Tuesday, February 19, 2013

હકારાત્મક વિચારો

એક જંગલ હતું.તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.


તે જ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો. હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.

આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.

તમને શું લાગે છે? તેનું શું થશે?

શું હરણી બચી જશે?

શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે?

શું તેનું બચ્ચુ બચી શકશે?

કે પછી

દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે?

શું હરણી ડાબી તરફ ગઈ હશે? ના,ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો.

શું હરણી જમણી તરફ ગઈ હશે?ના,ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.

શું હરણી આગળ જઈ શકે તેમ હતી?ના,ત્યાં ધસમસ્તી નદી તેને ટાની જઈ શકે એમ હતું.

શું હરણી પાછળ જઈ શકે તેમ હતી?ના,ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.

જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.

તે કંઈજ કરતી નથી.તે માત્ર પોતાના બચ્ચાને,એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

એ ક્ષણ પછીની ફક્ત એક જ બીજી ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.

એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે.આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.

તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે.

એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.

એ જ ક્ષણે હરણી એક સુંદર,તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.

આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે.એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે.

પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.જો તમે ધાર્મિક હોવ,અંધશ્રદ્ધાળુ હોવ,નાસ્તિક હોવ,આધ્યાત્મિક હોવ, અજ્ઞેય હોવ કે ગમે તે હોવ,આ એક ક્ષણને આમાંની કોઈ પણ એક રીતે મૂલવી શકો છો – ઇશ્વરનો ચમત્કાર, શ્રદ્ધા, સદનસીબ, યોગાનુયોગ, કર્મ કે પછી ‘ખબર નહિ કઈ રીતે (આમ બનવા પામ્યું)’

એ ક્ષણે હરણી માટે સૌથી વધુ અગત્યની બાબત હતી બચ્ચાને જન્મ આપવો કારણ જિંદગી એક અતિ મૂલ્યવાન ચીજ છે.

ચાલો આપણે સૌ ઇશ્વરને પ્રાર્થના કરી કે ભવિષ્યમાં આપણને આવી હકારાત્મક દ્રષ્ટી પ્રાપ્ત થાય અને કોઈ પણ નકારાત્મક કલ્પના કે વિચાર આપણને સ્પર્શી પણ ન શકે…

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment