Saturday, November 23, 2019

એક સમજુ પિતાનો પત્ર

પ્રિય પુત્ર,

જીવન, નસીબ અને મૃત્યુ અંગે કોઈ જાણી શક્યું નથી, તો અમુક વાત જરૂરી છે કે વહેલામાં વહેલી જ કહી દેવાય. હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું, તો તને કોઈ જ નહિ કહી શકે. આ બધી વાત હું મારા અનુભવથી કહું છું અને જો હું નહિ કહું, તો પણ તું તારા જીવનમાં શીખીશ જ. પણ, ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય. જીવન સારૂં ને શાંતિથી જીવવા આટલું જરૂર કરજે.

૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે, તો મન માં દુઃખ ના લાવીશ. તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે, બાકી દુનિયાની કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે, તો એના માટે
માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેજે. કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે, તો એનો આભાર વ્યક્ત કરવો, પણ હંમેશા સાવચેત રહેવું. આ દુનિયામાં મારા અને તારા મમ્મી સિવાય બધાના સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ/સ્વાર્થ
પણ હોઈ શકે છે. ઉતાવળમાં કોઈ ને પણ સારા મિત્ર ના માની લેવા.

૨) દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ના શકાય. આ વાત તને ખાસ કામ
લાગશે, જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે. જીંદગી
ચાલ્યા જ કરે છે અને બધી જ વસ્તુઓ કે વ્યક્તિઓ વગર ખુશ રહેતા શીખી લેજે.

૩) જીંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેડફીશ, તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે. જીંદગીના દરેક દિવસ-દરેક પળનો સદુપયોગ કરજે.

૪) પ્રેમ એ બીજું કાંઈ જ નથી, પણ એક બદલાતી લાગણી જ છે, જે સમય અને સંજોગો સાથે બદલાતી જ રહે છે. જો તારો પ્રેમ તને છોડી જાય, તો સંયમ રાખજે. સમય દરેક દર્દને ભૂલાવે જ છે. કોઈની સુંદરતા અથવા પ્રેમમાં જરૂરત કરતાં વધુ ડૂબી ના જવું અને કોઈના દુઃખમાં પણ જરૂર કરતા વધુ પરેશાન ના થવું.

૫) અભ્યાસમાં ઘણા નબળા માણસો પણ જીવનમાં સફળ બન્યા છે, પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસમાં નબળો માણસ સફળ જ થાય. વિદ્યાથી વધુ કશું જ
નથી. ભણવાના સમયે ધગશથી ભણજે.

૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે અથવા હું પણ
તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ, તે પણ મને ખબર નથી. મારી ફરજ તને મોટો કરીને, સારું ભણતર આપીને પૂરી થાય છે. એ પછી તું દુનિયાની મોંઘી ગાડીઓમાં ફરીશ કે પછી સરકારી બસમાં ફરીશ, એ તારી
મહેનત અને આવડત ઉપર નિર્ભર છે.

૭) તું તારું વચન હંમેશા પાળજે, પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખતો. તું સારું કરજે પણ બીજા સારું જ કરશે એવી આશા પણ ન રાખતો. જો આ વાત તને વહેલી સમજાઇ જશે, તો તારા જીવનના મોટા ભાગ ના દુઃખ દૂર થઇ જશે.

૮) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી. જીવનમાં એમ નસીબથી
જ અમીર થઇ જવાતું નથી, એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. તો મહેનતથી કોઈ દિવસ ભાગતો નહિ.

૯) જીવન ખૂબ જ ટૂંકું છે અને કાળનો કોઇ જ ભરોસો નથી, તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ, તેટલો વિતાવી લઈએ કારણ કે આવતો જન્મ તો આવશે જ, પણ એ જન્મમાં આપણે મળશું કે નહિ તે ખબર નથી. તો આ જન્મ માં વધુમાં વધુ સમય પરિવાર સાથે વિતાવજે.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment