બેગમ અખ્તર 'ક્વીન ઓફ મેલોડી' અને ‘મલ્લિકા-એ-ગઝલ’ના હૂલામણા નામે જાણીતા છે. તેઓ ૧૯૧૪માં ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ શહેરમાં જન્મ્યા હતા. તેમની સંગીતની તાલીમ પટિયાલાના અત્તા અહમદ ખાન હેઠળ શરૂ થઈ હતી. બેગમ ફક્ત શાસ્ત્રીય સંગીત જ નહિં પરંતુ ગઝલ, ભજન,ઠુમરી અને દાદરા જેવા સેમિ-ક્લાસિકલ સ્વરૂપ પણ શીખ્યા હતા. તેઓ રૂઢિગત પરંપરાની બેડીઓ ફગાવી દેનારા ખૂબ મોટા મનના સન્નારી હતા જેઓ નારીના સશક્તિકરણના પ્રખર હિમાયતી હતા.
અખ્તર એક બિનસાંપ્રદાયિક અને રાષ્ટ્રવાદી મહિલા હતા.
તેમના જીવનનો એક પ્રસંગ જાણવા જેવો છે જે તેમના વ્યક્તિત્વ વિશે ઘણું બધું કહી જાય છે.
તેમને સરકાર દ્વારા પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા ત્યાર બાદ કેટલાક મૌલવીઓ તેમને મળવાં ગયાં. રાષ્ટ્રીય કક્ષાનું આ સન્માન મળતાં તેઓ સરકારની નજીક હશે અને આથી પોતાની માગણી તેઓ સરકાર સમક્ષ બેગમની વગ વાપરી આસાનીથી મૂકી શકશે એવી ગણતરીથી મૌલવીઓ બેગમને મળવા આવ્યાં હતાં.
તેમણે ફરિયાદ કરતા કહ્યું:"બેગમ, આપણી બારાબંકા ખાતેની એક મસ્જિદ હિન્દુઓ દ્વારા કબ્જે કરી લેવાઈ છે અને હિન્દુઓ ત્યાં 'પૂજા' કરે છે. આ અમને સ્વીકાર્ય નથી. અમને અમારી મસ્જિદ પાછી મેળવી આપવામાં મદદ કરો."
બેગમે તેમને ધ્યાન પૂર્વક સાંભળ્યા અને પછી જવાબ આપ્યો:"આમ જોવા જઈએ તો ત્યાં એ સ્થળે ઇબાદત (પ્રાર્થના) જ કરવામાં આવે છે ને, ભલે પછી એ હિન્દુ ધર્મની હોય કે મુસ્લિમ ધર્મની, એમાં શો ફેર પડે છે?"
મૌલવીઓને તેમનો જવાબ મળી ગયો અને તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા.
('ઈન્ટરનેટ પરથી')
No comments:
Post a Comment