Thursday, December 10, 2020

વિચારો જીવંત હોય છે

     વિચારો જીવંત હોય છે. એક પથ્થરનો ટુકડો જેટલો નક્કર અને મજબૂત હોય છે એટલો જ એક વિચાર. મનુષ્ય મરી જાય છે પણ તેના વિચારો અમર છે.

વિચારના દરેક પરિવર્તન સાથે તેની નક્કરતા કે મજબૂતાઈના કંપન જોડાયેલા હોય છે. વિચાર ને વાસ્તવિકતામાં બદલાવા માટે તેની નક્કરતા ચોક્કસ પ્રમાણમાં હોવી જરૂરી છે. જેટલો વિચાર વધુ મજબૂત તેટલો તે જલ્દી વાસ્તવિકતામાં પરિવર્તિત થાય છે. વિચારને યોગ્ય ધ્યાન પ્રાપ્ત થવું જોઈએ, તે કેન્દ્રિત થવો જોઈએ. તેને યોગ્ય દિશા પ્રાપ્ત થવી જોઈએ. જો આમ થાય તો તે જે કાર્ય માટે કરાયો હોય તે અસરકારક રીતે પરિપૂર્ણ થાય છે.

- સ્વામી શિવાનંદ સરસ્વતી

(ઇન્ટરનેટ પરથી)  

સોનેરી સુવિચારો

# તમારી વ્યક્તિગત છબી અંગે સભાન રહો, ઉંમર અંગે નહીં.

# જીવન તમારી સાથે બનતી ઘટના નથી, પણ તમે કરેલા કર્મોનો પ્રતિભાવ છે.

# આદર્શ હોવાનો ડોળ કરવા કરતાં ભૂલો કરવી વધારે સારી.

# સ્વપ્નો અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર એટલે કર્મ.

# ઘણાં લોકો તમને પસંદ કરતા હશે પણ તેઓ તમને આદર આપે એવા બનવું મહત્ત્વનું છે.

# દરેક નવું 'એડજસ્ટમેન્ટ' તમારા સ્વમાન માટે ઝંઝાવાત સમાન હોય છે.

# તમે કેટલી હદે માફ કરી શકો છો તેનો આધાર તમે કેટલો પ્રેમ કરો છો તેના પર છે.

# દરેક નવા સૂર્યોદયની સાથે તમે નવી શરૂઆત કરતાં હોવ છો.

# પીડા ક્યારેય કાયમી હોતી નથી.

# તમે એટલાં જ માંદા પડતાં હોવ છો જેટલી તમારી મૂડી હોય છે.

# તમારો જૂનો મિત્ર શ્રેષ્ઠ દર્પણ સમાન છે.

# શ્રમ અને પ્રાર્થના સાથે મળી ચમત્કાર સર્જી શકે છે.

# અંતે 'કઈ રીતે' એ મહત્ત્વનું છે, નહીં કે 'કેટલું'.

# એક માત્ર 'ચેમ્પિયન' હારવાથી ડરતો હોય છે, અન્ય દરેક જણ જીતવાથી ડરતો હોય છે.

# ઔદાર્ય સલાહ આપવાની જગાએ સહકાર કે માર્ગદર્શન આપવામાં છે.

કંટાળવું એ પોતાની જાતના અપમાન કરવા સમાન છે. (તમે એકલા હોવ ત્યારે પણ કંટાળી કઈ રીતે શકો, તમે ત્યારે તમારા શ્રેષ્ઠ મિત્ર - 'સ્વ' સાથે હોવ છો!)

(ઇન્ટરનેટ પરથી)

તમે કોણ છો?

     એક વાર પ્રવાસ કરતી વખતે કાલિદાસને ખૂબ તરસ લાગી અને તે આસપાસ ક્યાંય પાણી છે કે નહીં તે શોધવા ફાંફાં મારવા લાગ્યા. થોડે દૂર એક કૂવો દેખાયો, જેમાંથી એક સ્ત્રી પાણી ભરી રહી હતી. કાલિદાસે તેની પાસે જઈ પાણીની માંગણી કરી. તે સ્ત્રીએ પહેલા કાલિદાસને પોતાનો પરિચય આપવા જણાવ્યું. કાલિદાસને ઘમંડ આવ્યો અને લાગ્યું કે ગામડાંની કોઈ સામાન્ય સ્ત્રીને પોતાનો પરિચય શા માટે આપવો? આથી વાત ટાળવા તેમણે કહ્યું, "હું એક પ્રવાસી છું." 

     સ્ત્રીએ કહ્યું, "આ વિશ્વમાં પ્રવાસીઓ તો માત્ર બે જ છે - સૂર્ય અને ચંદ્ર. બંને ઊગે છે, આથમે છે અને નિરંતર પ્રવાસ કર્યા જ કરે છે. પણ એ કહો તમે કોણ છો?"

      કાલિદાસે કહ્યું, "તો હું એક મહેમાન છું."

સ્ત્રી તરત બોલી, "આ વિશ્વમાં મહેમાન તો માત્ર બે જ છે - યૌવન અને સંપત્તિ. બંને થોડાં સમય માટે આવે છે અને પછી ચાલ્યાં જાય છે. પણ એ કહો તમે કોણ છો?"

     કાલિદાસ મૂંઝાયા અને બોલ્યા," હું એક સહનશીલ વ્યક્તિ છું."

    સ્ત્રી કહે, "આ વિશ્વમાં સહનશીલ તો માત્ર બે જ છે - ભૂમિ અને વૃક્ષ. ભૂમિ પર તમે ગમે તેટલી વાર પગ પછાડો અને વૃક્ષ સામે ગમે તેટલાં પથ્થર ફેંકો (ફળ માટે) , એ તમને સમૃદ્ધ જ કરતાં રહેશે. હવે કહી દો, તમે કોણ છો. "

    હવે કાલિદાસ પૂરેપૂરા અચંબિત થઈ ઉઠયા. તે બોલ્યા, "વારું, હું એક હઠીલો વ્યક્તિ છું."

     સ્ત્રીએ સ્મિત સાથે કહ્યું, "આ વિશ્વમાં હઠીલા તો માત્ર બે જ છે - નખ અને વાળ. આપણે તેમને કાપ્યા જ કરીએ છીએ તો યે એ તો વધ્યાં જ કરે છે! હવે કહી દો કે તમે કોણ છો."

     અત્યાર સુધી સંયમમાં રહેલા કાલિદાસ હવે ક્રોધિત થઈ ઉઠયા અને બોલ્યા, "હું મૂર્ખ છું."

સ્ત્રી હસતાં હસતાં બોલી, "આ વિશ્વમાં મૂર્ખ તો માત્ર બે જ છે - એવો રાજા જે કોઈ જ પ્રકારનાં ક્ષમતા કે જ્ઞાન વગર શાસન કરે છે અને તેનો ચમચો મંત્રી જે આવાં નકામા રાજાના ખોટાં ખોટાં વખાણ કર્યા કરે છે. પણ તમે કોણ છો."

      કાલિદાસને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી. તેઓ તરત તેના ચરણોમાં પડી ગયા અને ઉભા થઈ ને જુએ છે તો સામે કોણ? સાક્ષાત મા સરસ્વતી! જ્ઞાન અને ચતુરાઈના દેવી.

તેમણે કહ્યું,"કાલિદાસ, તમે ચતુર છો, પણ જો તમે જાણી લો કે તમે કોણ છો તો જ તમે ખરા અર્થમાં મનુષ્યત્વ પામી શકો છો. માણસ જ્યાં સુધી સ્વ ને ઓળખતો નથી, ત્યાં સુધી તે સાચા અર્થમાં મહાન બની શકતો નથી."

(ઇન્ટરનેટ પરથી)  

ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો, હું તમને ચાહું છું...

     એક શનિવારે નાનકડો છોકરો શાળાએથી ઘેર આવ્યો અને તેણે પોતાના પિતાને કહ્યું, "મારા શિક્ષકે અમને ઘરકામમાં એક કામ સોંપ્યું છે - દસ જણને ભેટવાનું અને તેમને કહેવાનું કે 'ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું'. "

તેના પિતાએ કહ્યું, "કંઈ વાંધો નહીં. હું કાલે તને મોલમાં લઈ જઈશ. ત્યાં તું આ કામ પતાવી શકીશ."

     છોકરો બીજે દિવસે સવારે ઉઠી, અતિ ઉત્સાહ પૂર્વક તૈયાર થઈ ગયો અને તેના પિતાને કહેવા લાગ્યો, "ચાલો પપ્પા મોલ જઈએ!".

બહાર ખૂબ જોરથી વરસાદ પડી રહ્યો હતો એટલે પિતાએ કહ્યું, "બેટા, થોડી વાર રહી ને જઈશું? અત્યારે આટલાં વરસાદમાં મોલમાં કોઈ નહીં હોય."

પણ છોકરાએ તો જીદ જ પકડી. આથી પિતાએ તેની બાળહઠ આગળ ઝૂકી જઈ, તેને ભારે વરસાદ વચ્ચે પણ કાર હંકારી મોલમાં લઈ જવો પડ્યો.

તેમણે મોલમાં એકાદ કલાક પસાર કર્યો અને છોકરો જુદા જુદા નવ લોકોને ભેટયો. હવે તેના પિતાએ કહ્યું, "બેટા વરસાદ ઘણો વધી ગયો છે, આપણે ફસાઈ જઈએ એ પહેલાં ચાલ ઘેર પહોંચી જઈએ."

     છોકરો તેનો દસ જણને ભેટવાનો લક્ષ્યાંક પૂરો ન થતાં થોડો ઉદાસ થયો પણ આખરે તેણે પિતાની વાત માની અને તેઓ ઘેર પાછા ફરવા કારમાં બેઠાં. તેઓ થોડાં જ આગળ વધ્યાં હતાં ત્યાં એક ઘર માર્ગમાં સામે જ દેખાયું તેના તરફ આંગળી ચીંધતા છોકરાએ પપ્પાને કાકલૂદી કરી કાર થંભાવવા કહ્યું અને ઉમેર્યું "પપ્પા, મને પેલાં ઘરમાં જઈ આવવા દો. મારે એક જ જણને ભેટવાનું બાકી છે. મને ચોક્કસ એ ઘરમાં કોઈક મળી જશે અને હું મારું ઘરકામ પૂરું કરી શકીશ."

પિતાએ સસ્મિત પોતાના નાનકડાં પુત્રની ઈચ્છા પૂરી કરવા કાર બાજુએ લીધી અને થોભાવી.

    છોકરાએ તે ઘર પાસે જઈ દરવાજાની ઘંટડી દબાવી. થોડી વાર પછી એક મહિલાએ બારણું ખોલ્યું, જે ખૂબ ઉદાસ દેખાતી હતી. છોકરાને જોઈ તેને થોડી નવાઈ લાગી. તેણે પ્રેમથી પૂછયું, "બેટા, તને કોનું કામ છે?"

     આંખોમાં ચમક અને ચહેરા પર મોટા સ્મિત સાથે એ નાનકડાં છોકરાએ કહ્યું," મારાં શિક્ષકે અમને દસ જણને ભેટવા કહ્યું છે અને તેમને એમ જણાવવા કહ્યું છે કે ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું. હું નવ જણાં ને ભેટી ચૂક્યો છું, હવે એક જ જણ ને ભેટવાનું બાકી છે. શું હું તમને ભેટી શકું છું અને મારા શિક્ષકનો સંદેશો પાઠવી શકું છું?"

    તે મહિલા નાનકડાં છોકરાને ભેટી પડી અને ચોધાર આંસુએ રડવા માંડી. આ જોતાં છોકરાના પિતા ત્યાં પાસે આવી ગયાં અને તેમણે મહિલાને પૂછયું કે શું તેમને કોઈ સમસ્યા છે?

     મહિલાએ પોતાની જાતને સંભાળી લીધી. પિતા પુત્રને ઘરની અંદર આવવા આમંત્રણ આપ્યું. તેમને ચા પાઈ અને પછી કહ્યું, "મારા પતિનું થોડાં સમય પહેલાં મૃત્યુ થયું છે અને એ પછી હું સાવ એકલી પડી ગઈ છું. આજે તો હદ થઈ ગઈ. સવારથી મને થતું હતું કે બસ હવે મારે પણ મારા જીવનનો અંત આણી દેવો જોઈએ. થોડી વાર પહેલાં મેં ખુરશી લીધી તેના પર ચડી હું પંખે લટકી મારો જાન આપવા જ તૈયારીમાં હતી ત્યાં દરવાજે ઘંટડી વાગી. મને આશ્ચર્ય થયું કે મને મળવા તો કોઈ આવતું નથી તો પછી અત્યારે બારણે કોણ આવ્યું હશે? મેં કુતૂહલવશ દરવાજો ખોલ્યો અને ત્યાં આ દેવદૂત આવીને મને કહે છે 'ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું.' મને ખાતરી છે કે ચોક્કસ ઈશ્વરે પોતે મને આ સંદેશો તમારા પુત્ર દ્વારા મોકલ્યો છે. મારી મરવાની ઈચ્છા અને ઉદાસી ગાયબ થઈ ગયાં અને હવે મને જીવવા એક નવું બળ મળ્યું છે. "

યાદ રાખો : હંમેશા હકારાત્મક વિચારો લોકો સાથે વહેંચો. લોકોની પડખે ઉભા રહો. કંઈ બીજું ન કરી શકો તો માત્ર તેમને સાંભળો. કદાચ તમે કોઈકનું જીવન બચાવવાનું એક માધ્યમ બની શકશો.

(ઇન્ટરનેટ પરથી)


Sunday, November 29, 2020

જાપાને કોરોના સાથે જીવતી વખતે અનુસરવા સૂચવેલા ૨૬ ખાસ પગલાં

    જાપાને કોરોના વાઇરસ સાથે કઈ રીતે જીવવું તેની માર્ગદર્શિકા બહાર પાડી છે. કોરોનાના ત્રાસ માંથી આપણે સંપૂર્ણપણે ક્યારે મુક્ત થઈ શકીશું તેની કોઈ ખાતરી નથી તેવામાં જાપાને આ નવા જીવનનું એક મોડેલ બનાવ્યું છે અને લોકોને તેને અનુસરવા જણાવ્યું છે અને વધુ લાંબા સમય સુધી વાઇરસ સાથે પનારો પડવાનું નિશ્ચિત હોવાથી તેની સાથે જીવતાં જીવતાં કામ કરતાં શીખી લેવા અપીલ કરી છે.

આ મોડેલને જોતાં માલૂમ પડે છે કે જાપાનીઝ સરકારે તાર્કિકતા, વિજ્ઞાન અને જોખમ આકારણીના સિદ્ધાંતો પર આધારિત આ અતિ વ્યવહારિક પગલાંની યાદી તૈયાર કરી છે જે પ્રજાએ અનુસરવાના છે. જાપાનીઝ લોકો એમ માને છે કે ખરાબ બાબતોને પણ સદાય નજર અંદાજ કરી શકાય નહીં. જોખમ આકારણીના મોડેલના સિદ્ધાંતો અનુસરીને તમે સારી રીતે જીવી શકો છો. આ બધાં પગલાં એક પછી એક ધ્યાનથી વાંચો. તેમનો મુખ્ય સાર ત્રણ મુદ્દાઓ માં વર્ણવી શકાય :
૧ લોકો વચ્ચે અંતર જાળવો.
૨ માસ્ક પહેરો.
૩ વારંવાર હાથ ધૂઓ.

ખાસ પગલાં
----------------
૧ લોકો ઓછામાં ઓછું બે મીટરનું અંતર જાળવે.
૨ શક્ય એટલું બહાર રમો.
૩ અન્ય લોકો સાથે વાતચીત કરતી વખતે સીધા સામસામે આવવાનું ટાળો.
૪ બહારથી ઘેર પહોંચો એટલે તરત તમારો ચહેરો અને કપડાં ધોઈ નાંખો.
પ કોઈના હાથનો સ્પર્શ થઈ જાય તો તરત તમારા હાથ ધોઈ નાંખો.
૬ ઓનલાઈન ખરીદી અને વ્યવહારની પતાવટ ઈલેક્ટ્રોનિક રીતે કરવાની ટેવ પાડો.
૭ સુપરમાર્કેટ માં ખરીદી કરવા માટે એકલાં જાઓ અને જ્યારે ત્યાં સૌથી ઓછાં લોકો હોય એવો સમય પસંદ કરો.
૮ વસ્તુઓનાં નમૂનાને અડવાનું ટાળો.
૯ જાહેર વાહનોમાં પ્રવાસ દરમિયાન બોલવાનું ટાળો.
૧૦ કામે બાઈક પર કે પગે ચાલીને જાવ.
૧૧ ઈલેક્ટ્રોનિક બિઝનેસ કાર્ડનો ઉપયોગ શ્રેષ્ઠ વિકલ્પ છે.
૧૨ મીટીંગ માટે વિડિયો કોન્ફરન્સનો ઉપયોગ કરો.
૧૩ મીટીંગ માટે બને એટલા ઓછા લોકોને બોલાવો, માસ્ક પહેરો અને હવાની અવરજવર માટે બારી ખુલ્લી રાખો.
૧૪ ઘરે રહીને કામ કરવું અથવા ઓફ-પિક (ગિર્દી ના હોય એવા) સમયે કામ માટે બહાર નીકળવું /પ્રવાસ કરવો.
૧૫ એવા શહેર, દેશમાં કે એવી જગાએ જવાનું ટાળો જ્યાં રોગનું સંક્રમણ હોય.
૧૬ પ્રવાસ કરીને ઘેર જવાનું કે સગાં-વહાલાંઓને મળવા જવાનું ટાળો. બિઝનેસ ટ્રીપ્સ પણ શક્ય હોય ત્યાં સુધી ટાળો.
૧૭ જ્યારે તમને રોગના ચિહ્નો જણાય, ત્યારે તમે ક્યાં ક્યાં ગયા અને કોને કોને મળ્યા એ યાદ રાખો.
૧૮ અન્ય લોકો સાથે જમતી વખતે સામસામે બેસીને ન જમો, બને ત્યાં સુધી આજુબાજુમાં અંતર જાળવી જમવા બેસો.
૧૯ ખૂબ મોટા વાસણમાં જમવાનું ન ખાઓ કે પીરસો. પોતે માત્ર પોતાનું ભોજન ખાઓ (ઉજાણી કે સમૂહ ભોજન ટાળો).
૨૦ ખાતી વખતે બોલવાનું કે વાતો કરવાનું ટાળો. શાકભાજી વધુ ખાઓ.
૨૧ સમૂહમાં મળવાનું કે મેળાવડા યોજવાનું ટાળો.
૨૨ બંધિયાર જગાઓ, ગિર્દી અને અંગત સંપર્ક ટાળો.
૨૩ તમારા શરીરનું તાપમાન દરરોજ જાતે તપાસો. તમારી તબિયતનું પોતે બરાબર ધ્યાન રાખો.
૨૪ જાજરૂ ફ્લશ કરતી વખતે જાજરૂની બેઠક પરનું ઢાંકણું બંધ રાખો.
૨૫ સાંકડી જગામાં વધુ વાર ન રોકાઓ.
૨૬ જ્યાં ચાલવા કે દોડવા જાઓ ત્યાં ધ્યાન રાખો કે વધુ લોકો ભેગા ન થયા હોય. ત્યાં લોકો ને મળો, ત્યારે સુરક્ષિત અંતર જાળવો.
      જાપાનની સરકારી સમિતિના ચેરમેન શિગેરુ ઉ કહે છે કે રસી પૂર્ણપણે શોધાતાં, સત્તાવાર રીતે ઉપયોગમાં આવતાં અને દરેક જણ સુધી પહોંચતા હજી એક - દોઢ વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ દુશ્મનની સંપૂર્ણ નાબૂદી અશકય છે એટલે આપણે વાઇરસની સાથે જીવતાં શીખવાનું છે. જો આપણે નિયમોનું ચૂસ્ત પાલન કરીશું તો જ કોરોના સાથે લાંબા સમય સુધી અને સુખથી જીવી શકીશું.
    જાપાનીઝ સ્વભાવથી અતિ શિસ્તપૂર્વક જીવનાર પ્રજા છે અને તેઓ સૂચનાઓ અને નિયમોનું ખૂબ સારી રીતે પાલન કરે છે. આપણે તેમની પાસેથી આ ગુણો શીખવા જેવાં છે.

(ઇન્ટરનેટ પરથી)  

ચીજોનો વિચારપૂર્વક વપરાશ

બુદ્ધના એક શિષ્યે તેમને કહ્યું, "ગુરુદેવ, મારે તમને કંઈક પૂછવું છે." 

બુદ્ધ કહે, "બોલ વત્સ, શું છે?" 

શિષ્યે કહ્યું, "મારું પહેરણ ફાટી ગયું છે. તે હવે બિલકુલ પહેરવા લાયક રહ્યું નથી. શું હું નવું વસ્ત્ર લઈ શકું છું?" 

બુદ્ધે શિષ્યના વસ્ત્ર તરફ નજર નાખી અને નોંધ્યું કે ખરેખર એ વસ્ત્ર જીર્ણશીર્ણ થઈ ચૂક્યું હતું. ખરેખર તેને બદલવાની જરૂર હતી. આથી તેમણે શિષ્યને નવું વસ્ત્ર લેવાની પરવાનગી આપી.શિષ્યે આભારવશ ત્યાંથી વિદાય લીધી. 

    આ ઘટનાનાં થોડાં દિવસ બાદ બુદ્ધને વિચાર આવ્યો કે તેમના શિષ્યને એક મહામૂલો પાઠ શીખવવાની તક તેઓ ગુમાવી બેઠા, આથી તેઓ શિષ્યના નિવાસકક્ષમાં તેની સાથે વાત કરવા ગયા. 

    બુદ્ધ બોલ્યા : શું તારા નવા વસ્ત્રમાં તને આરામ છે? તને બીજું કંઈ જોઈએ છે? 

શિષ્ય કહે : ગુરુદેવ તમારો ખૂબ ખૂબ આભાર. નવું વસ્ત્ર ખૂબ આરામદાયી છે. હવે મને કંઈ જોઈતું નથી. 

બુદ્ધ કહે : હવે જ્યારે તારી પાસે આ નવું વસ્ત્ર આવી ગયું છે, તો તે જૂના વસ્ત્રનું શું કર્યું? 

શિષ્યે કહ્યું, "તેની મેં રજાઈ બનાવી કાઢી જેથી હું તેના પર સૂઈ શકું." 

બુદ્ધે કહ્યું, "તે જૂની રજાઈ હતી તેનું શું કર્યું?" 

શિષ્યે કહ્યું, "તેનો મેં બારીના પડદાં તરીકે ઉપયોગ કર્યો છે. "

બુદ્ધે કહ્યું, "અને એ બારીના જૂના પડદાંનું તે શું કર્યું?" 

શિષ્યે જવાબ આપ્યો,"ગુરુદેવ, એ જૂના પડદાંના મેં ચાર ટુકડા કર્યા અને તેમાંથી મેં મસોતા બનાવ્યાં, જેમનો ઉપયોગ હું રસોડામાં ગરમ વાસણો ઊંચકવા માટે કરું છું." 

બુદ્ધે પૂછ્યું, "જૂના મસોતા ક્યાં ગયાં? તેનું શું કર્યું?" 

શિષ્યે જવાબ આપ્યો,"તેના મેં પોતા બનાવી કાઢ્યા છે. એ પોતા થી ભોંય ની સફાઈ કરું છું. "

બુદ્ધ કહે "અને જૂના પોતા?" 

શિષ્યે કહ્યું," ભગવન, જૂના પોતા એટલા ચીંથરે હાલ થઈ ગયા હતા કે તેના મેં દોરા છુટ્ટા કરી નાખ્યા અને તેમાંથી દીવાની દિવેટ બનાવી. આ જ એક દિવેટથી અત્યારે તમારા કક્ષમાં પ્રકાશ ફેલાઈ રહ્યો છે."

બુદ્ધ શિષ્યના આ જવાબ સાંભળી સંતુષ્ટ થયા. તેમને એ વાતની ખુશી થઈ કે આ શિષ્ય સમજી ચૂક્યો હતો કે કોઈ જ વસ્તુ નકામી હોતી કે થતી નથી. જો આપણે દૃષ્ટિ કેળવીએ તો દરેક નજીવી વસ્તુનો પણ કોઈક ખપ જડી આવશે. કોઈ જ વસ્તુ નકામી હોતી નથી, સમય તો ખાસ! 

જો આપણે કરકસર કરી અને વિચારપૂર્વક જીવતા શીખીશું તો જેમ આપણાં પરદાદા આપણાં માટે સ્રોતો મૂકતા ગયા, એમ આપણે પણ આપણાં બાળબચ્ચાં માટે અને તેમની પણ આવનારી પેઢીઓ માટે બિનનવીનીકરણક્ષમ સ્રોતો મૂકીને જઈ શકીશું. 

આવો, આપણી પૃથ્વી માતાનું જતન કરવાનું વચન એક બીજાને આપીએ. 

(ઇન્ટરનેટ પરથી) 

Saturday, October 17, 2020

એક ચકા-ચકીની વાર્તા

    હું જ્યારે પપ્પાના રૂમમાં  સવારે જતો ત્યારે પપ્પાના ખભા ઉપર ચકલી બેઠી હોય. ચકલો પપ્પાની બારી પાસે રાખેલ ડીશમાંથી ચણ ખાતો હોય. આ ચકા ચકીને પપ્પા સાથે મિત્રતા થઈ ગઈ હતી. કોઈ વખત ચકો ચીં ચીં કરતો પપ્પાના માથે કે હાથ ઉપર બેસે તો કોઈ વખત ચકલી.

પપ્પાને પણ મજા આવતી. આ ચકા ચકી ની ધમાલ જોવાની.

     મમ્મી ના ગયા પછી પપ્પા બહારથી હસતા પણ અંદરથી દુઃખી હતા. વાતો કરતા કરતા પણ એ પહાડ જેવી વ્યક્તિની આંખમાં આંસુ આવી જતા. ફક્ત જિંદગીના દિવસો પસાર કરતા હોય તેવું અમને લાગતું.

     તેમણે અમારા ડ્રોઈંગ રૂમમાં  બેસવાનું ઓછું  કરી નાખ્યું હતું.સાંજે જમતી વખતે અમે સાથે બેસીએ. સવારે અમે ઑફિસે નીકળી જઈએ.

આજે રવિવાર હોવાથી હું પપ્પાના રૂમમાં ગયો જેથી તેમની સાથે વધારે સમય પસાર કરી શકું.

પપ્પાની સાથે ચકલા ચકલીને રમત કરતા જોઈ મને મજા આવી ગઈ. ઉનાળાનો સમય એટલે પપ્પા પાણીનું કુંડું પણ ભરેલુ  મૂકતા.

  મેં કહ્યું, "પપ્પા, ચકા ચકી તમારા ખાસ મિત્ર થઈ ગયા લાગે છે!“

"હા બેટા, ખબર નહીં. અમને એકબીજાની માયા થઈ ગઈ છે. રોજ આવી એક કલાક જેવો મારો સમય પસાર કરી જતા રહે છે."

   પપ્પાએ પોતાનો બેડ રૂમ ઘણો સારો બનાવ્યો હતો. હું તેમનો રૂમ જોઈ ખુશ થઈ જતો. તે ચોખ્ખાઈના આગ્રહી. પોતાના રૂમમાં દરેક વસ્તુ તેની જગ્યા એ જ પડી હોય.

ટીવી, ટેપ, એ. સી. , પુસ્તકો માટે નાનું કબાટ, ડ્રેસીંગ ટેબલ, હીંચકો, બેડ, આરામ ખુરશી  પાસે પાન પેટી અને પૂજાનું કબાટ - આ તેમની દુનિયા હતી.

     ઉંમરને કારણે તેમને મોડી ઊંઘ આવે અને વહેલી ઊંઘ ઊડી જવાને કારણે, હું તેમના રૂમમાં અચાનક જાઉં ત્યારે તેઓ ધીરૂ ધીરૂ ટેપ વગાડતાં હોય કે ટીવી જોતા હોય. હું પપ્પાના માથે હાથ ફેરવી પૂછું, "પપ્પા ઊંઘ નથી આવતી? “

"ના બેટા. ઉંમરના કારણે એવું રહેવાનું."

મને ખબર હતી મમ્મીનો ખાલીપો તેમને અંદરથી તોડી રહ્યો હતો. એક પુત્ર તરીકે પપ્પા વધારેમાં વધારે આનંદમાં રહે તેવો હું , મારી પત્ની અને મારો  પુત્ર પ્રયત્ન કરતા, પણ જીવનસાથીની ખોટ કોઈ પૂરી શકતું નથી. ભીડમાં પણ એકલતાનો જ્યારે અનુભવ થાય ત્યારે સમજી લ્યો તમે જીંદગીમાં કોઈ અમૂલ્ય વ્યક્તિનીને ગુમાવી છે.

મેં સવારે પપ્પાના રૂમનું બારણું ખોલ્યું. "પપ્પા, જય શ્રી કૃષ્ણ."

"આવ બેટા જય શ્રી કૃષ્ણ. આજે રજા, રવિવાર એટલે શાંતિ. બેસ."

મેં કહ્યું, "પપ્પા, આજે તમારા રૂમમાં શાંતિ કેમ છે ? તમારા બે મિત્ર ચકો ચકી કેમ દેખાતા નથી....?"

પપ્પાની આંખ અચાનક ભીની થઈ ગઈ. એ આંખમાં આંસુ સાથે બોલ્યા, "બેટા, બે દિવસથી એકલો ચકો આવે છે. બારી પાસે બેસી મારા હાથ ઉપર બેસે છે. નથી ચણ ખાતો નથી પાણી પીતો. નથી ચીં ચીં  કરતો. થોડીવાર તેની ડોક ફેરવી મારી સામે, થોડીવાર બારી સામે જોઈ, એ ઉડી જાય છે."

મેં પપ્પાનો મૂડ હળવો કરવા કહ્યું, "ચકી પિયર ગઈ હશે."

"ના બેટા. કાલે ફરીથી ચકો આવ્યો હતો. મારા હાથ ઉપર બેઠો. મેં  તેના ઉપર હાથ ફેરવ્યો. બેટા, ફક્ત માણસ રડે છે તેવું નથી. ચકાની આંખમાંથી પડતાં આંસુએ મારો હાથ ભીનો કરી નાખ્યો. બેટા, તેને ફક્ત વાચા નથી, લાગણી તો હોય જ છે. થોડી વાર પછી, ચણ પણ ન ખાધી અને પાણી પણ ન પીધું. ચકો ઉડી ગયો."

પપ્પા આકાશ સામે જોઈ બોલ્યા," મારી અનુભવી આંખ અને દિલ એવું કહે છે બેટા, ચકી કાયમ માટે ઉડી ગઇ લાગે છે. ચકો આ વિરહ સહન નથી કરી શક્તો."

   અત્યાર સુધી હિંમત એકઠી કરી વાત કરતા કરતા પપ્પા મારા ખભે માથું મૂકી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા. મારી આટલી ઉમ્મરમાં પપ્પાની આંખમાં આંસુ ક્યારેય જોયાં ન હતાં. તેમની આંખોમાંથી આંસુનો ધોધ પડતો જોઈ હું પણ હિંમત હારી પપ્પા સાથે રડવા લાગ્યો.

"બેટા તારી મમ્મી વગર નથી ગમતું."

મેં કહ્યું, "પપ્પા હું સમજુ છું. પણ ભગવાન પાસે આપણે બધા લાચાર છીએ."

પપ્પાને પાણી પીવરાવી થોડા ફ્રેશ કર્યા.

"લો પપ્પા, છાપું વાંચો. ત્યાં સુધીમાં ચા બની જશે. આપણે બધા સાથે ચા નાસ્તો કરશું." કહી હું તેમના રૂમની બહાર બ્રશ કરવા નીકળ્યો.

થોડીવાર પછી હું તેમના રૂમમાં ફરી ગયો. ધીરૂ ધીરૂ ટેપ વાગતું હતું.

ઉમટ્યો અજંપો એને પંડનારે પ્રાણનો

અણઘારો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો

અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી રે

બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે....

હીંચકો હલતો હતો.

પપ્પા હીંચકાની નીચે ઊંધા પડી ગયા હતા. ટેપ ધીરે ધીરે વાગી રહ્યું હતું. હું દોડતો તેમની બાજુમાં ગયો. "પપ્પા..પપ્પા....શું થયું..." તેમને ચત્તા કર્યા ત્યારે તેમના શ્વાસ ચાલતા બંધ થઈ ગયા હતા.

ડોક્ટરને બોલાવ્યા. તેમણે તપાસ કરી નિદાન કર્યું "દાદાનું અચાનક હાર્ટ ફેઈલ થઈ ગયું છે."

આખા જીવનભરના સંગાથ પછી, જીવનસાથી વગરના જીવનની કલ્પના હચમચાવી નાખે તેવી હોય છે. મેં બારી સામે જોયું. આજે ચકો પણ આવ્યો ન હતો. પપ્પાનો રૂમ ખાલી. જાણે બે ચકાઓએ સાથે ઉડવાનો નિર્ણય લઈ લીધો હોય.

    મેં મમ્મીના ફોટા સામે ભીની આંખે જોઈ કહ્યું," મમ્મી તારા ગયા પછી પપ્પાને ખુશ રાખવાના બધા પ્રયત્નો અમે કર્યા, પણ તેમના અંદરના અજંપા અને એકલતા સામે અમે લાચાર હતા. એ દૂર કરવાની તાક્ત તો તારી પાસે જ હતી."

     દરેકની જીંદગી આ ચકા ચકીની વાર્તા જેવી જ હોય છે. ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો... આ ઘરઘર રમતાં રમતાં જીવન ક્યાં પૂરું થઈ જાય છે એ ખબર નથી પડતી.

   આ પંખીના માળા જેવી આપણા બધાની જીંદગી છે. નવા પંખીઓ આવે છે, જૂના ઉડતા જાય છે.

પપ્પાનું ગમતું ગીત યાદ આવી ગયું....

आदमी मुसाफिर है, आता है, जाता है

आते जाते रस्ते में, यादें छोड जाता है


झोंका हवा का, पानी का रेला

मेले में रह जाये जो अकेला

फिर वो अकेला ही रह जाता है....


(ઇન્ટરનેટ કોર્નર) 

Saturday, October 10, 2020

વિચારકણિકાઓ

  # આપણું કૌશલ્ય આપણાં ધ્યેયોની અગ્નિમાં શેકાઈને જ વિકસીત થાય છે. 

# મુશ્કેલીઓ વિજય મેળવવાં પહેલાં કરાતાં પ્રયોગો સમાન છે. 

# ઉત્સુકતા ભય પર બહાદુરી કરતાં વધુ સારી રીતે વિજય મેળવી શકે છે. 

# કોઈક વિચાર વાસ્તવિકતા ત્યારે જ બની શકે જ્યારે તે અમલમાં મૂકાય. 

# તમારી અંદર જેનું અસ્તિત્વ છે તેની સાથે વફાદાર રહો. 

# આળસના કર્કરોગનો સ્વપ્ના જ નાશ કરી શકે છે. 

# તમારા બહાનાં કરતાં સદાય વધુ મજબૂત બનો. 

# જો તમે ઈચ્છા રાખશો અને સતત શીખવાનું ચાલુ રાખશો તો જ જીવનમાં કંઈક પામી શકશો. 

# જ્યાં સુધી આપણે અસુરક્ષિતતાઓનો પુલ ઓળંગીશું નહીં, ત્યાં સુધી શકયતાઓના મહાસાગર સુધી પહોંચી શકીશું નહીં. 

# આપણે અન્યો કરતાં શાણા બનવાની જરૂર નથી, માત્ર અન્યો કરતાં વધુ શિસ્તના આગ્રહી અને અનુયાયી બનવાની જરૂર છે. 

# ગુણવત્તા સૌથી સારો બિઝનેસ પ્લાન છે. 

# કિંમત વિશે ન વિચારો, મૂલ્ય અંગે વિચારો. 

# તમે પરિપક્વ બની જશો ત્યારે સમજાશે કે કોઈક મુદ્દો ખરો સાબિત કરવા કરતાં મૌન વધારે મહત્વનું હોય છે. 

# વિશ્વમાં બધું જ સુંદર છે, જો એ જોવા માટે આપણી પાસે દૃષ્ટિ અને સારા વિચારો હોય તો. 

# યાદ રાખો તમે મોડા પડી શકશો પણ સમય કયારેય મોડો નહીં પડે. 

(ઇન્ટરનેટ પરથી) 

Saturday, October 3, 2020

મારી માતા એવી જીત અંગે શું વિચારત?

      કેન્યા દેશનું પ્રતિનિધિત્વ કરનાર એથ્લેટ ખેલાડી અબેલ મૂતાઈ સ્પર્ધા જ્યાં પૂરી થતી હોય છે એ ફિનિશ લાઇનથી થોડે જ દૂર હતો અને ત્યાં મૂકેલી નિશાનીનું ખોટું અર્થઘટન કરી એમ ધારી બેઠો કે સ્પર્ધા પૂરી થઈ ગઈ છે. તે ત્યાં થોભી ગયો. તેની બરાબર પાછળ સ્પેનિશ ખેલાડી ઈવાન ફર્નાન્ડીસ હતો. તેને સાચી પરિસ્થિતિ સમજાઈ ગઈ અને આથી તેણે અબેલને દોડવાનું ચાલુ રાખવા બૂમો પાડી પણ કમનસીબે અબેલને સ્પેનિશ ભાષા આવડતી નહોતી. આથી અબેલ સમજી ન શક્યો કે ઈવાન તેને શું કહેવા જતો હતો. 

     આખરે ઈવાને ફિનિશ લાઇન પાસે અબેલને ધક્કો માર્યો જેથી અબેલ ફિનિશ લાઇન પાર કરી જીતી જાય.

      એક પત્રકારે ઈવાનને પૂછયું કે તે પોતે જીતી જઈ શકે તેમ હતો ત્યારે તેણે આવું શા માટે કર્યું?

ઈવાને જવાબ આપ્યો, " મારું એક સ્વપ્ન રહ્યું છે કે એક દિવસ આપણે સૌ ખરું સમૂહ જીવન જીવીએ. હું કદાચ જીતી પણ ગયો હોત તો યે એ જીતનું ગૌરવ શું રહેત? એવી અંચઈ કરીને મેળવેલી જીતનો અર્થ શો? મારી માતા એવી જીત અંગે શું વિચારત?"

મૂલ્યોનું એક પેઢીથી બીજી પેઢીમાં વહન થાય છે.

આપણે સતત વિચારતાં રહેવું જોઈએ કે આપણે આપણાં બાળકોને કયા મૂલ્યો શીખવીએ છીએ.

આપણાં બાળકોને ખોટે રસ્તે જીત કે સફળતા ના મેળવતા શીખવવું જોઈએ.

(ઇન્ટરનેટ પરથી)

શ્રધ્ધાની કસોટી

          એક સંત વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા હતા. લગભગ ૬૦ વૃદ્ધોને સાચવે, સ્વજનથી વિશેષ ધ્યાન રાખે. પૈસાની સતત ખેંચ છતાંય વૃદ્ધોને આશ્રમની આર્થિક પરિસ્થિતિ  ખબર પડવા ન દે, કોઈ પણ બાબતની ઉણપ વર્તાવા ન દે. એક બપોરે મુનિમે આવીને કહ્યું ' આપણી સ્થિતી ભયંકર ખરાબ છે આજે સાંજે ભોજનની વ્યવસ્થા થાય તેમ નથી. બધાએ ભૂખ્યા રહેવું પડશે.'

            સંતને જાણીને દુઃખ થયું. હજાર હાથવાળો કેવી કસોટી કરે છે ? સંસાર છોડી ભેખ ધર્યો. સમાજના સ્વજનોએ ત્યજેલા વૃદ્ધોની સેવાનો સંકલ્પ લીધો. રડતાના આંખના આંસુ લુછ્યા. છતાંય આજે આ પરિસ્થિતિ.. સંતને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા. ઉપરવાળો સવારે ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં.

       આશ્રમના મેદાનમાં હરતા ફરતા આનંદિત વૃદ્ધોને તો આ વાતનો અણસાર સુધ્ધાં પણ હતો નહીં.

  "બાજી હરિને હાથ"... તેમણે સાંજ પડ્યે ટેબલ પર થાળીઓ ગોઠવવાનું કહી દીધું. સાથે કહ્યું ' આજે એક થાળી વધારે રાખજો.'

મુનિમને મનમાં વિચાર થયો એક માણસ જમે તેટલું પણ અનાજ નથી અને એક થાળી વધારે?? !!!

     સંતને ઈશ્વર પર અપાર શ્રદ્ધા મારો  વ્હાલો ભૂખ્યા નહીં રાખે. જમવાનો સમય પસાર થતો હતો. ઈશ્વર પરની શ્રદ્ધાની કસોટી હતી.

      એવામાં ફોનની ઘંટડી રણકી. ' સંત વૃદ્ધાશ્રમ ? હું મનહર શેઠનો સચિવ બોલું છું એક વિનંતી કરવાની આજે શેઠે જન્મ દિવસ ઉજવણીનો કાર્યક્રમ ગોઠવેલ પણ તેઓશ્રીની તબિયત અચાનક બગડતાં કાર્યક્રમ રદ કરવો પડેલ છે. લગભગ ૬૫ માણસની રસોઈ તૈયાર છે. તમે કહો તો આપના આશ્રમે મોકલી દઈએ, સાથે શેઠ જન્મ દિવસની શુભેચ્છા પ્રસંગે આશ્રમને રુપિયા ૨૫૦૦૦નું અનુદાન પણ આપવા ઇચ્છુક છે.'

       સંતે મનોમન શામળિયા સમા શેઠ મનહરલાલનો આભાર વ્યક્ત કરતાં ખુશી ખુશી હા પાડી અને બધાને જમવા બેસી જવા કહ્યું. થોડી વારમાં રસોઈ આવી ગઈ. કદીએ ન ચાખેલ અવનવી વાનગીઓ ખાતાં વૃદ્ધો પણ ખૂબ ખુશ હતાં.

          મુનિમને રુપિયા ૨૫૦૦૦નો આશ્રમના નામનો ચેક મળી ગયો હતો. બધાના જમી રહ્યે મુનિમ સંત પાસે આવીને બોલ્યા ' વંદન છે તમારી ઈશ્વર પ્રતિની શ્રદ્ધાને! મને તો હતું આજે ભૂખ્યા જ સૂવું પડશે પણ રસોઈ આવી ગઈ.. પરંતુ આપે આજે એક થાળી વધુ કેમ રખાવી હતી ? '

       સંતે સુંદર જવાબ આપ્યો ' એ વધારાની થાળી મારા  વ્હાલા  મોરલીવાળા શામળિયાની! મેં આજે એને કહી દીધેલ કે જો આજે અમે ભૂખ્યા રહ્યા તો ભલે તું જગતનો નાથ હોય શામળિયા, અમારી સાથે તારે પણ આજે ભૂખ્યા રહેવું પડશે અને મારા વ્હાલાએ ભાવતા ભોજન મોકલી દીધા.'

     ઈશ્વરમાં શ્રદ્ધા રાખો એ બધાનું સારું કરશે...!!!!!

(ઇન્ટરનેટ પરથી)

તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવાના તંદુરસ્ત નુસખા


~ ધૂમ્રપાન છોડી દો.

~ ખોરાકમાં ફળો અને શાકભાજી વધારે લો.

~ નિયમિત કસરત કરો.
~ તમારું વજન નિયંત્રણમાં રાખો. ઉંમર અને ઊંચાઈ ના પ્રમાણમાં તે કેટલું હોવું જોઈએ તે તમારા ડોક્ટર પાસેથી જાણી લો અને તેને જાળવી રાખો.
~ જો તમે મદ્યપાન કરતા હોવ તો તે અલ્પ માત્રા માં જ કરો.
~ પૂરતી ઉંઘ લો.
~ ચેપથી બચવા પૂરતા પગલા લો. જેમ કે તમારા હાથ વારંવાર ધૂઓ, માંસાહાર કરતા હોવ તો સંપૂર્ણ પણે રંધાયેલું માંસ જ ખાવ.
~ તણાવ બને એટલો ઓછો પેદા થવા દો.
~ વધુ લસણ ખાવ.
~ લીંબુ, મધ, આદુ અને હળદર ને ગરમ પાણીમાં નાંખી પીઓ.
~ ગ્રીન ટી નું સેવન કરો.
~ સવારના નાસ્તામાં દહીં લો.
~ સવારનો કુમળો તડકો શરીર પર પડવા દો જેથી તમારા શરીરમાં વિટામિન ડી નું પ્રમાણ વધે.
~ ખૂબ હસો.

રોગ પ્રતિકારક શક્તિ વધારતા ખાદ્ય પદાર્થો :
૧ ડાર્ક ચોકલેટ
૨ હળદર
૩ બ્રોકલી
૪ સૂરણ
૫ પાલક
૬ આદુ
૭ લસણ
૮ ગ્રીન ટી
૯ સૂર્ય મુખીના બીજ, ચીઆ બીજ
૧૦ બદામ અને અખરોટ
૧૧ સંતરા અને કીવી
૧૨ રેડ બેલ પેપર (લાલ મરી)
૧૩ દ્રાક્ષ અને સ્ટ્રોબેરી
૧૪ મધ
૧૫ કેળા
૧૬ કાંદા અને ગાજર
૧૭ કલિંગર
૧૮ દાડમનો રસ
૧૯ ફણસી અને પી નટ બટર
૨૦ મશરૂમ અને ઇંડા

(ઇન્ટરનેટ પરથી)

Saturday, September 12, 2020

સતત પ્રયત્નશીલ રહેવું

      એક વાર ઇન્દ્રદેવ ખેડૂતોથી નારાજ થઇ ગયા અને જાહેર કર્યું કે આવનારા બાર વર્ષો સુધી વરસાદ થશે નહીં અને તમે કોઇ પણ પાકની ખેતી કરી શકશો નહીં. 


ખેડૂતોએ ઇન્દ્રદેવને ખૂબ જ પ્રાર્થના કરી અને દયા કરવા વિનવ્યા તેથી તેમણે કહયું કે જાઓ જો ભગવાન શિવ ડમરૂ વગાડશે તો વરસાદ થશે. 

બીજી તરફ ઇન્દ્રદેવે બધી હકીકત ખાનગીમાં જણાવીને ભગવાન શિવને બાર વર્ષ સુધી ડમરૂ ન વગાડવા મનાવી લીધા. ખેડૂતો ભગવાન શિવના શરણે ગયા તો શિવજીએ કહયું કે હું બાર વર્ષે જ ડમરૂ વગાડીશ જાઓ. 

દુઃખી થયેલા ખેડૂતો પાસે બાર વર્ષ સુધી રાહ જોયા સિવાય કોઇ વિકલ્પ ન હતો. પરંતુ તે ખેડૂતો પૈકીનો એક ખેડૂત ખેતર ખેડતો, સમારકામ કરતો અને પાક ઉગવાનો નથી તે જાણવા છતાં દર વર્ષે વાવેતર પણ કરતો. 

અન્ય ખેડૂતો તેની મશ્કરી કરતાં, છતાં પણ દર વર્ષે તે આ મુજબ જ તેની પ્રક્રિયાનું પુનરાવર્તન કરતો હોવાથી બધા ખેડૂતો એ કહયું કે ડોબા, તને ખબર છે કે બાર વર્ષ સુધી વરસાદ પડવાનો નથી તો પણ તું ગધ્ધામજૂરી કરીને સમય અને શક્તિનો વ્યય શા માટે કરે છે?

તેણે જણાવ્યું કે હું પણ જાણું છું કે પાક ઉગવાનો નથી પરંતુ હું તો ખેતીની પદ્ધતિ ભૂલી ન જાઉં તે માટે અભ્યાસ કરું છું. બાર વર્ષ પછી જયારે વરસાદ આવશે ત્યારે તો મારે આ બધી પ્રક્રિયા કરવાની જ છે જેથી હું દર વર્ષે સતત તેનું પુનરાવર્તન કરતો રહું છું જેથી બાર વર્ષ પછી મારું શરીર પાક ઉગાડવા માટે સશક્ત તેમજ સારું રહે.

ખેડૂતની આ દલીલ સાંભળીને માતા પાર્વતીએ શિવજી સામે તેના વખાણ કર્યા અને કહ્યું કે બાર વર્ષે તો તમે પણ ડમરૂ વગાડવાનું ભૂલી જશો ભોળાનાથ. 

શિવજીએ મા પાર્વતીની વાત સાંભળીને ડમરૂ વગાડીને કહયું જુઓ હું ડમરૂ વગાડવાનું ભૂલ્યો નથી. 

ડમરૂનો અવાજ સાંભળીને ચોથા જ વર્ષે વરસાદ પડવા લાગ્યો અને જે ખેડૂતે પોતાના ખેતરમાં બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને વાવેતર કર્યુ હતું તેના ખેતરમાં પાક ઉગી ગયો અને બાકીના ખેડૂતો નિરાશ થઇને બેસી રહ્યા. 

સતત પુનરાવર્તન કરવાથી જ આપણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીએ છીએ . આપણે રોગી બનીએ કે વૃદ્ધત્વ પામીએ છીએ કારણકે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા આપણે સતત પ્રયાસો કરતા નથી. સતત પ્રયત્નશીલ રહેવું એ ગુણવત્તાયુકત જીવનનો મૂળમંત્ર છે. 

જેથી લોકડાઉન ચાર અઠવાડિયે, બે મહિને કે એક વર્ષે ખૂલે પરંતુ આપણે આપની ક્ષમતા, શક્તિને વિકસાવવા સતત પ્રયત્નો કરતા રહેવું જોઇએ. આપણી પાસે જે છે તેને ઉન્નત, સમૃદ્ધ કરીએ અને જ્ઞાનમાં વૃદ્ધિ કરતા રહીએ. 

લોકડાઉન ખૂલવાની રાહ જોતા રહેવું તે વરસાદ પડવાની રાહ જોવા જેવું છે. ડમરૂ વહેલું મોડું વાગશે જ પરંતુ તે સમયે આપણે તૈયાર નહીં હોઈએ તો તકલીફ પડશે. જેથી પડકારનો સામનો કરવા તૈયાર થઈએ. તથાગત બનીએ. 

🙏🙏ઘરમાં રહો સુરક્ષિત રહો🙏🙏

(ઇન્ટરનેટ પરથી) 

Sunday, September 6, 2020

રતન ટાટાના હકારાત્મક વિચારો

નિષ્ણાતો કોરોનાને કારણે અર્થતંત્રને ભારે નુકસાન થશે એવું સૂચવી રહ્યાં છે. હું આ નિષ્ણાતો વિશે વધુ જાણતો નથી. પણ મને ખાતરી છે કે તેઓ માનવીની ધગશ, ખંત અને કૃતનિશ્ચયી પ્રયત્નોના મહત્વ અંગે જાણતા નથી.

જો નિષ્ણાતોના કહેવા પર વિશ્વાસ કરીએ તો, બીજા વિશ્વયુદ્ધમાં સંપૂર્ણપણે ધ્વસ્ત થયા બાદ જાપાનનું કોઈ ભવિષ્ય નહોતું. પણ એ જ જાપાને માત્ર ત્રણ દાયકાના ટૂંકા ગાળામાં વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાને બજારમાં હંફાવ્યું.

જો નિષ્ણાતોના કહેવા પર વિશ્વાસ કરીએ તો, આરબો દ્વારા ઇઝરાયલ વિશ્વના નકશામાંથી ભૂંસાઈ જવું જોઈતું હતું પણ સત્ય આજે એથી વેગળું છે.

એરોડાઈનામિકસના સિદ્ધાંતો મુજબ ભમરો ઉડી જ શકવો જોઈએ નહીં, પણ ભમરો ઉડે છે કારણ તે એરોડાઈનામિકસના સિદ્ધાંતો જાણતો નથી.

જો નિષ્ણાતોના કહેવા પર વિશ્વાસ કરીએ તો, આપણે ક્રિકેટના ૧૯૮૩ વિશ્વકપની ફાઇનલમાં  હોવા જોઈતા નહોતા.

જો નિષ્ણાતોના કહેવા પર વિશ્વાસ કરીએ તો, એથ્લેટિક્સમાં સૌ પ્રથમ વાર ચાર સુવર્ણચંદ્રક જીતનાર અમેરીકન મહિલા વિલ્મા રૂડોલ્ફ, દોડવું તો દૂર રહ્યું, બ્રેસિસ(કાખઘોડી) વગર ચાલી પણ શકે એમ નહોતું.

જો નિષ્ણાતોના કહેવા પર વિશ્વાસ કરીએ તો, અરુણીમા સિંહા સહેલાઈથી સામાન્ય જીવન જીવી શકે તેવી શક્યતા નહોતી, પણ અરુણીમાએ માઉન્ટ એવરેસ્ટના શિખરો સર કર્યાં.

કોરોના મહા સંકટ પણ કંઈ જુદું નથી. મને કોઈ શંકા નથી કે આપણે કોરોના વાઇરસને મહાત આપી જલ્દી આ સંકટ માંથી ઊગરી જઈશું અને ભારતીય અર્થતંત્ર ફરી જલ્દી જ બેઠું થઈ જશે.

- રતન ટાટા 

(ઇન્ટરનેટ પરથી)

Sunday, April 19, 2020

નમ્રતા

    મારા શાળા જીવનના એક મિત્રને ૩૦ વર્ષ પછી મળવાનું થયું. મારા પર ઈશ્વરની કૃપા હતી અને હું સુખી જીવન જીવી રહ્યો હતો. જ્યારે મેં મારા આ મિત્રને હોટેલની પરસાળમાં  જોયો, તે મને ખૂબ સાદો લાગ્યો. તેણે સાદા વસ્ત્રો પહેર્યા હતા અને મને જોઈ તેને પણ ખૂબ ખુશી થઈ. પણ હ્રદયમાં ઉંડે ઉંડે મારી સરખામણી મનોમન તેની સાથે કરી ત્યારે હું તેની પરિસ્થિતિથી ખાસ પ્રભાવિત થયો નહીં અને હું તે છૂપાવી શક્યો નહીં. મેં તેને મારું વિઝિટિંગ કાર્ડ આપ્યું, જે લઈને તેને ખુશી થઈ.
    મેં તેને મારી નવી નક્કોર રેંજ રોવર ગાડી બતાવતા તેને તેના ઘેર મૂકી જવાનો પ્રસ્તાવ મૂક્યો. તેણે મના ફરમાવી અને જણાવ્યું કે તેની ગાડી આવી રહી છે. મેં નોંધ્યું કે તેની પાસે એક જૂની ૨૦૦૧ હોન્ડા એકોર્ડ ગાડી હતી.
     મેં તેને બીજા દિવસે મારા ઘેર ભોજન માટે આમંત્રણ આપ્યું. હું અંદર ખાને તેના પર પ્રભાવ પાડવા ઇચ્છતો હતો. પણ તેને મારી સફળતા અને વૈભવ દેખાડયા બાદ મારે તેની સાથે તેને મદદ કરવાની શક્યતા પણ ચકાસવી હતી.
    બીજે દિવસે તે પોતાની ગાડીમાં પાર્ક વ્યૂ આવી પહોંચ્યો, જ્યાં હું રહેતો હતો. મારું ઘર જોઈ તે પ્રભાવિત થયો હોય એવું મને લાગ્યું. મેં મસમોટી લોન લીધી હતી. મારે માથે બીજું પણ ભારે મોટું દેવું હતું. અમે ભોજન લીધું. તેણે મને જણાવ્યું કે તે રિયલ એસ્ટેટના નાના ધંધામાં હતો. મેં તેના ભેગી ધંધા વિષયક વધુ વાતો ઉખેડી પણ તેણે એમાં ઝાઝો રસ દાખવ્યો નહીં. મેં તેને સીધું જ પૂછ્યું કે હું તેને કોઈક રીતે મદદરૂપ થઈ શકું એમ હોઉં તો એ મને જણાવે. તેણે કહ્યું એની જરૂર નથી. મેં તેને કહ્યું જો તેને કોઈ પ્રકારની લોનની જરૂર હોય તો હું તેને એ અપાવી શકું એમ છું. તેણે મારી સામે જોઈ સ્મિત કર્યું.
     તેણે મને કહ્યું કે તે પણ મને પોતાને ઘેર ભોજન માટે આમંત્રશે. તેની જૂની ગાડી તેને લેવા આવી પહોંચી. મેં ઈશ્વરનો તેણે મને જે આપ્યું છે તે બદલ આભાર માન્યો. મેં મનોમન વિચાર્યું બધી આંગળીઓ સરખી હોતી નથી. હું નસીબદાર છું. હું સારી જગાએ કામ કરું છું.
    બે સપ્તાહ બાદ હું મારી પત્ની સાથે તેના આમંત્રણને માન આપી તેના ઘેર ગયો. મારી પત્ની તેની પરિસ્થિતિ વિશે અનુમાન કરી તેના ઘેર આવવા ઇચ્છતી નહોતી. પણ મેં તેને સમજાવ્યું કે અમે શાળાજીવનના ખૂબ સારા મિત્રો હતાં અને તેણે મારી સાથે આવવામાં કોઈ સંકોચ કરવો જોઈએ નહીં. અમે તેનું ઘર જોયું. એ ઘર નહીં, બંગલો હતો એમ કહેવું વધુ ઉચિત રહેશે. અમે જેને જેને તેના સરનામા વિશે પૂછ્યું હતું એ બધાએ એક આદર અને માન સાથે અમને તે બતાવ્યું.
    તેનો ચાર બેડરૂમ બંગલો સાદો પણ આકર્ષક હતો. તેની સામે ચાર ગાડી પાર્ક કરેલી હતી. અમે તેના ઘરમાં પ્રવેશ્યા અને જોયું કે અંદરથી પણ બંગલો ખૂબ ભવ્ય અને સુંદર હતો. તેણે ઉષ્માભેર અમારું સ્વાગત કર્યું.
    પછી અમે સાથે ભોજન લીધું. તેની પત્ની તેને પ્રેમથી સંબોધતી હતી અને તેમની વચ્ચેનો મીઠો સંબંધ અમને સ્પર્શ્યા વગર ન રહ્યો.
     ભોજન સમયે તેણે હું જ્યાં નોકરી કરતો હતો એ કંપનીના અધ્યક્ષ વિશે પૃચ્છા કરી. મેં જ્યારે તેમનું નામ તેને જણાવ્યું ત્યારે તેણે કહ્યું કે એ તેને સારી રીતે જાણતો હતો અને તેઓ સારા મિત્રો હતાં. પાસે ના એક ટેબલ પર મેં એક કંપની ગિફ્ટ જોઈ. આ એ કંપની હતી જે હું જ્યાં કામ કરતો હતો એ કંપનીના ૩૮ ટકા શેઅર્સ ની માલિક હતી. મેં એને તે કંપની વિશે પૂછ્યું. તેણે સ્મિત કર્યું અને જણાવ્યું કે એ પોતે તે કંપનીનો માલિક હતો. પછી મને જાણ થઈ કે આ બંગલો જ્યાં હતો એ આખા એસ્ટેટનો પણ એ માલિક હતો.
     મને જાણ ન રહી ક્યારથી હું તેને 'સર' કહી સંબોધવા લાગ્યો. મને તેણે અચંબિત કરી મૂક્યો હતો. હું એ દિવસે માણસાઈનો એક અતિ મહત્વનો પાઠ શીખ્યો હતો. બાહ્ય દેખાવ છેતરામણો હોય છે. તે મારી મનો-મૂંઝવણ પામી ગયો.
    ઘેર પાછા ફરતી વખતે મેં ચૂપચાપ ગાડી ચલાવ્યા કરી. મારી પત્ની આ બધું જોઈ રહી હતી, એ શાંત હતી. હું વિચારતો હતો એ મારા વિશે અને આખી આ પરિસ્થિતી અંગે શું વિચારતી હશે. મેં મારી જાતનું અવલોકન કર્યું. હું ભારે લોન સાથે જીવતો હતો છતાં મારા વૈભવના પ્રદર્શન સાથે અને મને જે પગાર ચૂકવતો હતો એ અતિ સાદું, નમ્ર જીવન જીવી રહ્યો હતો!
    કહે છે ને ઉંડી નદી અતિ શાંતિથી વહે છે!

(ઇન્ટરનેટ પરથી)

Monday, March 9, 2020

એને એનો સમય લેવા દો...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સૌ મહિલાઓને માનભેર, સાદર સમર્પિત...

એ જ્યારે ઠરી ગયેલી ચા પીતા થોડો વધુ સમય લે ત્યારે એને એનો સમય લેવા દો. એ પહેલાં એણે તમારા માટે ભોજન રાંધવા અને તમને એ પીરસવા માટે સમય લીધો છે.

એ જ્યારે મેનુ માંથી ડિશ પસંદ કરતા થોડો વધુ સમય લે ત્યારે એને એનો સમય લેવા દો. દરરોજ દરેક જણ માટે શું, કેટલું અને કેવું રાંધવું એ નક્કી કરવામાં અને પછી એ તૈયાર કરવા માટે એણે પોતાનો ઘણો સમય આપ્યો છે.

એ જ્યારે તમારી સાથે બહાર જતી વખતે તૈયાર થવામાં થોડો વધુ સમય લે ત્યારે એને એનો સમય લેવા દો.તમારાં ઇસ્ત્રીબદ્ધ કપડાં તેની જગાએ છે અને તમારા મોજા તમને ખબર નહી હોય ક્યાં છે પણ એ તમને જોઈએ ત્યારે મળી રહે એ સુનિશ્ચિત કરવા માટે તેણે સમય લીધો છે. એની ઠરી ગયેલી ચા પીતા પહેલા તમારું બાળક ચોખ્ખું અને સૌથી સારું લાગે એ રીતે તેને વિચારપૂર્વક તૈયાર કરવામાં એણે સારો એવો સમય લીધો છે.

એ જ્યારે અકારણ વ્યર્થ ટી. વી. જોવામાં થોડો વધુ સમય લે ત્યારે એને એનો સમય લેવા દો.એનું ધ્યાન ત્યારે ટી. વી. માં અડધું જ હોય છે અને ત્યારે પણ તેના મનમાં એક ઘડિયાળ સતત ટક ટક કર્યા કરતી દોડતી હોય છે. જેવો ભોજનનો સમય થવામાં હશે કે અન્ય કોઈક તાકીદનું કામ તેને યાદ આવશે કે તરત એ ટી. વી. સામેથી અદ્રશ્ય થઈ ગયેલી જોવા મળશે,એ કામમાં લાગી જવા.

એ જ્યારે તમને સવારનો નાસ્તો પીરસવામાં થોડો વધુ સમય લે ત્યારે એને એનો સમય લેવા દો. શેકતી વખતે બળી ગયેલું બ્રેડ તેણે પોતાને માટે રહેવા દઈ, પોતાના પરિવારજનો ને શ્રેષ્ઠ ખાવાનું મળે એ માટે તે નવા બ્રેડ શેકી રહી છે.

એ જ્યારે શૂન્યમનસ્ક બની બારી બહાર તાકતી બેઠી હોય ત્યારે એને એનો સમય લેવા દો. આ તેનું જીવન છે, એણે તમને પોતાના એ જીવનના અગણિત કલાકો આપ્યાં છે. એને પોતાને માટે થોડીક ક્ષણો લેવા દો.

એ પોતાના જીવનને ઉતાવળે જીવી રહી છે, જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં જરૂર હોય ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં પોતાના જીવનખંડના અતિ મહત્વના ટુકડા તમારા માટે ખર્ચી...
તેને વધુ ઉતાવળ કરવાની ફરજ ન પાડો...
તેને વધુ શ્રમ કરવાની ફરજ ન પાડો...

(ઇન્ટરનેટ પરથી)

પ્રતિક્રિયા આપતા પહેલા વિચારો

     એક ગધેડાને તેના માલિકે એક ઝાડ સાથે બાંધ્યો હતો. શેતાને આવીને ગધેડાને મુક્ત કરી દીધો. ગધેડો સીધો ખેતરમાં દોડ્યો અને તેણે પાકને નુકસાન પહોંચાડવા માંડ્યું. ખેડૂતની પત્નીએ આ જોયું અને તેણે ગધેડાને ઠાર માર્યો.
    ગધેડાના માલિકે આ જોયું અને તેણે ગુસ્સે ભરાઈ ખેડૂતની પત્નીને મારી નાખી. ખેડૂતને આ બાબતની જાણ થતાં, તેણે ગધેડાના માલિકની હત્યા કરી નાંખી. ગધેડાના માલિકની પત્નીએ વેર વાળવા પોતાના પુત્રોને ખેડૂતનું ઝૂંપડું બાળી નાખવા મોકલ્યા.
    ગધેડાના માલિકના પુત્રોએ મોડી સાંજે માતાની આજ્ઞાનું પાલન કરતા ખેડૂતનું ઝૂંપડું બાળી નાખ્યું. તેમણે ધાર્યું કે ઝૂંપડા ભેગો ખેડૂત પણ બળી મર્યો હશે, પણ એમ બન્યું નહીં. ખેડૂતે આ દુર્ઘટનાની જાણ થતાં ગધેડાના માલિકની પત્ની અને તેના પુત્રોને મારી નાખ્યાં.
    આખરે પસ્તાવાની આગમાં તડપતા ખેડૂતે શેતાનને પૂછ્યું આ બધું શા માટે બન્યું?
શેતાને જવાબ આપ્યો, "મેં તો કંઈ જ કર્યું નથી. માત્ર ગધેડાને ખુલ્લો મૂકી દીધો. ત્યાર બાદ તમે બધાએ પ્રતિક્રિયા આપી, ઉગ્ર પ્રત્યાઘાત આપ્યાં અને તમારામાં રહેલા આંતરીક શેતાનને છૂટ્ટો દોર આપી દીધો."
   સમજાયું?
    શેતાન કંઈ કરતો નથી, માત્ર તમારાં અહમ્ ને જગાડી વિનાશની લીલા નોતરે છે અને તેમાં તમે, તમારી આસપાસના સર્વે બરબાદ થઈ જાઓ છો.
   તો હવેથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરતા પહેલા, જવાબ આપતા પહેલા, પ્રતિભાવ આપતા પહેલા, કોઈને ઠપકો આપતા પહેલા, વેર વાળવાનો વિચાર કરતા પહેલા થોભો અને વિચારો. ધ્યાનથી પરિસ્થિતી મૂલવો. ઘણી વાર શેતાન માત્ર આપણી અંદરના 'ગધેડા' ને મુક્ત કરવાનું જ કામ કરતો હોય છે.

(ઇન્ટરનેટ પરથી) 

Wednesday, February 26, 2020

આપણો ભ્રમ

      અશોક વાટિકામાં જ્યારે રાવણ ક્રોધમાં આવીને સીતા માતાને તલવાર લઈ મારવા દોડ્યો, ત્યારે હનુમાનજીને લાગ્યું કે રાવણ પાસેથી તલવાર છીનવી લઈને, તેનું ગળું કાપી નાખવું જોઈએ. પરંતુ એ જ સમયે મંદોદરીએ રાવણનો હાથ પકડી લીધો. આ દ્રશ્ય જોઈને હનુમાનજી ગદગદ થઈ ગયા. પરંતુ હનુમાનજી વિચારવા લાગ્યા કે, “જો હું સીતાજીને બચાવવા આગળ ગયો હોત, તો મને એ વાતનો ભ્રમ થઈ જાત કે, હું ન હોત તો આજે સીતા માતાનું શું થાત ? તેમને બચાવવા માટે કોણ આગળ આવે ?” તો આવી જ રીતે ઘણીવાર આપણને પણ એવો ભ્રમ થતો હોય છે કે હું ન હોત તો શું થાત ?
     પરંતુ ત્યારે બન્યું એવું કે સીતાજીને બચાવવાનું કામ પ્રભુએ રાવણની પત્ની મંદોદરીને સોપ્યું. ત્યારે હનુમાનજી સમજી ગયા કે, “પ્રભુ જે કાર્ય જેમની પાસે કરવાવવા માંગે છે, તેઓ તેમની પાસે જ કરાવે છે.” ઈશ્વરની ઈચ્છા વગર કોઈ પણ કાર્ય થતું નથી.
     આગળ જતા જ્યારે ત્રીજટાએ રાવણને કહ્યું કે, “લંકામાં કોઈ વાનર ઘુસી આવ્યો છે અને તે લંકાને સળગાવવાનો છે.” ત્યારે હનુમાનજી ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે, “પ્રભુએ મને લંકા સળગાવવાનું તો કહ્યું નથી. તો પછી આ ત્રીજટા કેમ આવું કહે છે કે, મેં સપનું જોયું છે અને તેમાં એક વાનર લંકાને સળગાવી રહ્યો છે. તો હવે મારે શું કરવું ?" હનુમાનજીએ ત્યારે કહે છે જેવી પ્રભુની ઈચ્છા.
     જ્યારે રાવણનાં સૈનિકો તલવાર લઈ હનુમાનજીને મારવા દોડ્યા, ત્યારે હનુમાનજીએ પોતાના બચાવમાં થોડો પણ પ્રયત્ન ન કર્યો. પરંતુ એ સમય જ ત્યાં વિભીષણ આવ્યા અને કહ્યું કે, કોઈ દૂતને મારવા એ અનીતિ છે. ત્યારે પણ હનુમાનજી સમજી ગયા કે પ્રભુએ મને બચાવવા માટે આ ઉપાય કર્યો છે.
   હનુમાનજીને ખૂબ જ આશ્ચર્ય થયું કે જ્યારે રાવણે કહ્યું કે, આ વાનરને મારવો નથી, પરંતુ તેની પૂછડી પર કપડું બાંધી, ઘી નાખી અને આગ લગાવી દો. ત્યારે હનુમાનજી વિચારવા લાગ્યા કે ત્રીજટાના સપનાની વાત સાચી હતી. કેમ કે લંકા સળગાવવા હું કપડું અને ઘી ક્યાંથી લાવું ? અને આગ પણ કંઈ રીતે પ્રગટાવત ? પણ આ બધી તૈયારીઓ પ્રભુએ રાવણ પાસે જ કરાવી લીધી. ત્યારે હનુમાનજી કહે છે, જ્યારે તમે રાવણ પાસે પણ આવું કામ કરાવી લ્યો છો, તો મારે આમાં આશ્વર્ય કર્યા જેવું કંઈ નથી. ત્યારે હનુમાનજીને પણ સમજાય જાય છે કે આપણા વગર પણ બધું શક્ય હોય છે. આપણે બસ નિમિત્ત હોઈએ છીએ.
   હંમેશા યાદ રાખો કે આ સંસારમાં જે કંઈ પણ થાય છે, તે ક્રમબદ્ધ થાય છે.
હું અને તમે, તેના માત્રને માત્ર નિમિત્ત માત્ર છીએ. માટે ક્યારેય મનુષ્ય જીવે એ ભ્રમમાં ન રહેવું જોઈએ કે, “હું ન હોત તો શું થાત ?અથવા હું નહી હોઉં તો શું થશે ?” જો આપણે એ સ્થાન પર ન હોઈએ તો તેની જગ્યાએ ભગવાન કોઈ બીજા પાત્રને નિમિત્ત બનાવે.

(ઇન્ટરનેટ પરથી) 

પરીક્ષા ટાણે તમારા અને તમારા સંતાનો માટે

  બોર્ડ પરીક્ષાઓનો સમય આવી ગયો છે. તમારું સંતાન દસમા કે બારમાના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યું હશે તો તો તમેય ટેન્શનમાં હશો ખરું ને? આગામી પંદર - વીસ  દિવસો તમારા બંને માટે અતિ મહત્વના બની રહેશે. તમારા સંતાનો પાસેથી તમે આ સમયગાળા દરમ્યાન મૂડ પરિવર્તન, ઉદાસી, ઉત્સાહ, આરામદાયી વલણ, ઉદ્ધતાઈ વગેરે અનેક મિશ્ર લાગણીઓની અપેક્ષા રાખી શકો છો. પણ તમારે સંભાળી લેવાનું છે. આપણી શિક્ષણ પદ્ધતિ આમ પણ વિદ્યાર્થીઓમાં ઘણો તણાવ પેદા કરે છે, ખાસ કરીને બોર્ડ પરીક્ષા વખતે.
      તો ચાલો આપણાં બાળકોને સહારો આપીએ, તેમની સાથે ઉભા રહીએ. તેમનો તણાવ ઓછો કરીએ. આ કઈ રીતે કરી શકીશું? વાંચો...

૧. તેમને સવારે એક હકારાત્મક ઉમળકા સાથે પ્રેમભર્યા સ્પર્શથી ઉઠાડો, તેમને આલિંગન આપો. દરેક બાળક માતાપિતા પાસેથી આની અપેક્ષા રાખે છે.

૨. તમારા સંતાનના દિવસની શરૂઆત એક હકારાત્મક વિધાન સાથે કરો જેવા કે - હું તને ખૂબ ચાહું છું, ચાલો એક સુંદર મજાના દિવસની શરૂઆત સાથે કરીએ...

૩. તમારા સંતાન સાથે વાતચીત કરતી વખતે ખૂબ કાળજી રાખો. એ પરીક્ષા આપવા જાય એ પહેલા ખાસ. "મને ખાતરી છે કે તું ચોક્કસ ખૂબ સારું પેપર લખીશ... તારું પ્રદર્શન શ્રેષ્ઠ રહેશે... બેસ્ટ ઓફ લક! જલ્દી થી સરસ પેપર લખીને આવીજા, હું તારી રાહ જોઈશ..." વગેરે.

૪. તમારો ઉચાટ તમારા સંતાન સુધી ન પહોંચવા દો. ગમે તેવી પરિસ્થિતિ હોય, છેલ્લી ક્ષણોમાં તમારા તરફથી હકારાત્મક સહકાર, તમારા સંતાનના આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો કરે છે.

૫. જ્યારે તમારું સંતાન પરીક્ષા આપી પાછું આવે ત્યારે માત્ર 'પેપર કેવું ગયું' જ ના પૂછો, તેના બદલે પૂછો કે તેનો પરીક્ષાનો અનુભવ કેવો રહ્યો. તેને કહો, ચાલ, હવે થોડું બહાર ખુલ્લામાં ફરી આવીએ. સાથે ચા કે કોફી પી ને રિલેક્સ થઈ આવીએ... જે વિષયની પરીક્ષા પતી ગઈ, તેના વિશે ચર્ચા કર્યા કરવાનું ટાળો. જે ગયું તે ગયું. એ તમે બદલી શકવાના નથી પણ હજી જે આવવાનું બાકી છે એના માટે તમે તમારા સંતાનને આધાર આપી શકો છો.

૬. એ સુનિશ્ચિત કરો કે તેની પરીક્ષા દરમ્યાન તમારા સંતાનને તમે ઘરમાં એક આનંદીત અને તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડો છો. પરિવારમાં બિનજરૂરી વિખવાદ-ચર્ચા ટાળો, મતભેદો પછી પણ ઉકેલી શકાય છે. એ ના ભૂલો કે આ બધી નકારાત્મકતા તમારા સંતાનના તણાવમાં વધારો કરી શકે છે.

૭. જ્યારે તમારું સંતાન નાસ્તો કરી રહ્યું હોય, જમી રહ્યું હોય કે પછી તમારી સાથે નિરાંતની ક્ષણો માણી રહ્યું હોય ત્યારે હળવું વાદ્ય સંગીત વગાડો.

૮. તમારા સંતાનને માર્કસ ના લક્ષ્યો ના આપો. એ પોતાના લક્ષ્યાંકો સમજી શકે એટલું સંવેદનશીલ હોય જ છે.

૯. ઘરમાં તાજા ફૂલો રાખો, એ ઘણી હકારાત્મક ઉર્જા આણે છે.

૧૦. કોઈ પણ કારણસર વાતો ને લાંબી ના ખેંચો. સતત ટોક્યા કરવાનું અને દોષો શોધ્યા કરવાનું બંધ કરો.

૧૧. રાત્રે તમારા સંતાનની પીઠ પર હકારાત્મકતા ભર્યા સ્પર્શ સાથે હાથ ફેરવતા તેને સૂવાડો. આ બે મિનિટની ચેષ્ટા તેની પૂરતા કલાકોની નિદ્રા ગાઢ અને અસરકારક બનાવશે અને તે બીજે દિવસે વધુ સારો અભ્યાસ કરી શકશે.

૧૨. સતત સલાહસૂચન ટાળો. સંતાનને તેની થોડી અંગત જગા આપો.

૧૩. પરીક્ષાનું પેપર તમારી કે તમારા સંતાનની અપેક્ષા મુજબ ન જાય તો પણ તમારા સંતાનની પડખે ઉભા રહો.

૧૪. સૌથી અગત્યનું : પરીક્ષાના દિવસો દરમ્યાન તમારા સંતાનને તમારા સગા - સંબંધીઓ કે મિત્રોને ન મળવા દો. છેલ્લી ક્ષણોમાં નકારાત્મક વિધાનો કે અપેક્ષાઓ તમારા સંતાન માટે જોખમી સાબિત થઈ શકે છે.

તમારા સંતાનોને ઘણો બધો પ્રેમ અને ઘણાં બધાં શુભાશિષ... અને હા, તમે શાંત અને ધૈર્યવાન બનજો, તમને પણ ઓલ ધ બેસ્ટ!!!

- એક ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ દ્વારા.

(ઇન્ટરનેટ પરથી)

Monday, February 24, 2020

ભૂલો પર ચોકડી મારી આગળ વધો.

   પ્રાથમિક શાળામાં મેં નવી નવી પેન થી લખવાની શરૂઆત કરી હતી, ત્યારે જો લખવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો શિક્ષકને બતાવતા પહેલા, એ ભૂલ ભૂંસી નાખતા ભારે શ્રમ ઉઠાવવો પડતો. ક્યારેક ઈન્ક-રબર તો ક્યારેક ચોકનો ઉપયોગ કરતો, પણ એ ભૂલ ભૂંસી નાખવામાં જોઈએ એવી સફળતા મળતી નહોતી.
     ક્યારેક તો થૂંકનો ઉપયોગ પણ ભૂલ ભરેલું લખાણ દૂર કરવા કરેલો અને ક્યારેક એ હેતુ માટે રેઝર - બ્લેડ પણ વાપરેલી. પણ એમ કરતાં, નોટબુકના પાનામાં કાણાં પડી જતાં. શિક્ષકના હાથનો માર પણ આ રીતે નોટબુક ગંદી કરવા માટે ખાધો હતો. પણ અહીં આશય મારી ભૂલ ઢાંકવાનો જ હતો.
      એક દિવસ મને ખૂબ ચાહતા એક ભલા હ્રદયના શિક્ષકે મને બોલાવ્યો અને કહ્યું," જ્યારે કોઈ ભૂલ કરે ત્યારે તેના પર ચોકડી મૂકી દેવી અને આગળ વધી જવું. તમારી ભૂલોને ભૂંસવા જશો તો કંઈ વળશે નહીં અને તમારી નોટબુક ખરાબ થઈ જશે. "
      મેં તેમનો પ્રતિકાર કરતા કહ્યું કે હું નથી ઇચ્છતો કે લોકો મારી ભૂલ જૂએ. આ સાંભળી મારા એ શિક્ષકે હસતાં હસતાં કહ્યું, "એ ભૂલ ને ભૂંસવાનો પ્રયત્ન કરવામાં તું વધુ લોકો સમક્ષ એ છબરડો છતો કરે છે. અને પછી એનો પસ્તાવો જીવન ભર રહે છે."
      તમે પણ જ્યારે જીવનમાં ભૂલો કરો છો ત્યારે આ પાઠ શીખવા લાયક છે. તેના પર ચોકડી મૂકી દો અને આગળ વધો. તમારી ભૂલો છૂપાવવાનો પ્રયત્ન કરવામાં તમારી જાતને ખૂલ્લી ન પાડો. આગળ વધુ સારી ચીજ વસ્તુઓ, પ્રસંગો તમારી રાહ જોઈ રહ્યા હોય છે.કરેલી ભૂલોને મમળાવ્યાં ન કરો, આગળ વધો.

(ઇન્ટરનેટ પરથી)

Wednesday, February 5, 2020

૪૦ વર્ષ પહેલા... અને આજે

૪૦ વર્ષ પહેલા સંતાનો તેમના માતાપિતા સાથે નમ્રતાથી વર્તતા. આજે માતાપિતાઓએ તેમના સંતાનો સાથે નમ્રતાથી વર્તવું પડે છે!

૪૦ વર્ષ પહેલા દરેકને બાળકો હોય એવી ઇચ્છા થતી, આજે ઘણાંને બાળકો પેદા કરતા ડર લાગે છે!

૪૦ વર્ષ પહેલા સંતાનો તેમના માતાપિતાને માન આપતા, તેમનો આદર જાળવતા. આજે માતાપિતાઓએ તેમના સંતાનોને માન આપવું પડે છે, તેમનો આદર જાળવવો પડે છે!

૪૦ વર્ષ પહેલા લગ્ન સરળ હતા, છૂટાછેડા મુશ્કેલીથી જોવા મળતા. આજે લગ્ન મુશ્કેલ થતાં જાય છે, છૂટાછેડા આસાનીથી થઈ જાય છે!

૪૦ વર્ષ પહેલા બધાં તેમના પાડોશીઓને ઓળખતા. આજે આપણે આપણાં પાડોશીઓ માટે અજાણ્યાં હોઈએ છીએ!

૪૦ વર્ષ પહેલા લોકો ખૂબ ખાતા કારણ તેમણે સખત મહેનત કરવા વધુ ઉર્જાની, તાકાતની જરૂર હતી જે વધુ ખાવાથી પૂરી થતી. આજે લોકો કોલેસ્ટ્રોલના ભયથી ચરબીયુક્ત ખોરાક ખાતાં ડરે છે!

૪૦ વર્ષ પહેલા ગ્રામવાસીઓ શહેરો તરફ નોકરી મેળવવા ઘસારો કરતાં. આજે શહેરના લોકો તાણના ત્રાસથી મુક્તિ મેળવવા શાંતિની શોધમાં ગામડાભણી દ્રષ્ટિ દોડાવે છે!

૪૦ વર્ષ પહેલા સુખી દેખાવા લોકો જાડા થવું પસંદ કરતા. આજે લોકો તંદુરસ્ત દેખાવા ડાયેટીંગ કરે છે!

૪૦ વર્ષ પહેલા શ્રીમંત લોકો ગરીબ હોવાનો ડોળ કરતા. આજે ગરીબ લોકો શ્રીમંત બનવાનો દંભ કરે છે!

૪૦ વર્ષ પહેલા ઘરની માત્ર એક વ્યક્તિ આખા પરિવારનું ગુજરાન ચલાવવા કામ કરતી. આજે ઘરની દરેક વ્યક્તિએ એક બાળકનું ભરણપોષણ કરવા કમાવું પડે છે!

૪૦ વર્ષ પહેલા લોકોને ભણવું અને વાંચવું ગમતું. આજે લોકોને ફેસબુક અપડેટ કરવું અને વોટસએપ પર મેસેજ વાંચવા ગમે છે!

(ઇન્ટરનેટ પરથી)

Saturday, January 25, 2020

તમારામાંના સિંહને જગાવો!

  જંગલમાં સૌથી મોટું પ્રાણી કયું એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? હાથી.

જંગલમાં સૌથી ઉંચું પ્રાણી કયું એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? જીરાફ.

જંગલમાં સૌથી ચતુર પ્રાણી કયું એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? શિયાળ.

જંગલમાં સૌથી ઝડપી પ્રાણી કયું એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? ચિત્તો.

આ બધાં છતાં, આ બધી ખાસિયતોમાંની એક પણ ખાસિયત ના ધરાવતો હોવા છતાં સિંહ જંગલનો રાજા ગણાય છે. શા માટે?

કારણ...

સિંહ હિંમતવાન છે, સાહસિક છે, તે આત્મવિશ્વાસ પૂર્વક ચાલે છે. સિંહ કંઈ પણ કરતા ખચકાતો નથી, ક્યારેય કોઈથી ડરતો નથી. સિંહ વિચારે છે કે કોઈ ક્યારેય તેને અટકાવી શકશે નહીં. તે જોખમ ખેડનારો અને ઉદ્યમી છે.
સિંહ વિચારે છે કે કોઈ પણ પ્રાણી તેનો કોળિયો છે. સિંહ દરેક તક ઝડપી લેવામાં માને છે, તે એક પણ તક પોતાના હાથમાંથી જતી કરતો નથી. સિંહ પાસે તેનું પોતાનું આગવું પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે.

તો આપણે સિંહ પાસેથી શું શીખવું જોઈએ?

- તમારે સૌથી વધુ ઝડપી બનવાની જરૂર નથી
- તમારે સૌથી વધુ ચતુર હોવાની જરૂર નથી
- તમારે સૌથી વધુ બુદ્ધિશાળી હોવાની જરૂર નથી
- તમારે સૌથી વધુ શાણા હોવાની જરૂર નથી

જરૂર છે માત્ર હિંમતની.
જરૂર છે માત્ર પ્રયત્ન કરવાની ઇચ્છાશક્તિ ધરાવવાની.
જરૂર છે માત્ર એવી શ્રદ્ધા ધરાવવાની કે બધું જ શક્ય છે.
જરૂર છે માત્ર પોતાની જાતમાં વિશ્વાસ ધરાવવાની કે હું આ કરી શકીશ.

... તો તમારામાંના સિંહને જગાવો!... અને જગત જીતી લો!

(ઇન્ટરનેટ પરથી)


બ્રહ્માંડના મેનેજરને સઘળી ચિંતાઓ સોંપી દો



     હું સુપરમાર્કેટમાં ખરીદી કરતા ચાલી રહ્યો હતો ત્યાં અચાનક કંઈક પડવાનો - તૂટવાનો મોટો અવાજ આવ્યો. હું અવાજ જ્યાંથી આવ્યો હતો એ તરફ ગયો તો ત્યાં જોવા મળ્યું કે એક વૃદ્ધ સ્ત્રી સંતુલન ચૂકી જતા તેની સામાનની ટ્રોલી સાથે એક કાચના વાસણોના શેલ્ફ સાથે અથડાઈ હતી અને લોકો તેની આસપાસ ભેળા થયા હતાં. વૃદ્ધ સ્ત્રીથી ઘણાં કાચના વાસણ તૂટી ગયા હતાં. છોભિલી પડી ગયેલી એ વૃદ્ધ સ્ત્રી વાંકી વળી તૂટેલા કાચના વાસણોનાં ટુકડા ભેગા કરી રહી હતી. તેનો પતિ એ બધા તૂટેલા કાચના વાસણો પરના ભાવના ટેગ્‌સ વાંચી જીવ બાળતા કહી રહ્યો હતો, "આ બધું નુકસાન આપણે ભરપાઇ કરવું પડશે." કેટલું ગમગીની ભર્યું દ્રશ્ય હતું એ!
    કોઈક સાથે આ દુર્ઘટના ઘટી હતી પણ લોકો ટોળે વળી જાણે તમાશો જોતા હતાં. હું આ વૃદ્ધ દંપતિ પાસે ગયો અને વાંકા વળી મેં તેમને મદદ કરવા માંડી. આ જોઈ અન્ય એક યુવાન પણ ત્યાં આવ્યો અને તેણે પણ તૂટેલા કાચના ટુકડા ભેગા કરી ઉપાડતા કહ્યું," માજી, તમે છોડી દો, અમે આ બધું ઉપાડી લઈશું. તમે નજીક દવાખાનું આવેલું છે ત્યાં જઈ તમારા હાથમાં કાચ વાગવાથી જખમ પડ્યો છે, તેની સારવાર કરાવી લો."
    વૃદ્ધાએ કહ્યું, "પણ મારે આ બધા નુકસાનની ભરપાઈ કરવી પડશે."
    એ યુવાને કહ્યું, "ના મેડમ, હું જ અહીંનો મેનેજર છું. અમે આ બધા કાચના સામાનનો વીમો કઢાવેલો છે. આથી તમારે એ માટે કંઈ ચૂકવવાનું નથી. તમે જલ્દીથી જઈ સૌ પહેલા સારવાર કરાવી લો. "
    હવે તમે આંખ બંધ કરી વિચારો કે ભગવાન તમારા માટે આમ કરી રહ્યા છે. તે તમારા ભગ્ન હ્રદયના અને તમારી ભૂલો ને કારણે કે અન્ય કારણોસર જિંદગીએ તમને જે ફટકા આપ્યા છે તેના દ્વારા વેરાયેલા ટુકડા ભેગા કરી રહ્યા છે. એ એક ડગલું આગળ વધી તમારા જખમો રૂઝવવાનું કામ પણ કરશે અને તમારા પાપો અને ક્ષતિઓ માફ કરી દેશે.
બસ આના માટે શરત એટલી છે કે તમારે ભગવાનને તમારા મસીહા તરીકે સ્વીકારવાના છે, સઘળું તેને ભરોસે મૂકી દેવાનું છે. પછી બ્રહ્માંડના મેનેજર એવા એ ભગવાન તમને કહેશે, "તમારે કંઈ ચૂકવવાનું નથી, તમારા માર્ગે જવા તમે મુકત છો! “

(ઇન્ટરનેટ પરથી)

Sunday, January 12, 2020

અહા... એ શાળાના દિવસો!!!

      શાળાજીવન દરમ્યાનના પરીક્ષાના દિવસો યાદ આવે છે? એ સમયના શિક્ષકોની ટકોર, તમારી માસૂમિયત, નિર્દોષ મસ્તી આ બધું યાદ કરશો તો ચોક્કસ મોઢા પર સ્મિત આવી જશે. ચાલો આજે શાળાજીવનની યાદો વાગોળીએ!

શું તમને તમે શાળામાં હતા એ સમયની પરીક્ષા વેળાની ક્ષણો યાદ છે જ્યારે...
~ કોઈક હોંશિયાર વિદ્યાર્થી પરીક્ષકને પ્રશ્ન ક્રમાંક ૪ માં કંઈક ખોટું હોવાની જાણ કરતો અને તમે એ પ્રશ્નનો ઉત્તર ઓલરેડી લખી ચૂક્યા હતા!

~ જ્યારે તમારી સાથે પરીક્ષા આપી રહેલો સહપાઠી આલેખ પત્ર (ગ્રાફ પેપર) માંગતો અને તમે આખું પેપર લખી રહ્યા હતા પણ તમને તો ક્યાંય તેની જરૂર હોય એવો પ્રશ્ન નજરે જ ચડ્યો નહોતો!

~ જ્યારે પરીક્ષક તમને પ્રશ્ન ક્રમાંક ૬ તત્પૂરતો ના લખવા સૂચવતો જેમાં થોડા સમય બાદ સુધારો સૂચવાશે એમ જણાવાતું અને તમે એ જ પ્રશ્ન બડા મોજ થી ખાસ્સો સમય ફાળવી લખી ચૂક્યા હતા!

~ જ્યારે તમે આસપાસ સૌને ફૂટપટ્ટીનો ધડાધડ ઉપયોગ કરતા જોતા અને આશ્ચર્ય પામતા કે તેઓ કયા ઉત્તરમાં એમ કરી રહ્યા હશે!

~ જ્યારે તમે તમારા હોંશિયાર મિત્રોને પરીક્ષા બાદ ઝઘડતા જોતા કે પ્રશ્ન ક્રમાંક ૫ નો ઉત્તર ૩૫.૫ ટકા હતો કે ૩૬.૫ ટકા અને તમારો તો એ દાખલાનો જવાબ આવતો હતો ૧૮૦૦!!!

~ જ્યારે વર્ગના બીજા બધાં પરીક્ષાર્થીઓ ૪ - ૫ વધારાની ઉત્તર પત્રિકા (સપ્લીમેંટ) માંગતા અને તમારા તો મુખ્ય ઉત્તર પત્રિકા માં પણ ૨-૩ પત્તા કોરા રહેતાં!

... અને આ બધી ક્ષણો છતાં જુઓ અત્યારે તમે જીવનમાં ક્યાં પહોંચ્યા છો. કંઈ જ શાશ્વત નથી. પરિવર્તન જગતનો નિયમ છે. જીવનને માણો!!

આ વાંચી મજા આવી? તો ચાલો શાળા જીવનની હજી થોડી વધુ યાદો તાજી કરીએ...

તમારા શિક્ષકોના ૧૦ ટોપ ડાયલૉગ્સ :
* જો તને મારા ક્લાસમાં રસ ન હોય તો તું બહાર જઈ શકે છે.
* આ ક્લાસ કરતા તો મચ્છી માર્કેટ સારું.
* તું અહીં તારા મા - બાપના પૈસા બરબાદ કરવા આવ્યો/આવી છું?
* તમારા બધાંની વાતચીત પૂરી થઈ જાય એટલે મને કહો. પછી આપણે ભણવાનું શરૂ કરીએ.
* તું એકલા એકલા કેમ હસે છે? અહીં આવ અને અમને બધાને કહે એટલે અમે બધાં પણ હસી શકીએ.
* તમને લાગે છે કે તમારા શિક્ષકો મૂરખ છે એથી તમારા જેવાઓને ભણાવે છે?
* મારી સાથે વધારે હોંશિયારી કરવાનો પ્રયત્ન ના કરીશ.
* જો તમને ભણવું જ ના હોય તો પછી સ્કૂલે શા માટે આવો છો?
* ગયા વર્ષનો બેચ તમારા કરતાં હજાર ગણો સારો હતો.
* જો તારે વાતો જ કરવી હોય તો મારા ક્લાસમાં થી બહાર જઈ શકે છે.
* હું તારી સાથે જ વાત કરું છું, પાછળ નહીં જો.

કેટલો નિર્દોષ બની જતો આપણો ચહેરો એ સમયે શિક્ષકની આ વાતો સાંભળીને!

અહા... એ શાળાના દિવસો!!!

(ઇન્ટરનેટ પરથી)

Sunday, January 5, 2020

વૃધ્ધાવસ્થાના મિત્રો

 <આ વાતના મૂળ લેખકની જાણ નથી, પણ ૨૫ થી ૫૦ વર્ષનાં દેખીતા પ્રતિભાશાળી સફળ વ્યક્તિઓને સાચી શીખ આપતી આ વાત ઘણી સમજવા અને અમલમાં મૂકવા લાયક છે તેથી સૌ વાચકમિત્રો સાથે શેર કરી રહ્યો છું. >

    અમદાવાદમાં નોકરી દરમ્યાન એલિસબ્રિજ પોલીસ લાઇનમાં રહેતો તે વખતે રોજનો નિત્યક્રમ છ-સાડા છ વાગ્યે જાગી અથવા નાઇટ રાઉન્ડ પૂર્ણ કરી કાયમ ચા-પાણી નાસ્તો કરવા લો-ગાર્ડન,  એન.સી.સી. સર્કલની બાજુમાં આવેલ કિશનની ચાની કીટલીએ જતો. જ્યાં કાયમ સવાર-સવારમાં લો-ગાર્ડનમાં વોકિંગ કે કસરત કરવા આવેલા માણસો એકલ-દોકલ ચા પીતા જોવા મળતાં, જેમાં એક ૭૫ વર્ષ વટાવી ચૂકેલા એક દાદા સાથે રોજની મુલાકાત પછી ઔપચારિક વાતચીત બાદ એકબીજાની હાજરી ગેરહાજરી ખબર અંતર પૂછવા અને એકબીજાને પરાણે ચા પીવરાવવાની તાણ કરી શકીએ એટલા સબંધ બંધાણેલા. મેં એ વડીલને ક્યારેય નામ કે એડ્રેસ નહોતું પૂછ્યું કેમકે જરૂર જ ના પડી, અને વડીલ પણ મને ભાઇ કે મિત્ર કહી સંબોધતા. 
    થોડા સમય બાદ મારાથી ન રહી શકાયું એટલે એક દિવસ વાત વાતમાં મેં કહ્યુ, "વડીલ તમે રોજ મારી પહેલા, વહેલી સવારના 5 વાગ્યે જાગીને ન્હાઇને તૈયાર થઈને ચા પીવા આવી જાઓ છો એ આદત બહુ સારી છે!"
      દાદાએ મારી સામે એકીટશે જોઈ રહ્યા પછી થોડું આમ મોં મચકોડયું હોય એ રીતે ખંધુ હસ્યા! પછી મને કહે, "ભાઇ આ ઉંમરે હવે નિંદર નો આવે અમને, પડખા ઘસીને રાત કાઢવી પડે એટલે  વહેલા અહિંયા આવીને બેસી જાવ છું!"
મેં કહ્યુ," તો જાગીને ભગવાનનું નામ લેવાય ને અહિંયા બેસવા કરતા!"
તો કહે, "ભાઇ અમે વહેલા જાગીએ અને ન્હાવા ધોવા જઇએ તો થોડો ઘણો અવાજ થાય એટલે અમારી *પુત્રવધૂ* (આ પુત્રવધૂ બહુ જ ભાર દઈને બોલેલા)  ને ડિસ્ટર્બ થાય જે અમારા પનોતા પુત્રને પોસાય એમ નથી! અને સવારના 5 વાગ્યાની પહેલી ઘરની ચાનો સ્વાદ તો મારા ધર્મપત્ની 8 વર્ષ પહેલા ગુજરી ગયેલા ત્યારે ચાખેલો. એ પછી તો જય ભગવાન."
મેં કહ્યુ," તો તો એમની તમને બહુ કમી પડતી હશે."
વડીલ મને કહે,"તમે ઉંમરમાં તો મારાથી ઘણા નાના છો પણ એક સાવ નક્કર સત્ય કહું તો પત્નીના સાથની જરૂર ૪૦ વર્ષ પછી હરેક પળ રહે છે."
મેં પૂછ્યું," સાંજનો સમય તો સરખી ઉંમરના મિત્રો સાથે જ પસાર થઈ જતો હશે ને? "
મારા આ સવાલ ઉપર તે વડીલ ખૂબ જ ભાવુક થઈ ગયેલા અને આંખમાં આંસુ સાથે તેમણે કહ્યું," હું એક ઉચ્ચ પગારદાર અધિકારી હતો. મેં મારી નોકરી ખૂબ જ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરેલી પરંતુ મારો સ્વભાવ ખૂબ જ કડક હતો અને કોઈ કામ બદલ કોઈ મારા જુનિયર કર્મચારીની ભૂલ થતી તો હું ખૂબ જ સખ્તાઈથી તેમની તરફ વર્તતો અને સજા કરાવતો. જેના કારણે મારી સાથે દરેક માણસ સારી રીતે વર્તન તો કરતા પણ એ ઔપચારિક રીતે જ! જેની જાણ મને મારા નોકરીના છેલ્લા દિવસે ગોઠવેલ વિદાય સમારંભમા માત્ર સાત-આઠ જણાની હાજરી જોઈને થયેલ. મારા હોદ્દાના કારણે મારી આજુ-બાજુના પાડોશીઓ સાથે પણ મેં આવુ જ વર્તન કરેલું અને જ્યારે હોદ્દાવાળી નોકરી હતી ત્યારે માણસો મને સોસાયટીની બાજુના બગીચામાં બેસવા આવકારતા ત્યારે હું બહુ જ તોછડાઇથી એમને કહેતો કે હું તમારી જેવો નવરો નથી અને હું એક સ્ટેટસવાળા હોદ્દા ઉપર ફરજ બજાવું છું, તમારી જેવા સ્ટેટસ વગરના માણસો સાથે બેસવાની વાત તો દૂર, ઉભો પણ ના રહું. અને બીજીવાર મને આવી રીતે આમંત્રણ આપવાની તેઓ ભૂલ પણ ના કરતા. આવા તલવારની ધારના જાટકા જેવા મારા શબ્દો મને પ્રેમથી આવકારતા માણસોના ઉભા કટકા કરી નાખતા પરંતુ મારા હોદ્દાના કારણે કોઈ કાંઇ બોલી શકતુ નહીં. જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે સૌ મારો પડ્યો બોલ ઝીલતા, સાહેબ સાહેબ કરતા મારાથી ડરતા. મારા કોઈ કામ અટકતા નહી અને રીટાયર્ડમેન્ટ પછી મારા પત્નીના અવસાન બાદ હું સાવ એકલો પડી ગયેલો ત્યારે મને મારી ઓફિસના કોઈ સહ કર્મચારી કે કોઈ અન્ય મળી જતા અને હું સામેથી બોલાવતો ત્યારે તે લોકો મને નજર અંદાજ કરતા કાં પછી મને સાંભળ્યો જ ન હોય એમ સામે પણ ન જુએ!  ત્યારબાદ હું પેલા સોસાયટીની બાજુવાળા બાંકડે જઈને બેસવા લાગ્યો પરંતુ મને જોઈને લોકો ઉભા થઈને ચાલવા લાગતા, હું બેસવાનું કહું તો કોઈને કોઈ બહાનું બનાવી ચાલતા થઈ જતા, છેલ્લે હું ને બાંકડો બે જ વધતા!  અરે, ક્યારેક મારે વાત કરવી હોય તો સામે કોઈ ના હોય!  ક્યારેક કોઈ અજાણ્યો દારૂડિયો મારી સાથે બફાટ કરે તો તે પણ સ્વજન જેવો લાગવા લાગતો.  હું રઘવાયો જેવો થઈ જતો જેની મને ધીરે ધીરે આદત પડતી ગઈ અને મને મારા પૂર્વના કર્મો યાદ આવતા ગયા અને હું મારા મનને મારતો ગયો અને વારતો ગયો. "
    એમની સાથે હું પણ લાગણીવશ બની ગયેલો અને પૂછ્યું કે" તમારે સારો પગાર હતો, સારુ પેન્શન આવે છે સારી મિલ્કત છે!  તો બીજું ખૂટે છે શું? "

વડીલ મને કહે," મેં પૈસા બનાવ્યા, મિલ્કત બનાવી નામ બનાવ્યું અને મારા હોદ્દાના અભિમાનમાં મારાથી ઘડપણમાં તોડી ન શકાય એવું એકલતાનું જાળુ યુવાનીમાં બનાવ્યું પણ ઘડપણમાં કામ લાગે અને બાંકડે બેસીને મારી વાટ જુએ અને મારી એકલતાને દૂર કરે એવા "મિત્રો" ના બનાવ્યા, સાચા સ્વજનો હું ના બનાવી શક્યો! હવે જેટલા વર્ષ મેં કાઢ્યા એટલા મારે નથી કાઢવાના એ તો ખાત્રી છે જ કેમકે શરીર સાથ નથી આપતું."

સાહેબ ..તમે  પૈસો-મિલ્કત ભલે બનાવો પણ ઘડપણમાં સાથ આપી એકલતાનો દૂર કરે એવા મિત્રો જરૂર બનાવજો.

(ઇન્ટરનેટ પરથી)

Thursday, January 2, 2020

ભગવાનની ગણતરી

   એકવાર બે વટેમાર્ગુઓ એક મંદિર પાસે બેઠા હતા અને વાતચીત કરતા હતા. સાંજનું અંધારું ઘેરું થઈ રહ્યું હતું. વરસાદ પડવાની તૈયારીમાં હતો. ત્યાં ત્રીજી એક વ્યક્તિ ત્યાં આવી અને તેણે પૂછ્યું શું તે તેમની સાથે જોડાઈ શકે? તેમણે તેને સસ્મિત આવકાર્યો.
      તેઓ જલ્દી જ મિત્રો બની ગયા. તેમની વાતો જામી, ત્યાં અચાનક વરસાદ શરૂ થયો.  તેઓ અટવાઇ ગયા.  ત્રીજી વ્યક્તિને ભૂખ લાગી અને બીજા બેને તેણે કહ્યું, 'આપણે વાળુ કરી લેવું જોઈએ. ભૂખ લાગી છે.' બંને જણે કહ્યું તેમને પણ ભૂખ લાગી છે અને તેમણે ભેગા મળી જમી લેવું જોઈએ. પણ એક સમસ્યા ઉભી થઈ.
     પહેલા વટેમાર્ગુ પાસે ત્રણ અને બીજા પાસે પાંચ રોટલા હતાં જ્યારે ત્રીજા પાસે કંઈ નહોતું. હવે આ આઠ રોટલા તેમની વચ્ચે કઈ રીતે વહેંચવા?
     પહેલા વટેમાર્ગુએ સૂચવ્યું, 'ચાલો દરેક રોટલામાંથી ત્રણ ટુકડા કરીએ.  એટલે આપણી પાસે કુલ ચોવીસ ટુકડાઓ થઈ જશે.  પછી આપણે ત્રણે આઠ - આઠ ટુકડાઓ ખાઈ શકીશું.'
   દરેકને આ વિચાર ગમ્યો.  તેઓએ ચોવીસ ટુકડા કર્યાં અને આઠ - આઠ ટુકડાઓ ખાધા, તેમની ભૂખ સંતોષાઈ અને પછી ત્રણે આરામથી સૂઈ ગયા.
     સવારે, ત્રીજી વ્યક્તિએ પ્રથમ બે વટેમાર્ગુઓને તેમની સાથે સમય પસાર કરવા દેવા બદલ અને તેમના રોટલા પોતાની સાથે વહેંચવા બદલ તેમનો આભાર માન્યો.  ખુશી સાથે ઉપકારનો બદલો વાળવા તેણે તેમને આઠ સોનાના સિક્કા ભેટમાં આપ્યા, તે તેમની વચ્ચે વહેંચી લેવા કહ્યું અને પોતે  પોતાના માર્ગે ચાલ્યો ગયો.
     તેના ગયા પછી, પ્રથમ વટેમાર્ગુએ કહ્યું, 'આપણે બંને ચાર - ચાર સિક્કા વહેંચી લઈએ.'
    બીજા વટેમાર્ગુએ કહ્યું, 'મેં વધારે રોટલા આપ્યા હોવાથી મને વધારે સોનાના સિક્કા મળવા જોઈએ.' પહેલા વટેમાર્ગુએ આ સૂચનનો વિરોધ નોંધાવ્યો. તેઓ એકબીજા સાથે દલીલ કરવા માંડ્યા અને ધીમે ધીમે તેમની દલીલો વધતી ગઈ અને એક મોટી લડાઈમાં પરિણમી. તેઓ ન્યાય માટે ગામના મુખી પાસે ગયા.  મુખીએ કહ્યું, 'સિક્કા મારી પાસે છોડી દો અને હું વિચાર કરીશ અને આવતી કાલે ચુકાદો આપીશ.'
     રાત્રે ભગવાન મુખીના સ્વપ્નમાં આવ્યા અને તેમણે તેને પૂછ્યું કે તે સવારે શું ન્યાય આપવાનો છે? મુખીએ કહ્યું, 'બીજા વટેમાર્ગુએ પાંચ રોટલા વહેંચ્યા હોવાથી તેને વધુ સિક્કા આપવાની દલીલ મને તાર્કિક લાગે છે.પણ કોને કેટલા સિક્કા મળવા જોઈએ એ અંગે હું હજી મૂંઝવણમાં છું. '
    ભગવાન હસી પડ્યા અને કહ્યું, ‘તે તેમના મુદ્દાનું કાળજીપૂર્વક વિશ્લેષણ કર્યું નથી’.
      ભગવાન સમજાવે છે, 'મારા ન્યાય મુજબ, પ્રથમ વટેમાર્ગુને ફક્ત એક સોનાનો સિક્કો મળવો જોઇએ અને બીજા વટેમાર્ગુને સાત સોનાના સિક્કા મળવા જોઈએ.'
 મુખીને આશ્ચર્ય થયું.
 ભગવાને સમજાવ્યું, 'પહેલા વટેમાર્ગુએ તેના ત્રણ રોટલામાંથી નવ ટુકડાઓ બનાવ્યા, પરંતુ તેણે આઠ ટુકડાઓ જાતે જ ખાધા અને ફક્ત એક ટુકડો વહેંચ્યો. બીજા વટેમાર્ગુએ પંદર ટુકડા કર્યા અને વહેંચવા માટે સાત ટુકડા આપ્યા.  આથી પહેલાને એક અને બીજાને સાત સોનાના સિક્કા એ મારી ગણતરી અને મારો ન્યાય છે.'
 બીજા દિવસે, મુખીએ તે મુજબ ન્યાય આપ્યો અને તર્ક સમજાવ્યો. બધાંને એ ન્યાયી અને સ્વીકાર્ય લાગ્યો.

(ઇન્ટરનેટ પરથી)