Saturday, June 10, 2017

સંતોષ અને ઈમાનદારી

થોડાક વખત પહેલાં અમુક  ભૂખ્યા ભિખારીઓ લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો.

થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓ ને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિર બહારમાંજ વધારે ભિખારીઓ મળી રહે...
ભજીયાં,સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર, એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓ ને લઇને બેઠી હતી.

તેની નજીક જઇને તેને વ્યક્તિદીઠ ૧-૧ એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલી ભિખારણે "ઓ...સાયેબ...
અરે..ઓ..શેઠ" બુમો પાડીને  રોક્યો.

પાસે આવીને  કહે કે "સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ નાલ્લો તો હજી હાત મ્હૈનાનો જ થ્યો છે.. ઇ કેમનો ખૈ હખવાનો ?
લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે.

"આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઇમાનદારી ?) છતાં એની પરિક્ષા કરવા માટે પુછ્યું કે,"જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ લાગત.

શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છે ? કે તું શું ખાઇશ ? છોકરાને શું ખવડાવીશ ?"...

તેણે હાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું, તેણે કીધું કે," શેઠ...સાંજની કે કાલની ચિંતા કરવાનું કામ મારૂં નથી, ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટ્લું જ મારૂં છે..

જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડ નીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઇક ગાડીવાળાને નિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નહીં જ કરૂં. મારા નસીબનું હશે, તેટ્લું જ મને મળશે, નહિતર તમે આપેલુ આ પડીકુ પણ કોઇ કુતરૂં કે કાગડો આવીને ખેંચી જશે.(કેટલો સંતોષ)...

જો  મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ  છે તો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હું અત્યારે ગાડીવાળાના ઘરમાં હોત....!!!

કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી,અને આપણને એટલું બધું  દીધું છે કે આપણને તે સાચવવાની ચિંતા છે...

શેમાં પૈસા રોકું તો જલ્દીથી વધે ? ૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે, તેવી ગણતરી કરીને રોકાણ કરીએ છીએ...૨૫-૩૦ વર્ષનું મોરગેજ, ૨૫ વર્ષ પછી Insurance માંથી કેટલા પાછા આવશે, તે ગણીનેઆજે ભીડ ભોગવીને ય કાલ માટે બચાવીએ છીએ, અને ભગવાન ઉપર શ્રધ્ધાની મોટી મોટી વાતો કરીએ છીએ...!!

(From Internet)

2 comments:

  1. વિપુલ જસાણીJune 18, 2017 at 10:06 AM

    ગત સપ્તાહે ઇન્ટરનેટ કોર્નરમાં ‘સંતોષ અને ઇમાનદારી?’ વાર્તા વાંચી મને મૂંઝવણ થઈ કે તમે એના દ્વારા યુવાનોને શો સંદેશ આપવા માંગો છો? શું તમે યુવાનોને જે લોકો પોતાની આર્થિક સુરક્ષા કાજે ભવિષ્યનો વિચાર કરી નાણાકિય આયોજન કરે છે તેમની ટીકા કરી ભવિષ્ય માટે કોઈ વિચાર કરવો જોઇએ નહિ એવો સંદેશ આપવા માંગો છો? જે લોકો અને દેશો શ્રીમંત અને સફળ છે તેમણે પોતાના ભવિષ્યનું સુંદર આયોજન કર્યું હોય છે. કોઈને સફળતા મળે કે ન મળે એ જુદી વાત છે પણ એનો અર્થ એવો નથી કે પોતાના સારા ભવિષ્ય માટે કોઈએ આયોજન કરવાની જરૂર નથી.

    ReplyDelete
    Replies
    1. વિપુલ ભાઈ, ‘ઇન્ટરનેટ કોર્નર’ તમે ઘણાં વખતથી વાંચતા હશો તો તમને ખ્યાલ હશે એ આ કટાર દ્વારા ફક્ત પોઝિટીવ અને પ્રેરણાત્મક વાતો નો જ ફેલાવો કરવાનો મારો હંમેશા આશય રહ્યો છે.તમે કદાચ લેખ માત્ર એક દ્રષ્ટિકોણથી વાંચ્યો લાગે છે જેને કારણે તમને લાગ્યું હશે કે એ દ્વારા ભવિષ્ય માટે આયોજન ન કરવું એવી વાતનો પ્રચાર થયો છે પણ હકીકતમાં વાર્તાનો મુખ્ય વિચાર સંતોષ અને પ્રમાણિકતા સાથે જીવવાનો હતો.

      Delete