Sunday, July 18, 2021

ગાય દૂધ નથી આપતી, તમારે તેને દોહવી પડે છે

    એક ગોવાળિયાએ તેનાં પુત્રોને કહ્યું જ્યારે તમે બાર વર્ષના થઈ જશો ત્યારે હું તમને જીવનનો એક મંત્ર જણાવીશ. સૌથી મોટો પુત્ર જ્યારે બાર વર્ષનો થઈ ગયો ત્યારે તેણે જઈને પિતાને મંત્ર વાળી વાત યાદ કરાવતા ભારે ઉત્સુકતાપૂર્વક પૂછયું કે એ મંત્ર કયો છે. ગોવાળિયાએ કહ્યું કે એ જરૂર આ મંત્ર તેને જણાવશે પણ તેણે પોતાના નાના ભાઈઓને આ મંત્ર જ્યાં સુધી તેઓ પણ બાર વર્ષના ન થઈ જાય ત્યાં સુધી ના જણાવવો.

પછી તેણે જીવનનો મંત્ર કહ્યો : ગાય દૂધ આપતી નથી.

છોકરાએ ગાઢ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતાં પૂછ્યું, 'બાપુ, એ તમે શું બોલ્યા?'

  ગોવાળિયાએ કહ્યું, 'હા બેટા, તેં બરાબર જ સાંભળ્યું. ગાય દૂધ આપતી નથી. દૂધ મેળવવા તમારે એને દોહવી પડે છે. તમારે સવારે ચાર વાગે ઉઠી ખેતરે જવું પડે છે, ત્યાં છાણથી ભરેલાં ગમાણમાં જઈ ગાયનું પૂંછડું ખીલે બાંધવું પડે છે, તમને એ લાત ના મારે એટલે એના પગ દોરડાંથી બાંધવા પડે છે. પછી ટેબલ પર બેસી, ગાયના આંચળ નીચે બાલદી બરાબર ગોઠવવી પડે છે અને છેલ્લે ગાયને બરાબર દોહો એ પછી દૂધ મળે છે. આ બધું કામ જાતે કરો એ પછી જ દૂધ મેળવી શકો છો. આ જ જીવનનું રહસ્ય છે - ગાય દૂધ નથી આપતી. તમે એને ન દોહો, મહેનત ના કરો તો એ દૂધ નથી આપતી. પણ નવી પેઢીને બધું તૈયાર ભાણે જોઈએ છે. તેઓ માને છે કે ગાય દૂધ આપે છે. વગર મહેનતે, વગર પૈસે - મફતમાં. આ માનસિકતા ખોટી છે.

તેઓ ધારે છે "મારે બસ ઈચ્છા કરવાની છે, માગવાનું છે અને મને વસ્તુ મળી જાય છે."

તેમને તેઓ જે ઈચ્છે તે સરળતાથી મેળવવાની આદત પડી ગઈ છે. પણ ના, જીવનમાં બધું એટલું સરળ નથી. તમે ધારો, માગો એ બધું તમને વગર મહેનતે મળી જતું નથી. સિંહના મોઢામાં હરણ સામે ચાલીને આવી પડતું નથી. કોઈને પણ જે મળે છે એ મહેનત કર્યા બાદ જ મળે છે. એ મહેનત કર્યા બાદ તમને સાચું સુખ અનુભવવા મળે છે. વગર મહેનતે ક્રોધ અને નિરાશા સાંપડે છે.'

    તમારા બાળકો નાના હોય ત્યારથી જ જીવનનો આ મંત્ર તેમને જણાવો. જેથી તેઓ એવી માનસિકતા સાથે મોટા ન થાય કે તેમને જે કંઈ પણ જોઈએ છે તે સરકાર કે તેમના માતા પિતા કે પછી તેમનો નાજુક, સુંદર ચહેરો તેમને વગર મહેનતે રળી આપશે. જેની તેમને જીવનમાં જરૂર છે, એ મેળવવા તેમણે મહેનત કરવી પડશે.

યાદ રાખો -

ગાય દૂધ નથી આપતી, તમારે તેને દોહવી પડે છે.

(ઇન્ટરનેટ પરથી)  


No comments:

Post a Comment