Saturday, July 21, 2018

વડીલોની સંભાળ

ઓફિસથી છૂટીને ઘેર આવવા નીકળ્યો, ભૂખ ખૂબ લાગેલી હતી પણ મમ્મી અને પત્ની બન્ને ઘેર નહોતા એટલે રસ્તામાં પાણીપુરીની લારી દેખાણી એટલે પાણીપુરી ખાવા ઉભો રહ્યો.
પાણીપુરીવાળાને ત્યાં ખૂબ ગિરદી હતી એટલે રાહ જોવા સિવાય કોઈ ઉપાય નહોતો.
પાણીપુરીવાળાની બાજુમાં એક વડીલ(દાદા) ઉભા હતા.
સફેદ સુઘડ લેંઘો ઉપર અડધી બાયનો બુશકોટ એકદમ હસમુખો પણ નિર્વિકાર ચહેરો, ઉંમર લગભગ ૬૫/૭૦.
દાદા એકદમ મસ્તીથી પાણીપુરીની થેલીમાં હાથ નાખી એક એક કરીને "કોરી પુરી" મોં માં ઠુસતા જતા હતા.
મારો નમ્બર આવ્યો. હું પડીયો હાથમાં લઇ પાણીપુરીવાળા સામે ઉભો. એક પછી એક ફટાફટ પાંચ પુરી ઝાપટી ગયો.પેટની આગ થોડીઘણી બુઝાણી.
પેલા દાદાનો કોરી પુરી ખાવાનો કાર્યક્રમ વ્યવસ્થિત ચાલુ જ હતો. પાણીપુરીવાળો પણ ખૂબ ગુસ્સે થતો હતો, બોલ્યો
"बाबूजी प्लेट देता हुँ। बराबरसे खाओ ना"
દાદા તો ગલોફામાં ને ગલોફામાં હસતા હસતા પુરી ખાવાનું ચાલુ જ રાખતા હતા.
એક પ્લેટ થી હજુ પેટ એટલુ ભરાણું નહોતું એટલે મેં બીજી પ્લેટ ખાવાની શરૂ કરી.
જો કે દાદા હજુ થેલીમાંથી કોરી પુરી ગટકાવતા જતા હતા.
"અરે દાદા, સરખી રીતે પ્લેટ માં લઈને ખાવને." મેં કીધું.
દાદા જેમ ના તેમ, ઉં નહીં કે ચું નહિ, લાગ્યું કંઈક ગડબડ છે.
મારી બીજી પ્લેટ પતવા આવી. દાદા હજુ ત્યાં જ ઉભા હતા.
એટલામાં પાછળથી એક માણસ સ્કુટી પર આવ્યો.
"ચિંતા ન કરતી, દાદા મળી ગયા છે!!" કોઈકની સાથે મોબાઈલ પર બોલતો હતો. ગળા માં ઓફિસ બેગ, પગમાં સાદા ચપ્પલ,ચાલીસીનો હશે ઉંમરમાં અને તેના ચહેરા પર એના દાદા મળી ગયાની ખુશી દેખાતી હતી!
એણે ગાડી સાઈડમાં લઈ સ્ટેન્ડ પર ચડાવી.

"શું પપ્પા, આજે પાણીપુરી કે?હજુ ખાવી છે???"
એણે દાદાને પૂછ્યું. દાદા એ આનો કોઈ જ પ્રત્યુત્તર ન આપ્યો. એણે દાદાને ગાડી પર બેસાડ્યા અને ખૂબ નમ્રતાથી પાણીપુરી વાળાને પૂછ્યું કે, દાદા એ કેટલી પાણીપુરી ખાધી અને એના પુરા પૈસા આપી દીધા. આ બધું જોઈને હું નવાઈ પામ્યો.
"આ દાદા કોણ છે તમારા?" મેં પૂછ્યું.
"પપ્પા છે મારા" એનો જવાબ.
"એમને કોઈ તકલીફ છે?" મારો પ્રશ્ન.
"હા એમને "અલ્ઝાયમર" છે".
એકદમ શાંતિથી એણે કહ્યું. એના બોલવામાં ક્યાંય પણ દુઃખ, તાણ કે ત્રાસ નહોતો.એકદમ સહજતાથી એ બોલતો હતો.
" તો આ દાદા આમ આવી રીતે ગમે ત્યાં ચાલ્યા જાય કે?"
" હા, અત્યારે જ જુઓને, પાંચ કિલોમીટર ચાલીને આવ્યા છે."
હું તો આભો જ થઈ ગયો જાણે શૉક લાગ્યો.
"તો તમે આમને શોધો કઈ રીતે?" મેં પૂછ્યું.
"અમે દાદાના ખીસામાં કાયમ એક મોબાઈલ રાખીએ છીએ અને એમાં એક GPS ટ્રેકર લગાવ્યું છે. એની મદદથી આમને શોધી લઉં છું."
"આવું વારંવાર થાતું હશે"મેં આશ્ચર્ય થી પૂછ્યું.
એ એકદમ સરળ હસીને, સ્મિત સાથે બોલ્યો "મહિના માં એક બે વાર થાય આવું.
"કાળજી રાખો દાદાની ભાઈ, બાપ રે આતો કેવો ત્રાસ ભાઈ" હું બોલ્યો. તો એ ગૃહસ્થ બોલ્યો, "પપ્પા પણ મને નાનો હતો ને રમવા જતો ત્યારે મને શોધીને ઘેર લાવતા, યાત્રામાં હું ખોવાઈ ગયો તો મને શોધીને લઈ આવ્યા. એમાં શું વળી ત્રાસ?"

એણે આટલું બોલીને દાદાને વ્યવસ્થિત ગાડી પર બેસાડયા અને નીકળી ગયો.

ખૂબ બધું શીખવા જેવું હતું આ માણસ પાસેથી. આવી ન મટી શકે એવી બીમારી પોતાના વડીલને હોવા છતાં કેટલો એ શાંત હતો એ. બિલકુલ ચીડ ચીડ નહિ કે નહીં કોઈપણ જાતનો મન:સંતાપ.
વડીલોની જતી જિંદગીમાં નાના બાળક પ્રમાણે સંભાળ લેતા એ માણસ ને મનોમન સલામી આપીને હું નીકળ્યો...

સાચેજ, આપણને પણ આવી રીતે જીવતા આવડશે ખરું??

(ઇન્ટરનેટ પરથી)

Sunday, July 15, 2018

ફરિયાદ કરવાની કુટેવ

    મેં થોડા સમય અગાઉ મારા એક મિત્ર દ્વારા સંચાલિત અનાથાશ્રમની મુલાકાત લીધી. ત્યાં આશરે પચાસ અનાથ બાળકો હતાં.
       મેં તે બધાંમાં એક ખાસ બાબત નોંધી. તેઓ બધાં ખૂબ ખુશ હતાં. તેઓ જીવનને ઘણી હકારાત્મકતાથી લેતા હતાં.
     મેં ખાસ નોંધ્યું કે તેમને કોઈ ફરિયાદ નહોતી.
આવું કેવી રીતે બની શકે મને પ્રશ્ન થયો.
     મેં તેમને પૂછ્યું કે તેઓ શા માટે કોઈ પ્રકારની ફરીયાદ કરી રહ્યાં નથી. જીવને તેમની સાથે કેટલું ખરાબ કર્યું છે.
      તેમાંના એકે જવાબ આપ્યો, "સર, અમારી પાસે ફરિયાદ કરવા માટે કોઈ છે જ નહીં, અમે કોની પાસે ફરિયાદ કરીએ?આથી અમે ફરિયાદો ને ગણકારતા જ નથી અને આગળ વધતા રહીએ છીએ."
       મને એ જવાબ સાંભળી આંચકો લાગ્યો. 
       હું ફરિયાદો કર્યાં કરું છું કારણકે મારી એ ફરિયાદો સાંભળનારાઓની મારા જીવનમાં હાજરી છે. મારા જીવનમાં એવા ઉદાર લોકો છે જે મારી એ ફરિયાદો સાંભળે છે પણ એનાથી હું તો એમ સમજવા લાગ્યો છું કે ફરિયાદ કરવું જાણે મારો જન્મસિદ્ધ હક્ક છે.
       આનું પરીણામ એ આવ્યું છે કે જ્યારે જ્યારે મેં ફરિયાદ કરી છે ત્યારે ત્યારે હું સો ટકા સફળ થઈ શક્યો નથી.
       મેં તરત નિર્ણય લીધો કે હું ફરિયાદોનો ત્યાગ કરીશ, ફરિયાદ કરવાની કુટેવ છોડી દઈશ. એ વિચાર માત્ર નો ત્યાગ કરીશ કે મને ફરિયાદો કરવાનો હક્ક છે.
      જો આપણે આપણું ધ્યાન ફરિયાદો કરવાને બદલે, કરવાના કામ પર પૂરેપૂરું કેન્દ્રિત કરીએ તો ચોક્કસ એ કામમાં ધારી સફળતા મેળવી શકીશું.

(ઇન્ટરનેટ પરથી)

અદ્રશ્ય લેબલનો આદર કરીએ

   હું ડ્રાઇવ કરીને ઓફીસ જઈ રહ્યો હતો. એક મહત્વની અપોઇન્ટમેંટ હતી તેથી હું થોડો ઉતાવળમાં હતો. મારી આગળની ગાડી મારા સતત હોર્ન મારવા છતાં ગોકળગાયની ગતિએ આગળ વધી રહી હતી અને મને આગળ જવાનો માર્ગ આપી રહી નહોતી. મારા ક્રોધનો જ્વાળામુખી ફાટવાની તૈયારીમાં જ હતો, ત્યાં મારી નજર એ આગળવાળી ગાડીની પાછળ લગાડેલા એક સ્ટીકર પર ગઈ.
"શારીરિક રીતે અક્ષમ, મહેરબાની કરીને ધીરજ રાખો."
.... અને બધું બદલાઈ ગયું. હું તરત શાંત થઈ ગયો. મેં મારી ઝડપ ઘટાડી નાખી. ઉલટાનું હવે હું આગળની એ ગાડી અને ડ્રાઇવર પ્રત્યે થોડો વધુ કાળજીસભર અને સંરક્ષણાત્મક બની ગયો.
હું ઓફીસ થોડો મોડો પહોંચ્યો, પણ થયું કંઈ વાંધો નહીં.
પણ ત્યાં જ મને એક વિચાર આવ્યો કે જો કદાચ પેલું સ્ટીકર ગાડી પર લગાડેલું હોત જ નહીં તો? શું તો મારાં વર્તન અને વલણ બદલાયાં હોત?
અન્યો સાથે વ્યવહાર કરતી વખતે આપણને સ્ટીકરની જરૂર શા માટે પડે છે? શું લોકો પોતાના કપાળે લેબલ ચોંટાડી ફરે તો જ આપણે તેમના પ્રત્યે વધુ ધીરજવાન અને ઉદાર બની શકીએ? લેબલ જેવા કે મારી નોકરી છૂટી ગઈ છે, કેન્સર સામે ઝઝૂમી રહ્યો છું, છૂટાછેડાની વેદના ભોગવી રહી છું, માનસિક તાણમાંથી પસાર થઈ રહ્યો છું, મારા સ્વજનનું તાજેતરમાં જ મૃત્યુ થયું છે, આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છીએ, મારી જાત પર તિરસ્કાર છૂટે છે વગેરે વગેરે.
દરેકે દરેક મનુષ્ય, આપણને જેની બિલકુલ જાણ નથી એવું એક યુદ્ધ લડી રહ્યો હોય છે. એ અંગે ઓછામાં ઓછું આપણે કંઈક કરી શકીએ એમ હોય તો એ છે તેના પ્રત્યે ધીરજ અને કરૂણા દાખવવા. અદ્રશ્ય એવા ઉપર વર્ણવેલ લેેબલોનો આદર કરીએ.

(ઇન્ટરનેટ પરથી)