Sunday, July 18, 2021

જીવન જીત કે હારથી કંઈક વિશેષ છે

એક દિવસ એક યુવાન લામાઓનાં મઠમાં જઈ તેને ખાવાનું અને કંઈક કામ આપવાની વિનંતી કરવા લાગ્યો.

મુખ્ય લામાએ તેને પૂછયું કે તે શું શું જાણે છે? તેણે શું શું વાંચ્યું છે? તે કયા કયા કામ કરી જાણે છે?

યુવાને જવાબ આપ્યો : હું શાળામાં તો ક્યારેય જઈ શક્યો નથી કે નથી મારી પાસે કોઈ વિશેષ પ્રકારની આવડત. મેં અત્યાર સુધી છૂટક છૂટક કામો કર્યાં છે જેવા કે એઠાં વાસણ ધોવા, મકાન સાફ કરવું વગેરે. મને બીજું કંઈ ખબર નથી.

મુખ્ય લામાએ ફરી પ્રશ્ન કર્યો : શું તને ખાત્રી છે કે તને બીજું કંઈ આવડતું નથી?

યુવાને જવાબ આપ્યો : અરે હા! હવે યાદ આવ્યું, હું સારી રીતે શતરંજ રમી જાણું છું.

મુખ્ય લામાએ કહ્યું : સરસ. તારે આ સાબિત કરવા કસોટીમાંથી પસાર થવું પડશે. તેણે અન્ય એક લામા સાધુને શતરંજનું પાટીયું અને સોગઠીઓ લઈ આવવા જણાવ્યું અને એક લામા જેને શતરંજ રમતા આવડતી હતી તેને યુવાન સાથે રમત શરૂ કરવા જણાવ્યું.

હવે શતરંજની રમત શરૂ થાય એ પહેલાં એક તલવાર હાથમાં લઈ તેમણે એલાન કર્યું કે જે આ રમત હારશે તેનું નાક આ તલવારથી કાપી નાખવામાં આવશે.

યુવાન થોડો ગભરાયો. પણ તેણે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી આ શરત સ્વીકારી લીધી અને રમત શરૂ કરી.

શરૂઆતમાં યુવાને થોડી ભૂલો કરી અને રમતમાં તેની સ્થિતી અતિ ખરાબ બની ગઈ. પણ પછી તેણે સ્વસ્થતા હાંસલ કરી, પોતાનું સંપૂર્ણ ધ્યાન રમત પર કેન્દ્રિત કર્યું અને હારેલ બાજી તેણે સુધારી લીધી. હવે જીત તેના હાથવેંતમાં હતી.

તેણે સામે બેઠેલા લામા સાધુ સામે જોયું. તે અસ્વસ્થ નહોતો પણ રમતની સ્થિતી તેની તરફેણમાં ન રહેતા તે થોડો વિચલિત જણાયો.

યુવાને વિચાર્યું, "હું સાવ નકામો છું. હું હારી જઈશ અને મારું નાક કપાઈ જશે તો દુનિયામાં કોઈને કંઈ ફરક પડવાનો નથી. પણ આ લામા સાધુ જ્ઞાની છે, ધ્યાન ધરે છે અને બુદ્ધત્વ ધારણ કરવાના માર્ગે છે. તે શા માટે હારી જવો જોઈએ. એ હારશે તો ચોક્કસ ફરક પડશે. એમ ન થવું જોઈએ." આમ વિચારી તેણે જાણી જોઈને એવી ચાલ ચાલી કે પોતે હારી જાય અને સામે વાળા લામા સાધુને જીતવાની તક મળે.

મુખ્ય લામા આ સમગ્ર ઘટના ક્રમ નિહાળી રહ્યા હતા. તેમણે અચાનક રમત પૂરી થાય એ પહેલાં તલવાર વડે રમત વિખેરી નાખી અને કહ્યું રમત પૂરી થઈ ગઈ છે. છોકરા, તું જીતી ગયો. હવે તું અમારી સાથે જ મઠમાં કાયમ માટે રહી શકશે.

યુવાન મૂંઝાઈ ગયો. મુખ્ય લામા એ તેને સમજાવ્યું : મેં તને શતરંજ રમવા તારું રમતમાં કૌવત કેટલું છે તે સાબિત કરવા નહતો આમંત્ર્યો. પણ મારે બે અતિ મહત્ત્વની બાબતો તારામાં ચકાસવી હતી.

એક છે મહા પ્રજ્ઞા. પોતાની જાત અંગે સભાનતા. જે મેં તારામાં જોઈ છે. જ્યારે તું હારવા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે એક સમયે તે એ અંગે જાગૃત થઈ પોતાનું સંપૂર્ણ ધ્યાન રમત સુધારવા પર કેન્દ્રિત કરી બાજી પલટી નાંખી. તું જીત સુધી પહોંચી ગયો. આ મહા પ્રજ્ઞા છે.

બીજી છે મહા કરુણા. દયા. એ પણ તે ખૂબ સારી રીતે દાખવી. જ્યારે તારો પ્રતિસ્પર્ધી હારવાની અણી પર હતો ત્યારે તે પરમ કરુણા દાખવી અને જાણી જોઈને એવી ચાલ ચાલી કે એ જીતી શકે.

આ બે સદ્ગુણો તમે જે જીવન જીવી રહ્યા છો તે અર્થપૂર્ણ બનાવવા અને સાધના કરવા પૂરતા છે.

જીવન માત્ર જીતવા કે હારવાનું નામ નથી. તમે કંઈ જીતતા નથી અને કંઈ હારતા નથી. વધુ માં વધુ તમે તમારો મર્યાદિત સમય જેને જીવન કહે છે તે શ્રેષ્ઠ રીતે માણી અથવા સહન કરી શકો છો. પણ આ માણો છો એ આનંદ કે સહન કરો છો એ પીડા પણ તમારી કલ્પનાથી વિશેષ બીજું કંઈ નથી.

જૂજ લોકો આ આનંદ કે પીડા, જીત કે હાર વગેરે થી પાર જઈ જુદી જ કેડી કંડારે છે.

જીતો કે હારો, પણ એક મહાન જીવન જીવો.

(ઇન્ટરનેટ પરથી)


No comments:

Post a Comment