Tuesday, June 25, 2019

યોગા જિમ કરતા વધુ સારું હોવાના ૧૫ કારણો

કેટલાક લોકોને પ્રશ્ન થાય છે કે યોગા કરવું કે જિમ? આમાં વધુ સારો વિકલ્પ કયો?

યોગા, બેશક!

સાચાં જવાબના અનેક કારણો છે જેમાંના ૧૫ આ રહ્યાં :

૧. યોગાથી મન, શરીર અને આત્મા ત્રણેને ફાયદા થાય છે. યોગાથી શરીર તો તંદુરસ્ત બને જ છે પણ સાથે સાથે તે તમારા મનને વર્તમાન ક્ષણમાં જીવતા શીખવે છે અને તમારા અંતરાત્માને હકારાત્મક ઉર્જાથી ભરી દે છે. જિમનું વર્કઆઉટ તમારા શારીરિક સ્વાસ્થ્ય પર જ મુખ્યત્વે ધ્યાન કેન્દ્રીત કરે છે.

૨. યોગા તમારા આખા શરીરને બાહ્ય અને આંતરિક એમ બંને રીતે ફાયદો કરે છે.
ટ્વિસ્ટીંગ, સ્ટ્રેચીંગ અને ફોલ્ડીંગ જેવા યોગાસનો શરીરના પાચન તંત્ર, રૂધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર અને વધુ શરીર સાથે જોડાયેલા તંત્રો માટે ખૂબ ફાયદાકારી છે. તમારા શરીરમાંથી ઝેરી તત્વો બહાર ફેંકવામાં યોગા મદદ કરે છે અને હ્રદય અને રક્તવાહિનીઓની કાર્યક્ષમતા સુધારે છે. આ બધા સાથે તે સ્નાયુઓને તો વધુ મજબૂત બનાવે જ છે. જિમનું વર્કઆઉટ માત્ર સ્નાયુઓને વધુ મજબૂત બનાવવા અને કાર્ડિયો બૂસ્ટ કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

૩. યોગા સહનશીલતા શીખવે છે. યોગા તમને તમે જેવા છો તેવા જ સ્વીકારતા શીખવે છે - તમારી ખાસિયતો અને નબળાઈઓ સહિત. કોઈકે સાચું જ કહ્યું છે કે યોગા સ્વ-સુધાર માટે નહીં પરંતુ સ્વ-સ્વીકાર માટે છે. જિમ વર્ગો (ખાસ કરીને બૂટ કેમ્પ સ્ટાઇલ) તમે બધી કસરતો ના કરી શકો તો તમને તમે નિષ્ફળ હોવ એવી લાગણીનો અનુભવ કરાવે છે.

૪. યોગા તમને તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખવે છે. મોટા ભાગના યોગા કેન્દ્રોમાં અરીસા હોતા નથી જેથી યોગા તમને તમારું શરીર ક્યાં છે અને તેના વિવિધ સ્નાયુઓ અને અવયવો શું કરે છે તેના પર ધ્યાન આપવાની ફરજ પાડે છે. જ્યારે જિમમાં અરીસાઓ હોય છે જે સતત તમને તમારી જાતને જોતા રહેવા અને આસપાસ ના લોકો શું કરે છે તેની ચિંતા કર્યા કરવા મજબૂર કરે છે.

૫. યોગા તમને પાતળા બનાવે છે. તમારા સ્નાયુઓને યોગા દ્વારા સ્ટ્રેટચ કરતી વખતે તમે તેમને મજબૂત પણ બનાવો છો તેથી તમારા શરીરનો બાંધો એકવડો થાય છે. જિમમાં ભારે વજન ઉંચકી ઉંચકી તમારા સ્નાયુઓ ફૂલી જાય છે.

૬. યોગા વધુ કાર્યક્ષમ છે. યોગા સ્ટ્રેન્થનિંગ માટે તમારા પોતાના અને આખા શરીર પર આધાર રાખે છે. જિમ આ માટે વજન અને સાધનોનો ઉપયોગ કરે છે. યોગાના જુદા જુદા આસનો દ્વારા તમારું આખું શરીર પોતાના જ વજનનો 'વેઈટ્‌સ' તરીકે ઉપયોગ કરી મજબૂત બને છે. જિમમાં વજન કે અન્ય સાધનોનો ઉપયોગ કરાતા, સ્નાયુઓ જે પ્રમાણે ઉપયોગમાં લેવાતા જાય તે પ્રમાણે શરીરના અન્ય ભાગોથી વિખૂટા પડી જાય છે અને તેમના પર અલગથી વિકેન્દ્રીત ધ્યાન આપી ઘણાં સમય બાદ તે મજબૂત બને છે.

૭. યોગા ગમે ત્યાં કરી શકાય છે. યોગાકેન્દ્ર કે યોગા સ્ટુડિયોમાં યોગાનો અનુભવ વધુ સારો હોય છે પણ તમે યોગા તમારે ઘેર, બહાર કે નાની એવી જગામાં પણ સહેલાઈથી કરી શકો છો. માત્ર ૬ ફીટ બાય ૪ ફીટની જગા યોગા કરવા માટે પૂરતી છે. જિમ વર્કઆઉટ માટે વધુ સાધનો અને વધુ જગાની જરૂર પડે છે.

૮. યોગા શરીર માટે આકરા સાબિત થતાં નથી. એનો અર્થ એવો નથી કે યોગા ઉત્કટ કે જોશપૂર્ણ નથી. અષ્ટાંગ કરનાર કોઈ ને પૂછી જૂઓ. યોગા ઉષ્મા સર્જે છે અને તમારા સ્નાયુઓ પર કામ કરે છે પણ એમાં તમે તમારા શરીરને એટલું જ કામ આપો છો જેટલી તેની ક્ષમતા હોય, જ્યારે જિમમાં તમે વજન ઉંચકો છો અથવા તમારા શરીરના સાંધાઓ પર ભાર આપો છો અને આ બંને સંજોગોમાં તમે શરીરને ઈજા પહોંચાડી શકો છો. તમે એક પછી બીજું યોગ - આસન કરો છો ત્યારે તમારું શરીર સ્ટ્રેટચ થાય છે અને સારી રીતે કરેલ યોગા આપમેળે પછીના આસન કે સ્થિતી માટે શરીરને તૈયાર કરે છે.

૯. યોગા તમારા દુખાવા અને પીડા ઓછા કરે છે. જિમ વર્કઆઉટ એ વધારે છે. યોગા ધીમે ધીમે સ્નાયુઓ સ્ટ્રેટચ કરે છે અને શરીરના ઉર્જા માધ્યમોને ખુલ્લા કરે છે. સુધરેલી લવચિક્તા સ્નાયુઓ અને સાંધાઓને ઘર્ષણ રહિત અને તંદુરસ્ત રાખે છે. જિમના વજન અને ટ્રેડમીલ તણાવ ઉભો કરે છે જે દુખાવો કે પીડા પેદા કરી શકે છે.

૧૦. યોગા તમારા શ્વસનને સરળ બનાવે છે.
તમે તાણ અનુભવતા હોવ એવે સમયે શ્વાસ લેતા ભૂલી જવું સામાન્ય છે - સાચી રીતે શ્વાસ લેવું, માત્ર ઉપરછલ્લી રીતે હવા શરીરમાં લઈ બહાર કાઢવું નહીં. ઉંડા શ્વાસ લીધા વિના સ્પષ્ટ વિચારવું શક્ય બનતું નથી અને થાક લાગે છે. યોગા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી તમને જ્યારે તેની સૌથી વધારે જરૂર હોય ત્યારે એ ઉંડા શ્વાસ લેવાની રીત તમારી આદત બની ચૂકી હોય.

૧૧. યોગા મનને શાંતિ આપે છે. યોગા શાંત અને પ્રસન્ન રહીને કરવામાં આવે છે. તેમાં ઉચાટ, ઘોંઘાટ, દાંતો નો કચકચાટ કે ચહેરા પર તંગ કે ચિત્ર વિચિત્ર હાવભાવ જોવા મળતા નથી, જે જિમમાં જોવા - અનુભવવા મળે છે. યોગાનો આશય જ શરીર અને મનમાંથી સઘળાં તણાવ ને બહાર ફેંકી દેવાનો હોય છે.

૧૨. યોગા તણાવ ઘટાડે છે. મોટા ભાગના યોગા વર્ગોમાં મેડીટેશન (ધ્યાન ધરવાની પ્રક્રિયા) કે શવાસન કરાવવામાં આવે છે. તેનાથી તમને દિવસ ભરની ચિંતાઓથી મુકત થવાની તક સાંપડે છે. યોગા સતત કરતા રહેવાથી તમે તણાવગ્રસ્ત પરિસ્થિતી સાથે સહેલાઈથી કામ પાર પાડતા શીખી જાઓ છો અને એકંદર તણાવનું સ્તર ઘટે છે. જિમનો સ્પર્ધાત્મક સ્વભાવ અને ત્યાંનું ઘોંઘાટ ભર્યું સંગીત અને ભપકાદાર રોશની તમારા તણાવના સ્તરમાં વધારો કરે છે.

૧૩. દરેક ઉંમરની વ્યક્તિ યોગા કરી શકે છે. તમારી તંદુરસ્તી પણ ભલે ગમે તેવી હોય, તમે યોગા કરી શકો છો. પાર્કિન્સનથી માંડી કેન્સરના દર્દીઓને પણ યોગા ફાયદાકારક સાબિત થયો હોવાનું નોંધાયું છે. જિમ વર્કઆઉટ સામાન્ય રીતે વરિષ્ઠ વયની વ્યક્તિઓને અનુકૂળ કે ઉપચારક હોતા નથી.

૧૪. યોગા એકાગ્રતા સુધારે છે. યોગા કરતી વખતે તમારે શ્વાસ પર, તમારી શરીર ની સ્થિતી પર અને દ્રષ્ટિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. બાહ્ય અંતરાયો દૂર કરી દેવાય છે. જિમમાં ઘોંઘાટીયા સંગીત, ટીવી વગેરે જેવા બાહ્ય અંતરાયો સાથે ધ્યાન કેન્દ્રિત કરવાનું અઘરું થઈ પડે છે.

૧૫. યોગીઓ સદાયે આનંદિત રહેતો સમુદાય છે! શું તમને આવા સસ્મિત, સુખી લોકો સાથે રહેવું ન ગમે? અહીં તમને એવા વાતાવરણમાં રહેવા મળશે જ્યાં લોકો તમને તમારી જેવી શારીરિક સ્થિતિ હોય તેની સાથે તમારો સ્વીકાર કરશે. અહીં તમને કોણે કયું આસન કેટલા લાંબા સમય સુધી કર્યું તેવી પંચાત કે સ્પર્ધા ની માથાકૂટ નહીં જોવા મળે. આસપાસ તમને હકારાત્મકતા જ અનુભવવા મળશે.

(ઇન્ટરનેટ પરથી)

Saturday, June 15, 2019

મદદ


        અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો.
"આ યોગાનંદ સ્ટ્રીટ નું ૮મું મકાન અને તમે જ આનંદ છો?" તેણે પૂછ્યું.
મેં કહ્યું, "હા, હું જ આનંદ છું. અને તમે...?" 
    સહેજ ધ્રુજતા અને સૂકા હોઠ પર ભીની જીભ ફેરવતા મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકતા તેમણે કહ્યું, "બાબુ, હું તારા પિતાનો મિત્ર છું. હું તારા ગામથી આવું છું. તારા પિતાએ મને આ ચિઠ્ઠી લખી તને આપવા અને તારી મદદ લેવા કહ્યું છે."
તેમની આપેલી એ ચિઠ્ઠી ખોલી વાંચતા મેં નવાઈ પામતા પૂછ્યું, "મારા પિતાએ? “
મેં ઝડપથી એ ચિઠ્ઠી વાંચી કાઢી. તેમાં લખ્યું હતું," દીકરા આનંદ, આશીર્વાદ. આ ચિઠ્ઠી તને આપનાર મારો મિત્ર છે. તેનું નામ રામૈયા છે અને તે ખૂબ મહેનતુ છે. થોડા દિવસો અગાઉ તેના એકના એક પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. તેના વળતરનાં પૈસા માટે તેણે ઘણાં ધક્કા ખાધા છે. આ વળતર જ તેની નજીવી આવક સાથે મળી તેનું અને પત્નીનું ગુજરાન ચલાવવામાં સહાયરૂપ થશે. હું તેની સાથે પોલીસ રિપોર્ટસ, ટ્રાવેલ એજન્ટ દ્વારા અપાયેલા એફીડેવિટ્સ અને અન્ય જરૂરી દસ્તાવેજો મોકલી રહ્યો છું. તેને જણાવવામાં આવ્યું છે કે વળતરની ફાઇનલ ચૂકવણી મુખ્યકચેરીમાં થશે. આ તેની હૈદરાબાદની પ્રથમ મુલાકાત છે અને એ ત્યાં માટે અજાણ્યો છે. હું આશા રાખું છું કે તું એને મદદરૂપ થશે. તારી તબિયતનું ધ્યાન રાખજે. વહેલામાં વહેલી તકે અમને મળવા આવજે. તારા વ્હાલા પિતા. "
     રામૈયાગુરુ ઉભો ઉભો મને એકીટશે આશાભરી નજરે જોઈ રહ્યો હતો. મેં એકાદ ક્ષણ માટે કઇંક વિચાર્યુ અને પછી હું તરત તેને ઘરમાં અંદર લઈ ગયો. તેને પાણી આપતા મેં પૃચ્છા કરી કે તેણે કંઈ ખાધું છે? તેણે જવાબ આપ્યો, "ના બેટા. મારી યાત્રા લંબાઈ જતાં, બે ફળ સાથે લાવ્યો હતો તે ક્યારના પૂરા થઈ ગયા." અંદરથી હું તેના માટે ચાર ઢોસા અને થોડી ચટણી લઈ આવ્યો અને તેણે એ ધરાઈને ખાધા ત્યાં સુધીમાં મેં જરૂરી બે - ચાર ફોન કર્યાં. 
     મારા ફોન પતી ગયા બાદ મેં જોયું કે તે કેટલાક કાગળીયા તેના ખોળામાં લઈને બેઠો હતો. તેમાં તેના મૃત પુત્રનો ફોટો પણ હતો. એ જુવાન અને સોહામણો લાગતો હતો. વીસ - બાવીસ વર્ષનો  યુવાન. મારી આંખોના ખૂણાં ભીના થઈ ગયાં.
     તેણે કહ્યું, "આ મારો એકનો એક પુત્ર હતો. તેના પહેલા અમને થયેલા સંતાનોને જુદા જુદા કારણોસર ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધા હતાં. મહેશ એક જ અમારી ઘડપણની મૂડી સમાન હતો. તે ખૂબ સારું ભણ્યો હતો અને તેણે સારી નોકરી પણ મેળવી હતી.અમને એવી આશા બંધાઈ હતી કે હવે તેની નોકરી શરૂ થયા બાદ અમારી મહેનતનું અમને ફળ મળશે અને અમારી મુશ્કેલીના દિવસો દૂર થશે. પણ એ ગોઝારા દિવસે તે પોતાની કોઈ ભૂલ વગર માર્ગ અકસ્માતનો ભોગ બન્યો અને અમને એકલા મૂકી દૂર દૂર ચાલ્યો ગયો. મૃત પુત્ર પાછળ વળતર લેવા શરૂઆતમાં અમને ખચકાટ થયો. પણ દિવસે દિવસે હું અશક્ત થતો જાઉં છું અને મારી પત્નીની તબિયત પણ સારી રહેતી નથી. તારા પિતાના સૂચન અનુસાર હું અહીં આવ્યો છું અને તેણે મને ખાતરી આપી છે કે તું આ કાર્ય પૂર્ણ કરવામાં મને મદદ કરશે."
      "કંઈ વાંધો નહીં. હવે ઘણું મોડું થઈ ગયું છે. તમે નિરાંતે સૂઈ જાઓ." એમ કહી હું તેમના સૂવાની વ્યવસ્થા કરી પોતે પણ સૂઈ ગયો.
    બીજે દિવસે સવારે અમે તૈયાર થઈ ગયા. ચા-પાણી પી અમે વળતર મળવાનું હતું એ ઓફીસ પહોંચી ગયા. રમૈયાગુરુએ મને કહ્યું, "આનંદ, મને અહીં સુધી પહોંચાડયો એ બદલ તારો ખૂબ આભાર. હવે તું તારી ઓફિસે જા. આગળનું કામ હું જોઈ લઈશ."
    મેં તેને કહ્યું, "મેં આજે રજા મૂકી દીધી છે. હું તમારી સાથે જ રહી તમારું કામ પતાવી આપીશ."
     પછી આખો દિવસ થોડા ઘણાં ધક્કા ખાઈ અંતે અમે વળતર મેળવવામાં સફળ રહ્યા.
       વૃદ્ધ રામૈયાગુરુએ મને અંતરથી આશિર્વાદ આપતા કહ્યું, "દીકરા તારા આ ઉપકારનો બદલો હું કઈ રીતે ચૂકવીશ? હવે મારી માંદી પત્ની એકલી હોવાથી તેને મારી જરૂર છે અને હું તરત પાછો ગામ રવાના થઈ જાઉં."
     "ચાલો હું તમને બસ સ્ટેન્ડ ઉતારી દઉં" કહી હું તેમની ટિકિટની વ્યવસ્થા કરી અને તેમને થોડા ફળો આપી વિદાય કરવા આવ્યો.
      જતી વખતે એ વૃદ્ધની આંખોમાં જે ભીનાશ અને આભારવશતાની લાગણી હતી એ મારા હ્રદયને સ્પર્શી ગઈ. તેણે કહ્યું, "આનંદ બેટા, તે મારા માટે ઓફિસમાં એક દિવસની રજા લીધી અને મારું કામ પતાવી આપ્યું, હું તારા આ ઉદાર કૃત્યની વાત જતાવેંત તારા પિતાને કરીશ અને તેમનો પણ આભાર માનીશ."
      મેં સ્મિત કરતા તેમના હાથ મારા હાથમાં લઈ કહ્યું, "હું તમારા મિત્રનો પુત્ર આનંદ નથી. હું અરવિંદ છું. તમે ખોટા સરનામે આવ્યા હતા. એ આનંદનું ઘર મારા ઘરથી બીજા બે કિલોમીટર આઘું છે. પણ મેં જોયું કે તમે ખૂબ થાકી ગયેલા હતા અને મારો જીવ તમને સત્ય કહેતા ન ચાલ્યો. મેં તમારા દસ્તાવેજોમાં આપેલા નંબર પર ફોન જોડ્યો હતો. આનંદની પત્નીએ મને જણાવ્યું કે એ કંઈક કામ માટે બહારગામ ગયો છે. મેં તમારા મિત્રને પણ ફોન જોડ્યો હતો. મેં તેમને હકીકત જણાવી તો તે ભારે ઉદાસ થઈ ગયા હતા. પણ જ્યારે મેં તેમને ખાતરી આપી કે તમારું કામ પૂરું કરવામાં હું મદદ કરીશ ત્યારે તેમને ખૂબ સારું લાગ્યું હતું.તમને જે ખોટ પડી છે એ તો કોઈ ભરપાઈ કરી શકવાનું નથી. પણ મને લાગ્યું મારે તમને મદદ તો કરવી જ જોઈએ. મેં એમ કર્યું અને મને એ દ્વારા અનહદ ખુશી મળી છે."
   મારી વાત સાંભળી રામૈયાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તેણે મને મૂંગા મૂંગા જ આશિષ આપ્યાં અને બસ આવી જતાં વિદાય લીધી. મારા માટે તેમના આશિર્વાદ ખૂબ કિંમતી હતાં. મારા પિતા તો પંદર વર્ષ અગાઉ જ પરમધામે સિધાવી ગયા હતા પણ રામૈયાગુરુ ને જોઈ મને કદાચ એવો પણ અહેસાસ થયો હતો કે મારા પિતા પાછા ફર્યા છે. આકાશમાં જોતા મને એવી લાગણી થઈ કે એ ત્યાં ક્યાંક હશે. મેં કહ્યું, "પિતાજી, તમે મારા જીવનમાં હું કેટલો આગળ વધ્યો છું એ ચકાસવા આ સ્વરૂપે આવ્યા હતા ને? પત્ર લખીને તમે ચકાસી રહ્યા હતા ને કે તમારો દીકરો મદદ કરે છે કે નહીં. તમારા જેવા મહાન પિતાનો પુત્ર થઈ મેં મારી ફરજ બજાવી છે. તમે ખુશ છો ને? “ મારી આંખોમાં પણ ઝળઝળિયા હતાં, હર્ષ નાં!
    મદદ કરવાની ભાવના રાખો, માર્ગો ઉભા થઈ રહેશે.

(ઇન્ટરનેટ પરથી)

Monday, June 3, 2019

કદર અને પ્રશંસાનાં બે શબ્દો

પ્રશ્ન : તમારી માતાએ તમને આપેલી શ્રેષ્ઠ શિખામણ કઈ? 
જોનાથન પેટીત દ્વારા જવાબ :
હું દસેક વર્ષનો હતો. મારી માતાએ હંમેશની જેમ અતિ સ્વાદિષ્ટ એવી રસોઇ બનાવી મને જમાડ્યો હતો. મેં ધરાઈને મારું એ ભાવતું ભોજન આરોગ્યું હતું. પછી જ્યારે હું વાસણ ધોઈ રહ્યો હતો ત્યારે મા મારી પાસે આવી કહેવા લાગી, "ભોજનનો સ્વાદ આજે બરાબર નહોતો ને? હું દિલગીર છું."
મને ઝાટકો લાગ્યો. મેં કહ્યું, "બિલકુલ નહીં. મને તો એ ખૂબ ભાવ્યું."
તેણે ખોટા આશ્ચર્યના ભાવ સાથે કહ્યું,"ખરેખર? તું રોજ શાંતિથી કંઈ જ કહ્યા વગર ખાઈ લે છે. તે મને ક્યારેય કહ્યું જ નથી કે તને મારી બનાવેલી રસોઈ ભાવે છે કે નહીં, એટલે મેં ધારી લીધું કે આજે પણ તને ભોજન બિલકુલ ભાવ્યું નહીં હોય."
મેં કહ્યું, "ના... ના... એવું નથી. તું તો મારી દ્રષ્ટિએ જગતની શ્રેષ્ઠ રસોઈયણ છે. " મમ્મીએ જવાબ આપ્યો," તો પછી તારે મને એ ક્યારેક કહેવું જોઈએ ને. જ્યારે કોઈ પણ તમારા માટે કંઈક સારું કરે ત્યારે તમારે તેનો આભાર અચૂક માનવો જોઈએ.જો તમે એમ ન કરો તો એવું બની શકે કે એ માનવા લાગે કે તમે તો એની કદર જ નથી કરતા અને એ તે સારી વસ્તુઓ કરવાનું છોડી દેશે."
મને તરત ચમકારો થયો. એ દિવસથી હું એ દરેકનો આભાર માનવા લાગ્યો જે મારા માટે થોડું ઘણું પણ સારું કરતા હોય,મારી જરા જેટલી પણ મદદ કરતા હોય. એ મારી આદત બની ગઈ જેના વિશે મેં પહેલા ક્યારેય જરા સરખો પણ વિચાર સુદ્ધા કર્યો નહોતો. અને ચમત્કાર થયો!
લોકો મને વધુ પસંદ કરવા લાગ્યા. તેઓ મારી સાથે વધુ વાતચીત કરવા માંડ્યા,મારી સાથે વધુ વહેંચવા માંડ્યા. તેઓ મારા વધુ સારા મિત્રો બની રહ્યાં. મારી હાઈ સ્કૂલના પ્રથમ વર્ષમાં છેલ્લા સપ્તાહે એક દિવસ હું ઘેર પાછો ફર્યો ત્યારે એક મોટી ભેટ મારી રાહ જોઈ રહી હતી! મેં અંત:સ્ફૂરણા થી પ્રેરાઈને કહ્યું, "મમ્મી, તારો ખૂબ ખૂબ આભાર!"
પણ તેણે મને આશ્ચર્ય માં મૂકતા કહ્યું કે એ ભેટ તેના તરફથી નથી. એ મારા બસ ડ્રાઇવર તરફથી હતી. એ તે બસ વર્ષોથી ચલાવતો હતો પણ હું એવી પહેલી વ્યક્તિ હતો જેણે તેનો મને સ્કૂલમાં ઉતારવા અને સહી સલામત પહોંચાડવા આભાર માન્યો હતો. એ આભારના શબ્દોએ કમાલ કરી દીધી અને તે એટલો ગદગદિત થઈ ગયો હતો કે તેણે મને એક ભેટ મોકલાવી હતી!
આવી છે કદરના કે પ્રશંસાના શબ્દોની તાકાત. તમારી પાસે જો એ હશે દુનિયામાં તો બધું સારું થશે, પણ જો તમારી પાસે એ નહીં હોય તો તમારાં જીવનમાં કંઈક ખૂટતું હોવાનો અનુભવ થશે. મારી માતાએ આમ તો મને ઘણું બધું શીખવ્યું હતું પણ તેમાંથી ગમે તેવી પરિસ્થિતિમાં આભારનાં બે શબ્દો બોલવાની શીખામણ શ્રેષ્ઠ હતી.
તમે એવી ઘણી વ્યક્તિઓને મળ્યાં હશો જેઓ પોતાને સારા વિવેચક ગણાવતા હશે પણ શું તમે એવી કોઈ પણ વ્યક્તિને મળ્યા છો જે કહી શકે કે હું અન્યોના વખાણ કરવામાં એક્કો છું?શું આ આપણાં સમાજની એક દુ:ખદ હકીકત નથી? 
ચાલો, આપણી આસપાસના લોકોને વખાણના બે શબ્દો વારંવાર કહેવાની શરૂઆત કરીએ, ખાસ કરીને તેમને જેઓ આપણાં ખાસ કે નજીકના હોય.
સાંભળવામાં સૌથી સારા લાગતા શબ્દો કદર અને પ્રશંસાનાં હોય છે.

(ઇન્ટરનેટ પરથી)