Saturday, December 24, 2011

શ્રેષ્ઠ ગુણવત્તા જાપાન પાસેથી શીખો

કમ્પયુટર જગતની અગ્રગણ્ય કંપની આઈ.બી.એમે પ્રાયોગિક ધોરણે પોતાના કમ્પ્યુટર માટેના કેટ્લાક જરૂરી ભાગોનું ઉત્પાદન જાપાનમાં કરાવવાનું નક્કી કર્યું.


આ ભાગોના સ્પેસિફીકેશન્સની યાદીમાં એમ જણાવાયું હતું કે તૈયાર થયેલા ભાગોમાં દસ હજાર નંગમાં ફક્ત ત્રણ ખામીયુક્ત ભાગ સ્વીકારવામાં આવશે.

જ્યારે આ ભાગોની ડિલીવરી આવી ત્યારે સાથે એક પત્ર બીડેલો હતો જેમાં લખ્યું હતું:

“અમને જાપાનીઓને ઉત્તર અમેરિકાના ધંધા-વ્યવસાય કરવાની રીત સમજવામાં ખૂબ મુશ્કેલી પડી.ખામીયુક્ત ભાગોની જરૂર જ શા માટે પડે? અને તે તૈયાર પણ કઈ રીતે કરવા?! અમે દસેક લાખ ભાગ તૈયાર કરીએ તેમાં પણ એકેય ભાગ ખામીયુક્ત હોતો નથી. આમ છતાં ખાસ્સી મથામણ બાદ અમે ત્રણ ખામીયુક્ત ભાગ તૈયાર કરી શક્યા છીએ. દસહજારમાંથી આ ત્રણ ખામીયુક્ત ભાગ અલગ તૈયાર કરી તેને એક જ કન્સાઇનમેન્ટમાં પણ અલગ પેક કરી સાથે જ મોકલ્યા છે અને તેના પેકેટ પર 'ખામીયુક્ત ભાગ' એમ મોટા અક્ષરે દર્શાવેલું છે.આશા છે અમે આપની અપેક્ષા પૂર્ણ કરી આપને ખુશ કરવામાં સફળ થઈશું."


('ઈન્ટરનેટ પરથી')

Sunday, December 18, 2011

જીવન જીવવા માટે જ છે !

જીવન જીવવા માટે જ છે! તેમાં કોઈ બહાના ન જોઇએ.કોઈ પૂર્વગ્રહો ન હોવા જોઇએ.મનમાં ગાંઠ વાળવાની વૃત્તિ ન હોવી જોઇએ.


ખ્યાતનામ વાયોલીનવાદક ફ્રિત્ઝ ક્રિસ્લર પાસે તેમનું મનપસંદ વાદ્ય - એક વાયોલીન કઈ રીતે આવ્યું તેની કથા અતિ રસપ્રદ છે. તેમને જ્યારે એ પહેલી વાર ગમી ગયું ત્યારે તેની કિંમત અતિ વધુ હોવાથી તેઓ એ ખરીદી શક્યા નહિં પણ તેમણે એ ખરીદવા માટે પૈસા ભેગા કરવાની શરૂઆત કરી દીધી.આખરે જ્યારે તેઓ જરૂરી રકમ એકઠી કર્યા બાદ દુકાને પોતાનું મનપસંદ વાયોલીન ખરીદવા ગયા ત્યારે તેમને જાણ થઈ કે એ વાયોલીન તો એક સંગ્રાહક સંગીતરસિકે ખરીદી લીધું હતું.

તેમની એ વાયોલીન પ્રાપ્ત કરવાની ઝંખના એટલી તીવ્ર હતી કે તે દુકાનદાર પાસેથી પેલા સંગ્રાહક જેણે એ વાયોલીન ખરીદ્યું હતું, તેનું સરનામું મેળવી એ તેના ઘેર પહોંચી ગયા , તેને એ વાયોલીન પોતાને વેચી દેવા સમજાવવા. પણ સંગ્રાહકને પણ એ વાયોલીન અતિ પ્રિય હતું અને તેણે એ વેચવાની ના પાડી દીધી.

નિરાશ ક્રિસ્લર ખાલી હાથે પાછો ફરવા જતો હતો પણ ત્યાં એને કંઈક વિચાર આવતા તે પાછો ફર્યો અને તેણે પેલા સંગ્રાહકને વિનંતી કરી કે શું તે માત્ર એક વાર તેને એ વાયોલીન વગાડવાની પરવાનગી આપશે?

સંગ્રાહક ના ન પાડી શક્યો અને મહાન સંગીતકારે વાયોલીન વગાડવું શરૂ કર્યું. અને જે અદભૂત સંગીત વાયોલીન માંથી વહી રહ્યું તેના જાદૂઈ સૂરમય પ્રવાહમાં સંગ્રાહક તણાઈ ગયો.

સમય ક્યાં વીતી ગયો તેનું ભાન ન રહ્યું ક્રિસ્લરને કે ન રહ્યું સંગ્રાહકને.

આખરે સંગીતનો એ અધ્યાય પૂરો થયા બાદ સંગ્રાહકે કહ્યું:"મને આ વાયોલીન મારી પાસે રાખવાનો કોઈ હક્ક નથી.આ વાયોલીન તમે જ લઈ જાઓ શ્રીમાન ક્રિસ્લર અને વિશ્વને તેમાંથી કર્ણપ્રિય સંગીતના રસપાનનો આસ્વાદ કરાવો."



વિલિયમ આર્થર વોર્ડે કહ્યું હતું : 'જો તમે પ્રાર્થનામાં માનતા હોવ તો પ્રાર્થના કરો, સેવામાં માનતા હોવ તો સેવા કરો અને જો આપવામાં માનતા હોવ તો આપો."

તમે અને હું ખાસ પ્રકારના વાયોલીન જેવા જ છીએ - જેનું સંગીત હજી નિર્માણ થવાનું બાકી છે. મારે મારું જીવન એ રીતે જીવવું છે - એ જગત સમક્ષ લઈ જઈ પૂરેપૂરું માણીને જીવવું છે.

કટાઈ જવા કરતાં હું થાકીને લોથપોથ થઈ જવું વધારે પસંદ કરીશ. હું મને જે કરવાની ઇચ્છા છે,જ્યાં કંઈ કરવાની ઇચ્છા છે, એ પૂર્ણ કર્યા વગર મરી જવા કરતાં, પૂરેપૂરો ખર્ચાઈ જવું વધુ પસંદ કરીશ.

હું અહિં જીવન માણ્યા વગર જ વૈતરું કરી કરી મરી જવાની વાત નથી કરતો.વધારે પડતી વ્યસ્તતામાં તો તમે ક્યારેય સુખી થઈ શક્તા નથી.પણ જો આપણે બીજાઓમાં રસ લઈ થોડું પરોપકારી જીવન જીવીએ તો ચોક્કસ સુખી થઈ શકાય.

કોઈ મદદ માટે હાથ લાંબો કરે ત્યારે મદદ કરીએ.યોગ્ય સંસ્થા સાથે જોડાઈ સારા કાર્ય કરીએ.એકલા પડી ગયેલા સ્નેહીજન,મિત્ર કે સગા સાથે થોડો સમય પસાર કરીએ.

અંતે તો સુખ મારી ક્ષમતા કે મારી અક્ષમતામાં નહિં પણ મારી (બીજાઓ માટેની) ઉપલબ્ધતા દ્વારા જ મળી શકશે.મારું જીવન મારે જીવવું છે.

- સ્ટીવ ગૂડિયર


('ઈન્ટરનેટ પરથી')

Sunday, December 11, 2011

આ નહિં ... આ સહી...

આ નહિં ...              આ સહી...


------------------- ------------------------

૧ ઇશ્વર                                                       માનવ

૨ ધર્મ                                                         માનવતા

૩ ભૂત-પ્રેત                                                  માણસ

૪ સ્વર્ગ-નર્ક                                                પૃથ્વી

૫ બ્રહ્મસત્ય                                                  જગતસત્ય

૬ બાળતાડન                                                બાળપ્રેમ

૭ વ્રત-ઉપવાસ                                            રુચી મુજબ પાચક ખોરાક

૮ ફાસ્ટફૂડ                                                     કુદરતી સાદો ખોરાક

૯ પેપ્સીકોલા                                                 છાશ, લીંબુપાણી

૧૦ સર્વ ધર્મ સમભાવ                                   સર્વ ધર્મ અભાવ

૧૧ રૂઢી-પરંપરા                                              નવું મૌલિક

૧૨ શ્રદ્ધા - અંધ શ્રદ્ધા                                        વિશ્વાસ

૧૩ કથા-પારાયણ                                             વિજ્ઞાન શિબિર

૧૪ જડ મૂર્તિ પૂજા                                           ચેતન માનવ પ્રેમ

૧૫ ચમત્કારો                                                    કુદરતી ઘટનાઓ

૧૬ રૂઢી લગ્ન                                                   પ્રેમ લગ્ન

૧૭ શિવલિંગ પર દૂધ                                      ભૂખ્યાને દૂધ

૧૮ યાત્રા - હજ                                                  આનંદ પ્રવાસ

૧૯ આરતી-પંચામૃત-છપ્પન ભોગ                  ગરીબને રોટલા

૨૦ જ્યોતિષ                                                    કર્મઠ પુરૂષાર્થ

૨૧ રથયાત્રા, તાજીયા                                   સ્વચ્છ રસ્તા

૨૨ વરસાદ કે જીત માટે હવન                    જળ બચાવ ને મહેનત

૨૩ શિક્ષક                                                    પ્રેરક પથ દર્શક

૨૪ માની લેવું                                              શંકા પ્રશ્નોથી સત્યશોધન

૨૫ ભગવો કે લીલો રંગ                                શાંતિનો સફેદ રંગ

૨૬ રામાયણ-ભાગવત-મહાભારત                  માર્ક્સનું ‘દાસ કેપિટલ’

૨૭ શાળા પ્રયોગ                                            પ્રગતિ શાળા

૨૮ આગળ પાછળ                                          સાથે જ

૨૯ સંઘર્ષ                                                         સહકાર

૩૦ હાર-જીત                                                    રમત જ મહત્વની



('ઈન્ટરનેટ પરથી')

Saturday, December 3, 2011

આંધળી માનો કાગળ , દેખતા દીકરાનો જવાબ અને કેનેડીયન દિકરાનો જવાબ

કવિ ઇન્દુલાલ ગાંધી (ડિસેમ્બર 8 , 1911 : જાન્યુઆરી 10, 1986) ના બીજા ઘણાં કાવ્ય/ગીતો જાણીતા છે, પણ 'આંધળી માનો કાગળ' તો જાણે એમના નામનો પર્યાય જ કહેવાય ! અને હા, એમણે લખેલો ‘દેખતા દીકરાનો જવાબ’ ઘણાએ વાંચ્યો – સાંભળ્યો હશે, પણ એ સિવાય પણ ઘણા કવિઓએ ‘દેખતા દીકરાનો જવાબ’ લખ્યો છે – આમાંનું એક કાવ્ય/ગીત ‘કેનેડીયન દિકરાનો જવાબ’ , કવિના નામનો તો ખ્યાલ નથી પણ જેણે લખ્યું છે તેને અભિનંદન પાઠવી, આજે મૂળ 'આંધળી માનો કાગળ', ‘દેખતા દીકરાનો જવાબ’ સાથે આજે ઇન્ટરનેટ કોર્નરમાં માણીએ.




આંધળી માનો કાગળ:

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,

પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,



ગગો એનો મુંબઇ કામે;

ગીગુભાઇ નાગજી નામે.



લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ

કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ!



સમાચાર સાંભળી તારા,

રોવું મારે કેટલા દ્હાડા ?



ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,

દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,



નિત નવાં લૂગડાં પ્હેરે

પાણી જેમ પઇસા વેરે.



હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,

દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ!



કાયા તારી રાખજે રૂડી,

ગરીબની ઇ જ છે મૂડી.



ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,

જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,



તારે પકવાનનું ભાણું,

મારે નિત જારનું ખાણું.



દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામે ઠામ,

આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,



તારે ગામ વીજળીદીવા,

મારે આંહીં અંધારાં પીવાં.



લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર

એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.



હવે નથી જીવવા આરો,

આવ્યો ભીખ માગવા વારો.



કવિ : ઇન્દુલાલ ગાંધી

**************************************************

દેખતા દીકરાનો જવાબ



ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,

આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.

વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.





પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,

આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’

બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !



ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ,

એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?

ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.



દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,

રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,

રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.



જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ,

બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?

મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.



ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,

શે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,

નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.



કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,

તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,

હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.



કવિ : ઇંદુલાલ ગાંધી

**************************************************



કેનેડીયન દિકરાનો જવાબઃ



માડી તારો દિકરો, ગ્યો કેનેડા, કમાવા કાજે....

શું લખું તને, કશું ય કહેવા જેવું નથી આજે....



પાંચ વરસ પાણીમાં ગ્યા....

હજુ શે'રીંગમાં જ રહેતો સાંજે....



તું નિત નવા લૂગડાંની કરે છે વાત, પણ જીન્સનું એક પેન્ટ રાખ્યું છે પાસ.

રોજની તો ક્યાં વાત કરૂં, મહિને એક્વાર ધોવાય તો યે ખાસ....



બાધ્યું-ટિફીનનું જ ખાવું પડે છે, મળે છે માપો-માપ...

દવાદારૂની ચિંતા નથી, સરકાર જ છે માઇ ને બાપ...!



માં, તારો કુબો તો કંઇકે ય સારો...અહીં બેઝ્મેન્ટ્માં આવે છે વાસ...

ભલે પી યે ટિમ-હોર્ટનની કાળી કોફી, તો યે નથી બુઝ્તી પ્યાસ...



તન તોડીને,ડિગ્રી ભૂલીને,જે મળે તે કરીએ છે કામ,

આખો દા'ડો રોતા રહીને, રાતે ભજીયે રામ...



ત્યાં લોકોને એમ છે કે, અહીં પૈસાના ઝાડ..!

ઊંચી ઊંચી બિલ્ડીંગોના ઊંચા ઊંચા પહાડ...



એ બિલ્ડીંગોની બારીએ બારીએ દિવા,

પણ પૈસા નથી મારે ઝેરે ય પીવા....



તારે ખૂટી છે જાર, પણ મારે ય અહીં બિલોની વણઝાર,

ખૂટે બીજું બધું, નથી ખૂટતી ઉઘરાણીની ભરમાર....



દેખતો થઇને કુવામાં પડ્યો,

સ્વર્ગની સીડી સમજીને પ્લેનમાં ચઢ્યો....



સાપે છછુંદર ગળ્યાનો વારો,

મારે નથી અહીં કોઇ આરો-ઓવારો...



વાંક આમાં દેખું છું મારો,

ભુલી જજે તું દિકરો તારો...



('ઈન્ટરનેટ પરથી')

Sunday, November 27, 2011

જૂની પેઢી અને નવી પેઢી

એક અભિમાની અને ઉદ્ધત કોલેજિયન જુવાનિયો એક વયસ્ક વડીલ સાથે ચર્ચા કરી રહ્યો છે અને વડીલને સમજાવી રહ્યો છે કે શા માટે તેમની ગઈ કાલની જૂની પેઢી આજની નવી પેઢીને સમજી શકવા અસમર્થ છે.


તે જુવાનિયો કહે છે:"તમે એક અલગ જ દુનિયામાં જીવ્યા છો, એક સાવ પ્રાથમિક કક્ષાના અણધડ જેવા વિશ્વમાં."

તે એટલું મોટેથી ઉશ્કેરાઈને બોલી રહ્યો હતો કે આજુબાજુમાંથી પસાર થઈ રહેલા કેટલાક લોકો પણ તેમની પાસે ઉભા રહી તેમની ચર્ચા સાંભળવા લાગ્યાં.

જુવાનિયો કહે છે:"આજની અમારી પેઢી ટી.વી.,જેટ વિમાનો જેવી શોધો અને અવકાશ યાત્રાઓ,ચંદ્ર પર ચાલવા જેવી ઘટનાઓ સાથે મોટી થઈ છે.અમારી પાસે પરમાણુ ઉર્જા,મસમોટા જહાજો અને મોબાઈલ ફોન છે,પ્રકાશ જેટલી ગતિથી ચાલતા કમ્પ્યુટર અને બીજા અનેક અત્યાધુનિક ઉપકરણો છે અને બીજુ ઘણું છે."

એક ક્ષણ મૌન રહ્યા બાદ વડીલ વયસ્કે તે જુવાનિયાને જવાબ આપ્યો,"તું સાચું કહે છે દિકરા.અમે જ્યારે જુવાન હતા ત્યારે અમારી પાસે આમાનું કંઈ જ ન હતું....અને આથી અમે એ બધાની શોધ કરી.પણ ઉદ્ધત અને અહંકારી એવી તમારી વંઠેલ પેઢી તમારી હવે પછીની આવનારી પેઢી માટે શું કરવાની છે એ જોઇએ...!" આજુબાજુ ઉભેલા સૌએ તાળીઓનો વરસાદ વરસાવ્યો!



('ઈન્ટરનેટ પરથી')

Saturday, November 19, 2011

અમાપ પ્રેમ


ફ્રેડા બ્રાઈટ કહે છે,"માત્ર ઓપેરા (નાટકો)માં લોકો પ્રેમ માટે મરી જાય છે."

આ સાચું છે. તમે કોઈ માટે જાન આપી દો એટલો પ્રેમ કોઈને કરી શક્તા નથી.મેં એવા ઘણાં લોકોને જોયા છે જેમનું મૃત્યુ પ્રેમ ન મળવાને કારણે થયું હોય,પણ કોઈ કોઈની પાછળ પ્રેમ ખાતર મરી ગયું હોય એવું મેં આજ સુધી જોયું નથી.એટલો પ્રેમ કદાચ આપણે કોઈને કરી શક્તા જ નથી.

એક હ્રદયસ્પર્શી વાત વાંચીએ. એક સ્ત્રીએ આખરે પોતાના બોસને પગાર વધારવા કહેવાનું નક્કી કરી જ નાંખ્યું. એ આખો દિવસ તેણે ઉચાટ અને ડરમાં વિતાવ્યો. મોડી બપોર પછી તેણે પોતાના બોસને પ્રત્યક્ષ આ વિશે વાત કરવાની હિંમત કરી અને તેના સુખદ આશ્ચર્ય સાથે તેના બોસ તેનો પગાર વધારવા સંમત થઈ ગયા!

સાંજે તે જ્યારે ઘેર પાછી ફરી ત્યારે તેનું ડાઇનિંગ ટેબલ સરસ રીતે સજાવેલું હતું અને તેના પર નવો ઉત્તમ કક્ષાનો ડિનર સેટ ગોઠવેલો હતો. સુગંધિત મીણબત્તી જલી રહી હતી. તેનો પતિ જલ્દી ઘેર આવી ગયો હતો અને તેણે પોતે આ બધી સજાવટ કોઈ તહેવાર હોય એમ કરી હતી! સ્ત્રીને લાગ્યું તેની ઓફિસમાંથી કોઈકે તેના પતિને પગાર વધારાની ખુશ ખબર આપી દીધી હોવી જોઇએ કે પછી તેના પતિને વિશ્વાસ હતો કે તેની પત્નીની માગણી ઇશ્વર ચોક્કસ પૂરી કરશે?

તે ઘેર આવી ત્યારે તેનો પતિ રસોડામાં હતો. તેણે ત્યાં જઈ તેને આ ખુશ ખબર આપ્યા. તેઓ ભેટ્યા અને પ્રેમથી સાથે ડાયનિંગ ટેબલ પર આવી બેઠાં. સ્ત્રીની સુશોભિત ડિનરપ્લેટ પાસે એક સુંદર પત્ર પડ્યો હતો. તેણે એ ઉપાડી વાંચવા માંડ્યો. તેમાં લખ્યું હતું : "હાર્દિક શુભેચ્છઓ ડિયર! મને ખાતરી હતી તને પગારમાં બઢતી મળશે જ! આ બધી સજાવટ તારી ખુશીની ક્ષણો ઉજવવા માટે અને મારો તારા પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટે...! હું તને ખૂબ ચાહું છું..."

ડિનર પતાવ્યા બાદ જ્યારે તેઓ ઉભા થયા અને તેનો પતિ બીજા રૂમમાં જવા ગયો ત્યારે તેના ખિસ્સામાંથી એક બીજો પત્ર બહાર પડી જતાં સ્ત્રી જોઈ ગઈ. તેણે એ ઉપાડી વાંચવા માંડ્યો. તેમાં લખ્યું હતું:"તને પગાર વધારો ન મળ્યો એ બદલ બિલકુલ નિરાશ ન થઈશ.તું એ માટેની લાયકાત ધરાવે જ છે.આજે નહિં તો કાલે તને એ મળશે ખરા. આ બધી સજાવટ મારો તારા પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરવા માટે છે ડિયર!"

કોઈકે સાચું જ કહ્યું છે કે પ્રેમનું સાચું માપ ત્યારે જ કાઢી શકાય જ્યારે તે અમાપ હોય!

વાર્તામાં પતિનો તેની પત્ની પ્રત્યેનો ભાવ સંપૂર્ણ સ્વીકાર્યતા અને સાચા પ્રેમનો છે,પછી ભલે પત્ની સફળ જાય કે નિષ્ફળ. પતિનો પ્રેમ પત્નીની સફળતાનો ઉત્સવ મનાવે છે અને તેના જખમોને રૂઝવે પણ છે.

તે સદાય પત્નીને પડખે ઉભો રહે છે પછી ભલે તેમના જીવનમાં ગમે તેવી મુશ્કેલી કેમ ન આવી હોય. તે કહે છે તે પોતાની પત્ની પર જાન પણ ન્યોછાવર કરી શકે છે. પણ તેની જરૂર નથી. તેનો પ્રેમ તેમના જીવનને જરૂરી પોષક તત્વો પૂરાં પાડે છે.

મધર ટેરેસાને જ્યારે શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું: "તમે વિશ્વમાં શાંતિના પ્રસાર માટે શું કરી શકો? ઘેર જાઓ અને તમારા કુટુંબને ભરપૂર પ્રેમ આપો." ...અને તમારા મિત્રોને પ્રેમ આપો. જીવનપર્યંતનો પ્રેમ...

- સ્ટીવ ગૂડિયર

('ઈન્ટરનેટ પરથી')

Saturday, November 12, 2011

સુવર્ણ વિચારકણિકાઓ

1. વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે, મગજને ખરાબ વિચારોનું ગોદામ નહીં, પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતું કારખાનું બનાવો.


2. વિશ્વાસ એક શબ્દ છે,

તેને વાંચતા second લાગે છે..

વિચારો તો minute લાગે છે..

સમજાવો તો દિવસ લાગે છે...

પણ તેને સાબિત કરતા આખી જીંદગી લાગે છે..!!

3.સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા..!!

ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં., એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા . !!

4.તણાવ (ટેન્શન)માણસ ની બુદ્ધિ, શક્તિ, સ્મૃતિ, આનંદને એવી રીતે ખાઈ જાય છે જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે.

5.જીવન પિયાનો જેવું છે. સફેદ બટન સુખ રુપ છે. કાળા બટન દુઃખ રુપ છે. બંને બટનને સાથે વગાડવાથી સુંદર સંગીત બને છે.

6.ક્રોધ પ્રિતીનો નાશ કરે છે

માન વિનયનો નાશ કરે છે

માયા મિત્રોનો નાશ કરે છે

લોભ સર્વનો નાશ કરે છે

7.એકવીસમી સદીમાં ચેતવા જેવી બાબતો..

ટ્રાફિક,ટ્રેડિંગ અને ટેન્શન...ત્રણ "ટ"

પોલિટિક્સ,પોપ્યુલેશન, પોલ્યુશન,પોવર્ટી અને પાવર .... પાંચ "પ"

મંદી, મોંધવારી, મોહ, મોત અને મહેમાન.... પાંચ "મ"

8. બીજા જ્યારે ભૂલો કરે તેને ચકાસવાનું સહેલું છે. પણ આપણી જ ભૂલને સ્વીકારવાનું ઘણું અઘરું છે.

9. કામ, ક્રોધ, લોભ, શંકા (વહેમ), અહંકાર ,ઈર્ષા આ જીવાત્માના છ શત્રુઓ છે.

10.પ્રબળ ઈચ્છા શક્તિ અને મજબૂત મનોબળનાં બે પૈડાં વિજય રથને લઞાડી, ખડતલ શરીર રૂપી રથનું માળખુ તેની ઉપર ગોઠવી, વિવેક બુદ્દિધને સારથી બનાવી, સામ,દામ,દંડ,ભેદ નામના ચાર હણહણતા ઘોડા વિજય રથને જોતરી તમે સ્વયં તેમાં બિરાજશો તો જીવન સંગ્રામ જીતશો.

11. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.

12.‎ જેનું મન અને અંતઃકરણ શાંત અને સંતોષી છે તે સુખી છે. જે ભૂતકાળને વલોવતો ના હોય, ભવિષ્યની ચિંતા કરતો ના હોય અને વતૅમાન માં જીવતો હોય તે સુખી છે.

13. જયારે સલાહ જોઈએ ત્યારે બધાં તમને સલાહ આપશે, જ્યારે સહાયતા જોઈએ ત્યારે પણ લોકો તમને સલાહ જ આપશે, સહાયતા નહી.

14. તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી. તમે કોઈને જઞતમાં દુઃખ દેતા નથી, કોઈને દુઃખ દેવાની તમારી ભાવના નથી, તો તમને કોઈ દુઃખ દઈ શકે તેમ નથી.

15. માણસ કપડાંથી નથી શોભતો પણ વાણી, વતૅન અને કમૅથી શોભે છે.

('ઈન્ટરનેટ પરથી')

Friday, October 21, 2011

એ. આર. રહેમાન પાસેથી શીખવા જેવી પાંચ વસ્તુઓ (ભાગ - ૨)

૩.તમારા આત્માને જીવંત રહેવા દો


ભારતીય સિનેજગત અને સંગીત વિશ્વની મક્કા ગણાતી સ્વપ્નમયી મુંબઈ નગરી - એવું સતત ધબકતું શહેર જ્યાં પ્લાસ્ટીકી સંવેદનાઓના આવરણ મઢ્યા માણસોનાં ચહેરા પર કૃત્રિમ સ્મિત ફરકતું રહેતું હોય છે,જ્યાં માણસની કિંમત નથી,તેના જીવનની કિંમત નથી અને જ્યાં નફરતની છૂરીઓ જાહેરમાં અને છૂપી રીતે ફરતી રહેતી હોય છે. આ મોટા શહેરમાં દેશભરમાંથી હજારો સંગીતકારો આવે છે અને સારું-ખરાબ ગમે તેવું સંગીત પીરસી પેટિયું રળવા જેટલું તો કમાઈ જ લે છે.રહેમાન જેવા સબળા સંગીતકાર માટે તો બોમ્બે અને રોજાની સફળતા બાદ અહિં આવીને વસવું અને મોટા ગજાના ફિલ્મકારો સાથે મળી કામ કરવું અતિ આસાન હતું,પણ એમણે તેમ ન કર્યું.તરત પ્રસિદ્ધી,પૈસા અને સફળતાને ગેરન્ટી આપતા વિકલ્પને નકારી તેમણે પોતાના ઘરને,પોતાના મૂળીયા પાસે જ રહેવાનું પસંદ કર્યું.

રહેમાનની સફળતાનું એક રહસ્ય તેમનું ઘેરથી,ચેન્નાઈથી કામ કરવું એ છે.ઘર એક એવું ઠેકાણું છે જ્યાં તમારું શરીર,તમારો આત્મા,તમારું મન અને તમારું હ્રદય હોય છે.રહેમાનના ચેન્નાઈ,તેમના ઘેર હોવાને કારણે મુંબઈના કેટલાંયે નકારાત્મક પરિબળો તેમને સ્પર્શ્યા નથી.

રહેમાનના ચેન્નાઈથી જ કામ કરવાને લીધે ફક્ત ઉત્તમ સંગીતના આગ્રહી હોય એવા સિનેસર્જકો જ તેમનો સંપર્ક સાધે છે નહિંતર અત્યાર સુધીમાં તો રહેમાનના સંગીત વાળી ફિલ્મોના આંકડાઓએ ઇતિહાસ સર્જી દીધો હોત!

ભગવાનની કૃપા છે કે રહેમાન મુંબઈના અન્ય સંગીત દિગ્દર્શકોથી હજાર ગણા જુદા છે! મુંબઈમાં,સંગીતકારો પોતાનો મોટા ભાગનો સમય સ્ટુડિયોની બહાર વિતાવે છે જ્યારે ખરી રીતે તેમણે પોતાનો મોટા ભાગનો સમય સ્ટુડિયોમાં પસાર કરવો જોઇએ. અહિં તો કોઈક સંગીતકાર એકાદી ફિલ્મનું 'સંગીત' રચે(!) અને એ બહાર પડે.પછી તો એ સંગીતકાર ૨-૩ મહિના માટે બહાર જુદી જુદી સંગીતની પાર્ટીઓમાં કે તેની કે અન્યોની ફિલ્મોના સંગીતના ઉદ્ઘાટન નિમિત્તે કે '૧૫ દિવસના રેકોર્ડ બ્રેક' વેચાણની પાર્ટીમાં કે તેના ગાયક કે ગાયિકાને કોઈક એવોર્ડ માટે નામાંકન મળ્યાની પાર્ટીમાં,પ્રેસ કોન્ફરન્સીસમાં કે ટી.વી. મુલાકાતોમાં વ્યસ્ત થઈ જાય છે. અને પછી એ સંગીતકાર એવા ગાયબ થઈ જાય છે કે તેમના અસ્તિત્વની કોઈ ભાળ મળતી નથી.

આ સંગીતકારો શું પ્રાપ્ત કરે છે? કેટલાકને તેમની પાછલી એકાદી સારી ફિલ્મના ક્રેડિટ પર થોડું ઘણું કામ મળ્યા કરે છે તો કેટલાકને સંબંધો અને સંપર્કના જોરે. કેટલાક વહેલી ઉંમરે જ રિટાયર્ડ થઈ જાય છે અને કેટલાક અભિનય કે અન્ય કોઈ કારકિર્દીમાં સેટ થઈ જાય છે.

સદનસીબે રહેમાન આ બધા સામાજિક પી.આર.(પબ્લિક રિલેશન્સ - જનસંપર્ક) પ્રોટોકોલ્સથી જોજનો દૂર ચેન્નાઈના કોડમ્બક્કમની એક સાંકડી ગલીમાં વસે છે. કોઈ જ પ્રકારના અંતરાય વગર રહેમાન પોતાના આરામદાયક ઘરમાં જ રહી પોતાની બધી સર્જનાત્મક શક્તિ પોતાના કામ પર, પોતાના ઉત્તમ કક્ષાના સંગીત પર કેન્દ્રિત કરી શકે છે.મારા પિતાએ એક વાર કહેલું,"રહેમાનને જો.તેણે એક પણ પ્રોજેક્ટ માટે પોતાનું ઘર છોડ્યું છે? આટઆટલી સફળ બોલિવૂડની ફિલ્મોમાં સંગીત પીરસવા છતાં તે મુંબઈ જતો રહ્યો છે?"

અને મને મારા પિતાની એ વાતે વિચાર કરતો કરી મૂક્યો હતો. તમારા વતનમાં જ રહીને તમે કામ કરતા હોવ,તમારા કુટુંબ સાથે રહીને - એ બહુ સારા નસીબની અને મોટી વાત છે.



૪ તમારા કામને બોલવા દો

હા, તમારા કામને બોલવા દો.ઘણી વાર લોકો તમને તમે જેવા દેખાઓ છો, તમે જેવા વસ્ત્રો પરિધાન કરો છો, તમારો ઉછેર જે રીતે થયો છે કે પછી તમે કેવી આર્થિક પરિસ્થિતીમાંથી આવો છો એ બદલ તમારી સતત અને સખત ટીકા કરશે.તમારી મજાક પણ ઉડાવશે અને તમને નવા નવા ઉપનામોથી બોલાવશે. તમારા ઉપરીઓ પાસેથી તમે જેવી અપેક્ષા રાખો છો તેવી મદદ મળશે નહિં.પણ જો તમારું મનોબળ દ્રઢ હશે તો તમે આ બધાથી અસર પામશો નહિં અને તમારું કામ તમારી સાચી ઓળખ આપશે.

મારા જીવનમાં પણ એક અતિ કપરો તબક્કો આવ્યો હતો અને મારે મારા સપનાને અધુરૂ મૂકી પુણે પાછા ફરવું પડેલું કારણ સંગીત જગતમાં મારો સિક્કો જામી રહ્યો નહોતો. મારા ખરાબ અનુભવો જ્યારે મેં ચેન્નાઈમાં રહેમાન સામે વર્ણવ્યા ત્યારે તે આશ્ચર્ય પામ્યા અને તેમણે મને સલાહ આપી કે જીવનપથ પર પોતાના લક્ષ્યોને સિદ્ધ કરવામાં અડચણો તો અનેક આવે પણ તેનાથી તમારે ડગી કે અટકી જવું જોઇએ નહિં.તેમણે મને તેમનું પોતાનું ઉદાહરણ આપ્યું. તેઓ જ્યારે તેમની કારકિર્દીની ટોચ પર હતા એ સમયે કેટલાક અતિ પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શકોએ તેમની તેઓ જે પ્રકારનું સંગીત રચે છે તેને નિશાન બનાવી હાંસી ઉડાવી અને તેમને અપમાનિત કર્યા.

તેઓ આ વિષે ત્યારે કંઈ જ કરી શક્યા નહિં પણ તેઓ આ ઘટના બાદ જરાયે ડગ્યા નહિં અને તેમણે શાંત અને મૌન રહેવાનું પસંદ કર્યું.અને જ્યારે તેમનું એ કામ જાહેર થયું ત્યારે લોકોએ તેમને ખડી સલામી આપી એ કામ વધાવી લીધું અને તે સુપરહીટ સાબિત થયું.તે સંગીતે મેળવેલી એ અદભૂત અને અભૂતપૂર્વ લોકચાહના એ નિર્માતા-દિગ્દરશકોના મોં પર પડેલ તમાચા સમાન હતી.

આ શબ્દોએ મને હિંમત આપી અને ફરી ઉભા થઈ જીવન નવી તાજગી સાથે શરૂ કરવાની પ્રેરણા આપી.

મેં એક તદ્દન નવા વ્યક્તિત્વ સાથે જાણે પૃથ્વી પર નવજીવન શરૂ કર્યું અને મારા સ્ત્રોતો ભેગા કર્યાં. જ્ઞાન અને મારા માતાપિતા તેમજ બહેન પાસેથી મળેલા સ્નેહ અને પ્રેમના કારણે આજે હું જે મુકામે છું ત્યાં પહોંચી શક્યો. મેં કંઈ જીવનમાં અતિ મહાન લેખી શકાય એવી સિદ્ધી મેળવી નથી પણ લોકોને મારું કામ પસંદ પડ્યું છે તેથી જ મને થોડીઘણી સફળતા મળી છે.અને તેનાથી મને જીવનમાં વધુ આગળ વધવાનું અને મોટા મોટા પડકારો સહન કરવાનું બળ મળ્યું છે.



૫ નમ્ર બનો,પ્રમાણિક બનો અને સરળ બનો

જો ઉપર ચર્ચેલી દરેક બાબત કોઈ મનુષ્યમાં હોય તો નમ્રતા,પ્રમાણિક્તા અને સરળતા દ્વારા તે એક ઉત્તમ અને મહાન જીવન જીવી શકે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવ્યા બાદ તેમને મળેલા સ્ટારડમ અને લોકચાહના અને ખ્યાતિ બાદ રહેમાન ઇચ્છત તો સ્લમડોગ મિલ્યોનાઈરના પ્રિમિયરમાં મુંબઈ ખાતે હાજર રહી શક્યા હોત પણ તેમણે પબ્લિસીટી કરતાં કામને વધુ મહત્વ આપ્યું,પ્રાધાન્ય આપ્યું. તે દિવસે જ ઓસ્કાર એવોર્ડ માટેના નામાંકનની જાહેરાત થઈ હતી અને તે ફિલ્મના દિગ્દર્શક ડેની બોઈલે કહ્યું હતું,"શું તમારા માન્યા માં આવે છે કે એ.આર. રહેમાનને ત્રણ ઓસ્કાર નોમિનેશન્સ મળ્યા છે જે એક બેહદ ખુશીની વાત છે પણ એ માણસ ત્યાં દક્ષિણમાં દિલ્હી-૬ ફિલ્મના સંગીતનું કામ કરવામાં મગ્ન છે! ખરેખર તે એક અતિ મહાન સંગીતકાર છે. તેમની નમ્રતાનો અનુભવ મને ત્યારે થયો જ્યારે મેં તેમની સાથે કામની શરૂઆત કરી. મારે એક સોફ્ટવેર પર કામ કરવાનું આવ્યું જે મને નહોતું આવડતું.તેમણે મને કહી દીધું કે મારે શું શું કામ કરવાનું હતું પણ જ્યારે તેમને સમજાયું કે મને એ સોફ્ટ્વેર આવડતું નથી ત્યારે તેમણે પોતે મારી બાજુમાં બેસી મને તેનાં પર કામ કરતાં શીખવ્યું અને હું કામ શરૂ કરું એ પહેલાં તેમણે ખાતરી કરી લીધી કે મને એ સોફ્ટવેર આવડી ગયું છે અને હું જે કરવાનો છું તે બરાબર સમજી શકું. મારે માટે જીવનનો આ એક બહુ મોટો પાઠ હતો જે મને રહેમાન પાસેથી શીખવા મળ્યો.

થોડાં મહિના બાદ બીજા આવા એક બનાવનો હું સાક્ષી બન્યો.રહેમાને કોઈક નવું પિચીંગ સોફ્ટવેર મંગાવ્યું હતું જે તેમના ઘેર ડિલીવર થયું.એ સોફ્ટવેરનું ખોખુ ખોલતી વેળાએ રહેમાન ખૂબ રોમાંચિત થઈ ઉઠ્યા અને તેમના મુખ પર એક બાળક પોતાની મનપસંદ ચોકલેટ ખોલતી વેળાએ અનુભવે તેવા ભાવ ઉપસી આવ્યાં! તે પોતાના કોઈક સહાયકને એ સોફ્ટવેર પર હાથ બેસાડાવી પછી તેની પાસેથી એનો ઉપયોગ કરવાનું શીખી શક્યા હોત પણ તેમણે પોતે એ સોફ્ટવેર જાતે જ ઉપયોગમાં લેતા શીખ્યું.તેમણે આ માટે પોતે એ સોફ્ટવેરની સી.ડી. કમ્પ્યુટરમાં નાખી અને આખી મેન્યુઅલ ઉથલાવી કાઢી અને એ સોફ્ટવેર પૂર્ણ પણે વાપરતા શીખી લીધું.

આ ઘટના પરથી હું એ જાણી શક્યો કે રહેમાન કોઈ પણ કાર્ય બીજાને સોંપતા પહેલા એ વાતની ખાતરી કરી લેતા કે એ કામ તેઓ પોતે વ્યવસ્થિત રીતે કરી શકે છે.બીજા કોઈને સોંપેલુ કોઈ પણ કાર્ય પોતાનાથી અજાણ્યુ હોય તે રહેમાન બિલકુલ પસંદ કરતા નથી. આ તેમની પ્રમાણિકતા,સાદગી અને નમ્રતા દર્શાવે છે. તેઓ પોતાની સાથે કોઈ પ્રકારનો ભાર ઉંચકીને ફરતા નથી જે તેમને સહેલાઈથી સંપર્ક કરી શકાય તેવા અને ઇમાનદાર અને સાચા માણસ છે. તેમનું બાળસમાન સ્મિત સામેવાળાના ભયનો નાશ કરે છે અને તેમને રૂબરૂમાં મળતી વખતે ઉદભવતા ઉચાટનો નાશ કરે છે.જાણે કે તેમનું સ્મિત હજારો શબ્દો ન કહેતું હોય એવું છે! એ તેમના હ્રદયની અને આત્માની શુદ્ધતા અને પવિત્રતા દર્શાવે છે.

આજે રહેમાનનું એક અંગત મિત્ર વર્તુળ છે જેમાં સંગીત ગોઠવનારા, સહાયક સંગીત ઇજનેરો,સંગીત ઇજનેરો વગેરે એવા કેટલાક ખાસ લોકોનો સમાવેશ થાય છે જેમના કૌશલ્ય અને સર્જનાત્મકતા રહેમાનને મદદરૂપ થાય છે. રહેમાનને તેના આ મિત્ર વર્તુળના દરેક સભ્યો પર સંપૂર્ણ વિશ્વાસ છે અને એ તેમની દરેક જરૂરિયાત સમયે તેમની સાથે જ હોય છે. પોતાના શાશ્વત મૂલ્યો તેમજ સરળ જીવન જીવવાની રીત થકી એ. આર. રહેમાન આપણને સૌને વ્યવસાયિક રીતે સફળ થવાની પ્રેરણા આપે છે.જરૂર છે આ અમૂલ્ય પાઠો શીખી તેને આપણાં પોતપોતાના જીવનમાં યથાયોગ્ય રીતે અમલમાં મૂકવાની.

તમારી જાત સાથે બાંધછોડ કરશો નહિં.તમારી પાસે જે કંઈ છે એ પર્યાપ્ત છે અને તે જ તમારી સાચી ઓળખ છે.


(સંપૂર્ણ)

('ઈન્ટરનેટ પરથી')

Sunday, October 16, 2011

એ. આર. રહેમાન પાસેથી શીખવા જેવી પાંચ વસ્તુઓ (ભાગ - ૧)

પ્રશાંત પિલ્લાઈ નામના સંગીત નિર્માતા અને મિડીયા એન્ત્રેપ્રેન્યોર તેમજ ફૂડીએ પોતાના બ્લોગ પર એ. આર. રહેમાન સાથેની તેમની મુલાકાત વર્ણવી હતી તે મારા વાંચવામાં આવી અને હું એ.આર. રહેમાનનો જબરદસ્ત મોટો ફેન છું એટલે મેં આ ઇન્ટરવ્યુ ધ્યાનથી વાંચ્યો.એમાંથી દરેક જણ કંઈક શીખી શકે એમ હોવાથી તેનું ભાષાંતર આજે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીએ.


આજે વિશ્વભરમાં એ. આર. રહેમાન સંગીત ક્ષેત્રનું એક અતિ જાણીતું નામ બની ચૂક્યું છે.ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી ફિલ્મ 'સ્લમડોગ મિલ્યોનાયર'માં તેમણે આપેલા અદભૂત અને કર્ણપ્રિય સંગીત બદલ તેમને મળેલા ઓસ્કાર એવોર્ડ સહિતના અનેક પુરસ્કારો અને અઢળક નામાંકનો બાદ રહેમાનનો ભાવ આખી દુનિયામાં પૂછાવા માંડ્યો.પણ હું તો રહેમાનને ૧૯૯૨માં રીલીઝ થયેલી તેમના સંગીત ધરાવતી ફિલ્મ રોઝાના સમયથી ઓળખું છું, બીજા લાખો કરોડો ભારતીયોની જેમ...૧૯ વર્ષ સારો એવો લાંબો સમય ગણાય..!

બધાં આજે રહેમાન એક સેલિબ્રિટી બની ગયા હોઈ, તેમના સંગીતની,તેઓ શું ખાય છે,શું ઓઢે છે,ક્યારે સૂએ છે,શું પીએ છે અને જ્યારે થોડા ફ્રી હોય ત્યારે શું કરે છે આવી અનેક વાતો રસપૂર્વક વાંચે છે,ચર્ચે છે.પણ આ જિનિયસના જીવનની ઘણી વાતો એવી છે જે વધુ લોકો જાણતા નથી પણ એમાંથી આપણે જીવનના મહામૂલા પાઠ શીખી શકીએ એમ છીએ.

સદાય રહેમાન વિષે સારું સારું બોલનારાઓથી ઘેરાયેલા રહેવા છતાં એમના વિષે કેટલીક વાતો છે જે ક્યારેય કોઇએ કહી નથી અને તેમની કેટલીક ખાસિયતો જેના ઉપર આપણે ઝાઝું ધ્યાન આપતા નથી એ જ તેમને અન્ય સામાન્ય લોકોથી જુદા પાડી દે છે.

રહેમાનના એક મહાન સંગીતકાર હોવું તેમના વ્યક્તિત્વ અને સિદ્ધાંતોને આભારી છે.ર્રહેમાનની સફળતામાંથી એવી મૂલ્યવાન પ્રેરણા મળી શકે એમ છે જે કોઈ વ્યવસાયિક જો પોતાના વ્યવસાયિક જીવનમાં અપનાવે તો તેને પોતાના લક્ષ્યો આસાનીથી સિદ્ધ કરવામાં સફળતા મળી રહે.


૧. તમારા માતાપિતાને ખૂબ પ્રેમ અને માન આપો.

રહેમાને પોતાના માતાપિતાને ભરપૂર પ્રેમ કર્યો છે અને એ તેમને ખૂબ માન આપે છે.પિતા આર. કે. શેખર તો રહેમાન નવ વર્ષના હતા,ત્યારે જ જન્નતનશીન થઈ ગયા હતા પણ રહેમાનની માતા કરીમા બેગમે તેમનામાં એક આશાનું કિરણ જગાડ્યું અને જીવન જીવવાનું નવું પીઠબળ પૂરું પાડ્યું.કરીમા બેગમે અપાર કષ્ટો વેઠી કુટુંબનું ભરણપોષણ કર્યું અને તેમની મહેરબાનીથી જ એ. આર. રહેમાન આજે જ્યાં છે એ મુકામે પહોંચી શક્યા છે.

કરીમા બેગમ જેટલું રહેમાનને ચાહે એટલો જ પ્રેમ અને સન્માન,આદર રહેમાનને કરીમા બેગમ પ્રત્યે. રહેમાનના પોતાની માતા પ્રત્યેના ગૂઢ આદર અને સ્નેહ ભાવની પ્રતીતિ મને પહેલી વાર ત્યારે થઈ જ્યારે હું તેમને પહેલી વાર તેમના નિવાસ સ્થાને ચેન્નઈ ખાતે મળ્યો. તેમની સાથેનો ઔપચારિક વાર્તાલાપ પતાવ્યા બાદ જ્યારે હું નીકળવાની તૈયારીમાં હતો ત્યારે મને વિચાર આવ્યો કે મારે મને મળેલી આ તકને છોડવી ન જોઇએ.રહેમાન સાથે સંગીતનું કામ કરવાનું મારું સ્વપ્ન મારી જીવી લેવું જોઇએ!મેં મારા મનનો આ ક્ષણિક આવેગ તેમના પ્રતિ પ્રદર્શિત કરતાં પૂછી નાંખ્યું કે શું તેઓ મારી સાથે કામ કરશે? તેમનો જવાબ હતો કે તેઓ તેમની માતાને પૂછીને મને જવાબ આપશે કે તે મારી સાથે કામ કરશે કે નહિં. હવે આજના યુગના કયા માણસ પાસેથી આવા જવાબની અપેક્ષા રાખી શકાય? અને મને લાગે છે કે તેમની માતાએ તેમને મારી સાથે કામ કરવાની પરવાનગી આપી દીધી અને હું પુનાથી ચેન્નાઈ ફરી વાર આવી પહોંચ્યો તેમની સાથે કામ કરવા.આ છે રહેમાનની મહાનતા અને કૃતજ્ઞતા જે તેમનો માતા પ્રત્યેનો અપાર પ્રેમ અને માનની લાગણી પ્રદર્શિત કરે છે. પછી તો મેં કરીમા બેગમની પણ મુલાકાત લીધી જે ઘણી યાદગાર રહી.તેમણે મને હું મારે ઘેર જ હોઉં એવો અનુભવ કરાવ્યો અને મારા કુટુંબ, કામકાજ ને જીવન વિષે ઘણી ચર્ચા કરી.

જો તમે નોંધ્યું હશે તો તમને ખ્યાલ હશે કે રહેમાન પોતાના મોટા ભાગના સંગીત આલ્બમોનું અનાવરણ પોતાની માતાને હાથે જ કરાવે છે.ફિલ્મ કે સંગીત જગત સાથે સંકળાયેલી જૂજ વ્યક્તિઓ આ સિદ્ધાંતને અનુસરતી હશે.


૨ આધ્યાત્મિક બનો.

એ. આર. રહેમાન ઇશ્વર અને આધ્યાત્મિકતામાં માને છે.એ દિવસમાં પાંચ વાર નમાઝ પઢે છે અને ઇસ્લામ ધર્મ પાળે છે પણ તેમની આધ્યાત્મિકતા આટલે થી જ અટકતી નથી.

ધાર્મિક અને આધ્યાત્મિક હોવા વચ્ચે ફરક છે.રહેમાન આધ્યાત્મિક છે. રહેમાન કહે છે, '"આજે ધાર્મિક એક બીભત્સ શબ્દ બની ગયો છે.હું આધ્યાત્મિક છું.આધ્યાત્મિકતા સતત હોવી જોઇએ.જ્યારે તમે વિકાસ પામો છો ત્યારે તમને આધ્યાત્મિકતાનું પ્રમાણ,તેનું મહત્વ અને તેની જરૂરિયાત સમજાય છે.એ એક અતિ સુંદર અને રોમાંચક અનુભવ છે. એ તમને બધીજ નકારાત્મકતાથી દૂર લઈ જાય છે.મારા અને મારા સંગીત માટે આધ્યાત્મિકતા એક પ્રમાણભૂત અને અતિ મહત્વનું તત્વ છે અને આધ્યાત્મિકતા વગર હું કદાચ આજે જે પ્રકારના અને જે સ્તરના સંગીતનું સર્જન કરું છું એ શક્ય ન બન્યું હોત."

રહેમાન કહે છે ,"હું છેલ્લા પંદર વર્ષથી પ્રાર્થના બાબતે અતિ ચોક્કસ છું.મને મળેલી સફળતા અને ખ્યાતિ બાદ પ્રાર્થનાની તાકાતમાં મારી શ્રદ્ધા અનેક ગણી વધી ગઈ છે."

આધ્યાત્મિકતા એ રહેમાનને ફક્ત તેમના સંગીત સાથે જ નથી જોડ્યા પણ તેના કારણે જ તેઓ માણસાઈ સાથે પણ જોડાણ થયાનો અનુભવ કરે છે.તે વિવિધ સામાજિક પહેલો/કાર્યો અને તેમના એ.આર. રહેમાન ફાઉન્ડેશન નામના ચેરીટી સંસ્થા સાથે સંકળાયેલા છે એ વાતની સાબિતી પૂરી પાડે છે.

કેટલાય પ્રસંગોમાં રહેમાન અને તેમની માતા એ જરૂરિયાતમંદ લાયક લોકોને અનેક રીતે મદદ કરી છે જે સદભાગ્યે મિડીયાની નજરમાં આવ્યું નથી નહિંતર તેમણે રહેમાનને એક 'સુપર હ્યુમન' તરીકે ચિતરી નાંખ્યા હોત!કેટલીક વસ્તુઓ ન કહેવી વધુ સારું હોય છે.

આજે ઘણાં નવા સંગીતકારો રહેમાનની નકલ કરવા જાય છે,તેમના જેવું જ તેમની શૈલીનું સંગીત પીરસવા જાય છે.તેઓ એવો પ્રતિભાવ પણ મેળવે છે કે તેમનું સંગીત રહેમાનના સંગીતને મળતું આવે છે અને આ સાંભળી તેઓ ગર્વ અનુભવે છે!તેમને ક્યારેક અલ્પાયુષી 'હાઈપ' પણ મળી જાય છે!પણ રહેમાનની સતત ખુદા સમક્ષ નમતા રહેવાની અને એમાં જ શાંતિ અને પરમ સંતોષ પામવાની વ્રુત્તિ જ તેમને અન્યો કરતાં અલગ તારવે છે અને તેમના સંગીતને શ્રેષ્ઠ,અમર અને બેજોડ બનાવે છે.

(ક્રમશ:)


('ઈન્ટરનેટ પરથી')

Sunday, October 9, 2011

જીવતાજીવત શ્રાદ્ધ

એક મિત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા. મે મિત્રના બરડે ધબ્બો લગાવતા પુછયું- ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે…! માજી તો આ રહ્યાં તારી બાજુમાં…!’ મિત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: ‘દીનેશભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ સાચુ શ્રાદ્ધ ગણાય!’ એમણે આગળ કહ્યું: ‘માને ડાયાબીટીશ છે. પણ એમને સોસીયો બહુ ભાવે છે. હું એમને માટે સોસીયો હંમેશા ફ્રીઝમાં રાખું છુ. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માના ચશ્મા જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માના ચશ્મા સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે!’ મિત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ દુધપાકનુ જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું, પણ યાદ રહે ગાય- કાગડાને ખવડાવેલુ કદી ઉપર પહોંચતું નથી. અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ‘ટીફીનસેવા’ હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય. એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી, પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાંક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડા માબાપોની નથી લેતા. સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી (હોઠ ભીડીને) જીવે છે. એવાં દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી, પણ સ્મશાને ચીતા પર તેના શરીરે કીલો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવે… તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રીવાજને તીલાંજલી આપે તે જરુરી છે. હમણા જાણીતા શાયર દેવદાસ- ‘અમીર’ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમાં રમેશ જોષીનું એક વાક્ય વાંચવા મળ્યું- ‘જયારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે…!” સંતો કહે છે, નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ! વારંવાર એક વાત સમજાય છે. ઘરડા માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે, પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે. કહે છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે… અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીંદગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાના હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે! સંજોગોની એ વીચીત્ર વીટંબણા છે કે જે બાળકને માએ બોલતા શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે. (જોકે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પુછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરુરીયાત પણ) માતૃપ્રેમ વીશે લોકકવીઓએ ઘણું લખ્યું છે. કવી ધરમશીએ લખ્યું છે- ‘પહેલાં રે માતા… પછી રે પીતા… પછી લેવું પ્રભુનું નામ… મારે નથી જાવું તીરથધામ…!’ પણ હવે સમય અને સમાજ બન્ને બદલાયાં છે. લોકોના વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્વીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. કવી ગુલાબદાન કહે છે: ‘ગરીબ માની ઝુપડીમાં કોઈ’દી સાંકડ નહોતી થાતી… આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી… તો શરમ, મરજાદ અને સંસ્કૃતિ ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી…? ('ઈન્ટરનેટ પરથી')

Tuesday, October 4, 2011

ગાંધી જયંતિ સ્પેશિયલ - ગાંધીજીના મનપસંદ સુવિચાર

• તમારી જાતને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ છે બીજાઓની સેવામાં ખોવાઈ જાઓ.
• જીવો એ રીતે કે જાણે આવતી કાલે તમે મૃત્યુ પામવાના હોવ. શીખો એ રીતે કે જાણે તમે સદા કાળ જીવવાના હોવ.
• ડર એ માત્ર શરીરનો રોગ નથી,એ આત્માની પણ હત્યા કરી નાંખે છે.
• આપણે જે કરીએ છીએ અને જે કરી શકવા સમર્થ છીએ એ વચ્ચે નો ભેદ આખી દુનિયાના મોટા ભાગનાં પ્રશ્નો ઉકેલી નાંખવા પૂરતો છે.
• આપણે જે પરિવર્તન જોવા ઇચ્છીએ છીએ તે પહેલાં આપણે પોતે (એ પરિવર્તન) બનવું જોઇએ.
• આંખના બદલામાં આંખના ન્યાયે તો આખું જગત અંધ બની જાય.
• (નકામા ઘાસને) વાઢવું પણ ખેતી માટે વાવવા જેટલાં જ મહત્વનું છે.
• હું જ્યારે ઘોર નિરાશા અનુભવું છું ત્યારે યાદ કરું છું કે ઇતિહાસમાં સદાયે વિજય સત્ય અને પ્રેમનો જ થયો છે. ક્રૂર,જુલ્મી અને અન્યાયી શાસક અને હત્યારાઓ (સમાજમાં) પાકે જ છે અને થોડા સમય માટે અજેય પણ જણાય છે પણ અંતે તેમનો વિનાશ થાય જ છે. - આ શાશ્વત સત્ય છે.
• શ્રદ્ધા એ ગ્રહણ કરવાની વસ્તુ નથી, એ એક અવસ્થા છે જેમાં આપણે વિકાસ પામવાનો છે.
• હું આખા આ જગતમાં અંતરાત્મામાં દબાઈ ગયેલા અવાજરૂપી એક જ ક્રૂર અને અન્યાયી શાસકના અસ્તિત્વનો સ્વીકાર કરું છું.
• ઇશ્વર ક્યારેક જેના પર તે આશિર્વાદની ઝડી વર્ષાવવા ઇચ્છતો હોય તેની સૌથી વધુ કસોટી કરતો હોય છે.
• જ્યારે હું અજબગજબના સૂર્યાસ્તના કે પછી ચંદ્રના સૌંદર્યના વખાણ કરતો હોઉં છું ત્યારે મારો આત્મા સર્જનહારની આરાધના કરતા કરતા વિકાસ પામે છે.
• સુખ ત્યારે અનુભવી શકાય છે જ્યારે તમે જે વિચારો છો, જે બોલો છો અને જે કરો છો તે સુસંગત હોય.
• જો આપણે જગતને સાચી શાંતિના પાઠ ભણાવવા હોય અને આપણે યુદ્ધો સામે ખરેખરનો જંગ છેડવો હોય તો આપણે બાળકોથી શરૂઆત કરવી જોઇએ.
• હું અન્ય માણસોના સારા ગુણો જોવાનો જ પ્રયાસ કરું છું.હું પોતે પણ અનેક ખામીઓથી ભરેલો છું તો પછી હું બીજાઓમાં ખામીઓ કઈ રીતે શોધી શકું?
• માણસની જરૂરિયાત પૂરતું આ જગતમાં છે પણ તેના લોભ જેટલું નહિં.
• મારા માટે એ હંમેશા એક કોયડો રહ્યો છે કે કઈ રીતે કોઈ માણસ અન્યને નીચો પાડી કે અન્યનું અપમાન કરી કે અન્યને પરેશાન કરીને પોતે આનંદિત થઈ શક્તો હશે.
• મિત્રો સાથે મિત્રાચારી નિભાવવી એ તો સહેલું છે પણ શત્રુઓ સાથે પણ મિત્રો જેવો વ્યવહાર કરવો એ સાચા ધર્મનો સાર છે.બીજું બધું તો માત્ર ધંધો કરવા સમાન છે.
• પ્રાર્થનામાં હ્રદય વિનાના શબ્દો હોવા કરતાં મૌન હ્રદય હોય એ વધારે સારું છે. • ચિંતા શરીરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે.જેને ઇશ્વરમાં શ્રદ્ધા હોય તેને કોઈ પણ વિષયની ચિંતા થાય તે શરમજનક ગણાય.
• કોઈ એક કર્મ દ્વારા ફક્ત એક જરૂરિયાતમંદ હ્રદયની સેવા હજારો માથાઓના પ્રાર્થનામાં ઝૂકવા કરતા વધારે સારી છે.
• તમારે માણસાઈમાંથી વિશ્વાસ ગુમાવી દેવો જોઇએ નહિં કારણ માણસાઈતો મહાસાગર જેવી છે.મહાસાગરમાં થોડાંઘણાં ટીપાં ખરાબ હોય તો આખો મહાસાગર કંઈ ખરાબ બની જતો નથી.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, September 24, 2011

કોર્પોરેટ જગતની કેટલીક રમૂજી વ્યાખ્યાઓ અને અપ્રેઝલ ગીતા

પ્રોજેક્ટ મેનેજર એટલે એવી વ્યક્તિ… જે એમ માને છે કે નવ સ્ત્રીઓ ભેગી મળી એક મહિનામાં બાળક પેદા કરી શકે. પ્રોજેક્ટ ડેવેલોપર એટલે એવી વ્યક્તિ… જે એમ માને છે કે એક બાળક પેદા કરવા માટે ઓછામાં ઓછા ૧૮ મહિના જોઈએ. પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર એટલે એવી વ્યક્તિ… જે એમ માને છે કે એક સ્ત્રી એક મહિનામાં નવ બાળક પેદા કરી શકે છે. માર્કેટિંગ મેનેજર એટલે એવી વ્યક્તિ… જે એમ માને છે કે પુરુષ અને સ્ત્રી વિના પણ બાળક પેદા થઇ શકે. ક્વોલીટી કંટ્રોલ મેનેજર એટલે એવી વ્યક્તિ… જે એમ માને છે કે બાળક બનાવવાની આખી પ્રક્રિયા જ ખોટી છે. પ્રાયોગિક-રિસોર્સ ટીમ…. જે એમ માને છે કે સ્ત્રી-પુરુષ મળે તો સારું અને ન પણ મળે તોયે ‘અમે’ બાળક પેદા કરાવી દઈશું. ડોક્યુમેન્ટ્સ બનાવનાર ટીમ…જે એમ માને છે કે બાળક જન્મે કે ન જન્મે નવમાં મહિને આપણું થોથું તૈયાર…બધી ટીપ-ટોપ માહિતીઓ સાથે… ટેસ્ટર એટલે એવી વ્યક્તિ… જે હંમેશા પત્ની ને કહેતો ફરે છે કે ..યાઆર! આ બાળક આપણું છે? છેલ્લે…ગ્રાહક એટલે (બેચારી) એવી વ્યક્તિ… જે એમ માને છે કે “હ્મ્મ્મ્મ્મ?!?!?!….મને બાળક શાં માટે જોઈએ છીએ?!!!?!?!! ---------------------------------------------------------------------

Sunday, September 18, 2011

એ તો રામ જાણે !

શરૂવાત પત્રોની વાતથી કરીએં.

૧૯૪૦ સુધી પત્રની શરૂવાત આ પ્રમાણે થતી, "સ્વસત શ્રી મુંબઈ બંદર મધ્યે માવિત્ર (વડિલનુ નામ), વડોદરાથી છોરૂં (પત્ર લખનારનુ નામ)ના ૧૦૮ વાર પાયલાગણ વાંચસો.

ત્યાર બાદ જે સમાચાર લખવા હોય તે લખાતા.

૧૯૫૦ બાદ શરૂવાત આ પ્રમાણે થતી, "પુજ્ય પિતાશ્રી,...."

એ જમાનામા પત્ર લખવા તથા પત્ર વાંચવા સાથે ભાવનાઓ જોડાયલી હતી. દિકરીને પત્ર લખાવતી વખતે માતાઓ રડતી. દિકરીનો પત્ર આવે ત્યારે તો અચુક રડવું આવી જતું. સગા-સબંધીઓ, મિત્રો વગેરેની ભાવનાઓ પત્રોમા વ્યક્ત થતી. પત્ર-મિત્રો પણ પત્રોની આપ-લે દ્વારા સ્નેહ્-ભાવ વ્યક્ત કરતા. લોકો ટપાલની રાહ જોતા, અને પત્રો વર્ષો સુધી સાચવી રાખતા.
૧૯૯૫ સુધી આપણે પત્ર લખતા.


૧૯૯૫ થી ઈ-મેલ લખવાની શરૂવાત થઈ.

૧૯૯૬ ની આસપાસ મોબાઈલ ટેલિફોન મુંબઈમા આવ્યા.

૨૦૦૦ ની આસપાસ SMS ની શરૂઆત થઈ.

૨૦૦૮ મા Tweeter ની શરૂઆત થઈ ગઈ. ૧૪ વર્ષોમા ઘણું બધું બદલાઈ ગયું.

ઈ-મેલના આવિષકાર સાથે, લાગણી અને ભાષાનુ સ્થાન Technology એ લઈ લીધું.

You are નું u r થયું. Telegraphic ભાષા પણ વામણી લાગે, એવી ભાષાનો આવિષ્કાર થયો. તારા કરતાં Computer નુ મને વધારે knowledge છે એમ બતાવવાની હોડ શરૂ થઈ.

SMS ની શરૂઆત પછી તો communication નુ સ્તર એટલું નીચું ગયું કે તેનુ વર્ણન કરવું મુશ્કેલ છે. પચાસ ટકાથી વધારે SMS ગંદા jokes મોકલવા માટે થાય છે.

હવે Tweeter આપણને ક્યાં લઈ જશે એ તો રામ જાણે!

('ઈન્ટરનેટ પરથી')

Saturday, September 10, 2011

ઘુવડની પુત્રીના લગ્ન

એક વાર એક ઘુવડને તેની ઉંમરલાયક પુત્રી જોઈને ચિંતા થવા લાગી. માટે તેણે સઘન તપાસને અંતે દૂરના એક ગામના સ્મશાનની પીપળી પર વસતા અન્ય એક ઘુવડકુટુંબના કુલદીપક સાથે પોતાની પુત્રીની વાત ચલાવી. છોકરા-છોકરીની મુલાકાત સફળ રહી અને બંન્નેએ એકબીજાને પસંદ કર્યા. હવે વાત રહી વડીલો અને તેમના વહેવારની.
કન્યાના પિતાએ કહ્યું, ‘જ્યારે મારી છોકરીને તમારો દીકરો અને ઘર બંને પસંદ જ છે ત્યારે મારે કશુંય કહેવાનું રહેતું નથી. તમે ફરમાવો,’
‘મારે તો શું કહેવાનું હોય’ છોકરાના પિતાએ કહ્યું, ‘મારી પાસે તો સર્વશક્તિમાનની દયાથી બધું જ છે. પણ તમારે તમારી પુત્રીની સુખાકારી માટે થોડુંક આપવું પડશે.’
‘ફરમાવો.’ કન્યાના પિતાએ અધીરતાથી કહ્યું.
‘મારે તો કંઈ જ જોઈતું નથી’ છોકરાના પિતાએ વાતમાં મોણ નાખતા કહ્યું, ‘પણ તમારી પુત્રીની સુખાકારી માટે તમારે ૧૦૦ ઉજ્જડ ગામ આપવા પડશે જેથી તેઓ ખાઈ-પીને મજા કરી શકે.’
પુત્રીના પિતા થોડીક ક્ષણો માટે ચિંતિત બની ગયા અને પછી તેણે પ્રાર્થના કરી, ‘હે સર્વશક્તિમાન, અમારા રાજાને એક વર્ષ વધું જીવાડજે.’
(Leo Tolstoy)

बरबाद गुलिस्तान करने को बस एक ही उल्लु काफी है;
अन्जाम-ए-गुलिस्तान क्या होगा, हर शाख पे उल्लु बैठा है।

('ઈન્ટરનેટ પરથી')

Saturday, September 3, 2011

મુખવાસ

[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !

[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.

[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.

[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.

[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.

[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!

[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !

[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !

[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.

[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.

[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાનનરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.

[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.

[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.

[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.

[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.

[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !

[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !

[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોનીસ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.

[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !

[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

[21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !

[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.

[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓઅને બાળકો ઈશ્વરના દસ્તખત છે.

[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.

[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !

[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !

[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.

[29] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !


('ઈન્ટરનેટ પરથી')

પ્યાલો નહિં, તળાવ બનો

એક સંત ગુરૂના આશ્રમમાં એક નવો શિષ્ય રહેવા આવ્યો અને તે વારંવાર સંતગુરૂને પૂછતો કે જીવનમાં દુ:ખદર્દ આપણને આટલી બધી તકલીફ શા માટે પહોંચાડે છે અને તેમાંથી મુક્તિ કઈ રીતે મળી શકે?
એક દિવસ શિષ્યે જ્યારે ગુરૂને ફરી પાછો આ પ્રશ્ન પૂછ્યો ત્યારે ગુરૂએ તેને થોડું મીઠુ લઈ આવવા કહ્યું.જ્યારે પેલો ઉત્પાતિયો શિષ્ય મીઠુ લઈ પાછો આવ્યો એટલે સંતગુરુએ તેને એક પ્યાલામાં પાણી લઈ મીઠુ તેમાં ઓગાળવા કહ્યું. શિષ્યે તેમ કર્યું. ગુરુએ ત્યારબાદ એ પાણી શિષ્યને પી જવા કહ્યું અને પૂછ્યું તેને એ પાણીનો સ્વાદ કેવો લાગ્યો?
શિષ્યે જવાબ આપ્યો,"ખારો!"
ત્યારબાદ ગુરુએ શિષ્યને ચપટી મીઠુ હાથમાં લઈ પોતાની પાછળ પાછળ આવવા કહ્યું અને એ તેને પાસેના એક તળાવ તરફ દોરી ગયા. ત્યાં પહોંચ્યા બાદ ગુરુએ શિષ્યને મીઠુ તળાવના પાણીમાં નાંખવા કહ્યું અને પછી તળાવનું પાણી પીવા જણાવ્યું.
શિષ્યે ગુરુની આજ્ઞાનું કુતૂહલ સાથે પાલન કરતા મીઠુ તળાવમાં નાંખ્યું, ખોબામાં ભરાય એટલું પાણી તળાવમાંથી હાથમાં લીધું અને એ પાણી તે પી ગયો. તેના મોઢામાંથી થોડું પાણી બહાર ટપકી રહ્યું હતું એ તરફ આંગળી ચીંધી ગુરુ મહાત્માએ તેને પૂછ્યું,"તને આ તળાવના પાણીમાં મીઠાનો ખારો સ્વાદ વર્તાય છે?"
શિષ્યે જવાબ આપ્યો " બિલ્કુલ નહિં. મને પાણીનો સ્વાદ ખારો નહિં પણ મીઠો જ લાગે છે."

ગંભીર બની ગયેલા શિષ્યને પાસેના એક વૃક્ષના ઓટલે બેસાડી સંતે તેના માથે પ્રેમથી હાથ ફેરવ્યો. તેમને પોતાની યુવાની વેળા પોતાની પણ એ શિષ્ય જેવી જ સ્થિતી અને મનોદશા યાદ આવી ગયાં.તેમણે શિષ્યને પ્રેમપૂર્વક સમજાવતા કહ્યું "વત્સ, જીવનના દુ:ખદર્દો અને મીઠામાં લેશમાત્ર ફરક નથી.
જીવનમાં દુ:ખની માત્રા ચોક્કસ જ હોય છે,વધતી કે ઘટતી નથી.આમછતાં ખારાશ કે કડવાશનો આધાર (એ દુ:ખ ની આપણા પર થતી અસર કે તેની તીવ્રતા) આપણે તેને કયા પાત્રમાં મૂકીએ છીએ તેના પર રહેલો છે.
આથી જ્યારે તમે વેદના કે દુ:ખ અનુભવતા હોવ ત્યારે તમારે જરૂર છે માત્ર તમારી લાગણીઓના સંવેદના તંત્રને વિસ્તારવાની...
પ્યાલો નહિં, તળાવ બનો."

('ઈન્ટરનેટ પરથી')

Saturday, August 20, 2011

ગર્વ થી કહો 'હું ભારતીય છું...'

હજી થોડાં દિવસો અગાઉ જ આપણે ભારતનો ૬૫મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો પણ આપણાં આ મહાન દેશનો ગૌરવપૂર્ણ ઇતિહાસ કદાચ આપણે વિસરી ગયાં છીએ.આવો આજે ઇન્ટરનેટ કોર્નરમાં ભારતનાં આ ગૌરવપૂર્ણ ઇતિહાસની ડોકિયું કરીએ...

નીચેનામાંના કેટલાક સત્યો કદાચ તમે જાણતા હશો. થોડા સમય અગાઉ તે એક જર્મન સામયિકમાં છપાયા હતા જે ભારત વિષેના ઐતિહાસિક સત્યો ઉપર આધારિત છે:

૧. 'પાઈ' (π) ની કિંમત સૌ પ્રથમ ગણનાર ભારતીય બુદ્ધાયન હતાં જેમણે પાયથાગોરસના સિદ્ધાંત તરીકે પ્રખ્યાત ભુમિતિના એક અતિ મહત્વના સિદ્ધાંતને પણ સૌ પ્રથમ વાર સમજાવ્યો હતો.બ્રિટીશ નિષ્ણાતોએ ૧૯૯૯માં સત્તાવાર જાહેરાત કરી હતી કે બુદ્ધાયનનું કામ છઠ્ઠી સદી જેટલું પુરાણું છે જે યુરોપિયન ગણિતજ્ઞો કરતાંયે પહેલાનું છે.

૨. અંકગણિત (Algebra), ત્રિકોણમિતિ(Trigonometry) અને કલન(Calculus) ભારતે વિશ્વને આપેલી ભેટ છે. વર્ગાત્મક સમીકરણો ૧૧મી સદીમાં શ્રીધરાચાર્યે શોધ્યા હતાં.ગ્રીક અને રોમન લોકો વાપરતા હતાં એ સૌથી મોટી સંખ્યા ૧૦૬ હતી,જ્યારે એ સમયે ભારતીયો ૧૦૫૩ જેટલી મોટી સંખ્યાનો ઉપયોગ કરતા હતાં.

૩. અમેરિકાના જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યુટ મુજબ,ઈ.સ. ૧૮૯૬ સુધી,પૂરા જગતમાં હીરાઓનો એકમાત્ર સ્રોત ભારત દેશ હતો.

૪. અમેરિકા સ્થિત IEEE એ સાબિત કર્યું છે કે સદીઓથી મનાતી વાત કે મારકોની વાયરલેસ કમ્યુનિકેશનના પ્રણેતા હતા એ તથ્ય નથી. બિનતાર સંદેશવ્યવહાર(Wireless communication)ના ખરા પ્રણેતા ભારતીય વૈજ્ઞાનિક જગદિશચંદ્ર બોઝ હતાં.

૫. સિંચાઈ માટે પાણી સંગ્રહવાની ટાંકી અને બંધ સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં બંધાયા હતાં.

૬. શતરંજની શોધ ભારતમાં થઈ હતી.

૭. સુશ્રુત શસ્ત્રક્રિયાના પિતા ગણાય છે.આશરે ૨૬૦૦ વર્ષ પહેલા તેમણે તે સમયના તેમના આરોગ્ય વૈજ્ઞાનિક સાથીઓ સાથે મળીને સિઝેરિયન, મોતિયા,ફ્રેક્ચર અને મૂત્રાશયની પથરી જેવા ઓપરેશન સફળતાપૂર્વક કર્યા હતાં. એનેસ્થેશિયાનો પ્રયોગ પણ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતો.

૮. જ્યારે જગતની ઘણી સંસ્કૃતિઓ જંગલમાં ભટકતી જનજાતિઓ,આદિવાસીઓની જ બનેલી હતી ત્યારે અંદાજે ૫૦૦૦ વર્ષ પહેલાં,ભારતીયોએ સિંધુના ખીણપ્રદેશમાં હડપ્પાની સંસ્કૃતિ વિકસાવી હતી.

૯. ઈ.સ. પૂર્વે ૧૦૦માં, અંકની સ્થાનિક કિંમત,દશક સંખ્યા પદ્ધતિની શોધ ભારતમાં થઈ હતી.




હવે અર્વાચીન ભારતની કેટલીક મહાન વિભૂતિઓ વિશે પ્રશ્નોત્તરી.જોઇએ તમને કેટલી ખબર છે!

સન માઈક્રોસિસ્ટમ્સ ના સહસંસ્થાપક કોણ છે?
જ. વિનોદ ખોસલા

૯૦ ટકા જેટલા કમ્પ્યુટર જેના પર ચાલે છે એ પેન્ટિયમ ચિપના સર્જક કોણ છે?
જ. વિનોદ ધામ

વિશ્વની સાતમા અને આઠમા ક્રમે આવતી સૌથી વધુ ધનિક વ્યક્તિ કોણ છે?
જ. ફોર્બ્સની યાદી પ્રમાણે રીલાયન્સના મુકેશ અંબાણી વિશ્વના સૌથી વધુ ધનિકોની યાદીમાં સાતમું અને લક્ષ્મી મિત્તલ આ યાદીમાં આઠમું સ્થાન ધરાવે છે.

ઈમેલ ને સૌથી વધુ પ્રખ્યાત બનાવનાર એક સમયે વિશ્વની નંબર-૧ વેબસાઈટ હોટમેલના સ્થાપક અને સર્જક કોણ છે?
જ. સબીર ભાટિયા

C, C++,યુનિક્સ જેવી સોફ્ટ્વેર લેંગ્વેજીસ નું જ્યાં સર્જન થયેલું એ A T & T બેલ લેબ્સ ના ભૂતપૂર્વ ભારતીય અધ્યક્ષ કોણ હતા?
જ. અરુણ નેત્રવલ્લી

હ્યુલેટ પેકાર્ડ ના જનરલ મનેજર રહી ચૂકેલા, E-speak ના સહસંસ્થાપક અને ૪૫ પેટન્ટ ધરાવનાર ભારતીય કોણ કોણ છે?
જ. રાજીવ ગુપ્તા

વિન્ડોઝ ૨૦૦૦ ના માઈક્રોસોફ્ટ ટેસ્ટીંગ ડિરેક્ટર કોણ છે?
જ. સંજય તેજરિકા

સિટીબેન્ક હાલનાં , મે-કિન્સી ના ભૂતપૂર્વ અને સ્ટાનચાર્ટના ભૂતપૂર્વ ભારતીય અધ્યક્ષ કોણ ?
વિક્રમ પંડિત , રજત ગુપ્તા અને રાના તલવાર

ભારતીયો વિષેની બીજી કેટલીક રસપ્રદ આપણને ગર્વ થાય એવી માહિતી:

આપણે ભારતીયો અમેરિકાના બધાં જ વંશજૂથોમાં સૌથી ધનાઢયોમાં સ્થાન ધરાવીએ છીએ, ત્યાંના ગોરાઓ અને સ્થાનિકો કરતાંયે વધારે સારા દેખાવ સાથે. અમેરિકામાં કુલ વસ્તીના દોઢ ટકા જેટલા જ (આશરે બત્રીસ લાખથી થોડાં વધુ) ભારતીયો છે છતાં -

અમેરિકાના ૩૮ ટકા ડોક્ટર્સ ભારતીય છે.
અમેરિકાના ૧૨ ટકા વૈજ્ઞાનિકો ભારતીય છે.
અમેરિકાના ૩૬ ટકા નાસા વૈજ્ઞાનિકો ભારતીય છે.
અમેરિકાના ૩૪ ટકા માઈક્રોસોફ્ટ કર્મચારીઓ ભારતીય છે.
અમેરિકાના ૨૮ ટકા આઈ.બી.એમ કર્મચારીઓ ભારતીય છે.
અમેરિકાના ૧૭ ટકા ઇન્ટેલ વૈજ્ઞાનિકો ભારતીય છે.
અમેરિકાના ૧૩ ટકા ઝેરોક્સ કર્મચારીઓ ભારતીય છે.

ઉપર દર્શાવેલ માહિતીતો ટાંચણીની ટોચ જેટલી જ છે.આ યાદી લખવા બેસો તો દિવસો ઓછા પડે!

જો આપણને મહાન ભારતની આ ભવ્યતાના દર્શન, આજે આપણે જે ભારતમાં રહીએ છીએ તેમાં ન થતા હોય તો એનો સ્પષ્ટ અર્થ એ જ છે કે આપણે આપણી બધી તાકાત,આપણા સઘળા કૌશલ્યનો પૂરેપૂરો ઉપયોગ કરતાં નથી અને જો એ આપણે કરીએ તો આપણે ફરી એક વાર દુનિયા માટે ઉજ્જવળ પથદર્શક બની રહેનાર રાષ્ટ્ર બની શકીએ.ચાલો સૌ સાથે મળી ભારતના કલ્યાણ માટે મહેનત કરીએ.

ગર્વ થી કહો 'હું ભારતીય છું...'

('ઈન્ટરનેટ પરથી')

Saturday, August 13, 2011

કદાચ જિંદગી બદલાઈ રહી છે!

[ ઇન્ટરનેટ પર એક સરસ મજાની હિન્દી કવિતા વાંચવામાં આવી.તેના રચયિતાની તો
જાણ નથી પણ એમાં રજૂ થયેલાં વિચારો મને સ્પર્શ્યા એટલે તેનો ભાવાનુવાદ આજે
ઇન્ટરનેટ કોર્નરમાં તમારી સૌ સાથે શેર કર્યો છે.આશા છે તમને ગમશે.
તમને આ કવિતા અને આ કટાર કેવા લાગે છે એ લખી મોકલશો તો આનંદ થશે!]

કદાચ જિંદગી બદલાઈ રહી છે!

જ્યારે હું નાનો હતો ત્યારે દુનિયા બહુ મોટી લાગતી હતી...

મને યાદ છે મારા ઘરથી સ્કૂલ સુધીનો એ રસ્તો જ્યાં શું શું નહોતું?

પીપરમીટની દુકાનો,જલેબીની લારી,બરફના ગોળા અને ઘણું બધું...

હવે ત્યાં 'મોબાઈલ શોપ' અને 'વિડીયો પાર્લર' છે,

છતાં સાવ સૂનું સૂનું લાગે છે...

કદાચ હવે દુનિયા સમેટાઈ રહી છે...



જ્યારે હું નાનો હતો ત્યારે સાંજ ખૂબ લાંબી રહેતી હતી..

હું હાથમાં પતંગની દોરી ખેંચી કલાકો સુધી તેને આકાશમાં ઉડાડ્યા કરતો હતો..

એ લાંબી 'સાયકલ રેસ',એ બાળપણની રમતો,રોજ સાંજે થાકીને લોથ થઈ જવું,

હવે સાંજ નથી પડતી,દિવસ આથમે છે અને સીધી રાત પડી જાય છે.

કદાચ સમય પણ સમેટાઈ રહ્યો છે...



જ્યારે હું નાનો હતો કદાચ દોસ્તી ખૂબ પાક્કી થયા કરતી હતી...

દિવસ આખો એ અલગારી રખડપટ્ટી મિત્રોના વૃંદ સાથે,દોસ્તોના ઘેર જ ખાવાનું...

અત્યારે પણ મારા ઘણાં મિત્રો છે પણ કોણ જાણે મિત્રતા ક્યાં ખોવાઈ ગઈ છે?

જ્યારે જ્યારે ટ્રાફિક સિગ્નલ પર મળીએ ત્યારે 'Hi' થઈ જાય છે અને અમે

પોતપોતાના રસ્તે ફંટાઈ જઈએ છીએ,

હોળી,દિવાળી,જન્મદિવસ,નવા વર્ષના અનેક SMS આવી જાય છે...

કદાચ હવે સંબંધો બદલાઈ રહ્યા છે...



જ્યારે હું નાનો હતો ત્યારે રમતો પણ અજબ ગજબની રમાતી હતી...

થપ્પો,પકડાપકડી,લંગડી,ડબ્બા આઈસ પાઈસ,ગાંધીજી કહે છે કે...,ગોળ ગોળ ટામેટું...

હવે ઇન્ટરનેટ અને ઓફિસમાંથી ફુરસદ જ નથી મળતી.

કદાચ જિંદગી બદલાઈ રહી છે...



જિંદગીનું સૌથી મોટું સત્ય એ જ છે...જે મોટે ભાગે કબ્રસ્તાન બહાર બોર્ડ પર લખ્યું હોય છે...

'મંઝિલ તો આજ હતી મારી, બસ જિંદગી પસાર થઈ ગઈ મારી અહિં આવતા આવતા...'

જિંદગીની પળો ખૂબ નાની નાની હોય છે...

ગઈ કાલ વિતી ગયેલી વાત છે તો આવતી કાલ માત્ર સપનામાં જ હોય છે..

હવે બચી ગયેલી આ ક્ષણોમાં...

આશાઓ ભરી આ જિંદગીમાં,

આપણે સૌ માત્ર દોડી રહ્યા છીએ...

થોડી ગતિ ધીમી કરો,

મારા મિત્ર,

જીવનને માણો...

સુખેથી જીવો અને બીજાઓને જીવવા દો..


('ઈન્ટરનેટ પરથી')

Saturday, August 6, 2011

ફ્રેન્ડ્શીપ ડે સ્પેશ્યિલ !

સાચા મિત્રની સૌથી સારી અને સાચી વ્યાખ્યા ઇન્ટરનેટ પર એક મિત્રે ફોર્વર્ડ કરેલા ઇમેલમાં વાંચવા મળી.

મિત્ર...તમને પ્રેમ કરે છે,
પણ એ તમારો પ્રેમી કે પ્રેમિકા નથી.
એ તમારી કાળજી કરે છે,
પણ એ તમારો કુટુંબીજન નથી.
એ તમારા દુ:ખો અને સમસ્યાઓ વહેંચે છે,
પણ એ તમારી સાથે લોહીના સંબંધ ધરાવતો નથી.
એ તમારો ખરો.... મિત્ર છે!!!

એક સાચો મિત્ર...
તમારા પિતાની માફક તમને દબડાવે છે...
તમારી માતા જેટલી કાળજી રાખે છે...
તમારી બહેનની જેમ તમને ચિડવે છે ...
તમારા ભાઈની જેમ તમને પજવે છે,ખિજવે છે...
અને છેલ્લે તમને તમારા પ્રેમી કરતા પણ વધુ ચાહે છે...

*******************************

મિત્રતાની ભાષા શબ્દોની બનેલી નથી હોતી,તેમના અર્થથી બનેલી હોય છે.

આપણું જીવન અડધું આપણે પોતે ઘડતાં હોઈએ છીએ અને બીજું અડધું આપણે જે મિત્રો પસંદ કરીએ એ ઘડતાં હોય છે.

દરેક મનુષ્ય સાચા મિત્રની શોધમાં હોય છે.

મિત્ર તો જલ્દી બની જાય છે પણ મિત્રતા ધીમે ધીમે પાકનારું ફળ છે.

તમારો સાચો મિત્ર તમારા વિષે બધું જાણવા છતાં તમારો મિત્ર બની રહેતો હોય છે.

જેનો કોઈક મિત્ર હોય એવો કોઈ મનુષ્ય મામૂલી નથી હોતો.

પ્રેમ કોઈક મહાન મનુષ્ય કરતાંયે દુર્લભ હોય છે.મિત્રતા પ્રેમ કરતાંયે દુર્લભ હોય છે.

મારા દરેક વાચકમિત્રને મારા તરફથી 'હેપ્પી ફ્રેન્ડ્શીપ ડે!'

Sunday, July 31, 2011

એક ન જન્મેલા બાળકની ડાયરી

૧૫ જૂન - મારું માતાના ગર્ભમાં અંડાશય સાથે જોડાણ થયું...

૧૭ જૂન - હવે હું એક જીવંત કોષ છું.

૩૦ જૂન - મમ્મી એ પપ્પાને ખુશ ખબર આપ્યા કે તે પપ્પા બનવાના છે!

મમ્મી અને પપ્પા ખૂબ ખુશ છે! મને પણ તેમને બંને ને મારા કારણે આટલા ખુશ જોઈ અસીમ આનંદની અનુભૂતિ થાય છે!

૧૫ જુલાઈ - મારી મમ્મી જે કંઈ ખાય છે એમાંથી જ મને પોષણ મળે છે.

૧૫ સપ્ટેમ્બર - હવે હું મારા હદયના ધબકારા અનુભવી શકું છું.

૧૪ ઓક્ટોબર - મારા નાના નાના હાથ, પગ , માથું અને પેટ હવે રચાઈ ચૂક્યા છે.

૧૩ નવેમ્બર - આજે મારું અલ્ટ્રા સ્કેન (ગર્ભપરિક્ષણ) થયું.

ડોક્ટરે મમ્મી-પપ્પાને જાણ કરી એ પરથી મને ખબર પડી કે હું એક છોકરી છું...હું ખૂબ ખુશ થઈ...વાહ હું એક કન્યા છું...

૧૪ નવેમ્બર - હું મુત્યુ પામી ચૂકી છું. મારા જન્મ પહેલાં જ...

...અને સૌથી દુ:ખદ બાબત એ છે કે મારા માતાપિતાએ જ મારી હત્યા કરી નાંખી છે...

કારણ?

...કારણ હું એક કન્યા છું...એક છોકરી છું...

કારણ?

...કારણ હું એક કન્યા છું...એક છોકરી છું...

કેવી કડવી વાસ્તવિક્તા છે કે લોકો છોકરીને માતા તરીકે, પત્ની તરીકે અને ગર્લફ્રેન્ડ તરીકે સ્વીકારે છે પણ એક દિકરી તરીકે નહિં...

લોકો મને સરસ્વતી,લક્ષ્મી,જગદંબા, અને કાલી તરીકે પૂજે છે પણ દિકરી તરીકે જન્મતા પહેલાં જ મારી હત્યા કરતા લેશમાત્ર પણ અચકાતા નથી...
શું પરિવર્તન આવશે? મારો સ્વીકાર સમાજમાં સહર્ષ, દિકરો આવ્યા જેટલી જ ખુશી સાથે થાય એ દિવસ ક્યારે આવશે?

('ઈન્ટરનેટ પરથી')

Saturday, July 23, 2011

માનવ માત્ર અધૂરાં...

હું જ્યારે નાની હતી ત્યારની આ વાત છે.મારી મમ્મીને મારા અને મારા પિતા માટે સવારનો નાસ્તો અને બપોર તથા રાતનું ભોજન બનાવવામાં ખૂબ આનંદ આવતો.મને એક ખાસ દિવસ યાદ આવે છે જ્યારે મારી માતા થાકીને નોકરીએથી પાછી ફરી હતી અને છતાં તેણે મારા અને મારા પિતા માટે બ્રેડ શેકી તેના પર બટર અને જામ લગાડી ચા સાથે અમને તે ખાવા આપ્યાં.હવે બન્યું હતું એવું કે બ્રેડ શેકતી વખતે તે સાવ બળી ગયેલાં અને મારા પિતાને ભાગે આવેલા બ્રેડ તો કાળા-ભઠ થઈ ગયેલાં હતાં, આમ છતાં મારા પિતાએ ફરિયાદનો એક હરફ પણ ઉચ્ચાર્યા વગર ચા-નાસ્તો પતાવી દીધો.. હું તેમને ધ્યાનપૂર્વક જોઈ રહી હતી અને ધારતી હતી કે હમણાં તેઓ મમ્મી પર બગડશે.પણ એમ ન બન્યું.ચાનાસ્તો કરતી વખતે તેઓ આખો વખત મારી મમ્મી સામે સ્મિત કરતા રહ્યા અને મને અને મમ્મીને અમારો દિવસ શાળામાં તેમજ નોકરી પર કેવો રહ્યો એ અંગે પૃચ્છા કરતા રહ્યા. ચાનાસ્તો પતી ગયા પછી અમે ટેબલ પરથી ઉઠતાં હતાં ત્યારે મારી મમ્મીએ બ્રેડ બળી ગયાં એ માટે માફી માગી ત્યારે મારા પપ્પા એ જે કહ્યું એ સાંભળીને તો હું આભી જ બની ગઈ.તેમણે કહ્યું,"પ્રિયા,મને તો બળેલા બ્રેડ ખૂબ ભાવે છે!"

રાતે સૂતા પહેલા હું પપ્પા પાસે ગઈ અને મેં તેમને પૂછ્યું શું ખરેખર તેમને બળેલા બ્રેડ ભાવતા હતા?તેમણે મને બાથમાં લેતા કહ્યું:'ચાંદની બેટા,તારી મમ્મી આજે આખો દિવસ ઓફિસમાં કામ કરી થાકીપાકી ઘેર આવી અને બ્રેડ એનાથી સહેજ દાઝી ગયું એમાં શું થઈ ગયું?દાઝેલું બ્રેડ ખાઈ કોઈને નુકસાન થતું હોવાનું મેં તો સાંભળ્યું નથી.જીવન અધૂરપો અને ખામીઓથી અને અધૂરાં તેમજ ખામીઓથી ભરેલાં મનુષ્યોથી ભરેલું છે.છતાં અધૂરાં તોયે મધુરાં...હું પોતે પણ કંઈ શ્રેષ્ઠ રસોઈયો કે ઘર એકદમ સ્વચ્છ રાખી શકનાર આદર્શ માણસ નથી...'

એ દિવસે મને જીવનનો એક મહામૂલો પાઠ શિખવા મળ્યો કે આપણે સૌએ એકમેકના દોષો,ખામીઓ કે નબળાઈઓ સ્વીકારતા શીખવું જોઇએ અને એકબીજાના મતભેદો ઉજવતા શીખવું જોઇએ - આ એક તંદુરસ્ત,મજબૂત, લાંબા અને સફળ સંબંધ કેળવવાનો એક માત્ર અને અતિ અસરકારક માર્ગ છે.

મારી તમારા સૌ માટે પ્રાર્થના છે કે આજથી તમે જીવનમાં સઘળું સારું,ખરાબ,કદરૂપું,અધુરૂં સ્વીકારશો અને તેને ઇશ્વરના ચરણોમાં ધરી દેશો.કારણ આખરે તો એ જ સમર્થ છે જે તમને એવા સંબંધની ભેટ આપી શકે છે જેમાં બળેલાં બ્રેડ એ સંબંધ તૂટવાનું કારણ ન બની શકતા હોય!આ સત્ય જીવનમાં દરેક સંબંધ માટે લાગુ પડે છે.પછી ભલે એ સંબંધ પતિ-પત્ની વચ્ચેનો હોય કે માતાપિતા-સંતાન વચ્ચેનો કે બે મિત્રો વચ્ચેનો - દરેક સંબંધનો પાયો બે પાત્રો વચ્ચેની સમજણ છે જેને અંગ્રેજીમાં આપણે અન્ડરસ્ટેન્ડિંગ(understanding) કહીએ છીએ.

તમારા સુખી થવાની ચાવી બીજા કોઈના ખિસ્સામાં ન મૂકો,તે તમારા ગજવામાં જ રહેવા દો!

સંપૂર્ણ જગતમાં એક જ ઇશ્વર,માનવ માત્ર અધૂરાં....પણ અધૂરાં તોયે મધુરાં!

('ઈન્ટરનેટ પરથી')

Saturday, July 16, 2011

સાચો પ્રેમ

* સાચા પ્રેમમાં શું શું હોય?
વચન, સુરક્ષિતતા, લાગણી, ઉચાટ, તરસ, આનંદ, જવાબદારી, ધગશ, રોમાંચ, સ્નેહ, કાળજી, ધ્યાન, સમર્પણ, આકર્ષણ, સન્માન, વિશ્વાસ, શ્રદ્ધા, આશા, વફાદારી, ગૌરવ, પ્રતિબદ્ધતા, ઉષ્મા, આરાધના, સાધના, સમજણ, આગ,પ્રશંસા, નમ્રતા, સુસંગતતા અને વળગણ.
* 'I love you' અને 'I Love You' આ બંને કહેવા વચ્ચે ફેર છે.
* પ્રેમ ખરેખર આંધળો હોય છે, તેથી જ પ્રેમી-પ્રેમિકા એકબીજાના હાથ સતત પકડી રાખે છે.
* પ્રેમ જીવવા માટેનું એકમાત્ર કારણ અને જીવનનો એક માત્ર ઉદ્દેશ છે.
* જ્યારે માણસ એમ વિચારે કે પ્રેમે તેને છોડી દીધો છે ત્યારે તે ગાંડાની હદે અધીરો બની જાય છે.
* પ્રેમના કારણે જ તો આપણે જીવી શકીએ છીએ.
* પ્રેમ આપણાંમાંથી આંખો દ્વારા વહે છે, મન દ્વારા વહે છે, પણ આપણે તેનો અનુભવ કરતાં નથી. પ્રેમનો અનુભવ કરવા માટે આપણે આપણી અંદર ઉતરવું પડે.
* જ્યારે તમે સાચા પ્રેમનો અનુભવ કરો છો ત્યારે તમે એવી સ્થિતીમાં ચાલ્યા જાવ છો જેનું શાબ્દિક વર્ણન શક્ય નથી.તમારી જીભડી કામ કરતી બંધ થઈ જાય છે અને તમે કોઈને કંઈ કહી શક્તા નથી.તમે એવા આનંદથી વિભોર થઈ જાઓ છો જે બીજી બધી લાગણીઓથી પર છે,શ્રેષ્ઠ છે.
* પ્રેમ પામવા માટે તમારે પહેલાં પ્રેમ બની જવું પડે છે.એક પ્રેમી જ સાચા પ્રેમને પામી શકે. જો તમે પ્રેમથી અલિપ્ત રહો તો તમે એને ક્યારેય પામી શકો નહિં.
* આપણે પ્રેમનો અનુભવ કરી શક્તા નથી કારણકે આપણે તેને એવી જગાઓએ શોધીએ છીએ જ્યાં તે હોતો જ નથી.
* સાચો પ્રેમ સઘળી મર્યાદાઓથી મુક્ત છે.તે ઉંચા-નીચા વચ્ચેનો ભેદ પારખી શક્તો નથી કે નથી તે સ્ત્રી-પુરૂષ વચ્ચેનો ભેદ પારખી શક્તો.તે મિત્ર અને શત્રુ વચ્ચેનો ભેદ પણ ભૂલી જાય છે.સાચો પ્રેમ એક ક્ષણિક આવેગ સમો હોય છે જે ધીમે ધીમે અંદરથી સ્વતંત્રપણે વધતો જાય છે.
* તમારે તમારી જાતને પ્રેમ કરવો ખૂબ જરૂરી છે.
* પ્રેમ એ બે વ્યક્તિઓના જીવનને સમૃદ્ધ બનાવતી એક સુંદર સોગાદ છે.
* તારામાં એવી કેટલી બધી ખૂબીઓ છે જેના કારણે મને તારા પર પ્રેમ ઉપજે, પણ સત્ય એ છે કે હું તને સાચો પ્રેમ કરું છું કારણ કે તું તું જ છે..!

('ઈન્ટરનેટ પરથી')

ઇન્ફોસિસની સફળતાની ગાથા

ઇન્ફોસિસ ભારતની એક સૌથી મોટી અને સફળ આઈ.ટી. કંપની છે જેના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે.તેની સફળતાની ગાથા જાણવાલાયક અને ખૂબ પ્રેરણાદાયી છે. અર્શદીપ સિંઘ જણાવે છે કે કઈ રીતે છ મિત્રોએ ભેગા મળી ભારતનું નસીબ બદલી નાંખ્યું.

ભારતને આઈ.ટી. ક્ષેત્રનું સુપરપાવર રાષ્ટ્ર જાહેર કરવાનું કારણ એ છે કે ઇન્ફોસિસે બીજી અનેક આઈ.ટી. કંપનીઓ માટે ભારતને વૈશ્વિક માપદંડો ધરાવનાર સોફ્ટવેર હબ તરીકે ઓળખ અપાવવાનો માર્ગ કંડાર્યો છે, સરળ બનાવ્યો છે. નાસ્ડેક ખાતે પ્રથમ લિસ્ટ થનાર ભારતીય આઈ.ટી. કંપની બનવાનું બહુમાન મેળવનાર ઇન્ફોસિસે જ પોતાના કર્મચારીઓને કંપનીના શેર આપવાની શરૂઆત કરી હતી. તાજેતરમાં જ પોતાના અસ્તિત્વના ત્રીસ વર્ષ પૂરા કરનાર ઇન્ફોસિસનો ઇતિહાસ, હિંમત અને ખંતનું શાનદાર ઉદાહરણ પૂરું પાડે છે.

એક નવા વિચાર સાથે નારાયણ મૂર્તિ અને બીજા છ મિત્રો (નંદન નિલેકણી, એન. એસ. રાઘવન, એસ. ગોપાલક્રિષ્ણન, એસ. ડી. શિબુલાલ, કે. દિનેશ અને અશોક અરોરા) એ મળીને, ગ્રાહકો માટે સોફ્ટવેર કોડ/પ્રોગ્રામ લખે એવી એક સ્વતંત્ર કંપનીની સ્થાપના કરવાના આશયથી ૧૯૮૧ની બીજી જુલાઈએ ઇન્ફોસિસની સ્થાપના કરી. તેનું ત્યારે નામ ‘ઇન્ફોસિસ કન્સલટન્ટ્સ પ્રા. લિ.’ હતું. આ કંપનીની શરૂઆતની મૂડી માત્ર દસહજાર રૂપિયા હતી જે નારાયણમૂર્તિએ પોતાની પત્ની સુધા મૂર્તિ પાસેથી ઉધાર લીધાં હતાં.આ બંને પતિપત્ની એ સંયુક્ત લોન પર પુણે ખાતે લીધેલું ઘર એ જ શરૂઆતના ઇન્ફોસિસની ઓફિસ હતી! આ નવી કંપનીની શરૂઆત બાદ સુધા મૂર્તિએ ઘરખર્ચ કાઢવા પોતે પણ નોકરી કરવી પડી હતી.સુધા મૂર્તિએ ૧૯૮૩ સુધી એક સિસ્ટમ એનાલિસ્ટ તરીકે નોકરી કરી. ત્યારે જ ઇન્ફોસિસ બેંગ્લોર શિફ્ટ થયું અને તેને પ્રથમ વિદેશી ગ્રાહક (અમેરિકાની ડેટા બેઝિક્સ કોર્પોરેશન)મળ્યો. બેંગ્લોર શિફ્ટ થયા બાદ સુધા મૂર્તિ પણ ઇન્ફોસિસમાં જ સોફ્ટવેર પ્રોગ્રામર તરીકે જોડાયા.કંપની પાસે પોતાની માલિકીની કાયમી જગા નહોતી કે નહોતો એકાદ ટેલિફોન. પણ કંઈક નવું નિર્માણ કરવાની ઝંખના તેમને સફળતાના નવા નવા શિખરો સર કરાવતી ગઈ. ભલે આ તબક્કો તેમના માટે ઘણો સંઘર્ષમય અને મુશ્કેલ હતો આમ છતાં તેમની ટીમ નિકટતા, ઘનિષ્ઠતા અને મૈત્રીભર્યા સંબંધો તેમજ હળવાશ જાળવી રાખવા ફરવા માટે પિકનિક્સ પર જતી.

તેમનું પ્રથમ સંયુક્ત સાહસ ૧૯૮૭માં ‘કર્ટ સાલ્મોન એસોસિયેટ્સ’ કંપની સાથે થયું. પહેલા અમેરિકામાં કામ કરી ચૂકેલા એસ. ગોપાલક્રિષ્ણને ત્યાંનું પ્રતિનિધિત્વ કર્યું. તેમ છતાં ૧૯૮૯માં આ સંયુક્ત સાહસ પડી ભાંગ્યું અને કંપની માટે બહુ ખરાબ અને કપરો સમય આવ્યો. તેના એક સ્થાપક અશોક અરોરાએ પોતાનો હિસ્સો વેચી દઈ છૂટા પડવાનો નિર્ણય લીધો જેની બીજા સ્થાપક માલિકો પર પણ અસર થઈ. આમ છતાં મૂર્તિ મક્કમ રહ્યાં અને અશોક સિવાય બધાં ઇન્ફોસિસને ટકાવી રાખવા સહમત થયાં. અને ત્યાર બાદ કંપનીના વિકાસના સૂરજનો ઉદય થયો અને આજે તો ઇન્ફોસિસે અનેક બીજા ક્ષેત્રોમાં ઝંપલાવી સારી એવી સિદ્ધી હાંસલ કરી છે.

અમેરિકા તેની સેવાઓનો સૌથી મોટો ગ્રાહક છે અને ઇન્ફોસિસનો ૬૦ % નફો ત્યાંથી જ પ્રાપ્ત થાય છે.૧૯૯૨માં ઇન્ફોસિસ એક પબ્લિક લિમિટેડ કંપની બની અને વર્ષ ૨૦૦૬માં તેની રજત જયંતિ વખતે તેની આવકના આંકડા અમેરિકી ડોલર બે અબજને પણ વટાવી ગયાં. આત્મશ્રદ્ધા અને હિંમતના પ્રતિક સમી આ ઇન્ફોસિસ કંપની આજે પણ પોતાની ૩૦થી વધુ ઓફિસો અને ૫૩૦૦૦ કરતાં પણ વધુ કર્મચારીઓ સાથે ભારતની ટોચની સોફ્ટવેર કંપનીનું સ્થાન ભોગવે છે.

('ઈન્ટરનેટ પરથી')

Sunday, July 3, 2011

સપ્તર્ષિ

(હરનિશ જાની, યાર્ડવિલ, ન્યુ જર્સી )

તમે ક્યારે ય વૃદ્ધ પુરુષને રડતો જોયો છે? બાળકનું શસ્ત્ર રુદન છે. જુવાનીની નબળાઈ રુદન છે. વૃદ્ધત્વનું મૌન એ રુદન છે. વૃદ્ધત્વની ભાષા પણ મૌન હોય છે.
તે દિવસે બાપુજી મારી આગળ રડી પડ્યા હતા. મેં રડવા દીધા હતા. ભલભલાની છાલ ઉતારી નાખે એવા આ રાજકોટના જૈન વેપારી શાંતિકાકા મારી હાજરીમાં આંસુ સારતા હતા. બાપુજી સાથે મારે લોહીની સગાઈ નહોતી. તે મારા મિત્ર નયનના બાપુજી હતા.
અમેરિકામાં, ન્યૂ જર્સીમાં એડિસન શહેરમાં આવેલી ભવ્ય કેનેડી હૉસ્પિટલમાં અમે હતા. શાંતિકાકા અને રમાબા ઉનાળામાં ફરવા આવ્યાં હતાં. દેશ પાછા ફરવાના બે અઠવાડિયાં અગાઉ બાએ શ્વાસ લેવાની તકલીફની વાત કરી. તેમના નાના દિકરા નયન અને તેની પત્ની મીનળે તેમને હૉસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે ભરતી કર્યાં. રમાબાને લંગ્ઝ કૅન્સર નીકળ્યું. બે-ત્રણ વરસથી તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી. પરંતુ ક્યારે ય તેમણે ચર્ચા કરી નથી. આજે ખબર પડી કે તેમને ફેફસાંમાં કૅન્સર હતું.
રમાબાના ઇન્ટેન્સિવ કૅર રૂમની લૉબીમાં, બાપુજીની સાથે હું અને મારી પત્ની મીના ઊભાં હતાં. તેમનો નયન અને મીનળ પણ હતાં. ત્યારે બાપુજીએ નયન તરફ જોઈને કહ્યું, 'હરીશ સવારનો અહીં ઊભો છે. તો તેને નીચે કાફેટેરિયામાં ગરમ ચૉકલેટ પીવા લઈ જઉં છું.' મારી પત્ની, નયન અને મીનળ સાથે લૉબીમાં ઊભી રહી.
બાપુજી મારો હાથ પકડીને એલિવેટર તરફ ચાલવા માંડ્યા. હાથ હૂંફાળો હતો, ધ્રુજતો હતો. એલિવેટરમાં અમે બે જ જણા હતા. બાપુજીના હાથની પકડ મારા હાથ પર મજબૂત થઈ. મેં જોયું તો તેમણે બીજા હાથ વડે ચશ્માં કાઢી નાખ્યાં. તેમની આંખોમાં આંસુ હતાં. મારો હાથ છોડી દીધો. રૂમાલ વડે આંખો લૂછવા લાગ્યા. મારી આંખોમાં જોઈને કહ્યું, 'હરીશ, તને કેમ લાગે છે?'
મેં કહ્યું, 'ના, ના. બાને કાંઈ નહીં થાય. આ અમેરિકા છે.'
'પણ પેલા ડૉક્ટરે તો તેમને ચોવીસ કલાક જ આપ્યા છે.' થોડોક શ્વાસ લઈને બોલ્યા, 'જો એને કાંઈ થઈ જશે તો હું મરી જઈશ... મરી જઈશ.' તેમણે બન્ને હાથ મારા ખભા પર મૂકી દીધા અને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા. તે જોઈને મને આંચકો લાગ્યો. એલિવેટર હૉસ્પિટલની લૉબીના ફ્લોર પર આવી ગયું, બારણાં ખૂલી ગયાં, તો ય બાપુજીએ રડ્યા કર્યું.
કાફેટેરિયામાં જતા પહેલાં લૉબીમાં તેમને પાણી પીવડાવ્યું. કાફેટેરિયામાં અમે બે ચીઝ સૅન્ડવિચ, બટાકાની તળેલી ચિપ્સ અને ગરમ ગરમ ચૉકલેટવાળું દૂધ લઈને એક ટેબલ પર બેઠા. શાંતિકાકા - બાપુજીએ તેમનો એક હાથ મારા હાથ પર મૂકી દીધો. માંદગીમાં અને દુ:ખમાં બીજા મનુષ્યનો સ્પર્શ દુ:ખ અડધું કરી દે છે. સ્પર્શ એક જાતની થેરાપી છે. શાંતિકાકાનું ઘર અને અમારું ઘર સાથે સાથે હતાં. મારાં બા અને રમાકાકી રસોડાની બારીમાંથી વાતચીત કરતાં અને ખાસ કરીને ઉનાળામાં અમારાં બન્ને ઘરની અગાશીમાંથી વડીલો પણ વાતો કરતા. નયન અમેરિકામાં છે અને મોટો દીકરો પ્રકાશ તેમનો 'લેલૅન્ડ'ની ટ્રક અને બસની એજન્સી ભારતમાં સંભાળતો હતો.
બાપુજીએ મને પાછું પૂછ્યું: 'તને કેવું લાગે છે? બા જીવશે?'
મેં તેમને ધરપત આપી: 'કાંઇ નહીં થાય. તમે ચિંતા ન કરો.'
તેમણે પ્લેટમાંની ચીઝ સૅન્ડવિચને જોયા કરી. પછી બોલ્યા: 'આવતે વરસે અમારે પરણ્યે પચાસ વરસ થશે. બાએ મને આટલાં વરસો સાચવ્યો છે. જો બા મરી જશે તો મારાથી નહીં જીવાય. જગતમા હું ક્યાંય હોઉં પરંતુ બા મારી સાથે જ હોય છે. તને એક ખાનગી વાત કહું? અમે પરણ્યાં ત્યારે લગ્નવેદિ પરથી શુક્લ મહારાજે અમને આકાશમાં સપ્તર્ષિ તારા��"ના ઝુમખાનાં દર્શન કરાવ્યાં હતાં. તે દિવસથી અમે બન્ને રોજ રાતે આકાશમાં સપ્તર્ષિનું ઝુમખું જોઈએ છીએ.'
મારી આંખોના ભાવ બાપુજી સમજી ગયા. તે બોલ્યા: 'ઉનાળામાં અમે હંમેશા અગાશીમાં સૂતાં સૂતાં પથારીમાંથી આકાશમાં સપ્તર્ષિ શોધી નાખીએ અને એકમેકના હાથ પકડી અમે નક્ષત્રોની વાતો કરતાં. બા નાની હતી ત્યારથી તેને આકાશ જોવાની મઝા આવતી. હું દિલ્હી ગયો હોઉં કે મુંબઈ ગયો હોઉં તો હોટેલમાંથી બાને ઘેર ફોન કરું અને અમે બન્ને સાથે સપ્તર્ષિ જોઈએ. એક સાથે સપ્તર્ષિના ઝુમખાને જોવામાં અમને એકમેકના સ્પર્શનો ભાસ થતો, એકમેકની હાજરી અનુભવાતી હતી. આ સપ્તર્ષિ-દર્શન અમે જુવાનીમાં ચાલુ કર્યું હતું. અરે, અમે અમેરિકા આવતાં હતાં ત્યારે અરબી સમુદ્ર પર બાએ પ્લેઇનમાંથી સપ્તર્ષિ શોધી કાઢ્યા હતા.' આટલું બોલતામાં તો બાપુજીના મોં પર હાસ્યની લહેરખી આવી ગઈ. પછી ધીમેથી બોલ્યા, 'આ અમારું પ્રેમ-રહસ્ય કોઈને ખબર નથી. આજે તને કહ્યું.'
પાછા ગંભીર થઈ ગયા. પછી બોલ્યા: 'નયન કહે છે કે ઇન્ડિયા જતા રહો. અહીં બાની દવાઓના ખર્ચા બહુ - રોજના ચાર લાખ રૂપિયા - થાય છે કારણકે અમારો ઇન્સ્યોરન્સ નથી. અને ઇન્ડિયાથી પ્રકાશ ફોન કર્યા કરે છે, નવી બસો ઓર્ડર પ્રમાણે ડિલિવર કરવાની છે, તેને મારી જરૂર છે. પણ બાને છોડીને મારાથી કેમ જવાય? એક વાત કહું, હરીશ? માણસ આખી જિંદગી ગધ્ધાવૈતરું કરીને પૈસા કેમ કમાય છે? કારણ કે ઘડપણમાં પૈસો કામ લાગે. અને મારો પૈસો હમણાં કામ ન આવે તો ક્યારે આવશે? મારા બન્ને દીકરાઓની નજર મારા પૈસા પર છે. એમને મા નથી જોઈતી. મારે મારી પત્ની જોઈએ છે. બધું જ મંગલ થતું હોય ત્યારે બાળકો પ્રેમ વરસાવે એ તો સમજ્યા, પણ અમંગલ સંજોગોમાં એટલો જ પ્રેમ વરસાવે તો આપણું જીવ્યું સાર્થક. આ તો બબ્બે ઘર છે, છતાં અમને 'હોમલેસ' બનાવવાની વાતો ચાલે છે!'
વળી પાછા બાપુજી રડી પડ્યા. મેં એમને સાંત્વન આપ્યું અને નયનને સમજાવવાની વાત કરી.
અમે ઉપર બાના વૉર્ડ પાસે ગયા. ત્યાંથી વિઝિટિંગ સમય પૂરો થતો હોવાથી અમે સૌ છૂટાં પડ્યાં. બીજે દિવસે મેં નયનને સમજાવ્યું કે બા ઘેર ન આવે ત્યાં સુધી બાપુજીને ઇન્ડિયા જવા ન દેતો. નયન મારી વાત માની ગયો. પણ એક વાત મને ખૂંચી. તે બોલ્યો હતો: 'તને ખબર છે અહીંનાં ફ્યૂનરલ હોમ કેટલાં મોંઘાં છે તે - બા મરે તો સીધા દશ હજાર ડૉલર થાય! માટે એમની તબિયત વ્હીલચૅરમાં બેસવા જેવી થાય તો એમને પણ દેશ ભેગાં કરી દઈશ.'
મને લાગ્યું કે પૃથ્વી આખી 'જર, જમીન અને જોરુ'ની ચોપાસ ભ્રમણ કરી રહી છે. પૈસા-જમીન-સ્ત્રીએ તો 'પ્રેમ-સૌજન્યતા-વિવેક'ને ક્યાં ય ફંગોળી દીધાં છે.
સૌની પ્રાર્થનાથી કે પછી ડૉક્ટરોની દવાઓથી બાનાં ફેફસાં ચોખ્ખાં થવાં માંડ્યાં. હવે ચોવીસ કલાકમાં મરવાની વાતો બંધ થઈ ગઈ. બા વ્હીલચૅરમાં બેસતાં થઈ ગયાં, નયનને ઘેર આવી ગયાં. નયનના ઘરમાં એકે પગથિયું નહોતું એટલે તેમને વ્હીલચૅરમાં ખસેડવામાં વાંધો નહોતો આવતો. બા હવે લોકોને ઓળખી શકતાં હતાં. એમણે પોતાને હવે સારું છે એમ શાંતિકાકાને સમજાવી દિધું, અને શાંતિકાકા રમાબાને નયનને ઘેર છોડી ઇન્ડિયા ગયા. ઍરપોર્ટ પર મારો હાથ દબાવીને કહે કે, 'બાની કાળજી રાખજો. તું ય મારો દીકરો છે. બાને રોજ મળતો રહેજે.'
વાતને માંડ અઠવાડિયું થયું હશે અને બાની તબિયતે ઊથલો ખાધો. નયનનો ફોન આવ્યો. અમે હૉસ્પિટલમાં ધસી ગયાં. ડૉક્ટરે પાંચ-છ દિવસ હૉસ્પિટલમાં રાખ્યાં. કૅન્સર સ્પેશિયાલિસ્ટે એક સાંજે મને અને નયનને સામે બેસાડીને કહ્યું કે, 'બા એક અઠવાડિયું જીવે, કે એક વરસ પણ જીવે. જો દવાઓ આપ્યા કરીએ તો થોડું લાંબું જીવાય, પરંતુ હવે કૅન્સર દૂર નહીં થાય.'
બાને ઘેર લઈ આવ્યાં. બે-ત્રણ દિવસ પછી નયનનો ફોન આવ્યો. 'બાને ઘરમાં રાખવાના ઘણા પ્રોબ્લેમ્સ છે. મારાથી કે મીનળથી બાને બાથરૂમમાં ટોઇલેટ માટે લઈ જવાતાં નથી. બાના સ્પંજ-બાથ પણ અઘરા પડે છે. અમારી બન્નેની ફુલ-ટાઇમ નોકરી છે. આમે ય બાનાં બિલો પાછળ મારી બધી બચત ધોવાઈ ગઈ છે. વધુમાં મેડિકલ ઇન્સ્યોરન્સ નથી એટલે વિઝિટિંગ નર્સની શક્યતા નથી. એટલે તેમને 'આ દુનિયામાં કોઈ નથી' એવા હોમલેસ સ્ટેટસ પર નર્સિંગ હોમમાં દાખલ કરાવી દિધાં છે. આપણે એકે પૈસો ભરવાનો નહીં.'
આ નર્સિંગ હોમ મારી નોકરીના સ્થળ પાસે જ હતું. રોજ સાંજે વર્ક પછી ત્યાં બાની ખબર લેવાનું રાખ્યું. નયનને રોજ નોકરી પરથી આવીને બાને જોવા આવવાનો સમય નહોતો એટલે એ જવાબદારી મેં લઈ લીધી. આ નર્સિંગ હોમના આગળના ભાગમાં સુંદર ગાર્ડન હતો. બિલ્ડિંગ એક માળનું હતું. આગળના ભાગમાં ��`ફિસો હતી. અંદર ત્રણ બાજુ પર અડોઅડ રૂમો હતી. બધી રૂમની બહાર ��"ટલો હતો. વચ્ચેના ભાગમાં ખુલ્લી જમીન હતી. ત્યાં ઉનાળામાં સુંદર ફૂલો હશે એમ લાગતું હતું. ઉનાળો પૂરો થઈ ગયો હતો, હવે તો નવેંબર આવ્યો હતો. ઠંડી ચાલુ થઈ ગઈ હતી. બધાં વૃધ્ધ સ્ત્રીપુરુશો પોતાની રૂમોમાં બેસીને ટી.વી. જોવામાં સમય ગાળતાં. હું ત્યાંની નર્સો સાથે વાતો કરી બાની મુશ્કેલીઓ સમજાવતો. હવે બાનું કૅન્સર શરીરના બીજા ભાગોમાં વિસ્તર્યું હતું. બા મને કહેતાં કે આ બધી નર્સો તેમને વઢે છે, અને પથારીમાં બેસી રહેવાનું કહે છે.
હવે હું પહેલાં બાને જોઈને પછી નોકરી પર જતો. અને સાંજે વળતાં નર્સિંગ હોમ પર ઊભો રહેતો. નયન અને મીનળ શનિ-રવિએ આવતાં. બા મને કાયમ પૂછતાં કે 'તારા બાપુજીનો ફોન આવ્યો ખરો?'... જોકે લવારી કરતાં ત્યારે બાપુજી સાથે ઘણી વાતો કરતાં.
રોજની જેમ તે સવારે હું નર્સિંગ હોમ પર ગયો. જોઉં છું તો બાની પથારી ખાલી હતી. નર્સને પૂછ્યું તો બોલી: 'ધૅટ હોમલેસ ઇન્ડિયન લેડી ઇઝ ડેડ. બૉડી હૉસ્પિટલમાં મોકલી દીધું છે.'
મારી આંખે અંધારાં આવી ગયાં. ઓફિસમાં જઈને ડૉક્ટર સાથે વધુ પૂછતાછ કરી. તેમના મારફત જાણવા મળ્યું, 'દરદી સ્ત્રી રાતે રૂમ છોડીને બહાર ઓટલા પર પગ લટકાવીને આકાશ તરફ ઊંચે જોતી બેઠી હતી. અડધી રાતે એવી હાલતમાં મરેલી મળી હતી. ગઈ રાતે ઠંડી કેટલી હતી? તે પાંચ-દશ મિનિટમા મરી ગઈ હશે!' ડૉક્ટરે મારો હાથ હાથમાં લઈને કહ્યું, 'તેનાં ફેફસાં આમેય કામ નહોતાં કરતાં. મને એ નથી સમજાતું કે રાતે રૂમ છોડીને બહાર આકાશમાં શું શોધતી હતી?'

('ઈન્ટરનેટ પરથી')

Sunday, June 26, 2011

મહાનતાનાં ૧૦ બીજ

૧. આપણે સૌપ્રથમ પોતાની જાતને પ્રેમ કરવો જોઇએ. એમ કર્યા બાદ જ આપણે બીજાને પ્રેમ કરી કે આપી શકીશું.

૨. આપણું મગજ વાસ્તવિક અનુભવ અને વારંવાર વિચારેલા માનસિક ચિત્ર વચ્ચેનો ભેદ પારખી શક્તું નથી.

૩. જીવનમાં આપણને મળતાં ફળ કે બદલાનો આધાર આપણે જેટલું યોગદાન આપ્યું હોય અને જેવી ગુણવત્તા દરેક કાર્ય વખતે જાળવી હોય તેના પર રહેલો છે.

૪. ખૂબ સારો શબ્દભંડોળ - જે બહોળા સામાન્ય જ્ઞાનનો પણ નિર્દેશ કરે છે - વધુ સફળ વ્યક્તિઓના ગુણોમાંનો એક હોય છે,પછી ભલે એ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રની હોય.

૫. ઘણી બધી વ્યક્તિઓ ક્યારેય પોતાના લક્ષ્યાંકો હાંસલ કરવામાં સફળ થતી નથી તેનું કારણ એ છે કે તેમણે ક્યારેય એ નક્કી કર્યાં જ હોતા નથી.

૬. એક સ્પર્શ હજારો શબ્દો બરાબર હોય છે.

૭. જીવનમાં તમને જેની ઇચ્છા હશે એ જરૂરી નથી તમને પ્રાપ્ત થાય પણ લાંબા ગાળે તમે જેની આશા રાખી હશે તે તમને મળશે ખરું.

૮. સારું જીવન અને સારાં દિવસો અત્યારે અને અહિં જ છે.

૯. વર્તમાનમાં જીવો, દરેક દિવસ,પ્રત્યેક ક્ષણ ભરપૂર માણો, તકનું સ્વાગત કરો, તક ઉભી કરો.

૧૦. વિજેતા એ વસ્તુઓ કરે છે જે મોટાં ભાગનાં લોકો કરતાં ખચકાય છે.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, June 18, 2011

ફાધર્સ ડે સ્પેશિયલ - મારા પિતા (રિક હલ્વોર્સન)

ઘણાં વર્ષો સુધી મને એમ જ લાગ્યું હતું કે મારા પિતા બહુ સંવેદનશીલ નથી અને તેઓ મારી સામે તો એ પ્રમાણે ક્યારેય વર્ત્યા પણ નહોતા.ભલે તેઓ ફક્ત પાંચ ફૂટ નવ ઇંચ લાંબા અને ૬૮ વર્ષનું આયુષ્ય ધરાવતા હતા અને હું છ ફૂટ ઉંચાઈ અને ૨૬૦ પાઉન્ડ વજન ધરાવતો તરવરિયો યુવાન હોવા છતાં તેમની સામે વામણો લાગતો. મેં તેમને હંમેશા એક એવા કડક, શિસ્તના હઠાગ્રહી કરડા માણસ તરીકે જ જોયા હતા જેના મોઢા પર ભાગ્યે જ સ્મિત જોવા મળે.હું નાનો હતો ત્યારે તેમણે ક્યારેય તેઓ મને પ્રેમ કરે છે એમ કહ્યું નહોતું અને મેં એ માટે તેમના પ્રત્યે કોઈ પ્રકારની અણગમાની લાગણી પણ અનુભવી નહોતી. પણ મારી એક માત્ર ખેવના હંમેશા રહી હતી કે તેઓ મારા માટે ગર્વ અનુભવે. હું યુવાન થયો ત્યાં સુધી મારી માતાએ મારા પર સ્નેહની ઝડીઓ વરસાવી હતી અને તે સતત મને ખૂબ ચાહે છે એમ કહ્યાં કરતી આથી આવી કોઈ અપેક્ષા મેં મારા પિતા પાસે રાખી નહોતી.હું હ્રદયમાં ઉંડે ઉંડે જાણતો હતો કે મારા પિતા પણ મને ખૂબ ચાહે છે પણ એ તેઓ ફક્ત શબ્દોમાં કહેતા નથી. મેં પણ ક્યારેય તેમને શબ્દો દ્વારા વ્યક્ત કરી કહ્યું નહોતું કે હું તેમને ચાહું છું.અને ખરું જોતા તો મેં આ અંગે ક્યારેય વિચાર્યું પણ નહોતું જ્યાં સુધી મેં મ્રુત્યુ નામની વાસ્તવિક્તાનો સામનો કર્યો નહોતો.
૧૯૯૦ની નવમી નવેમ્બરે મને જાણ કરવામાં આવી કે મારે મારા દેશ માટે યુદ્ધ મોરચે લડવા જવાનું હતું.ઓપરેશન 'ડેઝર્ટ શિલ્ડ' માટે મારા નેશનલ ગાર્ડ યુનિટની પસંદગી થઈ હતી.અમારી લશ્કરી ટુકડીએ ઇન્ડિયાનાના બેન હેરિસન કિલ્લા પર ભેગા મળી પછી ત્યાંથી સીધા સાઉદી અરેબિયા પહોંચવાનું હતું. હું છેલ્લા દસ વર્ષથી લશ્કરી દળમાં હતો અને યુદ્ધમાં લડવા માટેનું પ્રશિક્ષણ પામ્યાં છતાં મને કલ્પના નહોતી કે એક દિવસ મારે સાચે આ રીતે લડવા જવાનું થશે. હું મારા પિતા પાસે ગયો અને મેં તેમને આ સમાચાર આપ્યાં. મેં અનુભવ્યું કે આ ખબર સાંભળી તેઓ અસ્વસ્થ થઈ ગયાં. જોકે આ પછી અમે આ બાબતે ખાસ ચર્ચા પણ ન કરી અને આઠ જ દિવસમાં તો મારે નિકળી પણ જવું પડ્યું.

મારા પરિવારમાંથી ઘણાં અતિ નજીકના લોકો યુદ્ધ સમયે લશ્કરમાં સેવા બજાવી ચૂક્યા છે.મારા પિતા અને કાકા વિશ્વયુદ્ધ-બીજામાં લડ્યા હતાં અને મારા બે ભાઈઓ તથા એક બહેને વિયેટનામમાં યુદ્ધ સમયે સેવા આપી હતી.એક બાજુ હું મારા કુટુંબને છોડીને દેશ માટે ફરજ બજાવવા યુદ્ધ મોરચે જવા બદલ ખૂબ અસ્વસ્થતા અનુભવતો હતો પણ બીજી બાજુ મારું મન મને મારી ફરજ પ્રત્યે સભાનતા કેળવી હસતે મોંએ આ પરિસ્થિતી સ્વીકારી લેવા કહેતું હતું.મેં પ્રાર્થના કરી કે હવે મારા પિતા મારા પર ગર્વ અનુભવે એવા સંજોગોનું પ્રભુ નિર્માણ કરે. ૧૯૯૦ની સત્તરમી નવેમ્બરે અમારા લશ્કરી દળોના વાહનોએ મિશિગનનો ગ્રીનવિલેનો ગ્રામ્ય વિસ્તાર છોડ્યો.શેરીઓ અમને વિદાય આપવા આવેલા અમારા કુટુંબીજનો અને સ્નેહીમિત્રોથી ભરાયેલી હતી.જેવા અમે ગામનો સીમાડો પાર કરવા લાગ્યા કે હું મારી જાતને એક છેલ્લી નજર ટ્રકની બારીમાંથી ગામ તરફ નાખતા ન રોકી શક્યો.મને મારી પત્ની કિમ,બાળકો,મારી માતા અને મારા પિતા દેખાયાં.મારા પિતા એક પૂતળાની જેમ સ્થિર ઉભા હતા.મને તે એ ક્ષણે ખૂબ ઘરડા લાગ્યા.ખબર નહિં કેમ પણ મને તે અચાનક અતિ વ્રુદ્ધ થઈ ગયેલા જણાયા.
અમે આખું કુટુંબ 'થેન્ક્સ ગિવિંગ ડે' ખૂબ સારી રીતે, બધાં ભેગાં મળીને અને સાથે રાત્રિ ભોજન કરીને ઉજવતાં. પણ આ વખતે એ મારાથી ચૂકી જવાયું. હું લડવા નિકળી ગયો હતો ને? દર 'થેન્ક્સ ગિવિંગ ડે'ના દિવસે મારા માતાપિતા,મારી બંને બહેનો, તેમના પતિ અને બાળકો અને સાથે મારી પત્ની અને મારા બાળકો, બધાં ભેગાં મળતાં. હું આ વખતે ઉજવણીમાં શામેલ ન થઈ શકવાને કારણે બેહદ ઉદાસ હતો. પણ આ વખતનાં 'થેન્ક્સ ગિવિંગ ડે' બાદ થોડાં દિવસ રહીને હું મારી પત્ની સાથે ફોન પર વાત કરી શક્યો અને તેણે મને જે કહ્યું એ સાંભળી મારો મારા પિતા તરફ જોવાનો દ્રષ્ટિકોણ સદાને માટે બદલાઈ ગયો.
મારી પત્ની મારા પિતાના સ્વભાવ અને તેમની સંવેદનાઓ,લાગણીઓથી પરિચિત હતી અને તેણે જ્યારે મારી સાથે વાત કરી ત્યારે તેનો સ્વર મેં કંપતો અનુભવ્યો.તેણે મને જણાવ્યું કે આ વખતે પણ મારા પિતાએ દર વખતની જેમ સૌ પ્રથમ તેમની 'થેન્ક્સગિવિંગ' પ્રાર્થના પતાવી હતી.પણ આ વેળાએ તેમણે પ્રાર્થનાને અંતે એક વાક્ય ઉમેર્યું હતું.તેમણે ગાલ પર દડી જતાં અશ્રુઓ સાથે લાગણીની ભીનાશથી ભરેલા ધ્રુજતા સ્વરે કહ્યુ:'હે ઇશ્વર,મારા પુત્ર રિકની રક્ષા કરજે અને તેને તારું સબળ માર્ગદર્શન પૂરું પાડજે જે અત્યારે દેશની સુરક્ષા કાજે અમારાથી ઘણો દૂર ગયો છે અને અત્યારે જ્યારે એને તારી મદદની જરૂર છે ત્યારે સતત તેની પડખે રહેજે તથા તેને જલ્દીજ હેમખેમ અમારે ઘેર પાછો પહોંચાડી દેજે.'આટલું બોલીને તેઓ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા.મેં મારા પિતાની આંખમાં ક્યારેય અશ્રુ જોયા નહોતા અને જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે હું પણ ચોધાર આંસુએ રડી પડ્યો.મારી પત્ની એ મને પૂછ્યું કે હું ઠીક તો છું ને? મારી જાતને સંભાળી લીધા બાદ મેં તેને કહ્યું:'મારા પિતા મને ખરેખર સાચો પ્રેમ કરે છે.'
આઠ મહિના પછી હું યુદ્ધમાંથી ઘેર પાછો ફર્યો અને દોડીને આંખોમાં હર્ષાશ્રુ સાથે મારી પત્ની તથા બાળકોને ભેટ્યો.પછી હું મારા પિતા પાસે આવ્યો અને મેં તેમને સ્નેહભર્યું આલિંગન આપ્યું ત્યારે તેઓ મારા કાનમાં ધીમેથી કહી રહ્યાં:'દિકરા હું તારા પર ગર્વ અનુભવું છું અને તને ખૂબ પ્રેમ કરું છું.'મેં સીધું તેમની આંખોમાં જોયું અને તેમનું માથું મારા બે હાથો વચ્ચે રાખી તેમને કહ્યું 'હું પણ તમને ખૂબ ચાહુ છું પપ્પા...' અને અમે ફરી પ્રેમપૂર્વક ભેટ્યા.અને પછી અમે બંને રડી પડ્યા.
એ દિવસથી મારા પિતા સાથેના મારા સંબંધનું સમીકરણ તદ્દન બદલાઈ ગયું.એ દિવસ પછી અમે ઘણી વાર ગંભીર ચર્ચાવિચારણા કરતા થઈ ગયાં,વાતચીત કરતા થઈ ગયાં. એ દિવસ પછી હું જાણી ગયો કે તેઓ મારા પર ગર્વ લેતા હતા અને મને તેઓ ખૂબ ચાહે છે એમ કહેતા અચકાતા પણ નહિં. હું પણ ખુલ્લા દિલે તેમની સમક્ષ મારી લાગણીઓનો એકરાર કરતો હતો.આ બનવામાં આટલો વિલંબ થયો એ વાતનો મને ખેદ છે.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, June 11, 2011

નિર્ણય લેવાની કળામાં એક ડોકિયું...

દરરોજ આપણે અનેક નિર્ણયો લઈએ છીએ. ઘણાં નિર્ણયના પરિણામો વિષે આપણે સભાનતાપૂર્વક વિચારતા પણ નથી. નિર્ણય લેવા વિષેની એક રસપ્રદ વાત વાંચીએ જેમાંથી આપણને સૌને કંઈક શિખવા મળશે.

રેલવેના પાટા નજીક કેટલાંક બાળકો રમી રહ્યાં હતાં.પાટામાંથી એક પર ગાડી દોડતી હતી અને એક વધારાની લાઈન હોવાથી ત્યાં ગાડી આવતીજતી નહોતી.બાળકો પૈકી એક જ બાળક નિષ્ક્રિય પાટા પર રમી રહ્યું હતું જ્યારે બાકી બધાં બાળકો એ પાટા પર રમી રહ્યાં હતાં જ્યાં ગાડીઓની અવરજવર ચાલુ હતી.
હવે બન્યું એવું કે બાળકો રમવામાં મશગૂલ હતા ત્યારે ટ્રેન આવી. તમે એ સમયે ત્યાં આ ઘટનાના સાક્ષી છો. તમે એવા સ્થળે છો જ્યાં પાટાની લાઈન બદલી શકાય જેથી ગાડી નિયત પાટાની જગાએ નિષ્ક્રિય પાટાની લાઈન પર દોરી શકાય અને આમ સક્રિય પાટા પર રમી રહેલાં ઘણાં બધાં બાળકોનો જીવ બચાવી શકાય.પણ જો એમ કરો તો નિષ્ક્રિય પાટા પર રમી રહેલા એકલા બાળકનો જીવ જતો રહે. તમારે જો આ નિર્ણય લેવાનો હોય તો તમે પાટા બદલીને ઘણાં બધાં બાળકોનો જીવ બચાવો કે પાટા ન બદલી એકલા બાળકનો જીવ બચાવો?

થોડો સમય વિચારો
-
-
-


મોટા ભાગના લોકો ગાડીને નિષ્ક્રિય પાટા પર વાળી દઈ માત્ર એક જ બાળકનો જીવ જાય એ નિર્ણયનો વિકલ્પ પસંદ કરશે. તમે પણ એમજ વિચાર્યું હશે,ખરું ને?

મેં પણ પહેલાં એમજ વિચાર્યું હતું. એક બાળકના જીવના ભોગે જો બીજા ઘણાં વધુ બાળકોના જીવ બચતા હોય તો એ નિર્ણય જ નૈતિકતા અને સંવેદનશીલતાની દ્રષ્ટીએ યોગ્ય અને વ્યવહારૂ ગણાય.

પણ શું તમને એ વિચાર આવ્યો કે ખરી રીતે નિષ્ક્રિય પાટા પર રમી રહેલા એકલા બાળકે, એ જગા સુરક્ષિત હોવાથી ત્યાં રમવાનો સાચો નિર્ણય લીધો હતો.
છતાં તેના એવા મિત્રોને કારણે તેણે જીવ ગુમાવવો પડશે જેઓ જાણ્યા-વિચાર્યા વગર ભયજનક જગાએ રમી રહ્યાં હતા, એવી જગાએ જ્યાં જાનનું જોખમ હતું. આ પ્રકારની પરિસ્થિતી આપણાં જીવનમાં રોજબરોજ સર્જાતી હોય છે. જે બાળક સાચો છે તે ભયજનક પાટા પર રમી રહેલાં બાળકોથી જુદો - એકલો પડી ગયો છે. અને જો તે કદાચ મરી પણ જશે તો તેના પર કોઈ એકાદ આંસુ પણ સારશે નહિં.
મહાન વિવેચક લિયો વેલ્સકી જુલિયન, જેણે આ વાર્તા કહી હતી તેણે એવો મત વ્યક્ત કર્યો હતો કે તે ટ્રેનનો માર્ગ કે પાટા ન બદલવાનો નિર્ણય કરત કારણકે તે માનતો હતો કે સક્રિય પાટા પર રમી રહેલાં બાળકોને ખબર હોવી જોઇએ કે અહિં રમવાથી,ગાડી આવી જતાં તેમની જાન જોખમમાં મૂકાવાનો ભય હતો અને ગાડી આવે તો તેનું સાયરન સાંભળી પણ તેઓ ત્યાંથી ખસી જઈ શકે. પણ જો ટ્રેનનો માર્ગ કે પાટા બદલી નાંખવામાં આવે તો પેલો નિષ્ક્રિય પાટા પર એકલો રમી રહેલો બાળક ચોક્કસ અકસ્માતનો ભોગ બની મરી જાય કારણ તેક ક્યારેય વિચારી જ ન શકત કે તે રમતો હતો એ પાટા પર ગાડી આવી ચડશે. ત્રીજો મહત્વનો વિચારવા લાયક મુદ્દો એ છે કે નિષ્ક્રીય પાટા પર ગાડીઓની અવરજવર તેમાં કોઈક ખરાબીને કારણે જ સદંતર બંધ થઈ ગઈ હતી.આમ ત્યાં ગાડી માટે ભય હતો. અને જો ચાલુ ગાડી એ પાટા પર વાળી દેવામાં આવે તો ટ્રેનમાં બેઠેલા બધાં મુસાફરોના જીવ જોખમમાં મૂકાય. તેમજ એક નિર્દોષ બાળકનો ભોગ આપી તમે થોડાં વધુ બાળકોના જીવ બચાવવાના પ્રયાસમાં સેંકડો પ્રવાસીઓના જીવની હત્યા નોતરી શકો.

આપણે સૌ જાણીએ છીએ કે જીવન આપણે લેવા પડતાં અઘરાં નિર્ણયોથી ભરેલું છે પણ ક્યારેક આપણે એ સમજી શક્તા નથી કે ઉતાવળમાં લીધેલાં નિર્ણયો સદાય સાચા સાબિત થતાં નથી.

યાદ રાખો,જે સાચું હોય છે તે હંમેશા લોકપ્રિય હોતું નથી અને જે લોકપ્રિય હોય છે તે હંમેશા સાચું હોતું નથી. બધાં દ્વારા ભૂલ થાય છે. પેન્સિલ સાથે એટલે જ તો સદાય રબર હોય છે!

('ઈન્ટરનેટ પરથી')

Sunday, June 5, 2011

પેન્સિલ-રબર અને આપણાં માતાપિતા

પેન્સિલ : હું દિલગીર છું. મને માફ કરજે...


રબર : દિલગીર શા માટે? તે કંઈ ખોટું કર્યું નથી.

પેન્સિલ : હું દિલગીર છું કારણ હું વારંવાર તને ઇજા પહોંચાડું છું. જ્યારે જ્યારે મારાથી કોઈ ભૂલ થઈ જાય ત્યારે ત્યારે તું એ ભૂંસી નાંખવા તૈયાર હોય છે.પણ મારી ભૂલો ભૂંસતી વખતે તું નાનું ને નાનું થતું જાય છે,દરેક વેળાએ તારા શરીરનો થોડો ભાગ ગુમાવી બેસે છે.

રબર : હા ..એ તો ખરું પણ મને એનો કોઈ વાંધો નથી.મારું નિર્માણ જ એ હેતુથી થયું છે.તું ભૂલ કરે ત્યારે તને મદદ કરી શકું, તારી ભૂલ સુધારી શકું એ માટે જ મારી રચના થઈ છે.હું જાણું છું કે એક દિવસ મારું અસ્તિત્વ મટી જશે અને તું મારી જગા બીજા નવા રબરને આપી દેશે પણ મને મારી કામથી પૂરો સંતોષ છે.હુ ખુશ છું.માટે તું દુ:ખી ન થા. હું તને ઉદાસ જોવા નથી માગતું.તું મહેરબાની કરીને ચિંતા કરવી છોડી દે

કેટલો પ્રેરણાદાયી છે પેન્સિલ-રબર વચ્ચેનો આ સંવાદ!માતાપિતા રબર જેવી ભૂમિકા ભજવતા હોય છે અને તેમનાં બાળકો પેન્સિલ જેવી.માતાપિતા હંમેશા સંતાનોની ભૂલો ભૂંસી નાખવા હાજર - તત્પર હોય છે.એમ કરતાં કરતાં ઘણી વાર તેઓ જખમી પણ થાય છે અને સમય વિતતા તેઓ ઘરડાં થતાં જાય છે અને અંતે એક દિવસ મૃુત્યુ પામે છે.સંતાનો માતાપિતાનું સ્થાન પોતાના લગ્ન બાદ તેમના સાથીને આપી દે છે પણ માતાપિતા હંમેશા પોતે પોતાના સંતાનો માટે આપેલા ભોગ બદલ ખુશ અને સંતુષ્ટ હોય છે.તેઓ ક્યારેય પોતાના વહાલસોયા સંતાનોને દુ:ખી કે ચિંતાતુર જોવા ઇચ્છતા નથી.

('ઈન્ટરનેટ પરથી')

Monday, May 30, 2011

ખિચડી જોક્સ !!!

[આપણે સૌએ ટી.વી. પર ખૂબ વખણાયેલી, પેટ ભરીને હસાવતી પારિવારિક કોમેડી સિરિયલ ખિચડી જોઈ હતી (જેના પરથી એજ નામની, બોલિવૂડની એક ફિલ્મ પણ બની હતી ) અને તેના બે મશહૂર પાત્રો પ્રફુલ અને હંસાની મૂર્ખામી ભરી પ્રશ્નોત્તરી પણ ખૂબ ખૂબ માણી આપણે મુક્ત મને હસ્યા છીએ.આવો આજે ઇન્ટરનેટ કોર્નરમાં આ જોડીને, તેમના આવાં જ કેટલાક જેને સાંભળી કે વાંચી હસી હસીને બેવડ વળી જવાય એવાં સવાલ-જવાબ દ્વારા યાદ કરીએ.]



હંસા : 'ડિસાઈડ' (Decide) એટલે???

પ્રફુલ : 'ડિસાઈડ' હંસા...કેસેટ પ્લેયરમાં આપણે કેસેટ નથી નાંખતા? એમાં હોય છે ને...'એ' સાઈડ...'બી' સાઈડ...એવી રીતે જ 'સી' સાઈડ અને 'ડિ' સાઈડ... ડિસાઈડ !!!



હંસા : ‘મેચ્યોર’ (Mature) એટલે???

પ્રફુલ : જ્યારે આપણો મહેશ ચોરી કરતા કરતા પકડાઈ ગયેલો ત્યારે તેણે હિન્દીમાં પેલા મરાઠી પોલિસને શું કહેલું? યાદ કર...યાદ કર...

હંસા : તેણે કહેલું 'મુજે છોડ દો, મે ચોર નહિં હૂં...' મે ચોર ...મેચોર...મેચ્યોર અચ્છા અચ્છા!




હંસા : પ્રફુલ ‘અલ્ફાબેટ’ (Alphabet) એટલે?

પ્રફુલ : અલ્ફાબેટ હંસા… લોકલ ટ્રેનમાં આપણાં પેલા ભૈયાણી પાડોશી સવિતામાસી, જેવી કોઈ ખાલી જગા બેસવા માટે જુએ કે તરત તેમની દિકરી અલ્પાને શું કહે છે?

હંસા : અલ્પા બેઠ સીટ પે..અલ્પા બેઠ...અલ્ફાબેટ..ઓ ઓ ઓ હ..! તો આને કહેવાય અલ્ફાબેટ !



હંસા : ‘એસેટ’ (Asset) એટલે શું?

પ્રફુલ : એસેટ હંસા... જ્યારે આપણે કારમાં બેસી જઈએ છીએ અને કાર સિગ્નલ પર રોકાય ત્યારે પેલા ભિખારીઓ આવીને શું બોલે છે?

' એ શેઠ ...થોડા પૈસા દો ના...' એ શેઠ... એસેટ...

હંસા : ઓહ !



હંસા : આ 'ડિપેન્ડ'(Depend) એટલે શું પ્રફુલ?

પ્રફુલ : 'ડિપેન્ડ' હંસા...સ્વિમીંગ પુલમાં એક બાજુ પાણી ઓછું ઉંડુ હોય અને બીજી બાજુ વધારે ઉંડુ –

ડીપ-એન્ડ..ડીપેન્ડ!



હંસા : એ હેં પ્રફુલ આ 'ટૂર્નામેન્ટ' (Tournament) એટલે ?

પ્રફુલ : હંસા !! આ તે જે લટકણિયા પહેર્યા છે, ઘરેણા પહેર્યા છે તેમને અંગ્રેજીમાં શું કહેવાય? બોલ...બોલ...!

હંસા : આહ હા...ટૂર્નામેન્ટ !! (હંસા ખુશ!!)

મેલિસા : (ચિડાઈને) અરે એને ટૂર્નામેન્ટ નહિં ઓર્નામેન્ટ (Ornament) કહેવાય

હંસા : ચલ ચલ કંઈ પણ નહિં બોલ…

એક બુટ્ટી - વન ઓર્નામેન્ટ

બે બુટ્ટીયા - ટુ ઓર્નામેન્ટ એટલે ટુર્નામેન્ટ !!

એ પ્રફુલ, આ મેલિસાને તો બાબુજીની જેમ કંઈ કહેતા કંઈ આવડતું નથી!



હંસા : ‘ઇલાસ્ટીક’ (Elastic) એટલે?

પ્રફુલ : હંસા ...આપણા રાધાબેનની દિકરી ઇલા નહિં? એને જ્યારે ફ્રેક્ચર થયેલું ત્યારે એ શું લઈ ને ચાલતી હતી?

હંસા : ઇલા તો સ્ટીક લઈ ને…ઓહ...ઇલા સ્ટીક...ઇલાસ્ટીક!!


('ઈન્ટરનેટ પરથી')

Saturday, May 21, 2011

શેતાન

શેતાને પોતાના 'કાર્યક્રમ'નો આરંભ કરી દીધો છે જેમાં સારી મનુષ્ય જાત  તેની જાળમાં આવી ગઈ છે,હવે જોવાનું રહેછે કે તેની સફળતા કેટલી રહેશે, એવું જણાય છે કે અત્યારે તો તેની નાગચૂડમાં મનુષ્ય જાત આવી ગઈ છે

આગે આગે ગોરખ જાગે .............................

આ લેખના લેખકની જાણ નથી પણ જેણે લખ્યો છે તેમને અભિનંદન.

એક વખત શેતાને મિટિંગ બોલાવી ! માણસોમાં વધી રહેલી ભગવાનને પામવાની ભૂખ અંગે એણે પોતાના સાગરીતો સમક્ષ ચિંતા વ્યક્ત કરી. માણસોને ભગવાનના રસ્તે જતાં રોકવા માટે શું કરી શકાય એની ખૂબ ચર્ચાઓ કર્યા પછી થોડાક મુદ્દાઓ નક્કી કર્યા. પોતાના દરેક સાગરીતને ત્યાર બાદ તરત જ દુનિયાના ખૂણેખૂણે જઈ કામે લાગી જવાનું એણે ફરમાન કરી દીધું. શેતાન અને એના સાગરીતોએ નક્કી કરેલા મુદ્દાઓ હતા :

[1] માણસને વ્યસ્ત, અતિવ્યસ્ત બનાવી દો. અને હા, સાવ ફાલતુ વસ્તુઓમાં જ એને વ્યસ્ત બનાવવો !

[2] એને ખૂબ ખર્ચ કરવા પ્રેરવો. કામની કે નકામી વસ્તુઓ ખરીદી ખરીદીને એને ઘર ભરવા દો !

[3] અનહદ અને ગજા બહારના ખર્ચાઓને પહોંચી વળવા માટે એને લોન લેવી પડે તેવું કરો. અઠવાડિયેએક વખત આંટો મારવા નીકળતો હોય તો પણ એની પાસે મોંઘીદાટ મોટર ખરીદાવો. એનું બાકીનું જીવન આમ જ ખોટા ખર્ચા કરવામાં અને લોનના હપ્તા ભરવામાં પસાર થવું જોઈએ !

[4] એમનાં બાળકોને ખૂબ ખર્ચાવાળી શાળાઓમાં દાખલ કરવા પ્રેરો. દરેક વિષયના ટ્યૂશન માટે હજારોની ફી પડાવતા કલાસીસમાં ભરતીથવાનો એમનાં બાળકો આગ્રહ રાખે તેવું કરો.

[5] આ ખર્ચાઓને પહોંચી વળવા એ માણસને લાંચ લેતો કરી દો. બાળકોની માતાઓને પણ કમાવા જવું પડે તેવી કૃત્રિમ આર્થિક તંગી ઘરમાં ઊભી કરો. દિવસનો મોટા ભાગનો સમય મા-બાપ ઘરની બહાર જ રહે તેવું કરો જેથી સંસ્કારસિંચન જેવી કોઈ પ્રક્રિયા ઘરમાં થઈ શકે જ નહીં !

[6] ટેલિવિઝન, વીડિયો, ટેપ, ફિલ્મો, મલ્ટિપ્લેક્સ થિયેટર્સ એમના મગજમાં એવાં ભરવીદો કે એના વગર એને ચાલે જ નહીં. દેશી-વિદેશી સંગીત કે ગીતોના ઘોંઘાટથી એના ઘરના તેમજ આસપાસના વાતાવરણને એવું ભરીદો કે શાંતચિત્તમાં ઊઠતાઆત્માના નાજુક અવાજને એ પારખી શકે જ નહીં. એની શાંતિને વિક્ષુબ્ધ બનાવી દો.

[7] કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનું અજાયબ વળગણ ઊભૂકરો. ઈ-મેઈલ, વૉઈસ-મેઈલ અને ચેટિંગનું એને બંધાણ કરાવી દો. કલાકોના કલાકો એ ચેટિંગમાં કે ઈન્ટરનેટ સર્ફિંગમાં વેડફી નાખે એવી રચના કરી દેવી.

[8] ટેલિવિઝનમાં એને ભરમિત કરી નાખે તેવા કાર્યક્રમો બનાવડાવો. સંબંધોની વિચિત્ર માયાજાળવાળી અને ભપકાઓથી ઝાકમઝોળવાળી સિરિયલો શરૂ કરાવો. ઉચ્ચ અને સંસ્કારી સંબંધોની હસ્તીનો છેદ જ ઊડી જાય તેવું જ ટેલિવિઝનના માધ્યમથી પીરસો. એકએક ઘરને એનાથી પ્રભાવિત કરી નાખો.

[9] ચોવીસ કલાક આડા-અવળા, કામના-નકામા તેમજ ઢંગધડા વિનાના સાચા-ખોટા સમાચારો આપતી ન્યૂઝચૅનલો રચો. પક્ષપાતોથી રાચતાં છાપાંઓના ઢગલા દરેક વ્યક્તિના ટેબલ પર કરી દો.

[10] ધાર્મિક મંડળો, વાડાઓ, સંપ્રદાયો તેમજ ધર્મોને અંદરો-અંદર ઝઘડાવો. પોતે તેમજ પોતાનો ધર્મ કે સંપ્રદાય જ બીજાથી ઊંચો તેવા મિથ્યા ખ્યાલથી એમના મનને બરાબર પ્રદૂષિત કરી દો. એ બધું એ હદે કરી નાખો કે ધર્મની નિર્મળ શાંતિ, પ્રેમ કે સમાનતાના ભાવનો એમને વિચાર સુદ્ધાં ન આવી શકે.

[11] લૉટરી, જુગાર, સટ્ટો, શૅરબજાર વગેરેની માયાજાળમાં એ શાના માટે આ બધું કરી રહ્યો છે, એ પણ ભૂલી જાય એવું કરી નાખો.

[12] ટૂંકમાં, પોતાની અંદરનો ખાલીપો એને જરાય ન દેખાય એવી ભરમની જાળ રચી દો, જેથી એને પોતે સાચી રીતે અને સારાં કારણ માટે જ જીવી રહ્યો છે એવું હંમેશાં લાગ્યા કરે. ભગવાનની, સાચા ધર્મની કે આતમ-તત્વની ઓળખની એને જરા પણ જરૂરિયાત જ ન લાગે !

બસ ! આટલા મુદ્દાઓની યાદી બરાબર પાકી કરીને શેતાનના સાગરીતો દુનિયાને ખૂણેખૂણે પહોંચીને કામે લાગી ગયા. ભગવાને ઉપરથી દષ્ટિ ફેંકી. એમની આંખમાં આંસુ આવી ગયાં, એમનું હૈયું દ્રવી ગયું, કારણ કે શેતાન અને એના સાગરીતો મહદંશે સફળ થઈ ચૂક્યા હતા. દુનિયાની શરૂઆત પછી કદાચ પ્રથમ વાર.
('ઈન્ટરનેટ પરથી')

Monday, May 16, 2011

જીવનનો મુખવાસ

· જેટલી બને તેટલી ચાલાકી ઓછી કરો ઉપરવાળા ની મહેરબાની વધારે થશે.


· કરેલ કર્મનું ફળ અચુક મળે જ છે , માટે દુ:ખ આવે ત્યારે ભગવાન પાસે માફી નહી સદ્દબુધ્ધિ અને સહનશક્તિ માંગો

· ખિલખિલાટ હસતું બાળક મોટું થતાં જ હસવાનું ભુલી જાય છે .બાળકના ઉછેરમાં અને આપણી સમાજ વ્યવસ્થામાં જરૂર કંઈક ગડ્બડ છે .

· આ દુનિયાના દરેક સંબંધો સ્વાર્થ પર જ બંધાયા છે. ‘મારે બને એટલું ઓછું દેવું છે તમારે બને એટલું વધારે લેવું છે’ - ફેરવી શકાય તો આ ગણિત ફેરવી નાખો .

· આ દુનિયામાં તમારૂ મનુષ્ય તરીકેનું હોવું માત્ર સૈથી મોટી ખુશીની વાત છે .

· એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ , કારણકે દરેક માણસનો અંત એક સરખો જ છે-મુત્યુ. મહત્વની વાત એ છે કે મર્યા બાદ કોણ શું અને કેટલું સાથે લઈ જઈ શક્યો .

· પતિ-પત્ની,મા-બાપ,ભાઈ-બહેન,ભાઈ-ભાઈ,બહેન-બહેન,દીકરો-દીકરી આ બધાં સંબંધો લેણાદેણી અને રૂણાનુબંધની વાત છે અને તેને લઈને ઉભા થતાં સુખ:દુખ તો ભોગવ્યે જ છૂટકો.· એક દિવસ અચાનક બધું મૂકીને ચાલ્યા જવું પડશે એ જાણતાં હોવાં છતાં જરૂર કરતાં વધારે ભેગું કરવામાં જ આપણે શા માટે રચ્યાપચ્યા રહીએ છીએ?

· જિંદગી મળવી એ નસીબ ની વાત છે,

મૃત્યુ મળવું એ સમય ની વાત છે,

પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,

એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…

· પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.

· કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,

સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,

બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..

· નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, પણ હવે સમજાયું કે,

અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!

· કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો,

આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.

- હરીન્દ્ર દવે

· એક પતંગીયું મહત્તમ 140 દિવસ જીવે છે, પણ છતાંય તે આનંદપૂર્વક જીવી શકે છે, ઘણાં હૈયા જીતી શકે છે. · જીવનની દરેક ક્ષણ કિમતી છે. ખુશ રહો, હ્રદય જીતતા રહો.

· જો વિશ્વ તમને મદદ કરવાની ના પાડી દે તો હતાશ ન થશો, આઇન્સ્ટાઇનના શબ્દો યાદ કરો, “હું એ બધાનો આભારી છું જેમણે મને મદદ કરવાની ના પાડી, એમના જ કારણે મેં આ કાર્ય મારી જાતે કર્યું.”

· પ્રસન્નતામાં નથી હોતી કે નીંદામાં નથી હોતી, મજા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી – અસીમ રાંદેરી

· ધીરજ સદાય હુંકાર ભરતી નથી, ક્યારેક એ દિવસના અંતે એક શાંત નાદ હોય છે, એ કહેવા કે હું કાલે ફરી પ્રયત્ન કરીશ.

· સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ, કે એકલાનો રાહ એકધારો, મઝધારે મહાલવાનો મોકો મળ્યો તો ભલે આઘો ઠેલાય આ કિનારો. – હરિન્દ્ર દવે

· સખત મહેનત વાળું જીવન એ દૂધના ભરેલા પ્યાલા જેવું છે, અને નસીબ ખાંડ જેવું, પ્રભુ આપણને ખાંડ ત્યારે જ આપી શકે જો આપણી પાસે દૂધ ભરેલો પ્યાલો હોય

· વિશ્વમાં બે પ્રકારના લોકો હોય છે, આપનારાઓ અને લેનારાઓ. લેનારાઓ કદાચ સારુ ખાઇ શક્તા હશે, પણ આપનારાઓ સંતોષભરી નિંદ્રા માણી શકે છે. – મધર ટેરેસા

· જો રસ્તો સુંદર હોય તો ખાત્રી કરો કે તે જોઇતી મંઝિલ તરફ જાય છે કે નહીં, પણ જો મંઝિલ સુંદર હોય તો ગમે તેવો રસ્તો હોય, ચાલી નીકળો….

· સફળ લોકો ખુરશીમાં આરામ કરતા નથી, તેઓ તેમના કામ કરીને આરામ અનુભવે છે, સ્વપ્નો સાથે સૂવે છે અને તેમને પૂરા કરવાના ધ્યેય સાથે ઉઠે છે.

· જીવનમાં મળતી તક આપણા જીવનનો માર્ગ નક્કી કરે છે, એ પણ જે આપણે ચૂકી ગયા હોઇએ.

· પ્રભુ જ્યારે કોઇ કામ માટે ના કહે, ત્યારે એમ વિચારો કે એથી મોટી હા માટે છે. એ નકાર નથી, ફક્ત દિશા બદલાવ છે.

· આપણે બંને એક બીજાને એક રૂપીયો આપીએ તો આપણી બેયની પાસે એક એક રૂપીયો હશે, પણ આવું જો કોઇ સારા વિચાર માટે કરીએ તો આપણા બેય પાસે બે સુંદર વિચાર હશે.

· પાંચ વર્ષના બાળક માટે દોસ્તી : મને ખબર છે કે તે મારી બેગમાંથી રોજ ચોકલેટ ખાઇ જાય છે, છતાંય હું એને રોજ ત્યાં જ રાખું છું.

· પ્રેમ, ઘણી વાર એક ક્ષણ માટે હોય છે, ઘણી વાર જીવનભર માટે, પણ ઘણી વખત તમે જેને પ્રેમ કરો તેની સાથેની એક ક્ષણ જીવનભર માટે હોય છે.

· હું કહું ને તું સાંભળે કે તું કહે ને હું સાંભળું એ દોસ્તી છે, પણ હું કાંઇ પણ ન કહું અને તું બધુંય સમજી જાય તે સાચી દોસ્તી છે.

· આનંદ અને સંતોષ વચ્ચે તફાવત શું? – જીવનમાં જે ગમે તે મળે તે આનંદ અને જીવનમાં જે પણ મળે તે ગમે તેનું નામ સંતોષ

· મહેનતથી મળેલું કદી અલ્પ ન હોય, વચ્ચે જે તૂટે તે સંકલ્પ ન હોય, તમે નિરાશાને દૂર રાખો ખુદથી, કારણકે જીતનો કોઇ વિકક્પ ન હોય.

· સફળતાને મગજ પર ચઢવા ન દો, અને નિષ્ફ્ળતાને મન પર. (તમિલ કહેવત)

· સમાજમાં બે પ્રકારના લોકો છે, એક જે કામ કરે છે અને બીજા જેઓ શ્રેય લઈ જાય છે. પ્રથમ વર્ગમાઁ રહેવાનો પ્રયત્ન કરો, ત્યાં સ્પર્ધા ખૂબ ઓછી છે. – ઈન્દિરા ગાંધી

· પૈસા હોવા, અને તેનાથી ખરીદી શકાય તેવી વસ્તુઓ હોવી એ સારી વાત છે, પણ એ મેળવવાની લ્હાયમાં એવી વસ્તુઓ ન ખોઈ બેસતા જે પૈસો ખરીદી શક્તો નથી.

· ઘણી વખત આપણી મહત્તમ શક્તિ આપણી મોટામાં મોટી નબળાઈમાંથી આવે છે.

· જીવનનો સૌથી મોટો આનંદ એ કરવામાં છે જે લોકો માને છે, તમે કદી નહીં કરી શકો.

· મૃત્યુ એ દીવો હોલવવાની વાત નથી, એ છે બત્તી બંધ કરવી કારણકે સૂર્યોદય થઈ રહ્યો છે.– રવિન્દ્રનાથ ટાગોર

· બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી, પણ તેના કામમાં એક સાથીદાર મળશે.

('ઈન્ટરનેટ પરથી')