Tuesday, December 25, 2018

રોજ કરવા જેવા ઉમદા કામ

# જે બધાં ને તમે મળો તેમને પૂછો "કેમ છો? મજા માં?"
# જો કોઈ રાહ ભૂલી ગયું હોય તો તેને માર્ગદર્શન આપો.
# તરસ્યાને પાણી પાઓ.
# જો કોઈક કઇંક સમજાવી રહ્યું હોય તો વચ્ચે દખલ ન કરો.
# જ્યારે ખોટા હોવ તો "મને માફ કરશો" કહેવામાં નાનમ ન અનુભવો.
# ક્યારેક કોઈકને કતારમાં તમારાથી આગળ જવા દો.
# હંમેશા કોઈ પણ સ્વયંસંચાલિત દરવાજામાં તમારી સાથે થઈ ગયું હોય તો તેને પહેલા આગળ જવા દો અથવા તે  પસાર થઈ રહે ત્યાં સુધી દરવાજો પકડી ઉભા રહો.
# તમે રોજ જેમની સાથે વાતચીત કરો તેમાંના પહેલા ત્રણ જણ ને કોઈક બાબત શોધી, તેના માટે પ્રશંસાના બે શબ્દો કહો.
# એકાદ છોડ ખરીદી તેને એવા કુંડામાં વાવો જેના પર તમે લખી શકો. તેના પર તમારા કોઈ દોસ્ત વિષે વિચારી તેના સારા ગુણો અને ખાસિયતો લખો અને એ કુંડુ તમારા એ દોસ્તને  ભેટમાં આપો.
# દરેક જણ મહત્વનું છે. તમારા ઓફીસ સિક્યોરિટી ગાર્ડનું નામ, રિસેપ્શન પર બેસતી વ્યક્તિ, લિફ્ટ માં રોજ તમને ઉપર - નીચે લઈ જતી વ્યક્તિ - આ બધાનાં નામ તમને ખબર હોવા જોઈએ.
# જ્યારે તમારી આસપાસ સઘળાં ગુસપુસ કરી રહ્યાં હોય ત્યારે તેમાં જોડાઈ ન જતાં શાંત રહો.
# જો તમે સોશિયલ મીડિયામાં કોઈ વિષે ગુસ્સામાં કમેંટ કરવા માગતા હોવ તો એ ટાળો.
# ક્યારેક કોઈક ખાસ જણ માટે રાંધો.
# કોઈકને તેની કોઈ ભૂલ માટે માફ કરી દો અને તેની સમક્ષ એ મુદ્દો ફરી ન ઉખેળો.

(ઇન્ટરનેટ પરથી)

Saturday, December 15, 2018

પુસ્તકોની ભેટ આપવાનું સ્વપ્ન

        બાર વર્ષની એ છોકરીને વાંચવાનો ભારે શોખ! તેના ગામનાં નાનકડા પુસ્તકાલયમાંનું દરેકે દરેક પુસ્તક તેણે વાંચી કાઢયું. હવે તેને પુસ્તકાલય જવાનો કંટાળો આવતો કારણ ત્યાં કોઈ નવા પુસ્તક હતા જ નહીં, જે તેના વાંચવાનાં બાકી હોય. એક દિવસ મોડી સાંજે એ તેના દાદા સાથે આંટો મારી રહી હતી. પુસ્તકાલય પાસેથી પસાર થયા ત્યારે તેણે પોતાનો કંટાળો દાદા સમક્ષ વ્યક્ત કર્યો. અંધારું થવા આવ્યું હતું અને તે દાદાનો હાથ પકડી તેમને દોરી જતી હતી. દાદાએ તેને કંટાળો દૂર કરવા એક સૂચન કર્યું. તેમણે કહ્યું તેઓ એક પ્રસિદ્ધ કાવ્યની પહેલી પંક્તિ ગાશે અને તેણે યાદ કરી એ જ કાવ્યની બીજી પંક્તિ ગાવાની. તેણે દાદાને હકારાત્મક પ્રતિભાવ આપતા કહ્યું તે ચોક્કસ એમ કરવા પ્રયત્ન કરશે.
      દાદાએ ગાયું, "જો મને પાંખો હોત તો..."
      તરત છોકરીએ જવાબ આપ્યો, "તો હું તરત બાજુના ગામનાં પુસ્તકાલય માં જઈ ત્યાંનાં બધાં પુસ્તકો વાંચી કાઢત!"
       તેના દાદાને આવો જવાબ સાંભળી નવાઈ લાગી. તેમણે તેને પોતાનો જવાબ ફરી કહી સંભળાવવા જણાવ્યું. તેણે ફરી પોતાનો એ જ જવાબ દોહરાવ્યો, "તો હું તરત બાજુના ગામનાં પુસ્તકાલય માં જઈ ત્યાંનાં બધાં પુસ્તકો વાંચી કાઢત!"
        દાદા હસી પડ્યા અને તેમણે કહ્યું," કાવ્ય પૂરું કરવાની કેવી અનોખી રીત!"
         ઘેર ગયા બાદ તેના દાદાએ ચટાઈ પર બેસી તેને પાસે બોલાવી કહ્યું, "તને ખબર છે બેટા, અમેરીકામાં એન્ડ્રુ કારનેગી નામનો એક મહાન કરોડપતિ માણસ હતો. તેણે પોતાની સઘળી સંપત્તિ પોતાના સંતાનો વચ્ચે વહેંચી ન દેતા, એના ઉપયોગ દ્વારા તેની આસપાસના વિસ્તારમાં આવેલા શક્ય એટલા વધુને વધુ ગામોમાં પુસ્તકાલય બનાવવા માટે ખર્ચી નાખી."
        આ વાત સાંભળી તે છોકરીએ મનમાં ગાંઠ વાળી કે જો તે મોટી થઈને પૈસાદાર બનશે તો તે પણ પોતાની સંપત્તિ પોતાના ગામનાં અને તેની આસપાસના વિસ્તારોમાં શક્ય એટલા વધુ ને વધુ પુસ્તકાલયોમાં નવા નવા પુસ્તકો વસાવવામાં ખર્ચશે.
        એ છોકરી એટલે સુધા મૂર્તિ. તેઓ ઇન્ફોસિસ ફાઉંડેશનના ચેરપર્સન છે,જે સોફ્ટવેર જાયંટ ઇન્ફોસિસ કંપનીની સખાવત અને સમાજ સેવા પાંખ છે જેની સ્થાપના ૧૯૯૭ માં થઈ હતી. તે એક એંજીનિયરીંગ કોલેજમાં અનુ સ્નાતક વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સાઇન્સ પણ ભણાવે છે. તે પોતાના પરોપકારી કામો માટે ખૂબ સુવિખ્યાત છે. કર્ણાટક રાજ્યની દરેક શાળામાં કમ્પ્યુટર અને પુસ્તકાલયની સુવિધા ફરજિયાત હોય એ માટે તેમણે એક અભિયાન શરૂ કર્યું હતું. તેમણે પોતાનું સ્વપ્ન પૂરું કર્યું છે, જે તેમણે એક બાળક તરીકે જોયું હતું. તેમણે ૧૦૦૦૦ કરતાં વધુ પુસ્તકાલયોને પુસ્તકો ભેટ આપ્યાં છે.

(ઇન્ટરનેટ પરથી)

Sunday, December 9, 2018

એક બોધકથા : વિનમ્રતા

         એક વાર નદીને પોતાના પાણીના પ્રચંડ વહેણ ઉપર અભિમાન થયું. તેને લાગ્યું કે મારામાં એટલી તાકાત છે કે હું પહાડ, મકાન, ઝાડ, પશુઓ, માનવ વગેરે બધાંને વહાવી લઈ જઈ શકું છું.

     તેણે ઘણાં ગર્વીલા સ્વરે સમુદ્રને કહ્યું, "કહો જોઈએ, તમારા માટે શું તાણી લાવું? મકાન, પશુ, માનવ, વૃક્ષ જે કંઈ તમે કહેશો તે હું તમારા માટે મૂળ સહિત ઉખાડીને લઈ આવીશ! “

       સમુદ્ર ને સમજાઈ ગયું કે નદીને અભિમાન આવી ગયું છે. તેણે નદીને કહ્યું, "જો તું મારા માટે કંઈક લાવવા જ ચાહતી હોય તો થોડું ઘાસ ઉખાડી લાવ."
     
        નદીએ તોરમાં કહ્યું, "બસ, આટલું જ માંગ્યું! હમણાં જ લઈ આવું."

        નદીએ પોતાના જળનું સઘળું જોર અજમાવ્યું. પણ ઘાસ તો ઉખડ્યું જ નહીં! નદીએ અથાગ પ્રયત્નો કર્યાં, પણ વ્યર્થ. આખરે નદી સમુદ્ર પાસે ગઈ અને બોલી, "હું વૃક્ષ, મકાન, પહાડ વગેરે તો ઉખાડીને લાવી શકું છું પણ જ્યારે જ્યારે ઘાસને ઉખાડી લાવવાની કોશિશ કરું છું ત્યારે ત્યારે એ નીચે તરફ ઝૂકી જાય છે અને મારે ખાલી હાથે તેની ઉપરથી પસાર થઈ જવું પડે છે."

        સમુદ્રએ નદીની વાત ધ્યાનથી સાંભળી અને પછી હસતા હસતા કહ્યું, "જે પહાડ અને વૃક્ષની જેમ કઠોર હોય છે તે આસાનીથી ઉખડી જાય છે પણ ઘાસ જેવી વિનમ્રતા જેણે શીખી લીધી હોય, તેને પ્રચંડ આંધી - તોફાન કે પ્રચંડ વેગ પણ ઉખાડી શકતા નથી. "

       જીવનમાં ખુશીનો  અર્થ લડાઈઓ લડવી એમાં નથી, બલ્કે એમનાથી બચવામાં છે. કુશળતા પૂર્વક પીછેહઠ પણ ક્યારેક જીતનું કારણ બને છે. અભિમાન ફરીશ્તાઓને પણ શેતાન બનાવી દે છે અને વિનમ્રતા સાધારણ મનુષ્યને પણ ફરીશ્તો બનાવી દે છે.

(ઇન્ટરનેટ પરથી)

રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વચ્ચેનો દુર્લભ વાર્તાલાપ

સ્વામી વિવેકાનંદ : મને સમય જ મળતો નથી. જીવન અતિ વ્યસ્ત થઈ ગયું છે.
રામકૃષ્ણ પરમહંસ : પ્રવૃત્તિ (activity) તમને વ્યસ્ત રાખે છે જ્યારે ઉત્પાદકતા (productivity) તમને મુકત કરે છે.

સ્વામી વિવેકાનંદ : જીવન હવે શા માટે સંકુલ બની ગયું છે?
રામકૃષ્ણ પરમહંસ : જીવનનું વિશ્લેષણ કરવાનું બંધ કરી દે, એમ કરતાં એ સંકુલ બની જાય છે. માત્ર એને જીવી જાણ.

સ્વામી વિવેકાનંદ : આપણે શા માટે સતત દુ:ખી રહીએ છીએ?
રામકૃષ્ણ પરમહંસ : ચિંતા કરવી એ આપણી આદત બની ગઈ છે તેથી આપણે દુ:ખી રહીએ છીએ.

સ્વામી વિવેકાનંદ : સારા માણસોએ શા માટે હંમેશા સહન કરવાનો વારો આવે છે?
રામકૃષ્ણ પરમહંસ : હીરો ઘસાયા વગર ચળકાટ પ્રાપ્ત કરી શકે નહીં, સોનું તપાવ્યા વગર શુદ્ધ થઈ શકે નહીં, સારા માણસો કસોટી માંથી પસાર થાય છે પણ એનાથી વિચલિત થતાં નથી. એ અનુભવો દ્વારા તેમનું જીવન સમૃદ્ધ બને છે.

સ્વામી વિવેકાનંદ : તમે કહેવા માગો છો કે આવા અનુભવો ઉપયોગી છે?
રામકૃષ્ણ પરમહંસ : હા, દરેક ક્ષેત્રે, દરેક સમયે અનુભવ શ્રેષ્ઠ શિક્ષક સાબિત થાય છે. એ પહેલાં તમારી કસોટી લે છે અને પાઠ પછી શીખવે છે.

સ્વામી વિવેકાનંદ : આટલી બધી મુશ્કેલીઓ ને લીધે ખબર નથી હું કઈ દિશામાં જઈ રહ્યો છું.
રામકૃષ્ણ પરમહંસ : જો તારું ધ્યાન બહાર તરફ જ હશે તો તને ખ્યાલ નહીં આવે તું કઈ દિશામાં જઈ રહ્યો છે. તારી અંદર ડોકિયું કર. આંખો દ્રષ્ટિ પૂરી પાડશે, હ્રદય સાચો માર્ગ બતાવશે.

સ્વામી વિવેકાનંદ : શું નિષ્ફળતા સાચી દિશામાં જવાથી પડતા કષ્ટો કરતા વધુ દુ:ખ પહોંચાડે છે?
રામકૃષ્ણ પરમહંસ : સફળતા એ તો અન્યો દ્વારા નક્કી કરાયેલ માપદંડ છે. જાત દ્વારા તો સંતોષનો અનુભવ કરાવો જોઈએ.

સ્વામી વિવેકાનંદ : મુશ્કેલ સમયમાં પોતાને કઈ રીતે ઉત્સાહિત રાખી શકાય?
રામકૃષ્ણ પરમહંસ : હંમેશા એ ધ્યાનમાં રાખો કે તમે કેટલે પહોંચ્યા છો, નહીં કે તમારે હજી કેટલું અંતર કાપવાનું બાકી છે. હંમેશા તમને મળેલી દુઆઓ ધ્યાનમાં રાખો, અભાવો નહીં.

સ્વામી વિવેકાનંદ : લોકો વિશેની કઈ વાત તમને નવાઈ પમાડે છે?
રામકૃષ્ણ પરમહંસ : જ્યારે તેઓ દુ:ખમાં હોય ત્યારે પૂછે છે કે "મારી સાથે જ આવું શા માટે?" પણ જ્યારે સુખમાં હોય ત્યારે નથી પૂછતાં કે "મારી સાથે આવું શા માટે?"

સ્વામી વિવેકાનંદ : હું જીવનને સર્વ શ્રેષ્ઠ રીતે કેમ કરી જીવી શકું?
રામકૃષ્ણ પરમહંસ : તમારા ભૂતકાળનો પસ્તાવા વગર સામનો કરો, વર્તમાનને આત્મવિશ્વાસ પૂર્વક સંભાળો અને ભવિષ્ય માટે નિર્ભયતા પૂર્વક તૈયારી કરો.

સ્વામી વિવેકાનંદ : એક છેલ્લો સવાલ. ક્યારેક મને લાગે છે કે ઇશ્વર મારી પ્રાર્થના સાંભળતો નથી, તેનો જવાબ આપતો નથી.
રામકૃષ્ણ પરમહંસ : ક્યારેય કોઈ પ્રાર્થના જવાબ વગરની રહેતી નથી. શ્રદ્ધા રાખો અને ડર ખંખેરી નાખો. જીવન એક રહસ્ય છે જેને ઉલ્ઝાવવાનું છે, તે કોઈ સમસ્યા નથી જેને ઉકેલવાની હોય. જીવન અદભૂત ભેટ છે, જો તેને સારી રીતે જીવતા આવડે તો. હંમેશા ખુશ રહો.

(ઇન્ટરનેટ પરથી)

અમિતાભ બચ્ચન રોજ સવારે દુધ વગરની ચા શા માટે પીએ છે?

અમિતાભ બચ્ચન રોજ સવારે દુધ વગર ની ચા પીએ છે કારણકે... વાંચો તેના જ શબ્દોમાં :

૧૯૯૭ નો ગંભીર સમય ચાલી રહ્યો હતો. રાતના ઉજગરા લગભગ સાહજીક થઇ ગયા હતા. સવારે ઉઠવામાં સહેજ  મોડું થયુ. રોજની આદત મુજબ થોડુ વોક કર્યુ અને ટેરસ ગાર્ડનમાં આવ્યો. રોજીંદા ક્રમ મુજબ વર્તમાન પત્રો આવ્યા, પણ ચા ના આવી. છેલ્લા ૨૬ વર્ષ થી પરીવાર ના સભ્ય બની ગયેલા જશોદાતાઇ ને બુમ પાડી પુછ્યુ ચા નું, તો તેણે કહ્યું કે દુધ નથી આવ્યું. મને યાદ નથી કે ક્યારેય મારા ઘેર દુધ ન આવ્યુ હોય તેવુ બન્યુ હોય. વાતને કોઇ કારણ થી સાહજીક ગણી ને અન્યથી દુધની વ્યવસ્થા કરી. બીજા દિવસે પણ તે જ ક્રમ બન્યો. દુધ ના આવ્યુ.  મારી ચા ની વ્યવસ્થા તો થઇ ગઇ પણ ચા નો ટેસ્ટ રોજ બદલાવવા લાગ્યો. ખબર નહીં લગભગ એક અઠવાડીયા પછી મને ખબર પડી કે મારી અને મારી કંપની ABCL વિશેના સાચા ખોટા સમચાર મિડીયામાં આવતા તથ્યહિન સમાચારોની અસર એ દુધ વાળા પર પડી હતી અને પોતાના પૈસાની સલામતીની ચિંતા માટે તેણે તાત્કાલિક દુધ બંધ કરી દીધું હતું. તે મારા ઘરે રોજ ૩ લિટર જેટલુ દુધ આપતો હતો અને છેલ્લા ૧૭ વર્ષ થી આપતો હતો ...... સમાચાર સાંભળી મારા લેણીયાતો પ્રત્યેનો મારો ગુસ્સો ઓગળી ગયો. મેં રીતસર ટેરેસ પર જઇ ખૂલ્લા આકાશ સામે અટ્ટાહાસ્ય કર્યુ. હું ટેન્શનમાંથી હળવો ફુલ બની ગયો. મને પ્રતિત થયુ કોઇ મને કહી રહ્યુ હતુ, સંકેત આપી રહ્યુ હતુ,  દોસ્ત સહુ થી મહાન સમય છે આ એજ સુપર સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચન છે જેના નામ ના ભારત ની ફિલ્મ ઇન્ડ. માં ડંકા પડતા હતા, ઓટોગ્રાફ માટે લાઇનો લાગતી હતી. એજ અમિતાભ છે જેની માં તેજી બચ્ચન ભારતના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન ઇંદિરાજીની મિત્ર હતી, જે ભારતના તત્કાલિન વડાપ્રધાન રાજીવજીનો મિત્ર હતો, જેના પિતા પૂજ્ય હરિવંશ રાય બચ્ચન રાષ્ટ્રભાષા હિંદી ના મોટા દરજ્જા ના કવિ હતા જેની પત્ની સફળ હિન્દી અભિનેત્રી છે તે અમિતાભ ના ઘર નુ દુધ પણ દુધ વાળો બંધ કરી શકે છે ...વાંચકો આપણે માત્ર સમય ની કઠપુતળી ઓ છીએ ... હોશિયાર સમયને માન આપો, વ્યક્તિઓ પ્રત્યે રાગ -દ્વેષ ના રાખો, કોઇ ભેદી શક્તિ તેને આપણા વિશે સારા ખરાબ વિચારો લાવે છે. હા અને મેં મારા પિતાશ્રીની સ્મૃતી માં ધારાવી ઝુડપપટ્ટી નો વ્યક્તિગત ધોરણે દુનિયાનો  સહુ થી મોટો મફત દુધ નો પ્રોજેક્ટસ કરેલ, ત્રણ વર્ષ સુધી ચાહકો અને મિત્રો ના સૌજન્ય થી ચલાવેલ જેના પર થી મહારાષ્ટ્ર સરકાર દુધ સંજીવની યોજના લાવી ... મારા ઘરનું દુધ, દુધ વાળા એ બંધ કર્યુ કારણે મારા વિશે ની ગેરસમજો વધુ ઝડપ થી ફેલાઇ રહી હતી પણ એક દુધવાળો મને ઘણુ શિખવી ગયો આજે પણ હું હવે સવારે દુધવાળી ચા નથી પીતો, બ્લેક ટી પીવું છું માટે જ સમય ને યાદ રાખી કામ કરી શકું છું .....

(વિરેન્દ્ર કપૂર લિખિત અમિતાભ બચ્ચન ની બાયોગ્રાફી "EXCELLENCE"
પેજ નં ૨૧૩-૨૧૪  ગુજરાતી અનુવાદ - અરૂણ મેઘ)

(ઇન્ટરનેટ પરથી)