Showing posts with label 'Gujarati blog'. Show all posts
Showing posts with label 'Gujarati blog'. Show all posts

Saturday, September 12, 2020

સતત પ્રયત્નશીલ રહેવું

      એક વાર ઇન્દ્રદેવ ખેડૂતોથી નારાજ થઇ ગયા અને જાહેર કર્યું કે આવનારા બાર વર્ષો સુધી વરસાદ થશે નહીં અને તમે કોઇ પણ પાકની ખેતી કરી શકશો નહીં. 


ખેડૂતોએ ઇન્દ્રદેવને ખૂબ જ પ્રાર્થના કરી અને દયા કરવા વિનવ્યા તેથી તેમણે કહયું કે જાઓ જો ભગવાન શિવ ડમરૂ વગાડશે તો વરસાદ થશે. 

બીજી તરફ ઇન્દ્રદેવે બધી હકીકત ખાનગીમાં જણાવીને ભગવાન શિવને બાર વર્ષ સુધી ડમરૂ ન વગાડવા મનાવી લીધા. ખેડૂતો ભગવાન શિવના શરણે ગયા તો શિવજીએ કહયું કે હું બાર વર્ષે જ ડમરૂ વગાડીશ જાઓ. 

દુઃખી થયેલા ખેડૂતો પાસે બાર વર્ષ સુધી રાહ જોયા સિવાય કોઇ વિકલ્પ ન હતો. પરંતુ તે ખેડૂતો પૈકીનો એક ખેડૂત ખેતર ખેડતો, સમારકામ કરતો અને પાક ઉગવાનો નથી તે જાણવા છતાં દર વર્ષે વાવેતર પણ કરતો. 

અન્ય ખેડૂતો તેની મશ્કરી કરતાં, છતાં પણ દર વર્ષે તે આ મુજબ જ તેની પ્રક્રિયાનું પુનરાવર્તન કરતો હોવાથી બધા ખેડૂતો એ કહયું કે ડોબા, તને ખબર છે કે બાર વર્ષ સુધી વરસાદ પડવાનો નથી તો પણ તું ગધ્ધામજૂરી કરીને સમય અને શક્તિનો વ્યય શા માટે કરે છે?

તેણે જણાવ્યું કે હું પણ જાણું છું કે પાક ઉગવાનો નથી પરંતુ હું તો ખેતીની પદ્ધતિ ભૂલી ન જાઉં તે માટે અભ્યાસ કરું છું. બાર વર્ષ પછી જયારે વરસાદ આવશે ત્યારે તો મારે આ બધી પ્રક્રિયા કરવાની જ છે જેથી હું દર વર્ષે સતત તેનું પુનરાવર્તન કરતો રહું છું જેથી બાર વર્ષ પછી મારું શરીર પાક ઉગાડવા માટે સશક્ત તેમજ સારું રહે.

ખેડૂતની આ દલીલ સાંભળીને માતા પાર્વતીએ શિવજી સામે તેના વખાણ કર્યા અને કહ્યું કે બાર વર્ષે તો તમે પણ ડમરૂ વગાડવાનું ભૂલી જશો ભોળાનાથ. 

શિવજીએ મા પાર્વતીની વાત સાંભળીને ડમરૂ વગાડીને કહયું જુઓ હું ડમરૂ વગાડવાનું ભૂલ્યો નથી. 

ડમરૂનો અવાજ સાંભળીને ચોથા જ વર્ષે વરસાદ પડવા લાગ્યો અને જે ખેડૂતે પોતાના ખેતરમાં બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને વાવેતર કર્યુ હતું તેના ખેતરમાં પાક ઉગી ગયો અને બાકીના ખેડૂતો નિરાશ થઇને બેસી રહ્યા. 

સતત પુનરાવર્તન કરવાથી જ આપણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીએ છીએ . આપણે રોગી બનીએ કે વૃદ્ધત્વ પામીએ છીએ કારણકે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા આપણે સતત પ્રયાસો કરતા નથી. સતત પ્રયત્નશીલ રહેવું એ ગુણવત્તાયુકત જીવનનો મૂળમંત્ર છે. 

જેથી લોકડાઉન ચાર અઠવાડિયે, બે મહિને કે એક વર્ષે ખૂલે પરંતુ આપણે આપની ક્ષમતા, શક્તિને વિકસાવવા સતત પ્રયત્નો કરતા રહેવું જોઇએ. આપણી પાસે જે છે તેને ઉન્નત, સમૃદ્ધ કરીએ અને જ્ઞાનમાં વૃદ્ધિ કરતા રહીએ. 

લોકડાઉન ખૂલવાની રાહ જોતા રહેવું તે વરસાદ પડવાની રાહ જોવા જેવું છે. ડમરૂ વહેલું મોડું વાગશે જ પરંતુ તે સમયે આપણે તૈયાર નહીં હોઈએ તો તકલીફ પડશે. જેથી પડકારનો સામનો કરવા તૈયાર થઈએ. તથાગત બનીએ. 

🙏🙏ઘરમાં રહો સુરક્ષિત રહો🙏🙏

(ઇન્ટરનેટ પરથી) 

Wednesday, February 5, 2020

૪૦ વર્ષ પહેલા... અને આજે

૪૦ વર્ષ પહેલા સંતાનો તેમના માતાપિતા સાથે નમ્રતાથી વર્તતા. આજે માતાપિતાઓએ તેમના સંતાનો સાથે નમ્રતાથી વર્તવું પડે છે!

૪૦ વર્ષ પહેલા દરેકને બાળકો હોય એવી ઇચ્છા થતી, આજે ઘણાંને બાળકો પેદા કરતા ડર લાગે છે!

૪૦ વર્ષ પહેલા સંતાનો તેમના માતાપિતાને માન આપતા, તેમનો આદર જાળવતા. આજે માતાપિતાઓએ તેમના સંતાનોને માન આપવું પડે છે, તેમનો આદર જાળવવો પડે છે!

૪૦ વર્ષ પહેલા લગ્ન સરળ હતા, છૂટાછેડા મુશ્કેલીથી જોવા મળતા. આજે લગ્ન મુશ્કેલ થતાં જાય છે, છૂટાછેડા આસાનીથી થઈ જાય છે!

૪૦ વર્ષ પહેલા બધાં તેમના પાડોશીઓને ઓળખતા. આજે આપણે આપણાં પાડોશીઓ માટે અજાણ્યાં હોઈએ છીએ!

૪૦ વર્ષ પહેલા લોકો ખૂબ ખાતા કારણ તેમણે સખત મહેનત કરવા વધુ ઉર્જાની, તાકાતની જરૂર હતી જે વધુ ખાવાથી પૂરી થતી. આજે લોકો કોલેસ્ટ્રોલના ભયથી ચરબીયુક્ત ખોરાક ખાતાં ડરે છે!

૪૦ વર્ષ પહેલા ગ્રામવાસીઓ શહેરો તરફ નોકરી મેળવવા ઘસારો કરતાં. આજે શહેરના લોકો તાણના ત્રાસથી મુક્તિ મેળવવા શાંતિની શોધમાં ગામડાભણી દ્રષ્ટિ દોડાવે છે!

૪૦ વર્ષ પહેલા સુખી દેખાવા લોકો જાડા થવું પસંદ કરતા. આજે લોકો તંદુરસ્ત દેખાવા ડાયેટીંગ કરે છે!

૪૦ વર્ષ પહેલા શ્રીમંત લોકો ગરીબ હોવાનો ડોળ કરતા. આજે ગરીબ લોકો શ્રીમંત બનવાનો દંભ કરે છે!

૪૦ વર્ષ પહેલા ઘરની માત્ર એક વ્યક્તિ આખા પરિવારનું ગુજરાન ચલાવવા કામ કરતી. આજે ઘરની દરેક વ્યક્તિએ એક બાળકનું ભરણપોષણ કરવા કમાવું પડે છે!

૪૦ વર્ષ પહેલા લોકોને ભણવું અને વાંચવું ગમતું. આજે લોકોને ફેસબુક અપડેટ કરવું અને વોટસએપ પર મેસેજ વાંચવા ગમે છે!

(ઇન્ટરનેટ પરથી)

Sunday, January 5, 2020

વૃધ્ધાવસ્થાના મિત્રો

 <આ વાતના મૂળ લેખકની જાણ નથી, પણ ૨૫ થી ૫૦ વર્ષનાં દેખીતા પ્રતિભાશાળી સફળ વ્યક્તિઓને સાચી શીખ આપતી આ વાત ઘણી સમજવા અને અમલમાં મૂકવા લાયક છે તેથી સૌ વાચકમિત્રો સાથે શેર કરી રહ્યો છું. >

    અમદાવાદમાં નોકરી દરમ્યાન એલિસબ્રિજ પોલીસ લાઇનમાં રહેતો તે વખતે રોજનો નિત્યક્રમ છ-સાડા છ વાગ્યે જાગી અથવા નાઇટ રાઉન્ડ પૂર્ણ કરી કાયમ ચા-પાણી નાસ્તો કરવા લો-ગાર્ડન,  એન.સી.સી. સર્કલની બાજુમાં આવેલ કિશનની ચાની કીટલીએ જતો. જ્યાં કાયમ સવાર-સવારમાં લો-ગાર્ડનમાં વોકિંગ કે કસરત કરવા આવેલા માણસો એકલ-દોકલ ચા પીતા જોવા મળતાં, જેમાં એક ૭૫ વર્ષ વટાવી ચૂકેલા એક દાદા સાથે રોજની મુલાકાત પછી ઔપચારિક વાતચીત બાદ એકબીજાની હાજરી ગેરહાજરી ખબર અંતર પૂછવા અને એકબીજાને પરાણે ચા પીવરાવવાની તાણ કરી શકીએ એટલા સબંધ બંધાણેલા. મેં એ વડીલને ક્યારેય નામ કે એડ્રેસ નહોતું પૂછ્યું કેમકે જરૂર જ ના પડી, અને વડીલ પણ મને ભાઇ કે મિત્ર કહી સંબોધતા. 
    થોડા સમય બાદ મારાથી ન રહી શકાયું એટલે એક દિવસ વાત વાતમાં મેં કહ્યુ, "વડીલ તમે રોજ મારી પહેલા, વહેલી સવારના 5 વાગ્યે જાગીને ન્હાઇને તૈયાર થઈને ચા પીવા આવી જાઓ છો એ આદત બહુ સારી છે!"
      દાદાએ મારી સામે એકીટશે જોઈ રહ્યા પછી થોડું આમ મોં મચકોડયું હોય એ રીતે ખંધુ હસ્યા! પછી મને કહે, "ભાઇ આ ઉંમરે હવે નિંદર નો આવે અમને, પડખા ઘસીને રાત કાઢવી પડે એટલે  વહેલા અહિંયા આવીને બેસી જાવ છું!"
મેં કહ્યુ," તો જાગીને ભગવાનનું નામ લેવાય ને અહિંયા બેસવા કરતા!"
તો કહે, "ભાઇ અમે વહેલા જાગીએ અને ન્હાવા ધોવા જઇએ તો થોડો ઘણો અવાજ થાય એટલે અમારી *પુત્રવધૂ* (આ પુત્રવધૂ બહુ જ ભાર દઈને બોલેલા)  ને ડિસ્ટર્બ થાય જે અમારા પનોતા પુત્રને પોસાય એમ નથી! અને સવારના 5 વાગ્યાની પહેલી ઘરની ચાનો સ્વાદ તો મારા ધર્મપત્ની 8 વર્ષ પહેલા ગુજરી ગયેલા ત્યારે ચાખેલો. એ પછી તો જય ભગવાન."
મેં કહ્યુ," તો તો એમની તમને બહુ કમી પડતી હશે."
વડીલ મને કહે,"તમે ઉંમરમાં તો મારાથી ઘણા નાના છો પણ એક સાવ નક્કર સત્ય કહું તો પત્નીના સાથની જરૂર ૪૦ વર્ષ પછી હરેક પળ રહે છે."
મેં પૂછ્યું," સાંજનો સમય તો સરખી ઉંમરના મિત્રો સાથે જ પસાર થઈ જતો હશે ને? "
મારા આ સવાલ ઉપર તે વડીલ ખૂબ જ ભાવુક થઈ ગયેલા અને આંખમાં આંસુ સાથે તેમણે કહ્યું," હું એક ઉચ્ચ પગારદાર અધિકારી હતો. મેં મારી નોકરી ખૂબ જ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરેલી પરંતુ મારો સ્વભાવ ખૂબ જ કડક હતો અને કોઈ કામ બદલ કોઈ મારા જુનિયર કર્મચારીની ભૂલ થતી તો હું ખૂબ જ સખ્તાઈથી તેમની તરફ વર્તતો અને સજા કરાવતો. જેના કારણે મારી સાથે દરેક માણસ સારી રીતે વર્તન તો કરતા પણ એ ઔપચારિક રીતે જ! જેની જાણ મને મારા નોકરીના છેલ્લા દિવસે ગોઠવેલ વિદાય સમારંભમા માત્ર સાત-આઠ જણાની હાજરી જોઈને થયેલ. મારા હોદ્દાના કારણે મારી આજુ-બાજુના પાડોશીઓ સાથે પણ મેં આવુ જ વર્તન કરેલું અને જ્યારે હોદ્દાવાળી નોકરી હતી ત્યારે માણસો મને સોસાયટીની બાજુના બગીચામાં બેસવા આવકારતા ત્યારે હું બહુ જ તોછડાઇથી એમને કહેતો કે હું તમારી જેવો નવરો નથી અને હું એક સ્ટેટસવાળા હોદ્દા ઉપર ફરજ બજાવું છું, તમારી જેવા સ્ટેટસ વગરના માણસો સાથે બેસવાની વાત તો દૂર, ઉભો પણ ના રહું. અને બીજીવાર મને આવી રીતે આમંત્રણ આપવાની તેઓ ભૂલ પણ ના કરતા. આવા તલવારની ધારના જાટકા જેવા મારા શબ્દો મને પ્રેમથી આવકારતા માણસોના ઉભા કટકા કરી નાખતા પરંતુ મારા હોદ્દાના કારણે કોઈ કાંઇ બોલી શકતુ નહીં. જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે સૌ મારો પડ્યો બોલ ઝીલતા, સાહેબ સાહેબ કરતા મારાથી ડરતા. મારા કોઈ કામ અટકતા નહી અને રીટાયર્ડમેન્ટ પછી મારા પત્નીના અવસાન બાદ હું સાવ એકલો પડી ગયેલો ત્યારે મને મારી ઓફિસના કોઈ સહ કર્મચારી કે કોઈ અન્ય મળી જતા અને હું સામેથી બોલાવતો ત્યારે તે લોકો મને નજર અંદાજ કરતા કાં પછી મને સાંભળ્યો જ ન હોય એમ સામે પણ ન જુએ!  ત્યારબાદ હું પેલા સોસાયટીની બાજુવાળા બાંકડે જઈને બેસવા લાગ્યો પરંતુ મને જોઈને લોકો ઉભા થઈને ચાલવા લાગતા, હું બેસવાનું કહું તો કોઈને કોઈ બહાનું બનાવી ચાલતા થઈ જતા, છેલ્લે હું ને બાંકડો બે જ વધતા!  અરે, ક્યારેક મારે વાત કરવી હોય તો સામે કોઈ ના હોય!  ક્યારેક કોઈ અજાણ્યો દારૂડિયો મારી સાથે બફાટ કરે તો તે પણ સ્વજન જેવો લાગવા લાગતો.  હું રઘવાયો જેવો થઈ જતો જેની મને ધીરે ધીરે આદત પડતી ગઈ અને મને મારા પૂર્વના કર્મો યાદ આવતા ગયા અને હું મારા મનને મારતો ગયો અને વારતો ગયો. "
    એમની સાથે હું પણ લાગણીવશ બની ગયેલો અને પૂછ્યું કે" તમારે સારો પગાર હતો, સારુ પેન્શન આવે છે સારી મિલ્કત છે!  તો બીજું ખૂટે છે શું? "

વડીલ મને કહે," મેં પૈસા બનાવ્યા, મિલ્કત બનાવી નામ બનાવ્યું અને મારા હોદ્દાના અભિમાનમાં મારાથી ઘડપણમાં તોડી ન શકાય એવું એકલતાનું જાળુ યુવાનીમાં બનાવ્યું પણ ઘડપણમાં કામ લાગે અને બાંકડે બેસીને મારી વાટ જુએ અને મારી એકલતાને દૂર કરે એવા "મિત્રો" ના બનાવ્યા, સાચા સ્વજનો હું ના બનાવી શક્યો! હવે જેટલા વર્ષ મેં કાઢ્યા એટલા મારે નથી કાઢવાના એ તો ખાત્રી છે જ કેમકે શરીર સાથ નથી આપતું."

સાહેબ ..તમે  પૈસો-મિલ્કત ભલે બનાવો પણ ઘડપણમાં સાથ આપી એકલતાનો દૂર કરે એવા મિત્રો જરૂર બનાવજો.

(ઇન્ટરનેટ પરથી)

Friday, December 20, 2019

સમજવા જેવી વાતો

ઝેર શું છે?
 જરૂર કરતા વધારે દરેક ચીજ ઝેર છે. સત્તા, આળસ, ખોરાક, અહમ્, મહત્વકાંક્ષા, મિથ્યાભિમાન, ડર, ક્રોધ અને બીજું બધું જે હદથી વધી જાય તે ઝેર છે.

ડર શું છે?
અનિશ્ચિતતાનો અસ્વીકાર. જો આપણે અનિશ્ચિતતા સ્વીકારી લઈએ તો તે સાહસ બની જાય છે.

ઇર્ષ્યા શું છે?
અન્યની સારી બાબતનો અસ્વીકાર. જો એ સ્વીકારી લઈએ તો તે પ્રેરણા બની જાય છે.

 ક્રોધ શું છે?
 જે આપણાં નિયંત્રણમાં નથી તેનો અસ્વીકાર. જો એ સ્વીકારી લઈએ તો તે ધૈર્ય બની જાય છે.

 નફરત શું છે?
 સામેનું પાત્ર જેવું છે તે સ્વરૂપે તેનો અસ્વીકાર. જો આપણે તેનો બિન શરતી સ્વીકાર કરી લઈએ તો એ પ્રેમ બની જાય છે. 

(ઇન્ટરનેટ પરથી)

Monday, July 29, 2019

દરેક વસ્તુ તમારા સમય અને ધ્યાનને લાયક હોતી નથી

       એક હાથી નદીમાં સ્નાન કર્યા બાદ રસ્તે ચાલી પોતાના ઘેર જઈ રહ્યો હતો. માર્ગમાં એક પુલ આવ્યો અને તેણે સામેથી એક કાદવથી ખરડાયેલા ગંદા-ગોબરા ભૂંડને આવતા જોયું. હાથીએ શાંતિથી એક બાજુ ખસી જઈ ભૂંડને પસાર થઈ જવા દીધું. પછી તે પોતે પુલ પરથી પસાર થયો અને તેણે આગળ ચાલવા માંડ્યું.
પેલી બાજુ ભૂંડે પોતાના મિત્રો આગળ શેખી વઘારતા અહંકારપૂર્વક કહ્યું, "જોયું હું કેટલો તાકાતવાન અને મહાન છું? હાથી જેવા હાથીએ પણ બાજુમાં ખસી જઈ મને માર્ગ કરી આપ્યો!"
આ વાત એક બીજા હાથીએ સાંભળી લીધી અને તેણે પેલા પહેલા હાથીને પ્રશ્ન કર્યો કે શું ખરેખર તેણે ભૂંડથી ડરી જઈ તેને માર્ગ કરી આપ્યો હતો? પહેલા હાથીએ જવાબ આપ્યો, "હું ઇચ્છત તો એ તુચ્છ ભૂંડને એક ક્ષણમાં મારા પગ નીચે કચડી નાંખી શકત પણ હું સ્વચ્છ હતો અને તે મહા ગંદો - કાદવકીચડથી ખરડાયેલો. તેને કચડવામાં મારો પગ ખરાબ થાત અને એ મને મંજૂર નહોતું. આથી હું બાજુ પર ખસી ગયો હતો."
વાર્તાનો સાર : મહાન લોકો નકારાત્મકતાનો સહેલાઈથી નાશ કરી શકવા સમર્થ હોય છે પણ તેઓ તેને એટલા માટે ટાળે છે જેથી તેના સંપર્કમાં આવી તેમણે મલિન ન થવું પડે. તમારે  દરેક અભિપ્રાય, ટીપ્પણી કે પરિસ્થિતી સામે પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. અડચણ સામે આંખ આડા કાન કરી આગળ વધતા રહો. તમારી લડાઈઓ ધ્યાનપૂર્વક પસંદ કરો. દરેક વસ્તુ તમારા સમય અને ધ્યાનને લાયક હોતી નથી.
(ઇન્ટરનેટ પરથી)

Sunday, July 14, 2019

જીવન જીવવાની ફોર્મ્યુલા

   એક મહિલાને રોજ સૂતા પહેલા પોતાની દિવસભરની ખુશીઓ કાગળ પર લખવાની આદત હતી. એક રાતે તેણે લખ્યું :

# હું ખુશ છું કે મારા પતિ આખી રાત મોટેથી નસકોરાં બોલાવે છે કારણ એ દર્શાવે છે કે તે જીવિત છે અને મારી પાસે છે. આ ઈશ્વરની કૃપા છે.

# હું ખુશ છું કે મારો પુત્ર સવારે સવારે એ વાતનો ઝઘડો કરે છે કે આખી રાત મચ્છર - માંકડ સૂવા નથી દેતા. આનો અર્થ એવો થયો કે એ રાત ઘેર જ વિતાવે છે, બહાર આવારાગર્દી  નથી કરતો. આ ઈશ્વરની કૃપા છે.
 
#હું ખુશ છું કે દર મહિને વિજળી, ગેસ, પેટ્રોલ, પાણી વગેરેનું બિલ ભરવું પડે છે. આ દર્શાવે છે કે આ બધી ચીજવસ્તુઓનો હું વપરાશ કરું છું - એ મારી પાસે છે. જો એ ન હોત તો જિંદગી કેટલી મુશ્કેલ બની રહેત? આ ઈશ્વરની કૃપા છે.
 
#હું ખુશ છું કે દિવસને અંતે મારા થાકીને બૂરા હાલ થઈ જાય છે. આમ થવાનું કારણ એ છે કે મારામાં દિવસભર સખત કામ કરવાની તાકાત અને હિંમત છે. આ ઈશ્વરની કૃપા છે.
 
#હું ખુશ છું કે મારે રોજ મારા ઘેર ઝાડુ - પોતા કરવા પડે છે, બારી - દરવાજા સાફ કરવા પડે છે. ભગવાનનો આભાર માનવાનો કે મારી પાસે મારું પોતાનું ઘર છે! આ ઈશ્વરની કૃપા છે. જેમની પાસે તેમનું પોતાનું ઘર અને માથે છત નથી હોતાં તેમની શી હાલત થતી હશે?
 
#હું ખુશ છું કે હું ક્યારેક ક્યારેક માંદી પડું છું.મોટે ભાગે તો હું સાજી જ હોઉં છું ને? આ ઈશ્વરની કૃપા છે.

#હું ખુશ છું કે દર વર્ષે તહેવારો આવે એટલે ભેટ સોગાદો આપવામાં પાકીટ ખાલી થઈ જાય છે. આ દર્શાવે છે કે મારી પાસે મારા ચાહવાવાળાઓ, મારા આપ્તજનો, સગા સંબંધીઓ, મિત્રો છે જેમને હું ભેટ સોગાદ આપી શકું છું. જો એ ના હોય તો જિંદગી કેટલી નીરસ હોય! આ ઈશ્વરની કૃપા છે.
 
#હું ખુશ છું કે રોજ એલાર્મ વાગતા મારે ઉઠી જવું પડે છે. આનો અર્થ એવો થાય છે કે રોજ એક નવી સવાર જોવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થાય છે. આ ઈશ્વરની કૃપા છે.
   
  જીવન જીવવાના આ ફોર્મ્યુલાનો અમલ કરી પોતાની અને પોતાની આસપાસનાં લોકોની જીંદગી સુખ - શાંતિમય અને વધુ જીવવાલાયક બનાવવી જોઈએ. નાની કે મોટી કોઈ પણ મુશ્કેલીમાંયે ખુશીની તલાશ કરવી જોઈએ અને ઈશ્વરનો આભાર માની જીંદગી ખુશહાલ બનાવવી જોઈએ.

(ઇન્ટરનેટ પરથી)

Monday, June 3, 2019

કદર અને પ્રશંસાનાં બે શબ્દો

પ્રશ્ન : તમારી માતાએ તમને આપેલી શ્રેષ્ઠ શિખામણ કઈ? 
જોનાથન પેટીત દ્વારા જવાબ :
હું દસેક વર્ષનો હતો. મારી માતાએ હંમેશની જેમ અતિ સ્વાદિષ્ટ એવી રસોઇ બનાવી મને જમાડ્યો હતો. મેં ધરાઈને મારું એ ભાવતું ભોજન આરોગ્યું હતું. પછી જ્યારે હું વાસણ ધોઈ રહ્યો હતો ત્યારે મા મારી પાસે આવી કહેવા લાગી, "ભોજનનો સ્વાદ આજે બરાબર નહોતો ને? હું દિલગીર છું."
મને ઝાટકો લાગ્યો. મેં કહ્યું, "બિલકુલ નહીં. મને તો એ ખૂબ ભાવ્યું."
તેણે ખોટા આશ્ચર્યના ભાવ સાથે કહ્યું,"ખરેખર? તું રોજ શાંતિથી કંઈ જ કહ્યા વગર ખાઈ લે છે. તે મને ક્યારેય કહ્યું જ નથી કે તને મારી બનાવેલી રસોઈ ભાવે છે કે નહીં, એટલે મેં ધારી લીધું કે આજે પણ તને ભોજન બિલકુલ ભાવ્યું નહીં હોય."
મેં કહ્યું, "ના... ના... એવું નથી. તું તો મારી દ્રષ્ટિએ જગતની શ્રેષ્ઠ રસોઈયણ છે. " મમ્મીએ જવાબ આપ્યો," તો પછી તારે મને એ ક્યારેક કહેવું જોઈએ ને. જ્યારે કોઈ પણ તમારા માટે કંઈક સારું કરે ત્યારે તમારે તેનો આભાર અચૂક માનવો જોઈએ.જો તમે એમ ન કરો તો એવું બની શકે કે એ માનવા લાગે કે તમે તો એની કદર જ નથી કરતા અને એ તે સારી વસ્તુઓ કરવાનું છોડી દેશે."
મને તરત ચમકારો થયો. એ દિવસથી હું એ દરેકનો આભાર માનવા લાગ્યો જે મારા માટે થોડું ઘણું પણ સારું કરતા હોય,મારી જરા જેટલી પણ મદદ કરતા હોય. એ મારી આદત બની ગઈ જેના વિશે મેં પહેલા ક્યારેય જરા સરખો પણ વિચાર સુદ્ધા કર્યો નહોતો. અને ચમત્કાર થયો!
લોકો મને વધુ પસંદ કરવા લાગ્યા. તેઓ મારી સાથે વધુ વાતચીત કરવા માંડ્યા,મારી સાથે વધુ વહેંચવા માંડ્યા. તેઓ મારા વધુ સારા મિત્રો બની રહ્યાં. મારી હાઈ સ્કૂલના પ્રથમ વર્ષમાં છેલ્લા સપ્તાહે એક દિવસ હું ઘેર પાછો ફર્યો ત્યારે એક મોટી ભેટ મારી રાહ જોઈ રહી હતી! મેં અંત:સ્ફૂરણા થી પ્રેરાઈને કહ્યું, "મમ્મી, તારો ખૂબ ખૂબ આભાર!"
પણ તેણે મને આશ્ચર્ય માં મૂકતા કહ્યું કે એ ભેટ તેના તરફથી નથી. એ મારા બસ ડ્રાઇવર તરફથી હતી. એ તે બસ વર્ષોથી ચલાવતો હતો પણ હું એવી પહેલી વ્યક્તિ હતો જેણે તેનો મને સ્કૂલમાં ઉતારવા અને સહી સલામત પહોંચાડવા આભાર માન્યો હતો. એ આભારના શબ્દોએ કમાલ કરી દીધી અને તે એટલો ગદગદિત થઈ ગયો હતો કે તેણે મને એક ભેટ મોકલાવી હતી!
આવી છે કદરના કે પ્રશંસાના શબ્દોની તાકાત. તમારી પાસે જો એ હશે દુનિયામાં તો બધું સારું થશે, પણ જો તમારી પાસે એ નહીં હોય તો તમારાં જીવનમાં કંઈક ખૂટતું હોવાનો અનુભવ થશે. મારી માતાએ આમ તો મને ઘણું બધું શીખવ્યું હતું પણ તેમાંથી ગમે તેવી પરિસ્થિતિમાં આભારનાં બે શબ્દો બોલવાની શીખામણ શ્રેષ્ઠ હતી.
તમે એવી ઘણી વ્યક્તિઓને મળ્યાં હશો જેઓ પોતાને સારા વિવેચક ગણાવતા હશે પણ શું તમે એવી કોઈ પણ વ્યક્તિને મળ્યા છો જે કહી શકે કે હું અન્યોના વખાણ કરવામાં એક્કો છું?શું આ આપણાં સમાજની એક દુ:ખદ હકીકત નથી? 
ચાલો, આપણી આસપાસના લોકોને વખાણના બે શબ્દો વારંવાર કહેવાની શરૂઆત કરીએ, ખાસ કરીને તેમને જેઓ આપણાં ખાસ કે નજીકના હોય.
સાંભળવામાં સૌથી સારા લાગતા શબ્દો કદર અને પ્રશંસાનાં હોય છે.

(ઇન્ટરનેટ પરથી)

Sunday, May 12, 2019

સાત ટૂંકી વાર્તાઓ

માઇક્રોસોફ્ટના સી. ઈ. ઓ. સત્યા નાદેલા દ્વારા શેર કરાયેલી સાત ટૂંકી વાર્તાઓ

પાછું વળી જોતાં...
     મારા સાઇકોલોજીના વર્ગના એક રિસર્ચ પેપર પર કામ કરતી વેળાએ મેં મારા દાદીનો ઇન્ટરવ્યૂ લીધો. મેં તેમને તેમના પોતાના શબ્દોમાં સફળતાની વ્યાખ્યા કરવા કહ્યું. તેમણે જવાબ આપ્યો," સફળતા એ છે જ્યારે તમે તમારા જીવનમાં ડોકિયું કરો અને પાછલી સ્મૃતિઓ તમારા ચહેરા પર સ્મિત લઈ આવે."

પ્રેમ વેદના અતિક્રમી જાય છે
મેં મારા પાળેલા કૂતરાને ગાડી નીચે કચડાઈ જતાં જોયો. હું તેની બાજુમાં બેસી પડ્યો, મેં તેને ખોળામાં લીધો અને રડવું શરૂ કર્યું. પણ તેણે મૃત્યુ પામતા પહેલા મારા ચહેરા પરથી આંસુ ચાટી સાફ કરી દીધા.

સાથ
મારા પિતા, ત્રણ ભાઇઓ અને અમે બે બહેનો મારી માતાના હોસ્પિટલના ખાટલાની આજુબાજુ વીંટળાઈ વળ્યા ત્યારે તે અસ્ફૂટ શબ્દો માં બોલી, "હું અત્યારે કેટલો બધો પ્રેમ પ્રાપ્ત કર્યાનું અનુભવી રહી છું! કાશ, આપણે સૌ આ પહેલા પણ આ જ રીતે સાથે વારંવાર મળ્યાં હોત! “

સ્નેહ... થોડો મોડો?
મારા પિતાના કપાળે મેં ચુંબન કર્યું જ્યારે તે નાનકડી એવી એક હોસ્પિટલના બિછાનેથી પરમધામે પ્રયાણ કરી ચૂક્યા હતા. થોડા સમય બાદ મને ખ્યાલ આવ્યો કે નાના બાળક તરીકે મેં મારા પિતાને આપેલ પપ્પી બાદનું વર્ષોના વ્હાણા બાદનું એ પ્રથમ અને અંતિમ ચુંબન હતું.

હર્ષ
જ્યારે મેં ૨૭ વર્ષની એ કેન્સર પીડિતાને તેની બે વર્ષની દીકરીના ગતકડાં પર મન મૂકીને ખડખડાટ હસતા જોઈ ત્યારે અચાનક મને અહેસાસ થયો કે મારે મારા જીવનમાં ફરિયાદો કરવાનું બંધ કરી દઈ નાની નાની ખુશીઓની ઉજવણી કરતા શીખવું જોઈએ.

ઉદારતા
વ્હીલચેરમાં બેઠેલા એક છોકરાએ મને મારા ભાગેલા પગ અને કાખઘોડીની મદદથી હવાતિયા મારતા જોયો અને તેણે મને મારી ખભે ભરાવવાની બેગ અને પુસ્તકો ઉપાડી લેવાની મદદની તૈયારી બતાવી. આખા કેમ્પસ દરમિયાન તેણે મારું આ વજન ઉંચકી મારા વર્ગ સુધી પહોંચી જાઉં ત્યાં સુધી મને સંગાથ આપ્યો. જતાં જતાં કહ્યું, "જલ્દીજ તમારો પગ સારો થઈ જાય એવી શુભેચ્છા!"

વહેંચીને ખાવું
હું કેન્યામાં પ્રવાસ કરી રહ્યો હતો. ત્યાં મને ઝિમ્બાબ્વેનો એક શરણાર્થી મળ્યો. તેણે કહ્યું છેલ્લા ત્રણ દિવસથી તેણે કંઈ ખાધું નહોતું. તે અતિ દુર્બળ અને માંદો દેખાતો હતો. મારા મિત્રે તેને અડધી ખાઈ લીધેલી સેન્ડવિચ આપી ત્યારે તેણે સૌ પ્રથમ કહ્યું, "આપણે એ વહેંચીને ખાઈએ."

જીવન આભારવશતાની લાગણી સાથે જીવો...

(ઇન્ટરનેટ પરથી)

Saturday, April 20, 2019

ચૂંટણીમાં વોટ વિચારીને આપજો!

           એક હોસ્ટેલની કેન્ટીનમાં રોજ સવારે નાસ્તામાં ઉપમા પીરસવામાં આવતો. મોટા ભાગના વિદ્યાર્થીઓ ઉપમાથી કંટાળી ગયા હતાં અને તેમણે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો, વોર્ડન ને ફરિયાદ કરી અને સવારના નાસ્તામાં કઇંક નવું આપવાની માંગણી કરી. પણ કુલ સો માંથી વીસ વિદ્યાર્થીઓ એવા હતાં જેમણે ક્યારેય ઉપમા સિવાય અન્ય કંઈ ચાખ્યું જ નહોતું અને તેઓ બદલાવ નહોતા ઝંખતા. વોર્ડને નવી વાનગીઓનું એક લિસ્ટ તૈયાર કર્યું અને વિદ્યાર્થીઓને પોતપોતાની પસંદગી મુજબ વોટ આપવા કહ્યું. પેલા વીસ વિદ્યાર્થીઓએ અન્ય વિકલ્પો જોવાની પણ દરકાર કર્યા વગર ઉપમાને જ મત આપ્યો. 
      હવે બાકી એંસી વિદ્યાર્થીઓએ સંગઠિત થયા વગર અલગ અલગ વાનગીઓ પસંદ કરી. ૧૮ જણે ઢોસા પસંદ કર્યાં, ૧૬ જણે રોટલીને મત આપ્યો, ૧૪ જણે ઈડલી પર પસંદગીની મહોર મારી,૧૨ જણે બ્રેડ-બટર પસંદ કર્યાં અને ૧૦ - ૧૦ જણે પોંગલ અને નૂડલ્સને વોટ આપ્યાં.
       કહેવાની જરૂર ખરી કેન્ટીનમાં ઉપમા જ સવારના નાસ્તામાં ચાલુ રહ્યો.
       ચૂંટણી આવી રહી છે... વિચારીને વોટ આપજો!

(ઇન્ટરનેટ પરથી)

Monday, March 18, 2019

સંપર્ક અને જોડાણ વચ્ચેનો ભેદ

   રામકૃષ્ણ મિશનના એક સંતનો ઇન્ટરવ્યૂ ન્યૂયોર્કના એક પત્રકાર દ્વારા લેવાઈ રહ્યો હતો. પહેલેથી તૈયારી કર્યા મુજબ પત્રકાર સંતને પ્રશ્નો પૂછી રહ્યો હતો. 
    પત્રકાર - "સર, તમારા ગત પ્રવચનમાં તમે અમને જોગાજોગ (સંપર્ક) અને સંજોગ (જોડાણ) અંગે કહ્યું હતું. પણ એ મૂંઝાવનારું છે. તમે એ ફરી થોડું વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકશો? "
     સંતે સસ્મિત પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે પત્રકારને પ્રતિ પ્રશ્ન કર્યો, "શું તમે ન્યૂયોર્કથી આવો છો?" પત્રકારે હકારમાં જવાબ આપ્યો.
     સંત - "તમારે ઘેર કોણ કોણ છે?"
પત્રકારને લાગ્યું કે સંત તેનો પ્રશ્ન ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ તેમનો આ સામો પ્રશ્ન અતિ અંગત અને બિનઅપેક્ષિત અને બિનજરૂરી જણાતો હતો.
આમ છતાં પત્રકારે જવાબ આપ્યો," મારી માતા મૃત્યુ પામી છે. પિતા હયાત છે. મારા ત્રણ ભાઈઓ અને એક બહેન છે જે બધાં પરણેલા છે."
      સંતે મુખ પરનું સ્મિત જાળવી રાખતા પૂછ્યું, "શું તમે તમારા પિતાજી સાથે વાતચીત કરો છો?"
      પત્રકારના મુખ પર સ્પષ્ટ દેખાય એવા અણગમાના ભાવ ઉપસી આવ્યાં. સંતે આગળ ચલાવ્યું, "તેમની સાથે તમે છેલ્લે ક્યારે વાત કરી હતી?"
પત્રકારે પોતાની નારાજગી દબાવી જવાબ આપ્યો, "કદાચ એક મહિના પહેલા."
      સંતે નવો પ્રશ્ન પૂછ્યો, "તમે બધાં ભાઈ - બહેન વારે ઘડીએ મળો છો? તમારા પરિવારનું સમૂહ મિલન છેલ્લે ક્યારે મળ્યું હતું? “
      હવે પત્રકારના કપાળે પરસેવાના ટીપાં બાઝી ગયાં. ઇન્ટરવ્યૂ કોણ લઈ રહ્યું હતું પત્રકાર કે સંત? એમ લાગતું હતું કે જાણે સંત પત્રકારનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હોય!
     નિસાસા સાથે પત્રકારે જવાબ આપ્યો, "બે વર્ષ અગાઉ અમે બધાં સાથે નાતાલ વખતે મળ્યાં હતાં."
સંતે પૂછ્યું, "કેટલાં દિવસ તમે બધાં સાથે રહ્યાં હતાં?"
     પત્રકારે કપાળ પરથી પરસેવો લૂછતાં જવાબ આપ્યો, "ત્રણ દિવસ..."
સંતે પૂછ્યું, "તમારા પિતાની બરાબર બાજુમાં બેસીને તમે કેટલો સમય પસાર કર્યો હતો? “
     પત્રકારે હવે મૂંઝારો અને શર્મિંદગી અનુભવતા કાગળ પર કંઈક લખવાનું શરૂ કર્યું.
સંતના પ્રશ્નોનો જાણે અંત જ નહોતો આવતો! તેમણે પૂછ્યું," તમે સવારનો નાસ્તો, બપોરનું જમણ કે રાત્રિનું ભોજન સાથે લીધા હતા? તમે તેમને પૂછ્યું હતું કે તેઓ કેમ છે? તમે તેમને પૂછ્યું હતું કે તમારી માતાના અવસાન પછી તેમનો સમય કઈ રીતે પસાર થઈ રહ્યો છે?"
      પત્રકારની આંખોમાંથી અશ્રુની સરવાણી વહી રહી.
     સંતે પત્રકારનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું," દુ:ખી કે નારાજ ન થાઓ. જો મેં અજાણતા તમને દુભવ્યા હોય તો હું એ બદલ દિલગીર છું, મને માફ કરી દેશો...
    પણ આ તમારા જોગાજોગ અને સંજોગ(સંપર્ક અને જોડાણ) અંગે ના પ્રશ્ન નો જવાબ છે. તમારો તમારા પિતા સાથે સંપર્ક છે પણ તમારું તેમની સાથે જોડાણ નથી. તમે તેમની સાથે જોડાયેલા નથી. જોડાણ હ્રદયથી હ્રદય સાથેનું  હોય છે. સાથે બેસવું, સાથે જમવું, એકમેકની કાળજી કરવી, સ્પર્શ, હાથ મિલાવવો, આંખમાં આંખ મિલાવવી, સાથે સમય પસાર કરવો... આ બધું જોડાણમાં હોય છે. તમે બધાં ભાઈ-બહેન પણ સંપર્કમાં છો, પણ તમારી વચ્ચે જોડાણ નથી.
      પત્રકારે આંખો લૂંછતાં કહ્યું, "મને આ ક્યારેય ન ભૂલી શકાય એવો સુંદર પાઠ શીખવવા બદલ તમારો ખૂબ આભાર."
       આ આજના સમયની વાસ્તવિકતા છે. ઘરમાં કે સમાજમાં બધાં સંપર્કમાં હોય છે પણ તેઓનું એકમેક સાથે જોડાણ હોતું નથી. તેમની વચ્ચે સંવાદ નથી સધાતો, દરેક પોતપોતાની દુનિયામાં ડૂબેલા હોય છે.
ચાલો, આપણે સંકલ્પ કરીએ કે માત્ર સંપર્કો ન વધારતા, આત્મીયજનો સાથે જોડાણ સાધીશું,તેમની કાળજી કરીશું, તેમની સાથે સુખ દુઃખ વહેંચીશું અને તેમની સાથે સમય વ્યતિત કરીશું.
આ સંત એ બીજું કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદ હતાં.

(ઇન્ટરનેટ પરથી)

Thursday, November 22, 2018

મૂલ્ય

એક વખત એક માણસના ખીસ્સામાં ૨૦૦૦ રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા.
સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો.
નોટે પુછ્યુ, “આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’
સિક્કાએ કહ્યુ, “આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મુલાકાત થઇ નથી એટલે આપને જોઉં છું.
આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું બધુ ફર્યા હશો !
આપનું મૂલ્ય મારા કરતા હજારગણું વધારે છે એટલે કેટલા લોકોને ઉપયોગી થયા હશો ?”
નોટે દુ:ખી વદને કહ્યુ, “ભાઇ, તું વિચારે છે એવું કંઇ નથી.
હું એક ઉદ્યોગપતિના કબજામાં હતી. એણે મને સાચવીને એની તિજોરીમાં રાખેલી.
એક વખત મને તિજોરીમાંથી બહાર કાઢીને એણે કરેલા ટેકસચોરીના કૌભાંડને ઢાંકવા માટે  લાંચ તરીકે એક અધિકારીના હવાલે કરી.
મને એમ થયું કે ચાલો જેલમાંથી છુટ્યા હવે કોઇના ઉપયોગમાં આવીશ.
પણ મારા સપનાઓ સપનાઓ જ રહ્યા કારણકે અધિકારીએ મને એના બેંકલોકરમાં કેદ કરી દીધી.
કેટલાય મહિનાઓ બાદ અધિકારીએ એક મોટો બંગલો ખરીદ્યો એટલે મને બેંકલોકરમાંથી બહાર નીકળવાની તક મળી.
જેવી બીલ્ડરના હાથમાં આવી કે એણે તો કોથળામાં પુરીને એક અંધારી જગ્યાએ મુકી દીધી.
મારો તો શ્વાસ પણ રુંધાતો હતો.
હજુ થોડા દિવસ પહેલા જ ત્યાંથી નીકળીને આ માણસના ખીસ્સામાં પહોંચી છું.
ભાઇ સાચું કહું તો મેં મારી જીંદગી જેલમાં જ વિતાવી છે.”
નોટે પોતાની વાત પુરી કરીને પછી સિક્કાને પુછ્યું , “દોસ્ત, તું તો કહે તારા જન્મ પછી તું કેટલું ફર્યો ? કોને કોને મળ્યો ?”
સિક્કાએ હરખાતાં હરખાતાં કહયું , “અરે દોસ્ત, શું વાત કરું ? હું તો ખૂબ ફર્યો.
એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાથી વળી ત્રીજી જગ્યાએ સતત ફરતો જ રહ્યો.
ક્યારેક ભિખારી પાસે જઇને એને બીસ્કીટનું પેકેટ અપાવ્યું તો ક્યારેક નાના બાળકના હાથમાં જઇને એને ચોકલેટ અપાવી.
પવિત્ર તીર્થસ્થાનોમાં જઇ આવ્યો, પવિત્ર નદીઓમાં નાહી આવ્યો અને પ્રભુના ચરણસ્પર્શ પણ કરી આવ્યો.
ક્યારેક હું આરતીની થાળીમાં જઇ આવ્યો તો ક્યારેક અલ્લાહની ચાદરમાં પણ પોઢી આવ્યો.
મને ખૂબ મજા આવે છે અને જેની જેની પાસે જાવ છું એને પણ મજા કરાવું છું."
સિક્કાની વાત સાંભળીને નોટની આંખો ભીની થઇ ગઇ.

તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્વનું છે.
મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો એ નાના નહી બહુ મોટા છે.

(ઇન્ટરનેટ પરથી)

Wednesday, September 26, 2018

ભારતનાં પ્રથમ સ્ત્રી વાળંદ શાંતાબાઈની અદ્ભુત કહાની


      પોતાના સ્વર્ગીય પતિના વ્યવસાયને અપનાવી અને આગળ વધારી શાંતાબાઇએ પોતાના પરિવારને સહારો આપ્યો. પુરુષ-પ્રધાન સમાજમાં માત્ર પુરુષો દ્વારા જ ચલાવાતા વ્યવસાયને અપનાવી તે ભારતનાં પહેલા મહિલા વાળંદ બન્યા.
     દેશની પહેલી મહિલા બારટેન્ડર શતભી બાસુથી લઈને દેશની પહેલી મહિલા વાઇન-ટેસ્ટર સોવના પૂરી સુધીની બધી મહિલાઓ પૂરા જોશ અને ઝનૂનથી પોતપોતાના મનપસંદ વ્યવસાયમાં નામ કમાઈ રહી છે.
પણ ૪૦ વર્ષ અગાઉ એક મહિલાને પુરુષ પ્રધાન વ્યવસાય અંગે કોઈ જ માહિતી નહોતી. પોતાના પરિવાર સાથે ગામમાં સુખેથી જીવન વ્યતિત કરવું એ જ એમનું સપનું હતું. પણ કિસ્મતે એમને એવા મોડ પર લાવી મૂક્યા જ્યાં તેમણે પુરુષપ્રધાન સમાજમાં પોતાની ભૂખી બાળકીઓનું પેટ ભરવા આ વ્યવસાય અપનાવવો પડ્યો. આ વાત છે ભારતના પહેલા મહિલા નાઈ શાંતાતાઈની...
મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હાસુરસાસગીરી ગામમાં રહેતા શાંતાબાઈ આપણા સૌ માટે આદર્શ સમાન છે. વિપરિત પરિસ્થિતિઓ નો સામનો કરી શાંતાબાઈએ એક મુકામ હાંસલ કર્યો છે.
માત્ર ૧૨ વર્ષ ની ઉંમરે શાંતાબાઈના લગ્ન તેમના પતિ શ્રીપતિ સાથે થયા હતા. તેમના પિતા નાઈ હતા અને પતિનો પણ આ જ વ્યવસાય હતો.
કોલ્હાપુર જિલ્લાના અર્દલ ગામે શ્રીપતિ પોતાના ૪ ભાઈઓ સાથે મળીને 3 એકર જમીન પર ખેતીવાડી કરતો હતો. માત્ર ખેતી પર જીવન નિર્વાહ મુશ્કેલ હોવાથી તે નાઈ તરીકે પણ કામ કરતો. પિતાની મિલ્કતના ભાગલા પડ્યા અને ૩ એકર જમીન બધાં ભાઈઓ વચ્ચે વહેંચાઈ ગઈ. જમીનનો ઘણો ઓછો હિસ્સો પોતાને ભાગે બાકી બચતા હવે શ્રીપતિ એ આસપાસના ગામોમાં જઈ હજામતનું કામ ચાલુ કર્યું. આટલી મહેનત કરવા છતાં વેતન ઓછું પડતાં શ્રીપતિ એ સાહૂકારો પાસેથી પૈસા ઉધાર લેવાનું શરૂ કર્યું.
      હાસુરસાસગીરી ગામના સભાપતિ હરિભાઉ કડૂકરે જ્યારે શ્રીપતિ ની વસમી સ્થિતિ જોઈ ત્યારે તેમણે તેને હાસુરસાસગીરી ગામમાં આવી વસવા ઈજન આપ્યું. હરિભાઉના ગામમાં કોઈ વાળંદ નહોતો આથી શ્રીપતિ ત્યાં વધુ પૈસા કમાઈ શકે એમ હતો.
આ રીતે શાંતાબાઈ અને તેમના પતિ શ્રીપતિ હાસુરસાસગીરી ગામમાં આવી વસ્યા. પછી દસ વર્ષમાં શાંતાબાઈ એ છ દીકરીઓને જન્મ આપ્યો જેમાંથી બે નું બાળપણમાં જ મૃત્યુ થઈ ગયું. દિવસો વધુ તકલીફ વગર આરામથી પસાર થઈ રહ્યા હતા.
     પણ અચાનક વર્ષ ૧૯૮૪માં જ્યારે તેમની મોટી દીકરી આઠ વર્ષની હતી અને નાની દીકરી એક વર્ષથીયે નાની ત્યારે હ્રદય રોગના હુમલાથી શ્રીપતિનો દેહાંતવાસ થયો.
      ત્રણ માસ સુધી શાંતાબાઈએ અન્યોના ખેતરમાં મજૂરી કરી. ૮ - ૮ કલાક સખત મજૂરી કર્યા બાદ તેમને માત્ર પચાસ પૈસા મજદૂરી પેઠે મળતા. એમાંથી ઘર ખર્ચ અને ચાર દીકરીઓનું ભરણ પોષણ કઈ રીતે પૂરું થાય?
       સરકારે તેને જમીનના બદલામાં ૧૫૦૦૦ રૂપિયા આપ્યાં. આ પૈસાનો ઉપયોગ શાંતાબાઈએ પતિનું દેવું ચૂકવવા કર્યો. પોતાની બાળકીઓને તે બે ટંક ખાવાનું પણ આપી શકતી નહોતી. ત્રણ મહિના તેણે જેમતેમ કાળી મજૂરી કરી પસાર કર્યા. મહામુસીબતે તે પોતાની દીકરીઓનું પેટ ભરી શકતી. ક્યારેક તો તેમણે બધાએ ભુખ્યા પેટે પણ સૂવાનો વારો આવતો. પરિસ્થિતિથી કંટાળી આખરે એક દિવસ શાંતાબાઈએ ચારે દિકરીઓ સહિત આત્મહત્યા કરવાનો વિચાર કર્યો.
      આ વખતે પણ હરિભાઉ તેમના માટે ભગવાન સાબિત થયા. જ્યારે શાંતાબાઈ મરવાની તૈયારીમાં જ હતા ત્યાં હરિભાઉ તેમના ખબર અંતર પૂછવા આવ્યા અને તેમની બૂરી પરિસ્થિતિ જોઈ તેમણે શાંતાબાઇને પતિનો વ્યવસાય અપનાવી લેવાનું સૂચન કર્યું. શ્રીપતિના મોત બાદ ગામમાં બીજો કોઈ નાઈ ના હોવાને લીધે શાંતાબાઈ સારું કમાઇ શકે એમ હતું.
      શાંતાબાઈને પહેલા તો આ સાંભળી નવાઈ લાગી. ભલા એક સ્ત્રી નાઈનું કામ કઈ રીતે કરી શકે? પણ એમની પાસે અન્ય કોઈ વિકલ્પ પણ બચ્યો નહોતો.
      શાંતાબાઈ કહે છે, "મારી પાસે બે જ રસ્તા હતા. એક તો હું મારી દીકરીઓ સહિત આત્મહત્યા કરી લઉં અથવા સમાજ કે લોકોની પરવા કર્યા વિના મારા પતિનો અસ્ત્રો હાથમાં લઈ લઉં. મારે મારા સંતાનો માટે જીવવું હતું, આથી મેં બીજો વિકલ્પ પસંદ કર્યો."
    હરિભાઉ પોતે શાંતાબાઈના પહેલા ગ્રાહક બન્યા. શરૂઆતમાં તો ગામના લોકો એમની મજાક ઉડાવતા પણ શાંતાબાઈ ચલિત થયા નહીં, તેમનો હોંસલો વધતો ગયો. એ પોતાની બાળકીઓને પાડોશીને ઘેર મૂકી આસપાસના ગામોમાં હજામત કરવા જવા માંડયા.
કડલ, હિદાદુગી અને નરેવાડી ગામમાં કોઈ વાળંદ નહોતો આથી ત્યાંના લોકો એમના ગ્રાહક બની ગયા.
ધીરે ધીરે શાંતાબાઈની ખબર દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. એટલું જ નહીં, તે સમયના પ્રખ્યાત અખબાર 'તરુણ ભારત' માં તેમના વિશે લેખ છપાયો.
     સમાજને પ્રેરિત કરવા બદલ શાંતાબાઈ ને સમાજરત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા. અન્ય પણ કેટલીયે સંસ્થાઓએ એમનું યથોચિત સન્માન કર્યું.
     વર્ષ ૧૯૮૪માં એ માત્ર ૧ રૂપિયામાં દાઢી અને કેશ કર્તન કરતા હતા. થોડા જ દિવસોમાં તેમણે જાનવરોના વાળ કાપી આપવાની પણ શરૂઆત કરી, જેના માટે એ ૫ રૂપિયા લેવા માંડ્યા.
      વર્ષ ૧૯૮૫માં ઇંદિરા ગાંધી આવાસ યોજના અંતર્ગત શાંતાબાઈને સરકાર તરફથી ઘર બનાવવા માટે પૈસા મળ્યાં. શાંતાબાઈએ કોઈની આર્થિક મદદ લીધા વગર પોતાની ચારે દીકરીઓને ધામધૂમથી પરણાવી. આજે એ દસ પૌત્રપૌત્રીઓની નાની છે.
     ૭૦ વર્ષના શાંતાબાઈ હવે થાક્યા છે. એ પોતે આસપાસના ગામોમાં જઈ શકતા નથી એટલે લોકો હવે તેમની પાસે દાઢી કરાવવા અને કેશ કર્તન માટે આવે છે.
     શાંતાબાઈ કહે છે, "ગામમાં હવે સલૂન છે. બાળકો અને યુવાનો ત્યાં જાય છે. મારી પાસે મારા જૂના ગ્રાહકો જ આવે છે. હવે હું દાઢી કરવાના અને વાળ કાપવાના ૫૦ રૂપિયા લઉં છું અને જાનવરોના વાળ કાપવાના ૧૦૦ રૂપિયા લઉં છું. મહિ‌નામાં ૩૦૦ - ૪૦૦ રૂપિયા કમાઈ લઉં છું અને સરકાર પાસે થી મને ૬૦૦ રૂપિયા મળે છે. આ પૈસા મને ઓછા પડે છે પણ જિંદગી માં મેં ઘણી મુશ્કેલીઓ સહન કરી છે એટલે હવે થોડામાં ગુજરાન ચલાવવાનું શીખી ગઈ છું. મને ખબર છે કે જરૂરત પડ્યે હું મહેનત કરીને કમાઈ શકું છું. "
શાંતાબાઈ કહે છે કે," આ વ્યવસાયે મને અને મારા બાળકોને નવી જિંદગી આપી છે. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હાથમાં અસ્ત્રો લઈ હું કામ કરતી રહીશ."
       પોતાના સાહસ અને લગનને પ્રોત્સાહન આપવા માટે શાંતાબાઈ હરિભાઉ કડૂકરને ધન્યવાદ આપે છે. મુશ્કેલ ઘડીમાં હરિભાઉએ તેમનો સાથ આપ્યો હતો તેથી એ તેમને પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે.
         વર્ષ ૨૦૦૮માં ૯૯ વર્ષની વયે હરિ ભાઉ મૃત્યુ પામ્યા. હરિભાઉના પૌત્ર બબન પાટીલ આજે પણ શાંતાબાઈના ઘરે જઈ તેમની દેખભાળ રાખે છે.

- પ્રફુલ્લ મુક્કાવાર

(મૂળ લેખ માનબી કટોચ દ્વારા)


(ઇન્ટરનેટ પરથી)

—————————————

ગત સપ્તાહે ઇન્ટરનેટ કોર્નરમાં ભારતનાં પ્રથમ સ્ત્રી વાળંદ શાંતાબાઈની અદ્ભુત કહાની છાપી હતી. જો કોઈ વાચક આ લેખ વાંચ્યા બાદ શાંતાબાઈને આર્થિક મદદ કરવા ઇચ્છતા હોય તે નીચે પ્રમાણેની વિગત મુજબ તેમના બેંક અકાઉન્ટમાં સીધી રકમ જમા કરાવી શકે છે :
Bank -THE  AJARA  URBAN  CO. OP BANK LTD  AJARA ,
NAME-YADAV SHANTABAI SHRIPATI ,
A/C NO-403-11982 ,
IFSC NO- IBKL0116AUC
તમે તેમની સાથે ૭૫૮૮૮૬૮૯૩૫ આ મોબાઇલ નંબર પર વાત પણ કરી શકો છો.

Saturday, November 4, 2017

સાડી નો પાલવ

મને નથી લાગતું કે આજનાં બાળકોને સાડીનો પાલવ કોને કહેવાય તેની ખબર હશે કારણકે આજકાલ ની માતાઓ સાડી પહેરતી નથી
       પાલવ નો મુખ્ય ઉદ્દેશ સાડીને વધુ સુંદરતા અને ભવ્યતા બક્ષવાનો છે, પણ સાથે ચૂલા પરથી ગરમ વાસણને ઉંચકવા માટે પણ એનો ઉપયોગ સ્ત્રીઓ કરતી. બાળકોનાં અશ્રુ લૂછવા નું એક અદ્ભુત સાધન હતું. ક્યારેક માતાઓ બાળકોનાં કાન સાફ કરવા તેમ શરીર લૂછવા પણ તેનો ઉપયોગ કરી લેતી
       સૂતેલા બાળકો માટે માતાનો ખોળો સાદડીની તો પાલવ ગરમ રજાઈની ગરજ સારતો. કેટલાક શરમાળ બાળકો માતાનાં પાલવનો ઉપયોગ મિત્રોથી મોઢું સંતાડવા પણ કરી લેતા અને નાનકડા બાળ તરીકે મસમોટાં ભૂંડા જગતમાં બહાર નિકળતી વેળાએ માતાનો પાલવ એક આધાર, માર્ગદર્શક તરીકેની ગરજ સારતો
       વાતાવરણ ઠંડુ હોય ત્યારે પાલવ હાથ ફરતે વીંટાળવા ઉપયોગમાં આવતો અને ચૂલાની ગરમીને કારણે પસીનાથી ભીની થયેલી આંખો લૂછવા પણ પાલવ મહામૂલો સાબિત થતો
     રસોડામાં જોઈતી વસ્તુઓ લઈ આવવા પણ પાલવ કામ લાગતો તો રસોઈ કરતી વખતે વસ્ત્ર પરનાં ઉપરણ તરીકે પણ ફરજ પૂરી પાડતો
      બાગ કે વાડીમાંથી શાકભાજી લઈ આવવા અને વટાણા વગેરે શાકભાજી ફોલ્યા બાદ કચરો ઘર બહાર ફેંકવા લઈ જવામાં પણ પાલવ કામ લાગતો
      બાગમાંથી નીચે પડેલાં શેતૂર, બોર જેવાં ફળો કે ભગવાનને ચડાવવા સુગંધી કે રંગબેરંગી ફૂલો ભરી લઈ આવવા છાબડી તરીકે પણ પાલવ ઉપયોગમાં આવતો
      ઘરની સાફસફાઇ વખતે ધૂળ ઝાટકવાનું કામ પણ પાલવ કરતો  તો રડતા બાળક ને છાનું રાખવાં કેટલાં બધાં રમકડાં ભરવા ટોપલી પણ બની જતો
         આટઆટલા બહુવિધ ઉપયોગ ધરાવતા જાદુઈ પાલવનું સ્થાન કોઈ લઈ શકશે નહીં
         માતાના પાલવમાંથી નીતરતાં સ્નેહનું તો પૂછવું શું!

(ઈન્ટરનેટ પરથી)