Wednesday, July 3, 2019

કર્મનો બદલો

         અચાનક હોસ્પિટલમાં એક એક્સીડેન્ટ કેસ આવ્યો.ડોક્ટર સાહેબે તાત્કાલિક ICU માં આવી એક્સીડેન્ટ કેસની જાતે તપાસ કરી.
સ્ટાફને કહ્યું આ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઇએ.રૂપિયાની લેવડદેવડની વાતો તેમનાં પરિવાર સાથે કરવી નહીં.
     પંદર દિવસના રોકાણ પછી બિલ ડોક્ટર સાહેબના ટેબલ ઉપર આવ્યું.ડોક્ટરે બેલ મારી એકાઉન્ટ મેનેજરને જણાવ્યું એક રૂપિયો પણ આ વ્યક્તિ પાસેથી લેવાનો નથી. 
       એકાઉન્ટ મેનેજર બોલ્યા, "સાહેબ, ત્રણ લાખ બિલની રકમ થાય છે.આ તમારી જાણ ખાતર.." 
     ડોક્ટર બોલ્યા, "દસ લાખ કેમ નથી થતા?
એ દર્દી ને મારી ચેમ્બરમાં લાવો.તમે પણ સાથે આવજો." 
    દર્દીને વ્હીલચેરમાં અંદર લાવવામાં આવ્યો.
     "ભાઈ પ્રવીણ ઓળખાણ પડે છે?" 
ડોક્ટર સાહેબ દર્દીના માથે હાથ ફેરવી બોલ્યા.
    "હા..આપને જોયા હોય તેવું તો  લાગે છે..." દર્દી બોલ્યો. 
     "ત્રણ વર્ષ પહેલાં મારો પરિવાર પીકનીક ઉપરથી પાછો વળતો હતો, ત્યાં અચાનક  કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. કારને બાજુ ઉપર ઉભી કરી. થોડી વાર સુધી અમે કાર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પણ કાર ચાલુ જ ના થાય. 
એકાંત રસ્તો હતો, કોઈ અવર જવર નહીં.સૂર્ય  આથમવાની તૈયારીમાં. મારા પરિવારના દરેક સદસ્યના ચહેરા પર ચિંતા હતી.પત્ની, યુવાન દીકરી અને પુત્ર, સૌ ભગવાનને પ્રાર્થના કરતા હતાં. થોડા સમયમાં ચમત્કાર થયો.કોઈ મેલાઘેલાં કપડાંવાળો યુવાન બાઇક ઉપર નીકળ્યો.અમે બધાએ દયાની નજરથી હાથ ઊંચો કર્યો હતો. 
એ તું જ હતો ને?
તે ઉભા રહી અમારી મુશ્કેલીનું કારણ પૂછ્યું. પછી તું કાર પાસે ગયો. કારનું બોનેટ ખોલી ચેક કરવા લાગ્યો. અમારા પરિવાર માટે તો ભગવાને મદદ કરવા તને મોકલ્યો હોય તેવું લાગ્યું કારણ કે અંધારું થવાનું ચાલુ થઈ ગયું હતું.પરિવાર સાથે આવી એકાંત જગ્યા એ રાત કાઢવી મુશ્કેલ અને જોખમી પણ હતું.
      દસ મિનિટની મહેનત પછી તેં અમારી કાર ચાલુ કરી દીધી.અમારા બધાના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો. 
       મેં પાકીટ ખોલી કહ્યું હતું, "ભાઈ, પ્રથમ તારો આભાર. ઘણી વખત રૂપિયા કરતા સમય ની કિંમત વધુ હોય છે. તે અમારા મુશ્કેલી ના સમયમાં મદદ કરી છે.તેની કિંમત
હું રૂપિયાથી આંકી શકું તેમ નથી, છતાં પણ તેં મહેનત કરી છે તો તેના વળતરનો તું હકદાર છે.
કેટલા રૂપિયા મારે તને આપવાના થાય છે ?" 
તેં એ વખતે મને હાથ જોડીને જે શબ્દો કહ્યા હતાં એ મારી જિંદગીનો સિદ્ધાંત બની ગયાં. 
      તે કહ્યું હતું,  "મારો નિયમ અને સિદ્ધાંત છે, મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તી પાસે થી હું વળતર લેતો નથી.મારા વળતર નો હિસાબ ઉપર વાળો રાખે છે."
      "એક ગરીબ અને મહેનતુ વ્યક્તિ જો પોતાના સિદ્ધાંત થી ચાલી શકતો હોય તો હું કેમ નહીં...?" મેં મારા અંતરઆત્માને સવાલ કર્યો. 
        તે કહ્યું હતું," અહીં થી દસ કિલોમીટર દૂર મારૂં ગેરેજ આવેલું છે.આપની કાર ની પાછળ હું બાઇક ચલાવુ છું.કોઈ તકલીફ પડે તો હું પાછળ જ છું."
      માણસાઈ હજી મરી પરવારી નથી એ તે પૂરવાર કર્યું. 
      "દોસ્ત,એ વાત ને ત્રણ વર્ષ થવા આવ્યા.
હું તને કે તારા શબ્દો ને  હજુ નથી ભૂલ્યો.ભગવાન મારી અપેક્ષા કરતા વધારે આપી રહ્યો છે કારણ સિદ્ધાંતથી ચાલુ છું.મારી રોયલ્ટી ફક્ત માણસાઈ છે. એક વાત ની ખાતરી થઈ ગઇ કે દિલ તો મોટા, નાની વ્યક્તિઓના જ હોય છે. એ સમયે અમારી તકલીફ જોઈ તું તારી મરજી મુજબ રૂપિયાનો  સોદો અમારી સાથે કરી શક્યો હોત, પણ તેં એવું ના કર્યું.પ્રથમ કાર ચાલુ કરી એ પણ કોઈ પણ પ્રકાર ના પ્રલોભન વગર.
       આ હોસ્પિટલ મારી છે.તું અહીંનો મહેમાન થઈ આવ્યો છે.તારી પાસે રૂપિયા ના લેવાય."
      "સાહેબ, ડિસ્કાઉન્ટ સાથે પણ લ્યો તો ખરા જ", પ્રવીણ બોલ્યો. 
      "મેં મારી ઓળખ કે કાર્ડ એ વખતે તને નહોતા આપ્યા કારણ કે તારા શબ્દો એ મારા અંતર આત્માને જગાડી દીધો હતો. મેં ફક્ત ભગવાન ને એટલી પ્રાર્થના એ વખતે કરી હતી કે 
"હે પ્રભુ, આ વ્યક્તિનું ઋણ ઉતારવાનો મોકો મને આપીશ તો હું મારી જાત ને ધન્ય ગણીશ. આજે ત્રણ વર્ષ પછી ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે. આને ફક્ત  કુદરતી સંકેત જ સમજ. દોસ્ત, તારા શબ્દો જ તું યાદ કર - મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તી પાસે થી હું વળતર લેતો નથી.મારા વળતર નો હિસાબ ઉપર વાળો રાખે છે. આ ઉપરવાળાએ તારા વળતરનો હિસાબ કરવા મને મોકલ્યો એવું સમજી લેજે.“
         એકાઉન્ટ મેનેજર  ડોકટર સાહેબ સામે જોતો રહ્યો.
         ડોક્ટરે કહ્યું, "પ્રવીણ કોઈ પણ તકલીફ પડે તો અહીં આવી મને મળી લેજે." 
         એકાઉન્ટ મેનેજર ના ખભે હાથ મૂકી ડોક્ટર સાહેબ બોલ્યા." સુધરવા માટે આશ્રમ કે ગુરુ ની જરૂર નથી હોતી. કોઈ વખત આપણાથી નાની, કે અજ્ઞાની લાગતી વ્યક્તીઓ પણ આપણા અંતર આત્મા ને જગાડી જતો રહે છે." 
        પ્રવીણ ચેમ્બરમાં રાખેલ કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે હાથ જોડી બોલ્યો, "કોણ કહે છે ભગવાન સારા કે ખરાબ કર્મ નો તું 
હિસાબ નથી રાખતો? હા...સમય કદાચ લાગતો હશે, પણ વ્યાજ સાથે ખરાબ કે સારા કર્મનો જવાબ મળશે એ ચોક્કસ!"
"કોઈનું બાકી રાખતો નથી ગિરધારી 
વ્યાજ સાથે પાછું આપે છે મુરારી "
ભગવાનનો ભેદ અને કર્મના સિદ્ધાંતો સમજવા માટે જન્મો જન્મ ઓછા પડે. એ જયારે આપવા બેસે છે ત્યારે છપ્પર ફાડી ને આપે છે અને જયારે  લેવા બેસે છે ત્યારે છાતી ઉપર પગ રાખી થપ્પડ મારીને પણ બહાર કઢાવે છે.
યાદ રાખો - સમય ફક્ત ચહેરો યાદ રાખે છે.
ભગવાન કહે છે હું એક સમયે તને માફ કરી દઈશ પણ કર્મ માફ નહીં કરે.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment