Sunday, July 25, 2021

આશા, ઉત્સાહ અને હકારાત્મકતાનો સંચાર

એક રાજા પાસે ઘણાં હાથી હતાં. પણ આ બધાં માંથી રાજાને એક હાથી વિશેષ પ્રિય હતો કારણ તે ઘણો શકિતશાળી, આજ્ઞાકારી, સૂઝબૂઝ ધરાવતો અને કૌશલ્યધારી હતો - ખાસ કરીને યુદ્ધમાં લડવામાં.

ઘણાં યુદ્ધમાં તેને સમરાંગણમાં મોકલવામાં આવતો અને તે યશસ્વી થઈ પાછો ફરતો. આમ રાજાને ઘણી વાર વીજયી બનાવવાને કારણે તે રાજાને ખૂબ પ્રિય હતો.

સમય તો વહેતો જ રહે છે. તેના વહેણમાં એક સમય એવો આવ્યો જ્યારે આ હાથી વૃદ્ધ થઈ ગયો. હવે તેનું બળ ઓછું થયું હતું. આથી રાજાએ તેને લડાઈના મેદાનમાં મોકલવાનું બંધ કર્યું. છતાં તે રાજાના કાફલાનો તો ભાગ હતો જ.

એક દિવસ આ હાથી પાણી પીવા તળાવે ગયો. પણ તેનો પગ ત્યાં કાદવમાં ખૂંપી ગયો અને તે ડૂબવા લાગ્યો. તેણે બચવા માટે ખૂબ ફાંફા માર્યા પણ એમાં તે ફાવ્યો નહીં.

તેની બૂમો સાંભળી લોકો ત્યાં ભેળાં થયાં અને સૌ એ જોયું કે હાથી મુશ્કેલીમાં ફસાયો છે. રાજા સુધી આ ખબર પહોંચી ગઈ.

રાજા પોતાના ખાસ માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને બધાં એ હાથીને બચાવવાના પ્રયત્નો કરવા માંડ્યા. પણ ઘણાં સમય સુધી મહેનત કરવા છતાં કોઈ હાથીને કાદવમાંથી બહાર કાઢી શક્યું નહીં.

એ સમયે ગૌતમ બુદ્ધ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે આ દ્રશ્ય જોયું. તેમણે રાજાને હાથીને બચાવવા તળાવ પાસે યુદ્ધમાં વગાડાતાં નગારા વગાડાવવાનું સૂચન કર્યું.

સાંભળનારાઓ સૌ આવું વિચિત્ર સૂચન સાંભળી ચોંકી ઉઠયા. યુદ્ધમાં વગાડાતાં નગારા વગાડી કઈ રીતે કાદવમાં ફસાયેલા હાથીને બહાર કાઢી શકાય એ તેમની સમજની બહાર હતું. પણ તેમનામાં ગૌતમ બુદ્ધના સૂચન સામો પ્રશ્ન કે સંદેહ કરવાની હિંમત નહોતી. તરત તળાવ પાસે નગારા મંગાવવામાં આવ્યા અને તેમને વગાડવાનું શરૂ થયું.

જેવો હાથીએ યુદ્ધમાં વગાડાતાં નગારાંનો ધ્વનિ સાંભળ્યો કે તરત તેના હાવભાવ, વર્તન અને નિર્ધારમાં દેખીતું પરિવર્તન જોવા મળ્યું.

પહેલાં હાથી ધીરે ધીરે પોતાના પગ પર જ ઉભો થયો અને પછી તેણે પોતાના બળ અને બુદ્ધિનો ઉપયોગ કર્યો અને થોડી જ વારમાં તે પોતાની મેળે કાદવમાંથી બહાર આવી ગયો. સૌ કોઈ આ જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં.

ગૌતમ બુદ્ધે સસ્મિત કહ્યું, "હાથીમાં બળની કમી નહોતી પણ તેનામાં ઉત્સાહ, પ્રેરણા અને અંતર થી જીતવાની ઈચ્છા ફૂંકવાની જરૂર હતી. જીવનમાં ઉત્સાહ જાળવી રાખવા મનુષ્યે પણ અર્થપૂર્ણ વિચારધારા અપનાવવાની જરૂર છે અને નિરાશાને પોતાના પર હાવી થવા દેવાની નથી."

  આજે સમય થોડો કઠણ છે, તેવામાં આપણે સૌ એ પોતાનામાં તેમજ આપણી આસપાસનાં લોકોમાં આશા અને ઉત્સાહનો સંચાર કરતા રહેવાનો છે, પેલાં હાથીને મુશ્કેલીમાંથી બહાર કાઢનાર યુદ્ધનગારાં જેવાં વાદ્ય વગાડી. તેના હકારાત્મક ધ્વનિ દ્વારા આનંદની છોળો ઉડાડવાની છે અને તંદુરસ્તી અને સુખ છલકાવવાના છે.

યાદ રાખો : આ પણ પસાર થઈ જશે. સુખ ફેલાવો... આનંદ પ્રસરાવો...

 

(ઈન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment