંકાગાળાના
અને લાંબાગાળાનાં લક્ષ્યોનું આયોજન કરો. એ
માટે તમારા મનને વર્તમાનમાં
રાખો અને લક્ષ સુધી
પહોંચવાનાં સાધનો અને પદ્ધતિ
બંનેનું આયોજન કરો. મહત્તમ
સંતોષ આપે તેવી ચીજોનું
લક્ષ લાંબાગાળાનું રાખો. નાની નાની
વસ્તુઓ આપોઆપ સુલભ થઈ
જશે.
[12] પ્રાર્થના
એક મહત્વનું શસ્ત્ર છે : જિંદગીને
બહેતર બનાવવા માટેનું એક
મહત્વનું સાધન છે પ્રાર્થના.
પ્રાર્થના બે સ્થિતિમાં થાય
છે, તમે જ્યારે એકદમ
લાચાર બની જાઓ ત્યારે
અને તમે ભગવાન પ્રત્યે
ખૂબ જ આભારવશ થઈ
જાઓ ત્યારે. તમારાથી શક્ય હોય એટલું
કરો અને તમારાથી જે
ન થાય તેવું હોય
તેને માટે પ્રાર્થના કરો.
પણ હંમેશાં યાદ રાખો કે
અંતિમ અવાજ ઉપરી સત્તાનો
જ રહેશે અને એ
હંમેશાં સારા માટે જ
હશે.
[13] જરૂર
પડે પરિવર્તન કરો : જિંદગીમાં વિવેકબુદ્ધિ
પર પડદો પડે છે
ત્યારે દુઃખ આવે છે.
અને વિવેકબુદ્ધિ શું છે ? આ
જીવનમાં સઘળું પરિવર્તનશીલ છે
એ જાણવું એ જ
વિવેક છે. જીવન સુધારવા
માટે જ્યાં અને જ્યારે
પરિવર્તનનો અમલ કરવાની જરૂર
લાગે ત્યારે એ કરવાની
હિંમત દાખવો.
[14] તમારી
મર્યાદાઓને ઓળખો : તમે જ્યારે
જ્યારે નારાજ હો છો
કે લાચાર હો છો
ત્યારે તમને તમારી મર્યાદાઓનો
પરિચય થાય છે. ત્યારે
તમે ઈશ્વરનો આભાર માનો એ
પરિચય કરાવવા બદલ અને
સમગ્ર સ્થિતિને પ્રાર્થનામાં બદલી નાખો. ઈશ્વરને
કહો કે હું બધું
તને સમર્પિત કરી દઉં છું.
તું શાંતિ લાવ. બસ,
તમે હળવા થઈ જશો.
[15] તમારા
મિત્રોને ગુમાવો નહીં : જીવનમાં
ભૂલો બધાથી થતી હોય
છે. ભૂલો બતાવવાની ભૂલ
ન કરતા. એનાથી તેને
તમે વધુ અપરાધભાવનો અનુભવ
કરાવશો. ઉદારદિલ માનવ એમ કરવાને
બદલે એ ભૂલોને અનુકંપા
અને કાળજીથી સુધારે છે.
[16] સંપૂર્ણતાનો
આગ્રહ ન રાખો : આ
દુનિયામાં દરેક વખતે દરેક
વસ્તુ પરિપૂર્ણ ન હોઈ શકે.
ઉદાત્ત હેતુઓથી થયેલાં ઉત્તમ કામોમાં
પણ ક્યાંક કંઈક અપૂર્ણતા
રહી જવા પામે તેવું
બને. એ સ્વાભાવિક છે.
કમનસીબે આપણા મનને એ
સંપૂર્ણતા પકડીને બેસી જવાની
ટેવ હોય છે. અને
આ પ્રક્રિયામાં આપણે આપણા મનને
અને મિજાજને અપૂર્ણ બનાવીએ છીએ.
આ વાહિયાત ચક્રમાંથી બહાર નીકળીએ.
[17] આપણે
મશીન ન બનીએ : આપણે
ઘણી વાર મશીનની જેમ
વર્તીએ છીએ. કોઈ વખાણ
કરે કે સ્મિત આપીએ
અને અપમાન કરે તો
ભવાં ચઢાવીએ. હંમેશાં આપણે એક જ
સરખી પ્રતિક્રિયા આપવાની જરૂર નથી.
જુદી રીતે પ્રતિસાદ આપવાની
આપણને છૂટ હોવી જોઈએ.
[18] રમૂજવૃત્તિ
કેળવો : દરેક વ્યક્તિને બાળસહજ
તોફાનીપણું ઈશ્વરે આપ્યું હોય
છે. એ રમતિયાળપણાને જીવંત
રાખો. રમૂજ આકરી સ્થિતિને
હળવી બનાવી દે છે.
રમૂજવાળો માણસ ગમે તેવા
સંઘર્ષમાંથી પાર ઊતરે છે.
રમૂજ તમને અપમાનથી બચાવે
છે. અપમાન અને અવહેલનાથી
ભરેલી આ દુનિયામાં રમૂજ
એક તાજી હવાના સ્પર્શ
જેવી છે. પણ હા,
રમૂજમાં હંમેશાં કાળજી ભળવી જોઈએ.
તેનો અતિરેક થાય તો
ખરાબ. શાણપણ અને સંવેદનશીલતા
વિનાની રમૂજ સમસ્યાઓ સર્જે
છે.
[19] ભૂલ
થવાનો ડર ન રાખો
: ભૂલ થઈ ગઈ છે
તેવું ભાન તમને તમે
નિર્દોષ હો ત્યારે જ
થાય છે. જે કોઈ
ભૂલ થઈ એ માટે
પોતાની જાતને પાપી ન
ગણો, કેમ કે વર્તમાન
ક્ષણમાં તમે નવા અને
શુદ્ધ છો. ભૂલો કરવાનો
ડર ન રાખો. પણ
હા, એક ને એક
ભૂલ ફરી ન કરો.
[20] તમારા
પૂર્વગ્રહોને અતિક્રમી જાઓ : તમારા પૂર્વગ્રહો
તમને આસપાસના લોકો સાથે મુક્તપણે
એકરસ થવા દેતા નથી.
કોઈની સામે પૂર્વગ્રહ ન
રાખો. સાથે જ, તમારી
પોતાની ઓળખ અંગે પણ
ક્ષોભમાં ન રહો. પૂર્વગ્રહને
અતિક્રમીને જ તમે સહજ
બની શકશો અને તમારી
જિંદગીની ગુણવત્તા બહેતર બનશે.
[21] ઈશ્વરના
આશીર્વાદનો સદા અનુભવ કરો
: જીવનમાં કોઈ નિષ્ફળતા છે
જ નહીં. દેખીતી બધી
નિષ્ફળતાઓ વધુ મોટી સફળતા
તરફ લઈ જતી સીડીઓ
જ છે. જ્યારે અવરોધો
અસહ્ય લાગે ત્યારે અંતરના
ઊંડાણથી કરેલી પ્રાર્થના ચમત્કાર
કરી શકે છે. ઈશ્વરનો
મને આશીર્વાદ છે એવી લાગણી
તમને કોઈ પણ નિષ્ફળતામાંથી
બહાર આવવામાં મદદ કરશે.
[22] સદવર્તન
કરતા રહો : તમે સદવર્તન
કરો છો ત્યારે તમારી
ખરી પ્રકૃતિ પ્રગટ થાય છે.
પણ દયા અને સેવાની
આ પ્રવૃત્તિ મિકેનિકલ ન હોવી જોઈએ.
સહજભાવે આવાં સત્કૃત્યો કરો.
[23] હંમેશાં
વિદ્યાર્થી રહો : તમે હંમેશ
માટે વિદ્યાર્થી રહો. જ્ઞાન કોઈ
પણ ખૂણામાંથી આવી શકે છે.
જીવનમાં દરેક પ્રસંગ અને
વ્યક્તિ આપણને કાંઈક અને
કાંઈક શીખવે છે. આ
દુનિયા આપણી ગુરુ છે
અને તમે સતત શીખતા
રહેવાની વૃત્તિ રાખશો તો
તમે બીજાની કિંમત ઓછી
આંકવાની બંધ કરશો.
[24] અશક્ય
સાધવાનું સપનું જુઓ : તમારી
પાસે સપનું હશે તો
જ એને સાકાર કરી
શકશો. અશક્ય લાગે તે
સાધવાનું સપનું જુઓ. આપણે
સહુ આ દુનિયામાં કશુંક
અદ્દભુત અને અનોખું કરવા
આવ્યા છીએ. આ તકને
સરકી જવા ન દેતા.
મોટાં સપનાં જોવાની અને
પછી તેને સાકાર કરવાની
હિંમત કેળવો.
[25] તમારા
દેખાવની તુલના કરો : નવા
વર્ષની ઉજવણી તમને શાણા
થવાનો અવકાશ આપે છે.
ભૂતકાળમાંથી શીખવા જેવું શીખો,
ભૂલવા જેવું ભૂલો અને
આગળ વધો. ગરીબ માનવી
વર્ષમાં એક જ વાર
નવું વર્ષ ઊજવે છે.
અમીર માણસ દરરોજ ઊજવે
છે. પણ સૌથી સમૃદ્ધ
તો એ છે જે
જીવનની ક્ષણેક્ષણને ઊજવે છે. તમે
કેટલા સમૃદ્ધ છો તેના
તરફ આ નવું વર્ષ
ઉજવતા ઉજવતા એક નજર
કરજો. આ તમારું હોમવર્ક
છે અને તમારા આ
વર્ષના દેખાવની ગયા વર્ષના તેમજ
તેના આગલા વર્ષ સાથે
તુલના કરશો. હંમેશાં સ્મિત
કરતા રહેજો. હૃદય હંમેશાં
જૂની વાતોને ઝંખે છે
અને મન નવી બાબતોને.
જિંદગી આ બંને બાબતોનું
મિશ્રણ છે
(સંપૂર્ણ)
('ઈન્ટરનેટ પરથી')