Sunday, January 5, 2020

વૃધ્ધાવસ્થાના મિત્રો

 <આ વાતના મૂળ લેખકની જાણ નથી, પણ ૨૫ થી ૫૦ વર્ષનાં દેખીતા પ્રતિભાશાળી સફળ વ્યક્તિઓને સાચી શીખ આપતી આ વાત ઘણી સમજવા અને અમલમાં મૂકવા લાયક છે તેથી સૌ વાચકમિત્રો સાથે શેર કરી રહ્યો છું. >

    અમદાવાદમાં નોકરી દરમ્યાન એલિસબ્રિજ પોલીસ લાઇનમાં રહેતો તે વખતે રોજનો નિત્યક્રમ છ-સાડા છ વાગ્યે જાગી અથવા નાઇટ રાઉન્ડ પૂર્ણ કરી કાયમ ચા-પાણી નાસ્તો કરવા લો-ગાર્ડન,  એન.સી.સી. સર્કલની બાજુમાં આવેલ કિશનની ચાની કીટલીએ જતો. જ્યાં કાયમ સવાર-સવારમાં લો-ગાર્ડનમાં વોકિંગ કે કસરત કરવા આવેલા માણસો એકલ-દોકલ ચા પીતા જોવા મળતાં, જેમાં એક ૭૫ વર્ષ વટાવી ચૂકેલા એક દાદા સાથે રોજની મુલાકાત પછી ઔપચારિક વાતચીત બાદ એકબીજાની હાજરી ગેરહાજરી ખબર અંતર પૂછવા અને એકબીજાને પરાણે ચા પીવરાવવાની તાણ કરી શકીએ એટલા સબંધ બંધાણેલા. મેં એ વડીલને ક્યારેય નામ કે એડ્રેસ નહોતું પૂછ્યું કેમકે જરૂર જ ના પડી, અને વડીલ પણ મને ભાઇ કે મિત્ર કહી સંબોધતા. 
    થોડા સમય બાદ મારાથી ન રહી શકાયું એટલે એક દિવસ વાત વાતમાં મેં કહ્યુ, "વડીલ તમે રોજ મારી પહેલા, વહેલી સવારના 5 વાગ્યે જાગીને ન્હાઇને તૈયાર થઈને ચા પીવા આવી જાઓ છો એ આદત બહુ સારી છે!"
      દાદાએ મારી સામે એકીટશે જોઈ રહ્યા પછી થોડું આમ મોં મચકોડયું હોય એ રીતે ખંધુ હસ્યા! પછી મને કહે, "ભાઇ આ ઉંમરે હવે નિંદર નો આવે અમને, પડખા ઘસીને રાત કાઢવી પડે એટલે  વહેલા અહિંયા આવીને બેસી જાવ છું!"
મેં કહ્યુ," તો જાગીને ભગવાનનું નામ લેવાય ને અહિંયા બેસવા કરતા!"
તો કહે, "ભાઇ અમે વહેલા જાગીએ અને ન્હાવા ધોવા જઇએ તો થોડો ઘણો અવાજ થાય એટલે અમારી *પુત્રવધૂ* (આ પુત્રવધૂ બહુ જ ભાર દઈને બોલેલા)  ને ડિસ્ટર્બ થાય જે અમારા પનોતા પુત્રને પોસાય એમ નથી! અને સવારના 5 વાગ્યાની પહેલી ઘરની ચાનો સ્વાદ તો મારા ધર્મપત્ની 8 વર્ષ પહેલા ગુજરી ગયેલા ત્યારે ચાખેલો. એ પછી તો જય ભગવાન."
મેં કહ્યુ," તો તો એમની તમને બહુ કમી પડતી હશે."
વડીલ મને કહે,"તમે ઉંમરમાં તો મારાથી ઘણા નાના છો પણ એક સાવ નક્કર સત્ય કહું તો પત્નીના સાથની જરૂર ૪૦ વર્ષ પછી હરેક પળ રહે છે."
મેં પૂછ્યું," સાંજનો સમય તો સરખી ઉંમરના મિત્રો સાથે જ પસાર થઈ જતો હશે ને? "
મારા આ સવાલ ઉપર તે વડીલ ખૂબ જ ભાવુક થઈ ગયેલા અને આંખમાં આંસુ સાથે તેમણે કહ્યું," હું એક ઉચ્ચ પગારદાર અધિકારી હતો. મેં મારી નોકરી ખૂબ જ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરેલી પરંતુ મારો સ્વભાવ ખૂબ જ કડક હતો અને કોઈ કામ બદલ કોઈ મારા જુનિયર કર્મચારીની ભૂલ થતી તો હું ખૂબ જ સખ્તાઈથી તેમની તરફ વર્તતો અને સજા કરાવતો. જેના કારણે મારી સાથે દરેક માણસ સારી રીતે વર્તન તો કરતા પણ એ ઔપચારિક રીતે જ! જેની જાણ મને મારા નોકરીના છેલ્લા દિવસે ગોઠવેલ વિદાય સમારંભમા માત્ર સાત-આઠ જણાની હાજરી જોઈને થયેલ. મારા હોદ્દાના કારણે મારી આજુ-બાજુના પાડોશીઓ સાથે પણ મેં આવુ જ વર્તન કરેલું અને જ્યારે હોદ્દાવાળી નોકરી હતી ત્યારે માણસો મને સોસાયટીની બાજુના બગીચામાં બેસવા આવકારતા ત્યારે હું બહુ જ તોછડાઇથી એમને કહેતો કે હું તમારી જેવો નવરો નથી અને હું એક સ્ટેટસવાળા હોદ્દા ઉપર ફરજ બજાવું છું, તમારી જેવા સ્ટેટસ વગરના માણસો સાથે બેસવાની વાત તો દૂર, ઉભો પણ ના રહું. અને બીજીવાર મને આવી રીતે આમંત્રણ આપવાની તેઓ ભૂલ પણ ના કરતા. આવા તલવારની ધારના જાટકા જેવા મારા શબ્દો મને પ્રેમથી આવકારતા માણસોના ઉભા કટકા કરી નાખતા પરંતુ મારા હોદ્દાના કારણે કોઈ કાંઇ બોલી શકતુ નહીં. જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે સૌ મારો પડ્યો બોલ ઝીલતા, સાહેબ સાહેબ કરતા મારાથી ડરતા. મારા કોઈ કામ અટકતા નહી અને રીટાયર્ડમેન્ટ પછી મારા પત્નીના અવસાન બાદ હું સાવ એકલો પડી ગયેલો ત્યારે મને મારી ઓફિસના કોઈ સહ કર્મચારી કે કોઈ અન્ય મળી જતા અને હું સામેથી બોલાવતો ત્યારે તે લોકો મને નજર અંદાજ કરતા કાં પછી મને સાંભળ્યો જ ન હોય એમ સામે પણ ન જુએ!  ત્યારબાદ હું પેલા સોસાયટીની બાજુવાળા બાંકડે જઈને બેસવા લાગ્યો પરંતુ મને જોઈને લોકો ઉભા થઈને ચાલવા લાગતા, હું બેસવાનું કહું તો કોઈને કોઈ બહાનું બનાવી ચાલતા થઈ જતા, છેલ્લે હું ને બાંકડો બે જ વધતા!  અરે, ક્યારેક મારે વાત કરવી હોય તો સામે કોઈ ના હોય!  ક્યારેક કોઈ અજાણ્યો દારૂડિયો મારી સાથે બફાટ કરે તો તે પણ સ્વજન જેવો લાગવા લાગતો.  હું રઘવાયો જેવો થઈ જતો જેની મને ધીરે ધીરે આદત પડતી ગઈ અને મને મારા પૂર્વના કર્મો યાદ આવતા ગયા અને હું મારા મનને મારતો ગયો અને વારતો ગયો. "
    એમની સાથે હું પણ લાગણીવશ બની ગયેલો અને પૂછ્યું કે" તમારે સારો પગાર હતો, સારુ પેન્શન આવે છે સારી મિલ્કત છે!  તો બીજું ખૂટે છે શું? "

વડીલ મને કહે," મેં પૈસા બનાવ્યા, મિલ્કત બનાવી નામ બનાવ્યું અને મારા હોદ્દાના અભિમાનમાં મારાથી ઘડપણમાં તોડી ન શકાય એવું એકલતાનું જાળુ યુવાનીમાં બનાવ્યું પણ ઘડપણમાં કામ લાગે અને બાંકડે બેસીને મારી વાટ જુએ અને મારી એકલતાને દૂર કરે એવા "મિત્રો" ના બનાવ્યા, સાચા સ્વજનો હું ના બનાવી શક્યો! હવે જેટલા વર્ષ મેં કાઢ્યા એટલા મારે નથી કાઢવાના એ તો ખાત્રી છે જ કેમકે શરીર સાથ નથી આપતું."

સાહેબ ..તમે  પૈસો-મિલ્કત ભલે બનાવો પણ ઘડપણમાં સાથ આપી એકલતાનો દૂર કરે એવા મિત્રો જરૂર બનાવજો.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment