Showing posts with label 'Gujarati short story'. Show all posts
Showing posts with label 'Gujarati short story'. Show all posts

Sunday, January 24, 2021

જતું કરતા શીખીએ

     એક વેપારીને બે પુત્રો હતાં. તેઓ પિતા સાથે જ તેમની મોટી દુકાનમાં કામ કરતાં. વેપારીના મૃત્યુ બાદ તેમણે કામ વહેંચી લીધું પણ તેઓ સાથે જ દુકાન સંભાળતા. બધું થોડા સમય સુધી બરાબર ચાલ્યું પણ એક દિવસ બે હજાર રૂપિયાની એક નોટ ગાયબ થઈ ગઈ અને એ તેમની વચ્ચે વિખવાદ અને ભાગલાનું કારણ બની.

     એક ભાઈએ બે હજાર રૂપિયાની એક નોટ હિસાબના ચોપડા પર મૂકી હતી અને તેને એક ગ્રાહક સાથે અચાનક બહાર જવાનું થયું. જ્યારે તે પાછો આવ્યો ત્યારે એ નોટ ત્યાં ના હતી. તેણે બીજા ભાઈને પૂછયું કે શું તેણે એ નોટ લીધી છે? બીજા ભાઈએ નકારમાં જવાબ આપ્યો. પણ પહેલાં ભાઈને વિશ્વાસ આવ્યો નહીં અને તેણે બીજા ભાઈ પર શંકા કરી સતત તેને એ બે હજાર રૂપિયા વિશે પૂછ્યા કર્યું. તેણે એવા ટોણાં પણ માર્યા કે બે હજારની નોટ ને કંઈ પગ ના આવે અને તે દોડીને આપમેળે ક્યાંય જતી ન રહે. ચોક્કસ એ 'કોઈએ' ચોરી લીધી છે. આ બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું. પહેલાં ભાઈનું સ્વમાન ઘવાયું. તેમના સંબંધો બગડયા અને આ વિખવાદ તેમને ભાગલા સુધી દોરી ગયો. તેમણે એકમેક સાથે બોલવાનું પણ બંધ કરી દીધું.

     તેમણે ધંધાના પણ ભાગલા કરી નાખ્યા અને દુકાન વચ્ચે એક મોટી દિવાલ ચણી દીધી.

આ વાતને વીસ વર્ષ વીતી ગયાં. તેમની વચ્ચે વૈમનસ્ય, કડવાશ વધતા ચાલ્યા અને તેમની વચ્ચે મોઢું જોવા સુદ્ધાનાં સંબંધ ના રહ્યાં.

     પછી એક દિવસ એક આગંતુક દૂર દેશથી દુકાનમાં આવ્યો અને તેણે હિસાબનીશને પૂછયું કે તે કેટલા સમયથી આ દુકાનમાં કામ કરે છે. હિસાબનીશે જવાબ આપ્યો કે તે વર્ષોથી ત્યાં જ કામ કરે છે. આ સાંભળી આગંતુકે કહ્યું "મારે એક ઘણી જૂની પણ અગત્યની વાત કરવી છે. વીસ વર્ષ પહેલાં હું ગાડી ચલાવવાનું કામ કરતો હતો અને અચાનક આ દુકાન સામે આવી ચડયો હતો. મારી પરિસ્થિતિ ઘણી ખરાબ હતી અને ત્રણ દિવસ સુધી હું કંઈ ખાવા પામ્યો નહોતો. હું દુકાનમાં કંઈક મેળવવાની આશાએ આવી ચડયો અને મારી નજર હિસાબના ચોપડા પર પડેલી બે હજારની નોટ પર ગઈ. દુકાનમાં કોઈ હાજર નહોતું. મારા મનમાં શેતાન પેઠો અને મેં જીવનમાં પહેલી વાર ચોરી કરી. પણ ત્યાર પછી આજ સુધી હું એ ઘટનાને ભૂલી શક્યો નથી. આજે ભગવાનની દયાથી મારી આર્થિક પરિસ્થિતિ સુધરી છે. પણ મારાથી રહી ના શકાતા આજે હું એ પાપ ની માફી માગવા આવ્યો છું."

    તે એકી શ્વાસે આ બધું બોલી ગયો તે બીજા ભાઈએ પણ સાંભળ્યું અને તેની આંખમાંથી પસ્તાવાનાં આંસુ વહી રહ્યાં. તે સીધો દીવાલની બીજી બાજુ દોડયો અને પહેલાં ભાઈના પગમાં પડ્યો. બંને ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા અને ખૂબ રડયા.

વીસ વર્ષ બાદ તેમના સંબંધો વચ્ચેનું ભંગાણ તૂટયું. તેમની વચ્ચે જે દિવાલ ચણાઈ હતી તે તૂટી ગઈ. તેઓ ફરી એક થયાં.

     આવું ઘણી વાર જીવનમાં બનતું હોય છે જ્યારે નાની નાની ક્ષુલ્લક વાતોને કારણે સ્વજનો વચ્ચેના મહામૂલા સંબંધો તૂટી જતાં હોય છે. પણ કોઈ એક પક્ષે જતું કરવાની જરૂર હોય છે. આપણે પોતે કેમ એ પક્ષ ના બનીએ અને જીવનમાં જતું કરતા શીખીએ? કોઈ પ્રત્યે કડવાશ અને વેરવૃત્તિ ના રાખીએ. આ દ્વારા આપણી ઘણી માનસિક શક્તિ આપણે બચાવી તેને સંબંધો મધુર બનાવી કે ટકાવી રાખવામાં વાપરી શકીશું. ચાલો એક નવી સારી શરૂઆત કરીએ, જતું કરવાની...

(ઇન્ટરનેટ પરથી)  


નાતાલ ચમત્કાર

 નાતાલ ચમત્કાર

----------------------

    એક કંપનીનો દર વર્ષે નાતાલની સાંજે પોતાના કર્મચારીઓ માટે એક પાર્ટી અને લોટરી નું આયોજન કરવાનો નિયમ હતો.

     લોટરીના ડ્રો ના નિયમો આ મુજબ હતાં : દરેક કર્મચારી દસ ડોલર જમા કરે. કંપનીમાં ત્રણસો જેટલાં કર્મચારીઓ હતાં. આ પ્રમાણે કુલ ત્રણેક હજાર ડોલર જેટલી રકમ જમા થતી. ડ્રો માં એક વિજેતા નક્કી થતો અને તે આ સઘળી રકમ જીતી ને ઘેર લઈ જઈ શકતો.

    લોટરી ડ્રો સમયે ઓફિસનું વાતાવરણ જીવંત બની જતું. દરેક જણ પોતાનું નામ લખેલી ચબરખી લોટરીબોક્સમાં નાખતા.

    હવે આ વર્ષે એવું બન્યું કે એક યુવાન કર્મચારી ને પોતાનું નામ લખેલી ચબરખી લોટરીબોક્સમાં નાખતા સંકોચ થયો. તે જાણતો હતો કે ઓફિસમાં કચરો સાફ કરતી બાઈને એક નો એક દીકરો હતો જે અતિ દુર્બળ અને માંદો હતો અને ટૂંક સમયમાં તેનું ઓપરેશન થવાનું હતું જે માટે ના પૈસા બાઈ પાસે નહોતા.

     તેને ખબર હતી કે પોતે એ બાઈનું નામ ચબરખીમાં લખી લોટરીબોક્સમાં નાખશે, તો પણ એ બાઈના જીતવાના સંજોગો અતિ પાંખા હશે. છતાં તેણે એ પ્રમાણે કર્યું.

    પછી તો એ ક્ષણ આવી. કંપનીના માલિકે લોટરીબોક્સમાંથી એક ચબરખી બહાર કાઢી અને તે ખોલી વિજેતાનું નામ વાંચવા ચશ્મા ઉંચા ચડાવ્યા. પેલા યુવાન કર્મચારીએ મનમાં પ્રાર્થના કરી કે વિજેતા તરીકે પેલી બાઈનું નામ જ જાહેર થાય. અને ચમત્કાર થયો! એ બાઈનું નામ જ વિજેતા તરીકે જાહેર થયું!

      હર્ષની ચિચિયારીઓથી ઓફિસનું વાતાવરણ ગૂંજી ઉઠયું. પેલી બાઈ રાજીના રેડ થતી ઈનામ લેવા મંચ પર જઈ પહોંચી. તેના અશ્રુઓ રોક્યા ના રોકાયા. તે ભાવવિભોર થઈ બોલી, "હું કેટલી નસીબદાર છું. હવે મારો દીકરો ચોક્કસ બચી જશે... "

    પાર્ટી પૂરી થયે, આ "નાતાલ ચમત્કાર" વિશે વિચારતો પેલો યુવાન મંચ પાસે જઈ ચડયો અને તેનું ધ્યાન લોટરી બોક્સ તરફ ગયું. તેને બોક્સમાંની અન્ય ચબરખી વાંચવાની ઉત્કંઠા થઈ આવી. તેણે એક ચબરખી બહાર કાઢી અને ખોલીને તેના પર લખેલું નામ વાંચ્યું. તેના આશ્ચર્ય સાથે આ ચબરખી પર પણ પેલી બાઈનું નામ હતું! પછી તો તેણે ત્રીજી, ચોથી, પાંચમી અને એમ કરતાં બીજી ઘણી ચબરખીઓ બહાર કાઢી વાંચી. એ બધી પર જુદા જુદા અક્ષરોમાં પેલી બાઈનું જ નામ લખેલું હતું. યુવાનની આંખોમાં પાણી આવી ગયું. તેને સમજાઈ ગયું કે "નાતાલ ચમત્કાર" જેવું જગતમાં હોય છે ખરું, પણ એ કંઈ આકાશમાંથી સર્જાતું નથી, લોકો પોતે એને સર્જી શકે છે.


(ઈન્ટરનેટ પરથી)  


કોની રામાયણ વધુ સારી?

     જ્યારે મહર્ષિ વાલ્મીકીએ તેમની રામાયણ લખવાની પૂરી કરી, નારદ મુનિ ખાસ પ્રભાવિત થયા નહીં. "તમારી રામાયણ સારી છે, પણ હનુમાનજીની તેના કરતાં પણ વધુ સારી છે." નારદજીએ કહ્યું.

    વાલ્મીકિ મનમાં બોલ્યા, "હનુમાને પણ રામાયણ લખી છે?? “. એમને આ ન ગમ્યું. તે વિચારવા લાગ્યા કોની રામાયણ ખરેખર વધુ સારી હશે. તેઓ હનુમાનજીને ગોતવા નીકળી પડ્યા.

     કડાલી વનમાં એક ઉપવન ખાતે એક કેળનાં ઝાડનાં સાત પહોળા પત્તા પર તેમણે 'રામાયણ' લખેલું જોયું. તેમણે એ વાંચ્યું. તેમને એ આદર્શ લાગ્યું - સારામાં સારા શબ્દો અને વ્યાકરણ, લય અને રચનાનો અદ્ભુત સમન્વય. તેમની આંખમાંથી અશ્રુ સરી પડ્યાં.

    હનુમાનજી આ જોઈ બોલ્યાં, "શું એ એટલી બધી ખરાબ છે કે એને વાંચી તમે રડી પડ્યા? “

વાલ્મીકી કહે," ના, ઉલટું એ એટલી બધી સારી છે કે હું મારી જાતને રડતાં ના રોકી શક્યો. "

    તેમણે આગળ કહ્યું," તમારી રામાયણ વાંચ્યા પછી તો કોઈ મારી રામાયણ વાંચશે જ નહીં..."

    આ સાંભળી હનુમાનજી એ એ સાતે કેળના પાન ફાડી નાંખ્યા અને તે બોલ્યા, "હવે કોઈ ક્યારેય હનુમાનજીની રામાયણ વાંચી શકશે જ નહીં. મને મારી રામાયણની જેટલી જરૂર છે તેના કરતાં તમારે તમારી રામાયણની વધારે જરૂર છે. તમે તમારી રામાયણ લખી છે જેથી દુનિયા એ વાંચીને વાલ્મીકિને યાદ કરે. જ્યારે મેં મારી રામાયણ લખી હતી જેથી હું મારા સ્વામી રામ ને યાદ રાખી શકું."

      આ સાંભળતા જ વાલ્મીકિજીને ખ્યાલ આવ્યો કે તેઓ પોતાના કામને લોકો વખાણે એ બાબતની ઝંખનામાં કેટલા ગળાડૂબ હતા. 

    લોકોને પોતાનું કામ ગમશે કે નહીં એ ભયમાંથી તેમનું આ ઉમદા કામ પણ તેમને મુક્ત કરી શક્યું નહોતું. રામની કહાણીની સાત્ત્વિકતા પણ તેમના મનની ગાંઠો ખોલી શકી નહોતી.

     તેમની રામાયણ મહત્વાકાંક્ષાનું ફળ હતું જ્યારે હનુમાનની રામાયણ પવિત્ર સ્નેહનું ઉત્પાદન હતું. આથી જ હનુમાનજીની રામાયણ આટલી બધી વધુ સારી ભાસી રહી હતી. વાલ્મીકિજી ને સમજાયું કે "राम से बड़ा राम का नाम" .

  કેટલાક લોકો હનુમાનજી જેવા હોય છે જેમને પ્રસિદ્ધિ નથી જોઈતી. તેઓ બસ પોતાનું કર્તવ્ય નિભાવ્યે જાય છે અને તેમના આશયની પરિપૂર્તિ કરે છે. આપણે વાલ્મીકિજી જેવા નથી બનવાનું જે સતત વિચારે કે "મારી જ રામાયણ શ્રેષ્ઠ".

      આપણાં જીવનમાં પણ ઘણાં "હનુમાનજી" હોય છે જેમને આપણે ભૂલી જઈએ છીએ - જીવનસાથી, માતા પિતા, મિત્રો, સંતાનો, સગા વહાલા વગેરે. તેમને સતત યાદ રાખીએ અને તેમનો આભાર માનીએ.

(ઇન્ટરનેટ પરથી)  


Monday, March 9, 2020

પ્રતિક્રિયા આપતા પહેલા વિચારો

     એક ગધેડાને તેના માલિકે એક ઝાડ સાથે બાંધ્યો હતો. શેતાને આવીને ગધેડાને મુક્ત કરી દીધો. ગધેડો સીધો ખેતરમાં દોડ્યો અને તેણે પાકને નુકસાન પહોંચાડવા માંડ્યું. ખેડૂતની પત્નીએ આ જોયું અને તેણે ગધેડાને ઠાર માર્યો.
    ગધેડાના માલિકે આ જોયું અને તેણે ગુસ્સે ભરાઈ ખેડૂતની પત્નીને મારી નાખી. ખેડૂતને આ બાબતની જાણ થતાં, તેણે ગધેડાના માલિકની હત્યા કરી નાંખી. ગધેડાના માલિકની પત્નીએ વેર વાળવા પોતાના પુત્રોને ખેડૂતનું ઝૂંપડું બાળી નાખવા મોકલ્યા.
    ગધેડાના માલિકના પુત્રોએ મોડી સાંજે માતાની આજ્ઞાનું પાલન કરતા ખેડૂતનું ઝૂંપડું બાળી નાખ્યું. તેમણે ધાર્યું કે ઝૂંપડા ભેગો ખેડૂત પણ બળી મર્યો હશે, પણ એમ બન્યું નહીં. ખેડૂતે આ દુર્ઘટનાની જાણ થતાં ગધેડાના માલિકની પત્ની અને તેના પુત્રોને મારી નાખ્યાં.
    આખરે પસ્તાવાની આગમાં તડપતા ખેડૂતે શેતાનને પૂછ્યું આ બધું શા માટે બન્યું?
શેતાને જવાબ આપ્યો, "મેં તો કંઈ જ કર્યું નથી. માત્ર ગધેડાને ખુલ્લો મૂકી દીધો. ત્યાર બાદ તમે બધાએ પ્રતિક્રિયા આપી, ઉગ્ર પ્રત્યાઘાત આપ્યાં અને તમારામાં રહેલા આંતરીક શેતાનને છૂટ્ટો દોર આપી દીધો."
   સમજાયું?
    શેતાન કંઈ કરતો નથી, માત્ર તમારાં અહમ્ ને જગાડી વિનાશની લીલા નોતરે છે અને તેમાં તમે, તમારી આસપાસના સર્વે બરબાદ થઈ જાઓ છો.
   તો હવેથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરતા પહેલા, જવાબ આપતા પહેલા, પ્રતિભાવ આપતા પહેલા, કોઈને ઠપકો આપતા પહેલા, વેર વાળવાનો વિચાર કરતા પહેલા થોભો અને વિચારો. ધ્યાનથી પરિસ્થિતી મૂલવો. ઘણી વાર શેતાન માત્ર આપણી અંદરના 'ગધેડા' ને મુક્ત કરવાનું જ કામ કરતો હોય છે.

(ઇન્ટરનેટ પરથી) 

Saturday, December 7, 2019

નસીબદાર ને ત્યાં દિકરી હોય

ઉનાળાના કાળઝાળ તડકામાં એક બહારવટિયો રાતે લૂંટવા માટેના ગામની તપાસમાં નીકળ્યો છે.
રસ્તામાં તરસ લાગી. ગળું સૂકાવા માંડ્યું.
એક બાઈને કૂવાને કાંઠે બેડું ઉપાડતી જોઈ પૂછ્યું,'બેટા! દીકરી! મને પાણી પાઈશ?'
બાઈ બોલી, 'અરે બાપુ, પાણી શું ઘરે હાલો. મારા હાથનો રોટલો ખવરાવું.'
પાણી પાયું. તાણ્ય કરીને ઘરે લઈ ગઈ.
ફુલીને મોભારે અડે એવા રોટલાને માથે કોપટી ફોડીને માખણનો લોંદો મૂકીને બહારવટિયાને ભાવથી જમાડ્યો.
બહારવટિયો ખૂંખાર ખરો, પરંતુ 'બાપ'
અને 'દીકરી' આ બે શબ્દોએ તેને ઓગાળી નાખ્યો તેનાથી રે’વાણું નઈ અને બોલાઈ ગયું, 'દીકરી, આજ રાતે હું મારા ભેરુને લઈને આ ગામ લૂંટવા આવવાનો છું.
તેં મને 'બાપ' કીધો. હવે તો તું મારી 'દીકરી'
છો. તારા ઘરની બારે ગોખલે બે દીવા મૂકજે. તારું ઘર કોઈ નઈ લૂંટે.'

   રાતે ગામના ચોકમાં હાકલ પડી. બંદૂકના ભડાકા થયા. ભેરુ ગામમાં લૂંટ કરવા ઉપડ્યા.
પરંતુ જ્યાં જ્યાં જાય ત્યાં ઘરે ઘરે બે દીવા તેમના જોવામાં આવ્યા.
મૂંઝાયેલા ભેરુઓએ આવીને બહારવટિયાને વાત કરી.

બહારવટિયો દીકરીના ઘરે ગયો અને કહ્યું, 'દીકરી મેં તો તને તારા ઘરની બાર બે દીવા મૂકવાનું કીધું'તું. તેં આ શું કર્યું ?'
દીકરી બોલી, 'બાપુ!, દીકરીનું સાસરું બાપથી લૂંટાય?'

'દીકરીનું સાસરું’ -આટલું સાંભળતા તો
એ ખૂંખાર બહારવટિયો ભાંગી પડ્યો.
બંદૂક ઢીંચણ માથે પછાડીને ભાંગી
નાખી અને ચોધાર આંસુડે રોવા માંડ્યો.
એટલું જ તેનાથી બોલાણું, 'દીકરી! તારા જેવી ભગવાને મને એક દીકરી આપી હોત તો આ પાપના પોટલાં મારા હાથે નો બાંધત.

નસીબદાર ને ત્યાં દિકરી હોય.

(ઇન્ટરનેટ પરથી)

Saturday, October 26, 2019

બ્રાહ્મણના પુત્રની ચતુરાઈ

      એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેની વિચક્ષણ બુદ્ધિપ્રતિભાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. એક વાર ત્યાંના રાજાએ તેને ચર્ચા વિચારણા માટે પોતાની સભામાં બોલાવ્યો. ઘણાં લાંબા સમય સુધી ચાલેલી ચર્ચા બાદ રાજાએ કહ્યું, "મહાશય, આપ અતિ જ્ઞાની છો, આટલા ભણેલા-ગણેલા છો તો પછી આપનો પુત્ર આટલો બધો મૂર્ખ કેમ છે? એને પણ કઇંક શીખવો.એને તો સોના - ચાંદીમાં કોનું મૂલ્ય વધારે એ વિશે પણ ગતાગમ નથી." એમ કહી રાજા જોરજોરથી હસવા લાગ્યો.
     બ્રાહ્મણને ખરાબ લાગ્યું. તેણે ઘેર જઈ પુત્રને પૂછ્યું, "સોના અને ચાંદીમાં કોનું મૂલ્ય વધારે? “
એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પુત્રે જવાબ આપ્યો," સોનાનું."
"તું આ જાણે તો છે, તો પછી રાજાએ બધા વચ્ચે આ અંગે મારી ઠેકડી કેમ ઉડાડી? “
      પુત્રને આનું કારણ સમજાઈ ગયું. તે બોલ્યો, "રાજા ગામ પાસે એક ખુલ્લો દરબાર ગોઠવે છે, જેમાં ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સામેલ થાય છે. એ દરબાર મારી શાળાએ જતાં માર્ગમાં આવે છે. મને જોઈ તેઓ મને બોલાવે છે અને એક હાથમાં સોનાનો અને બીજા હાથમાં ચાંદીનો સિક્કો રાખી જે અધિક મૂલ્યવાન હોય તે મને લઈ લેવા કહે છે. હું ચાંદીનો સિક્કો લઈ લઉં છું. બધાં ખડખડાટ હસે છે અને આ ઘટનાની મજા લૂંટે છે. આવું લગભગ દર બીજે દિવસે બને છે. "
     "તો પછી તું સોનાનો સિક્કો કેમ લઈ નથી લેતો? ચાર જણ વચ્ચે પોતાની જાત સાથે મારો પણ ફજેતો કરાવે છે?" બ્રાહ્મણે પુત્રને પ્રશ્ન કરતા કહ્યું.
     પુત્ર હસીને બ્રાહ્મણને અંદરના કક્ષમાં લઈ ગયો અને તેણે કબાટમાંથી એક ચાંદીના સિક્કાથી ભરેલી સંદૂક કાઢી પિતાને બતાવી. એ જોઈ બ્રાહ્મણ તો હતપ્રભ બની ગયો.
પુત્રે તેને કહ્યું," જે દિવસે હું સોનાનો સિક્કો ઉપાડીશ, તે દિવસથી આ ખેલ બંધ થઈ જશે. એ લોકો મને મૂર્ખ સમજી મજા લઈ રહ્યા હોય તો ભલે લે, જો હું બુદ્ધિમાન સાબિત થઈશ તો મને કંઈ નહીં મળે. હું આપ જેવા ચતુર બ્રાહ્મણનો પુત્ર છું અને તેથી અક્કલથી કામ લઉં છું."
     મૂર્ખ હોવું અલગ વાત છે અને મૂર્ખ ગણાવું અલગ.
     સ્વર્ણિમ મોકાનો ફાયદો ઉઠાવવાને બદલે સારું છે દરેક મોકા ને સુવર્ણમાં ફેરવી નાખવાનું.

(ઇન્ટરનેટ પરથી)

Tuesday, October 15, 2019

શ્રાદ્ધ

   અચાનક મેં કાર ને બ્રેક મારી. મારાથી બૂમ પડાઈ ગઈ, "ઓ દાદા... રસ્તા વચ્ચે મરવા નીકળ્યા છો?આવી રીતે રોડ ક્રોસ થાય ?"
અચાનક બ્રેકના મોટા અવાજ માત્રથી દાદા નીચે પડી ગયા.

     હું ગાડીમાંથી બહાર આવ્યો.દાદાનો હાથ પકડ્યો. દાદાનો હાથ ગરમ. ગળેને માથે હાથ મૂક્યો, એ પણ એકદમ ગરમ. દાદા તાવથી ધ્રુજતા હતા.મને મારા બોલવા ઉપર પસ્તાવો થયો. મેં દાદાનો હાથ પકડી તેમને કારમાં બેસાડ્યા.
      "દાદા આટલો તાવ હોવા છતાં રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો? અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો અને તમારા પરિવારના કોઈ સભ્યનો નંબર આપો.હું તેને દવાખાને બોલાવી લઉં.“

       દાદા ભીની આંખે મારી સામે જોતા રહ્યા.
મેં કહ્યું, "દાદા, એકલા રહો છો ?"

"હા." તે એટલું જ બોલ્યા.

"પરિવારમાં કોઈ...?"

"કોઈ નથી.પત્ની હતી પણ વર્ષ પહેલાં..." આકાશ સામે હાથ કરી એ બોલ્યા.

       હું તેમને અમારા ફેમિલી ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટર મારી સાથે દાદાને જોઈ બોલ્યા,"પંડ્યા દાદા, આરામ કરવાનું કહેલું ને? ફરીથી એકલા બહાર નીકળ્યા?“

મેં ડૉક્ટર સામે જોઈ પૂછ્યું, "તમે ઓળખો છો દાદાને ?"

"હા.. સારી રીતે. હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું. આ તો અમારા પંડ્યાદાદા છે."

ડૉક્ટર દાદાનો તાવ માપી કહ્યું,"દાદાની ઉંમર પ્રમાણે દાખલ કરવા હિતાવહ લાગે છે."

"પણ કોઈને પૂછ્યા વગર?" મેં પ્રશ્ન કર્યો.
ડૉક્ટર તેમની રૂમમાં મને અંદર લઈ ગયા અને કહ્યું, "દીકરો વહુ છે, પણ તેમનાથી જુદા થઈ ગયા છે.દાદા ને ગાંઠિયા બહુ ભાવે છે.દીકરો વહુ ગાંઠિયા લાવે નહીં.ઝાડા થશે તો કોણ સાફ કરશે એવી દલીલો કરે. ઘડપણ છે, જુદું જુદું ખાવાની ઈચ્છા પણ થાય. દાદાને અઠવાડીયામાં બે વખત ગાંઠિયા જોઇએ જ. એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા. ત્યાં સુધી વાંધો ન હતો. એક દિવસ દીકરો વહુ બોલ્યા તમારી તમામ મિલ્કતો અમારે નામે કરી દો." દાદાએ કહ્યું, "હું મરી જાઉ પછી મિલકત તમારી જ છે મારા જીવતા એ નહીં બને."

દીકરો કહે,"કેમ ના બને ?"

દાદા કહે,"તું નોકરી એ લાગ્યો. લગ્ન કર્યા. ભણાવીને તૈયાર અમે કર્યો.અત્યારે પગાર મારા ખાતામાં જમા કરાવે છે કે તારા ખાતા માં ?
રોકાણ કે ફિક્સ મારા નામે લે છે કે તારી પત્ની અને બાળકોના નામે ?  કોઈ દિવસ મારા માટે ધોતી કે તારી માઁ માટે સાડી લાવ્યો ? જો તું બધું તારા પરિવારનું વિચારતો હોય તો મારે પણ મારું કેમ ન વિચારવું ?"

બસ, આ નાની બાબત ઉપર દીકરા વહુ જુદા થઈ ગયા. એક વર્ષ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા. દાદા એકલા પડી ગયા. આમ તો હું કોઈ ના ઘરે વિઝીટ પર નથી જતો, પણ દાદાનો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો કારણ કે તમણે  મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો.

ડોક્ટર દાદા સામે જોઈ બોલ્યા," દાદા, ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા?"
દાદા આવા તાવમાં પણ હસી પડ્યા.

હું બાજુમાં ગયો. માથે હાથ ફેરવી પૂછ્યું, "પછી ગાંઠિયા ખાધા કે નહીં ? ગાંઠિયાનો તાવ હોય તો કહો હું લઈ આપું."

દાદાએ મારો હાથ પકડી કહ્યું," બેટા ૧૦૦ ગ્રામ... "

મેં ડોક્ટર સામે જોયું. ડોક્ટર સાહેબે હસીને મને હા પાડી.એમણે દાદા ને અંદરના રૂમમાં સુવાડી ઇંજેકશન આપ્યું અને કહ્યું," આરામ કરો, ત્યાં સુધીમાં પ્રતિકભાઈ ગાંઠિયા લઇ આવશે."

હું ઝડપથી ગાંઠિયા લેવા ગયો. ગાંઠિયા લઈને  પાછો આવ્યો. ડોક્ટર મારી રાહ જોતા હતા.એ બોલ્યા," પ્રતિકભાઈ, આપણે સહેજ મોડા પડ્યા."

મેં કહ્યું, "કેમ શુ થયું..?"
તેમણે જણાવ્યું, "દાદા હવે આ દુનિયામાં નથી રહ્યા."
મારા હાથમાંથી ગાંઠિયાનું પેકેટ નીચે પડી ગયું.

ફક્ત એક કલાકના અજાણ્યા સંબંધો હતા છતાં પણ હું મારા આંસુ ને રોકી શક્યો નહીં.
મા-બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય, એ સંતાનો આવી રીતે  ઘડપણમાં તેમને કઈ રીતે તરછોડી શકતા હશે?

મેં ઑફિસે ફોન કરીને કહ્યું,"આજે મારા દાદાનું શ્રાદ્ધ છે.હું ઑફિસે નહીં આવી શકું."

ડોક્ટર સાહેબ બોલ્યા, "ભાઈ પ્રતિક, તે એક માનવતાનું કામ કર્યું છે.આજે મારૂ દવાખાનું પણ દાદાના માનમાં બંધ રહેશે."

ડોક્ટર સાહેબ બોલ્યા,"પ્રતિક, તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદાકીય અધિકાર નથી. તેમના પુત્રનો મોબાઈલ નંબર મારી પાસે છે આપણે તેને જાણ કરી દઈએ."

અગત્યની વાત એ છે દાદા એ તેમના વકીલનો નંબર ડોક્ટર સાહેબને આપીને ગયા હતા અને કહ્યું હતું," મારા દેહાંત પછી મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલ મેં બનાવ્યું છે તે ઈચ્છા પૂરી કરવાની જવાબદારી ડૉકટર સાહેબ તમારી છે. મારા મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે. દાદાના વિલ પ્રમાણે તેમની મિલકત નો 75% હિસ્સાની રકમમાંથી એક ગાંઠિયા અને ચાની દુકાન ખોલવી ત્યાં રોજ ઘરડા અને ગરીબ વ્યક્તિને મફત મા ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી. ગાંઠિયાની દુકાનનું નામ મારા અને મારી પત્ની નામ ઉપર થી રાખવું.
બાકી ના ૨૫% રકમમાંથી ગરીબ વ્યક્તિઓ ને તમારે  દવા આપવી."

મેં કહ્યું , "વાહ દાદા! વાહ!
આનું નામ સાચું દાન. મંદિર મસ્જિદ કે ધાર્મિક સ્થાન કે આશ્રમોને રૂપિયાની જરૂર નથી, જરૂર સમાજને છે. આપણા મર્યા પછી શ્રાદ્ધ કરવું હોય તો કરે, ન કરવું હોય તો કાંઈ નહીં, જીવતા સાચવો. સ્વર્ગ માં કોઈ ટિફિન વ્યવસ્થા નથી.
મરતી વખતે ગંગા જળની કોઈ જરૂર તેઓ ને નથી, ઘરડી વ્યક્તિઓને ભાવતી વસ્તુ તેમના જીવતા આપો એટલે એ તૃપ્ત થઇ જશે."

(ઇન્ટરનેટ પરથી)

Saturday, August 31, 2019

કષ્ટોનું મૂળ કારણ

એક મહિલા રોજ મંદિરે જતી. એક દિવસ તેણે પૂજારીને કહ્યું કે હવેથી તે મંદિરે નહીં આવે. પૂજારીએ તેને કારણ પૂછ્યું.
ત્યારે મહિલા બોલી, "હું જોઉં છું કે મંદિરમાં લોકો ફોન પર સતત પોતાના નોકરી - ધંધાની વાત કરતા હોય છે. કેટલાકે તો મંદિરને જ પોતાની ગુસપુસનું સ્થાન બનાવી દીધું છે. ઘણાં પૂજા ઓછી ને દેખાડો વધારે કરે છે.“
પૂજારીએ તેની વાત ધ્યાન થી સાંભળી કહ્યું, "ઠીક છે. પણ અંતિમ નિર્ણય લેતા પહેલા મારી એક વાત માનશો?" મહિલા બોલી, "હા, કહો મારે શું કરવાનું છે?"
પૂજારીએ કહ્યું," એક ગ્લાસ પાણી ભરી લો અને તે હાથમાં પકડી બે વાર મંદિર પરિસરની પ્રદક્ષિણા કરી લો. શરત એટલી કે ગ્લાસમાં થી બિલકુલ પાણી ઢોળાવું જોઈએ નહીં."
મહિલાએ કહ્યું, "વારુ, હું એ મુજબ કરીશ. "
પછી થોડી વારમાં મહિલાએ પૂજારીના કહ્યા પ્રમાણે કરી બતાવ્યું. પાછી ફરેલી મહિલાને પૂજારીએ ત્રણ સવાલ પૂછ્યા -
૧. શું તમે કોઈને ફોન પર વાત કરતા જોયાં?
૨. શું તમે કોઈને મંદિરમાં ગુસપુસ કરતાં જોયાં?
૩. શું કોઈને પાખંડ કરતાં જોયાં?
મહિલા બોલી, "ના, મેં આમાંથી કંઈ નથી જોયું"
પૂજારી બોલ્યા, "જ્યારે તમે પ્રદક્ષિણા કરતા હતા ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ગ્લાસ પર કેન્દ્રીત હતું જેથી તેમાંથી પાણી છલકાઈ ન જાય, એથી તમને બીજું કંઈ દેખાયું નહીં.
હવે જ્યારે પણ મંદિરે આવો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન પરમાત્મામાં કેન્દ્રિત કરજો તો તમને આસપાસ નું કંઈ દેખાશે નહીં. માત્ર ઇશ્વર જ સર્વત્ર નજરે ચડશે. "

જીવનમાં દુ:ખો માટે કોણ જવાબદાર છે?
ના ભગવાન
ના ગ્રહ - નક્ષત્રો
ના ભાગ્ય
ના સગાસંબંધીઓ
ના પાડોશી
ના સરકાર
જવાબદાર તમે પોતે જ છો.

તમારો માથાનો દુખાવો નકામા વિચારોનું પરિણામ છે.
તમારો પેટનો દુખાવો ખરાબ કે ખોટું ખાવાનું પરિણામ છે.
તમારું દેવું જરૂરત કરતા વધુ ખર્ચનું પરિણામ છે.
તમારું દુર્બળ, જાડું, બીમાર શરીર ખોટી જીવનશૈલીનું પરિણામ છે.
તમારા કોર્ટ કેસો તમારા અહંકારનું પરિણામ છે.
તમારા નકામા વિવાદો વધુ અને વ્યર્થ બોલવાનું પરિણામ છે.
ઉપરોકત કારણો સિવાય પણ એવા બીજા સેંકડો કારણ છે જેનાથી પ્રેરાઈ તમે વગર કારણે અન્યો પર દોષારોપણ કર્યા કરતા હોવ છો. આમાં ઇશ્વરનો કોઈ વાંક નથી. જો આપણે આ કષ્ટોના મૂળ કારણોનો બારીકાઈથી વિચાર કરીએ તો જણાશે કે ક્યાંક ને ક્યાંક તેની પાછળ આપણી પોતાની કોઈક મૂર્ખામી જવાબદાર છે.
સર્વે નું જીવન પ્રકાશમય અને શુભ બની રહો...

(ઇન્ટરનેટ પરથી)

Saturday, August 24, 2019

સાસુ-વહુની એક લઘુકથા

    "આ લો મમ્મી, ત્રણ હજાર... તમારી પાસે રાખો"  નવી વહુએ નોકરી જતી વખતે સાસુને કહ્યું. સાસુની આંખોમાં પાણી આવી ગયા. તેમણે કહ્યું," આટલા બધા પૈસાનું મારે શું કરવું છે? “
   “મમ્મી, આખો દિવસ કેટલી બધી વસ્તુઓ માટે પૈસાની જરૂર પડતી હોય છે. હું એક મહિનાથી જોઈ રહી છું. શાક વાળો, ફળવાળો અને ક્યારેક કામવાળી પણ તો વધુ પૈસા માંગે છે. તમારી પાસે આ રકમ ભલે રહી."
" અરે તારા સસરાજીનું પેન્શન આવે છે ને. એ હતા ત્યારે તેમની પાસે માંગતી હતી, હવે સરકાર વગર માંગ્યે દર મહિને આપી દે છે!" સાસુએ હસીને કહ્યું.
" મમ્મી, તમે કિટી પાર્ટી જોઈન કરી લો. તેમની સાથે ફિલ્મ, ભેલ પાર્ટી, નાટક વગેરે માણો. તમારી જિંદગી જીવો. આમણે મને કહ્યું કે તમે કેટલી તકલીફ વેઠીને ઘર ચલાવ્યું છે. મોટા ભાઈ અમેરીકા છે, દીદી પોતાને સાસરે ખુશ છે. હવે તમે નવું જીવન શરૂ કરો. મને ખબર છે તમે અત્યાર સુધી તમારી બધી ઈચ્છાઓ મનમાં દાબી દાબીને જીવ્યા છો. હવે તમે તમારા માટે જીવો. "
" આટલી નાની ઉંમર માં આવડી મોટી મોટી વાતો તને કોણે શીખવી વ્હાલી દીકરી?! “
“હું દસ બાર વર્ષ ની હોઈશ. એક વાર મારા દાદી મારા ફોઈને ત્યાં જઈ રહ્યા હતા. મારી મમ્મીએ છસ્સો રૂપિયા કાઢી તેમના હાથમાં મૂક્યા અને બોલી બચ્ચાઓ ને બહાર ફરવા લઈ જજો. નાની વતી એટલે કે તમારા તરફથી તેમને ખવડાવજો - પીવડાવજો, રમકડાં અપાવજો. દાદી મમ્મીને ગળે વળગી રોઈ પડ્યા હતા! તેમણે કહેલું આટલા પૈસા તેમણે ક્યારેય ખર્ચ કર્યા નહોતા! એ દિવસ પછી મમ્મી અને દાદી ઘણી સારી સખીઓ બની ગઈ! "
“ હવે મારો વારો છે તમારી સખી બનવાનો! મને ખબર છે ઘર સંભાળવા તમારે તમારી નોકરી છોડવી પડી હતી. કેટલું ખરાબ લાગ્યું હશે ત્યારે તમને. કેટલી ઈચ્છાઓ, મહત્વકાંક્ષાઓનું ગળું દાબી દેવું પડયું હશે તમારે. આ સિવાય, દરેક નાની મોટી વાતે પતિ સામે હાથ લંબાવવો પડ્યો હશે તમારે. તમારું પેન્શન તમારી પાસે જ જમા કરો મમ્મી. મને ક્યારેક જરૂર પડી તો હું માંગીશ "
" હવે તને ઓફીસ જવાનું મોડું થશે, તું નીકળ." " મને બોલવા દો મમ્મી. આ હું મારી ખુશી માટે કરી રહી છું. મારી મા એ કહ્યું હતું કે ૧૮ કલાક કામના ઢસરડા કરનાર મહિલા ને કોઈ સમજતું  નથી. પણ તું તારી સાસુમાનું ધ્યાન રાખજે. પ્રેમ વાવીશ તો પ્રેમ પામીશ. "
    સાસુએ ભર્યા મનથી અને પ્રેમ ભર્યા હ્રદયથી વહુના ગાલે હાથ ફેરવ્યાં. અને પછી તે વહુ આંખો સામેથી ઓઝલ ન થઈ ત્યાં સુધી તેને જતી જોઈ રહ્યા. તેમણે મનોમન કહ્યું," મેં વિચાર્યું હતું કે નોકરી કરતી વહુ ઘરમાં આવશે પછી હું ચાર દિવાલો વચ્ચે પુરાઈ જઈશ,પણ તે તો મને બહારનું આકાશ દેખાડ્યું વહુ દીકરી!"
    બધી સાસુ - વહુ વચ્ચે આવા સંબંધ પાંગરે તો કેટલું સારું!
(ઇન્ટરનેટ પરથી)

Wednesday, August 14, 2019

'જેના હ્રદયમાં ઇશ્વર છે તેને કોઇ “સુતક” નડતું નથી

[પત્રકાર ડૉ કેયુર જાનીએ કવર કરેલી હજારો સ્ટોરીઝમાંથી જે તેમના હૃદયની સૌથી નજીક છે તેવી સ્ટોરીઝ પૈકીની એક સત્ય ઘટના ઇન્ટરનેટ પર વાંચવામાં આવી અને મને પણ એ એટલી બધી સ્પર્શી ગઈ કે અહીં શેર કર્યા વગર ના રહી શક્યો.

ફેબ્રુઆરી 2007નો સમયગાળો. વડોદરાથી 50 કિલોમીટર દૂર આવેલું 30 હજારની વસ્તી ધરાવતું એક નગર, જ્યાં 80 વર્ષના વૃદ્ધ સ્થાનિક ડોક્ટરો પાસે કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા. પણ કેન્સર જેવી બીમારીનો ઈલાજ સ્થાનિક તબીબોના ગજા બહારની વાત હોવાથી ફેમેલી ડોક્ટરે વૃદ્ધને ચેન્નાઈની પ્રસિદ્ધ અડયાર કેન્સર હોસ્પિટલમાં ઈલાજ માટે જવા સલાહ આપી.
વૃદ્ધની સારવાર માટે ડોક્ટર દ્વારા તમામ ગોઠવણ અહીંથી જ ફોન કરીને કરી આપવામાં આવી. એક મહિનો ચેન્નાઇ રહી અને સારવાર કરવાની હતી જેથી બે પુત્રોમાંથી કોઈ એક મહિનો સાથે જઈ અને રહી શકે તેમ ના હોવાથી તે વૃદ્ધ પોતાની 75 વર્ષની પત્નીને સાથે લઈને ચેન્નાઇ સારવાર કરાવવા નીકળ્યા.
ચેન્નાઇ ટ્રેન પહોંચતા પાંચ કલાક મોડી પડી અને રાત્રે નવ વાગે ચેન્નાઇ ઉતરી અને વૃદ્ધ દંપત્તિ રીક્ષા દ્વારા કેન્સર હોસ્પિટલ પહોંચ્યું. રીક્ષાથી રાત્રે દસ વાગ્યા પછી હોસ્પિટલના કેમ્પસમાં પહોંચેલા વૃદ્ધાએ પૈસા ચૂકવી અને પતિને નીચે ઉતરો હવે તેમ કહ્યું ત્યારે જોયું કે પતિનો દેહ નિષ્ચેત છે અને કોઈ જવાબ નથી આપી રહ્યો. વૃદ્ધા ગભરાયા અને દોડીને હોસ્પિટલમાં ગયા ત્યાં ચેન્નાઇમાં ભાષાની ભારે તકલીફ પડી પણ વૃદ્ધાના ઈશારાઓથી ચેન્નાઇના ડોક્ટરો કંઈક સમઝ્યા અને બહાર આવી વૃદ્ધને ચકાસી અને જણાવ્યુંકે તેઓનો દેહાંત થઇ ચુક્યો છે. વૃદ્ધના મૃતદેહને રીક્ષામાંથી ઉતારી સ્ટ્રેચર ઉપર મૂકી દેવામાં આવ્યો. હોસ્પિટલમાં દર્દીને દાખલ કરી શકાય પણ મૃતદેહને નહીં એટલે હોસ્પિટલના કેમ્પસમાજ સ્ટ્રેચર ઉપર મૃતદેહ મૂકી રાખવામાં આવ્યો.
રાતે દસ વાગ્યા પછીનો સમય હતો હોસ્પિટલનું ચોગાન પણ સુમસામ હતું અને 75 વર્ષની વૃદ્ધા ઘરથી 1800 કિલોમીટર દૂર પતિના મૃતદેહ સાથે અજાણ્યા મહાનગરમાં એકલી હતી જ્યાં કોઈ તેની ભાષા સમઝતું ના હતું કે તે કોઈની ભાષા સમઝતી ના હતી. 
દરમ્યાન માઠા સમાચાર આપવા વૃદ્ધાએ ઘરે દીકરાને ફોન જોડ્યો. ઘરે અમંગળના સમાચાર મળતા પરિવારજનો ભાંગી પડ્યા પણ તેથી વધુ દુઃખ હતું કે ઘર થી આટલા દૂર પિતાના મૃતદેહ સાથે માતા એકલી તો હવે કરવું શું? સંબંધી અને આસપાડોસમાં સમાચાર વહેતા થયા અને લોકો એકત્રિત થવા લાગ્યા.
તપાસ કરી પણ ટ્રેન કે વિમાન દ્વારા ચેન્નાઇ ચોવીસ કલાક પહેલા પહોંચવું કે ત્યાંથી મૃતદેહ પણ અહીં લાવવો બંને માંથી કાંઈજ કોઈ પણ રીતે શક્ય નહતું, છેવટે ભીડમાં મોજુદ આધેડ વયના અશોકભાઈએ પોતાની રીતે પ્રયત્નો શરુ કર્યા.
તેઓ વડોદરાની એમએસ યુનિવર્સીટીમાં ભણતા હતા ત્યારે ત્રીસ વર્ષ અગાઉ તેઓના ગ્રુપમાં વંદના નામની છોકરી હતી તેના લગ્ન ચેન્નાઇ થયા હતા અને ત્યારે તેના લગ્નમાં ગયા હતા અને જાન ચેન્નાઇ થઇ આવી હતી તેમ યાદ આવતા અશોકભાઈ એ પોતાના મિત્ર વર્તુળ માં રાતે  અગ્યાર વાગે ફોન ઘુમાવવાના શરુ કર્યા.
લગ્ન બાદ વંદના સાથે કોઈ સંપર્ક નહતો છતાં પાંચ-છ મિત્રોનો સંપર્ક કર્યા બાદ વંદનાના વડોદરા ખાતેના પિયરનો લેન્ડલાઈન નમ્બર મેળવી શકાયો જે પ્રક્રિયા દરમ્યાનમાં રાતના એક વાગી ગયો હતો.
પરિવારના સભ્યો સતત ચેન્નાઇમાં પોતાની માતાના સંપર્કમાં હતા પણ ઉપર ઉપર કોલથી  ફોન ચાલુ રહેવાને કારણે ચેન્નાઇમાં વૃદ્ધાની મોબાઈલની બેટરી પણ ઉતરી ગઈ.. સંપર્ક તૂટી ગયો.
અશોકભાઈએ રાતે એક બાદ વંદનાના વડોદરા ખાતે પિયરના ઘરે ફોન કરી એક પ્રયત્ન કરવાનું ઠીક માન્યું. રાત્રે રિંગ વાગીતો કોઈક કિશોરી એ ફોન ઉપાડ્યો અને અશોકભાઈએ વંદના વિષે પૂછતાં કિશોરી એ જણાવ્યું કે તે મારા ફોઈ છે અને ચેન્નાઇજ રહે છે. અને તેઓની દીકરીનું પરમ દિવસ લગ્ન છે એટલે મારા પરિવારના તમામ સભ્યો ચેન્નાઇ ગયા છે. મારે માર્ચ માં બોર્ડની પરીક્ષા છે એટલે હું નથી ગઈ અને મારા બા અને હું અહીં જ છીએ.
અશોકભાઈએ વંદનાનો ચેન્નાઇનો નંબર માંગતા મળી ગયો અને રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ખચકાતા ખચકાતા અશોકભાઈએ વંદનાના મોબાઈલ પર ફોન કર્યો. બીજા દિવસે વંદનાની દીકરીનું લગ્ન હતું જેથી શું વાત કરવી અને કઈ રીતે તે માટે અશોકભાઈ અવઢવ માં હતા ત્યાં વંદનાના પતિએ ફોન ઉપાડ્યો. અશોકભાઈએ પોતાનો પરિચય આપી વંદના સાથે વાત કરાવવા કહ્યું. વંદનાને પતિએ ફોન આપ્યો તો અશોકભાઈએ સમગ્ર બાબત જણાવી.. તારી દીકરી નું લગ્ન છે તેવા સમયે ત્રીસ વર્ષ પછી જિંદગીમાં પહેલી વાર તને ફોન કરું છું પણ આવી મજબૂરી છે તારાથી થાય તો મદદ કર બોલતા અશોકભાઈનું ગળું ભરાઈ આવ્યું.
વંદનાએ નામઅને સરનામું લીધું અને બને તે મદદ કરવાની ખાતરી આપી. 
છત્રીસ કલાક બાદ જેના ઘરના આંગણામાં દીકરીને પરણવા જાન આવવાની હતી તે વંદના તેના પતિને લઇ અને રાતે અઢી વાગે ચેન્નાઇની કેન્સર હોસ્પિટલમાં પહોંચી અને વૃદ્ધાને મળી.
અજાણ્યા પ્રદેશમાં કોઈ ગુજરાતી માણસ શોધતો આવીને મળતા દસ વાગ્યાના પતિની લાશ સાથે મુર્તિવંત બનીને બેસેલી વૃદ્ધા દિલ ખોલી અને વંદનાના ખભા ઉપર માથું મૂકી રડી. દરમ્યાન વંદનાના પતિએ હોસ્પિટલના જવાબદારો સાથે વાત કરી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મુકાવવાની વ્યવસ્થા કરી. અને મૃતક વૃદ્ધના પરિવાર સાથે પરામર્શ કરી અને મૃતદેહને ચેન્નાઇમાંજ અંત્યેષ્ઠી કરવાની વાત નક્કી કરી. વંદનાને વૃદ્ધા સાથે છોડી અને એનો પતિ અંતિમ ક્રિયાની તૈયારી કરવા ગયો. 
સવારે સાત વાગે હોસ્પિટલના ચોગાન માં એક એક કરી અને માણસ ભેગા થવા લાગ્યા. આંઠ વાગ્યાની આસપાસ ચારસો ગુજરાતીઓ હોસ્પિટલના ચોગાન માં ભેગા થઇ ગયા અને વંદનાનો પતિ અંતિમ સમાન લઇ અને આવ્યો. જરૂરી વિધિ પતાવી ચેન્નાઇ માં ચારસો ગુજરાતીઓ એક અજાણ્યા ગુજરાતીનો મૃતદેહ લઇ રામ નામ નો જાપ કરી સ્મશાન પહોંચ્યા અને મૃતદેહને પંચમહાભૂત માં વિલીન કર્યો.
વંદનાએ વૃદ્ધાને પોતાને ત્યાં લઇ જઈ થોડા સ્વસ્થ કર્યા અને ચેન્નાઇ થી વડોદરા આવવા ટ્રેનમાં રવાના કરવાની વિધિ પતાવી અને બીજે દિવસે જ્યાં દીકરીની જાન આવવાની હતી અને લગ્નમાં મોસાળું કરવા આવેલા ભાઈને મોસાળું કરવાની જવાબદારી બીજા નિભાવી લેશે તું માજી ને ઘરે પહોંચાડવાનું કામ કર કહી અને માજી સાથે જ ટ્રેનમાં વડોદરા રવાના કર્યો.
વંદનાના ઘરે લગ્ન પતિ ગયાના બે સપ્તાહ બાદ પોતાના પિયર અને સાગા-સંબંધીઓને ત્યાં દીકરી જમાઈને લઈને આવી ગુજરાતમાં કુળદેવીના મંદિર ખાતે નવપરણિત યુગલને પગે પણ લગાવવાના હતા ત્યારે વંદના ચેન્નાઇ થી અસ્થિ કળશ અને મૃત્યુનું પ્રમાણપત્ર પણ સાથે લઇ ને આવવાનું ના ભૂલી.
એટલેજ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...

(ઇન્ટરનેટ પરથી)

Monday, July 29, 2019

દરેક વસ્તુ તમારા સમય અને ધ્યાનને લાયક હોતી નથી

       એક હાથી નદીમાં સ્નાન કર્યા બાદ રસ્તે ચાલી પોતાના ઘેર જઈ રહ્યો હતો. માર્ગમાં એક પુલ આવ્યો અને તેણે સામેથી એક કાદવથી ખરડાયેલા ગંદા-ગોબરા ભૂંડને આવતા જોયું. હાથીએ શાંતિથી એક બાજુ ખસી જઈ ભૂંડને પસાર થઈ જવા દીધું. પછી તે પોતે પુલ પરથી પસાર થયો અને તેણે આગળ ચાલવા માંડ્યું.
પેલી બાજુ ભૂંડે પોતાના મિત્રો આગળ શેખી વઘારતા અહંકારપૂર્વક કહ્યું, "જોયું હું કેટલો તાકાતવાન અને મહાન છું? હાથી જેવા હાથીએ પણ બાજુમાં ખસી જઈ મને માર્ગ કરી આપ્યો!"
આ વાત એક બીજા હાથીએ સાંભળી લીધી અને તેણે પેલા પહેલા હાથીને પ્રશ્ન કર્યો કે શું ખરેખર તેણે ભૂંડથી ડરી જઈ તેને માર્ગ કરી આપ્યો હતો? પહેલા હાથીએ જવાબ આપ્યો, "હું ઇચ્છત તો એ તુચ્છ ભૂંડને એક ક્ષણમાં મારા પગ નીચે કચડી નાંખી શકત પણ હું સ્વચ્છ હતો અને તે મહા ગંદો - કાદવકીચડથી ખરડાયેલો. તેને કચડવામાં મારો પગ ખરાબ થાત અને એ મને મંજૂર નહોતું. આથી હું બાજુ પર ખસી ગયો હતો."
વાર્તાનો સાર : મહાન લોકો નકારાત્મકતાનો સહેલાઈથી નાશ કરી શકવા સમર્થ હોય છે પણ તેઓ તેને એટલા માટે ટાળે છે જેથી તેના સંપર્કમાં આવી તેમણે મલિન ન થવું પડે. તમારે  દરેક અભિપ્રાય, ટીપ્પણી કે પરિસ્થિતી સામે પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. અડચણ સામે આંખ આડા કાન કરી આગળ વધતા રહો. તમારી લડાઈઓ ધ્યાનપૂર્વક પસંદ કરો. દરેક વસ્તુ તમારા સમય અને ધ્યાનને લાયક હોતી નથી.
(ઇન્ટરનેટ પરથી)

Wednesday, July 3, 2019

કર્મનો બદલો

         અચાનક હોસ્પિટલમાં એક એક્સીડેન્ટ કેસ આવ્યો.ડોક્ટર સાહેબે તાત્કાલિક ICU માં આવી એક્સીડેન્ટ કેસની જાતે તપાસ કરી.
સ્ટાફને કહ્યું આ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઇએ.રૂપિયાની લેવડદેવડની વાતો તેમનાં પરિવાર સાથે કરવી નહીં.
     પંદર દિવસના રોકાણ પછી બિલ ડોક્ટર સાહેબના ટેબલ ઉપર આવ્યું.ડોક્ટરે બેલ મારી એકાઉન્ટ મેનેજરને જણાવ્યું એક રૂપિયો પણ આ વ્યક્તિ પાસેથી લેવાનો નથી. 
       એકાઉન્ટ મેનેજર બોલ્યા, "સાહેબ, ત્રણ લાખ બિલની રકમ થાય છે.આ તમારી જાણ ખાતર.." 
     ડોક્ટર બોલ્યા, "દસ લાખ કેમ નથી થતા?
એ દર્દી ને મારી ચેમ્બરમાં લાવો.તમે પણ સાથે આવજો." 
    દર્દીને વ્હીલચેરમાં અંદર લાવવામાં આવ્યો.
     "ભાઈ પ્રવીણ ઓળખાણ પડે છે?" 
ડોક્ટર સાહેબ દર્દીના માથે હાથ ફેરવી બોલ્યા.
    "હા..આપને જોયા હોય તેવું તો  લાગે છે..." દર્દી બોલ્યો. 
     "ત્રણ વર્ષ પહેલાં મારો પરિવાર પીકનીક ઉપરથી પાછો વળતો હતો, ત્યાં અચાનક  કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. કારને બાજુ ઉપર ઉભી કરી. થોડી વાર સુધી અમે કાર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પણ કાર ચાલુ જ ના થાય. 
એકાંત રસ્તો હતો, કોઈ અવર જવર નહીં.સૂર્ય  આથમવાની તૈયારીમાં. મારા પરિવારના દરેક સદસ્યના ચહેરા પર ચિંતા હતી.પત્ની, યુવાન દીકરી અને પુત્ર, સૌ ભગવાનને પ્રાર્થના કરતા હતાં. થોડા સમયમાં ચમત્કાર થયો.કોઈ મેલાઘેલાં કપડાંવાળો યુવાન બાઇક ઉપર નીકળ્યો.અમે બધાએ દયાની નજરથી હાથ ઊંચો કર્યો હતો. 
એ તું જ હતો ને?
તે ઉભા રહી અમારી મુશ્કેલીનું કારણ પૂછ્યું. પછી તું કાર પાસે ગયો. કારનું બોનેટ ખોલી ચેક કરવા લાગ્યો. અમારા પરિવાર માટે તો ભગવાને મદદ કરવા તને મોકલ્યો હોય તેવું લાગ્યું કારણ કે અંધારું થવાનું ચાલુ થઈ ગયું હતું.પરિવાર સાથે આવી એકાંત જગ્યા એ રાત કાઢવી મુશ્કેલ અને જોખમી પણ હતું.
      દસ મિનિટની મહેનત પછી તેં અમારી કાર ચાલુ કરી દીધી.અમારા બધાના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો. 
       મેં પાકીટ ખોલી કહ્યું હતું, "ભાઈ, પ્રથમ તારો આભાર. ઘણી વખત રૂપિયા કરતા સમય ની કિંમત વધુ હોય છે. તે અમારા મુશ્કેલી ના સમયમાં મદદ કરી છે.તેની કિંમત
હું રૂપિયાથી આંકી શકું તેમ નથી, છતાં પણ તેં મહેનત કરી છે તો તેના વળતરનો તું હકદાર છે.
કેટલા રૂપિયા મારે તને આપવાના થાય છે ?" 
તેં એ વખતે મને હાથ જોડીને જે શબ્દો કહ્યા હતાં એ મારી જિંદગીનો સિદ્ધાંત બની ગયાં. 
      તે કહ્યું હતું,  "મારો નિયમ અને સિદ્ધાંત છે, મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તી પાસે થી હું વળતર લેતો નથી.મારા વળતર નો હિસાબ ઉપર વાળો રાખે છે."
      "એક ગરીબ અને મહેનતુ વ્યક્તિ જો પોતાના સિદ્ધાંત થી ચાલી શકતો હોય તો હું કેમ નહીં...?" મેં મારા અંતરઆત્માને સવાલ કર્યો. 
        તે કહ્યું હતું," અહીં થી દસ કિલોમીટર દૂર મારૂં ગેરેજ આવેલું છે.આપની કાર ની પાછળ હું બાઇક ચલાવુ છું.કોઈ તકલીફ પડે તો હું પાછળ જ છું."
      માણસાઈ હજી મરી પરવારી નથી એ તે પૂરવાર કર્યું. 
      "દોસ્ત,એ વાત ને ત્રણ વર્ષ થવા આવ્યા.
હું તને કે તારા શબ્દો ને  હજુ નથી ભૂલ્યો.ભગવાન મારી અપેક્ષા કરતા વધારે આપી રહ્યો છે કારણ સિદ્ધાંતથી ચાલુ છું.મારી રોયલ્ટી ફક્ત માણસાઈ છે. એક વાત ની ખાતરી થઈ ગઇ કે દિલ તો મોટા, નાની વ્યક્તિઓના જ હોય છે. એ સમયે અમારી તકલીફ જોઈ તું તારી મરજી મુજબ રૂપિયાનો  સોદો અમારી સાથે કરી શક્યો હોત, પણ તેં એવું ના કર્યું.પ્રથમ કાર ચાલુ કરી એ પણ કોઈ પણ પ્રકાર ના પ્રલોભન વગર.
       આ હોસ્પિટલ મારી છે.તું અહીંનો મહેમાન થઈ આવ્યો છે.તારી પાસે રૂપિયા ના લેવાય."
      "સાહેબ, ડિસ્કાઉન્ટ સાથે પણ લ્યો તો ખરા જ", પ્રવીણ બોલ્યો. 
      "મેં મારી ઓળખ કે કાર્ડ એ વખતે તને નહોતા આપ્યા કારણ કે તારા શબ્દો એ મારા અંતર આત્માને જગાડી દીધો હતો. મેં ફક્ત ભગવાન ને એટલી પ્રાર્થના એ વખતે કરી હતી કે 
"હે પ્રભુ, આ વ્યક્તિનું ઋણ ઉતારવાનો મોકો મને આપીશ તો હું મારી જાત ને ધન્ય ગણીશ. આજે ત્રણ વર્ષ પછી ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે. આને ફક્ત  કુદરતી સંકેત જ સમજ. દોસ્ત, તારા શબ્દો જ તું યાદ કર - મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તી પાસે થી હું વળતર લેતો નથી.મારા વળતર નો હિસાબ ઉપર વાળો રાખે છે. આ ઉપરવાળાએ તારા વળતરનો હિસાબ કરવા મને મોકલ્યો એવું સમજી લેજે.“
         એકાઉન્ટ મેનેજર  ડોકટર સાહેબ સામે જોતો રહ્યો.
         ડોક્ટરે કહ્યું, "પ્રવીણ કોઈ પણ તકલીફ પડે તો અહીં આવી મને મળી લેજે." 
         એકાઉન્ટ મેનેજર ના ખભે હાથ મૂકી ડોક્ટર સાહેબ બોલ્યા." સુધરવા માટે આશ્રમ કે ગુરુ ની જરૂર નથી હોતી. કોઈ વખત આપણાથી નાની, કે અજ્ઞાની લાગતી વ્યક્તીઓ પણ આપણા અંતર આત્મા ને જગાડી જતો રહે છે." 
        પ્રવીણ ચેમ્બરમાં રાખેલ કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે હાથ જોડી બોલ્યો, "કોણ કહે છે ભગવાન સારા કે ખરાબ કર્મ નો તું 
હિસાબ નથી રાખતો? હા...સમય કદાચ લાગતો હશે, પણ વ્યાજ સાથે ખરાબ કે સારા કર્મનો જવાબ મળશે એ ચોક્કસ!"
"કોઈનું બાકી રાખતો નથી ગિરધારી 
વ્યાજ સાથે પાછું આપે છે મુરારી "
ભગવાનનો ભેદ અને કર્મના સિદ્ધાંતો સમજવા માટે જન્મો જન્મ ઓછા પડે. એ જયારે આપવા બેસે છે ત્યારે છપ્પર ફાડી ને આપે છે અને જયારે  લેવા બેસે છે ત્યારે છાતી ઉપર પગ રાખી થપ્પડ મારીને પણ બહાર કઢાવે છે.
યાદ રાખો - સમય ફક્ત ચહેરો યાદ રાખે છે.
ભગવાન કહે છે હું એક સમયે તને માફ કરી દઈશ પણ કર્મ માફ નહીં કરે.

(ઇન્ટરનેટ પરથી)

Saturday, June 15, 2019

મદદ


        અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો.
"આ યોગાનંદ સ્ટ્રીટ નું ૮મું મકાન અને તમે જ આનંદ છો?" તેણે પૂછ્યું.
મેં કહ્યું, "હા, હું જ આનંદ છું. અને તમે...?" 
    સહેજ ધ્રુજતા અને સૂકા હોઠ પર ભીની જીભ ફેરવતા મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકતા તેમણે કહ્યું, "બાબુ, હું તારા પિતાનો મિત્ર છું. હું તારા ગામથી આવું છું. તારા પિતાએ મને આ ચિઠ્ઠી લખી તને આપવા અને તારી મદદ લેવા કહ્યું છે."
તેમની આપેલી એ ચિઠ્ઠી ખોલી વાંચતા મેં નવાઈ પામતા પૂછ્યું, "મારા પિતાએ? “
મેં ઝડપથી એ ચિઠ્ઠી વાંચી કાઢી. તેમાં લખ્યું હતું," દીકરા આનંદ, આશીર્વાદ. આ ચિઠ્ઠી તને આપનાર મારો મિત્ર છે. તેનું નામ રામૈયા છે અને તે ખૂબ મહેનતુ છે. થોડા દિવસો અગાઉ તેના એકના એક પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. તેના વળતરનાં પૈસા માટે તેણે ઘણાં ધક્કા ખાધા છે. આ વળતર જ તેની નજીવી આવક સાથે મળી તેનું અને પત્નીનું ગુજરાન ચલાવવામાં સહાયરૂપ થશે. હું તેની સાથે પોલીસ રિપોર્ટસ, ટ્રાવેલ એજન્ટ દ્વારા અપાયેલા એફીડેવિટ્સ અને અન્ય જરૂરી દસ્તાવેજો મોકલી રહ્યો છું. તેને જણાવવામાં આવ્યું છે કે વળતરની ફાઇનલ ચૂકવણી મુખ્યકચેરીમાં થશે. આ તેની હૈદરાબાદની પ્રથમ મુલાકાત છે અને એ ત્યાં માટે અજાણ્યો છે. હું આશા રાખું છું કે તું એને મદદરૂપ થશે. તારી તબિયતનું ધ્યાન રાખજે. વહેલામાં વહેલી તકે અમને મળવા આવજે. તારા વ્હાલા પિતા. "
     રામૈયાગુરુ ઉભો ઉભો મને એકીટશે આશાભરી નજરે જોઈ રહ્યો હતો. મેં એકાદ ક્ષણ માટે કઇંક વિચાર્યુ અને પછી હું તરત તેને ઘરમાં અંદર લઈ ગયો. તેને પાણી આપતા મેં પૃચ્છા કરી કે તેણે કંઈ ખાધું છે? તેણે જવાબ આપ્યો, "ના બેટા. મારી યાત્રા લંબાઈ જતાં, બે ફળ સાથે લાવ્યો હતો તે ક્યારના પૂરા થઈ ગયા." અંદરથી હું તેના માટે ચાર ઢોસા અને થોડી ચટણી લઈ આવ્યો અને તેણે એ ધરાઈને ખાધા ત્યાં સુધીમાં મેં જરૂરી બે - ચાર ફોન કર્યાં. 
     મારા ફોન પતી ગયા બાદ મેં જોયું કે તે કેટલાક કાગળીયા તેના ખોળામાં લઈને બેઠો હતો. તેમાં તેના મૃત પુત્રનો ફોટો પણ હતો. એ જુવાન અને સોહામણો લાગતો હતો. વીસ - બાવીસ વર્ષનો  યુવાન. મારી આંખોના ખૂણાં ભીના થઈ ગયાં.
     તેણે કહ્યું, "આ મારો એકનો એક પુત્ર હતો. તેના પહેલા અમને થયેલા સંતાનોને જુદા જુદા કારણોસર ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધા હતાં. મહેશ એક જ અમારી ઘડપણની મૂડી સમાન હતો. તે ખૂબ સારું ભણ્યો હતો અને તેણે સારી નોકરી પણ મેળવી હતી.અમને એવી આશા બંધાઈ હતી કે હવે તેની નોકરી શરૂ થયા બાદ અમારી મહેનતનું અમને ફળ મળશે અને અમારી મુશ્કેલીના દિવસો દૂર થશે. પણ એ ગોઝારા દિવસે તે પોતાની કોઈ ભૂલ વગર માર્ગ અકસ્માતનો ભોગ બન્યો અને અમને એકલા મૂકી દૂર દૂર ચાલ્યો ગયો. મૃત પુત્ર પાછળ વળતર લેવા શરૂઆતમાં અમને ખચકાટ થયો. પણ દિવસે દિવસે હું અશક્ત થતો જાઉં છું અને મારી પત્નીની તબિયત પણ સારી રહેતી નથી. તારા પિતાના સૂચન અનુસાર હું અહીં આવ્યો છું અને તેણે મને ખાતરી આપી છે કે તું આ કાર્ય પૂર્ણ કરવામાં મને મદદ કરશે."
      "કંઈ વાંધો નહીં. હવે ઘણું મોડું થઈ ગયું છે. તમે નિરાંતે સૂઈ જાઓ." એમ કહી હું તેમના સૂવાની વ્યવસ્થા કરી પોતે પણ સૂઈ ગયો.
    બીજે દિવસે સવારે અમે તૈયાર થઈ ગયા. ચા-પાણી પી અમે વળતર મળવાનું હતું એ ઓફીસ પહોંચી ગયા. રમૈયાગુરુએ મને કહ્યું, "આનંદ, મને અહીં સુધી પહોંચાડયો એ બદલ તારો ખૂબ આભાર. હવે તું તારી ઓફિસે જા. આગળનું કામ હું જોઈ લઈશ."
    મેં તેને કહ્યું, "મેં આજે રજા મૂકી દીધી છે. હું તમારી સાથે જ રહી તમારું કામ પતાવી આપીશ."
     પછી આખો દિવસ થોડા ઘણાં ધક્કા ખાઈ અંતે અમે વળતર મેળવવામાં સફળ રહ્યા.
       વૃદ્ધ રામૈયાગુરુએ મને અંતરથી આશિર્વાદ આપતા કહ્યું, "દીકરા તારા આ ઉપકારનો બદલો હું કઈ રીતે ચૂકવીશ? હવે મારી માંદી પત્ની એકલી હોવાથી તેને મારી જરૂર છે અને હું તરત પાછો ગામ રવાના થઈ જાઉં."
     "ચાલો હું તમને બસ સ્ટેન્ડ ઉતારી દઉં" કહી હું તેમની ટિકિટની વ્યવસ્થા કરી અને તેમને થોડા ફળો આપી વિદાય કરવા આવ્યો.
      જતી વખતે એ વૃદ્ધની આંખોમાં જે ભીનાશ અને આભારવશતાની લાગણી હતી એ મારા હ્રદયને સ્પર્શી ગઈ. તેણે કહ્યું, "આનંદ બેટા, તે મારા માટે ઓફિસમાં એક દિવસની રજા લીધી અને મારું કામ પતાવી આપ્યું, હું તારા આ ઉદાર કૃત્યની વાત જતાવેંત તારા પિતાને કરીશ અને તેમનો પણ આભાર માનીશ."
      મેં સ્મિત કરતા તેમના હાથ મારા હાથમાં લઈ કહ્યું, "હું તમારા મિત્રનો પુત્ર આનંદ નથી. હું અરવિંદ છું. તમે ખોટા સરનામે આવ્યા હતા. એ આનંદનું ઘર મારા ઘરથી બીજા બે કિલોમીટર આઘું છે. પણ મેં જોયું કે તમે ખૂબ થાકી ગયેલા હતા અને મારો જીવ તમને સત્ય કહેતા ન ચાલ્યો. મેં તમારા દસ્તાવેજોમાં આપેલા નંબર પર ફોન જોડ્યો હતો. આનંદની પત્નીએ મને જણાવ્યું કે એ કંઈક કામ માટે બહારગામ ગયો છે. મેં તમારા મિત્રને પણ ફોન જોડ્યો હતો. મેં તેમને હકીકત જણાવી તો તે ભારે ઉદાસ થઈ ગયા હતા. પણ જ્યારે મેં તેમને ખાતરી આપી કે તમારું કામ પૂરું કરવામાં હું મદદ કરીશ ત્યારે તેમને ખૂબ સારું લાગ્યું હતું.તમને જે ખોટ પડી છે એ તો કોઈ ભરપાઈ કરી શકવાનું નથી. પણ મને લાગ્યું મારે તમને મદદ તો કરવી જ જોઈએ. મેં એમ કર્યું અને મને એ દ્વારા અનહદ ખુશી મળી છે."
   મારી વાત સાંભળી રામૈયાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તેણે મને મૂંગા મૂંગા જ આશિષ આપ્યાં અને બસ આવી જતાં વિદાય લીધી. મારા માટે તેમના આશિર્વાદ ખૂબ કિંમતી હતાં. મારા પિતા તો પંદર વર્ષ અગાઉ જ પરમધામે સિધાવી ગયા હતા પણ રામૈયાગુરુ ને જોઈ મને કદાચ એવો પણ અહેસાસ થયો હતો કે મારા પિતા પાછા ફર્યા છે. આકાશમાં જોતા મને એવી લાગણી થઈ કે એ ત્યાં ક્યાંક હશે. મેં કહ્યું, "પિતાજી, તમે મારા જીવનમાં હું કેટલો આગળ વધ્યો છું એ ચકાસવા આ સ્વરૂપે આવ્યા હતા ને? પત્ર લખીને તમે ચકાસી રહ્યા હતા ને કે તમારો દીકરો મદદ કરે છે કે નહીં. તમારા જેવા મહાન પિતાનો પુત્ર થઈ મેં મારી ફરજ બજાવી છે. તમે ખુશ છો ને? “ મારી આંખોમાં પણ ઝળઝળિયા હતાં, હર્ષ નાં!
    મદદ કરવાની ભાવના રાખો, માર્ગો ઉભા થઈ રહેશે.

(ઇન્ટરનેટ પરથી)

Saturday, May 25, 2019

તમારા ઘરને ફેંગશૂઈની જરૂર છે?

      સહદેવે પોતાના વ્યવસાયમાં કાઠુ કાઢ્યું અને કમાયેલા નાણાં યોગ્ય રીતે રોકવા લંડન ખાતે જમીનનો એક ટુકડો ખરીદી તેના પર ત્રણ માળનો બંગલો બંધાવ્યો. તેના બંગલામાં સ્વિમિંગ પૂલ પણ હતો અને બગીચો પણ! તેના બંગલાના પ્રાંગણમાં ૧૦૦ વર્ષ જૂનું એક લીચીનું ઝાડ હતું. ખરું જુઓ તો આ જમીન ખરીદી ત્યાં બંગલો બંધાવવાનું મૂળ કારણ આ લીચી નું ઝાડ જ હતું. તેની પત્નીને લીચીઓ ખૂબ ભાવતી હતી.
      બંગલો બંધાવતી વખતે તેના એક મિત્રે સૂચન કર્યું કે તેણે સાવચેતી રૂપે કોઈક ફેંગશૂઈ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. હવે આમ તો તે ફેંગશૂઈ વગેરેમાં વિશ્વાસ ધરાવતો નહોતો પણ ખબર નહીં કેમ આ વખતે તેણે હ્રદયની વાત સાંભળી મિત્રની સલાહને અનુસરતા ખાસ હોંગકોંગના એક ફેંગશૂઈ નિષ્ણાતની સલાહ લેવાનું નક્કી કર્યું. આ નિષ્ણાત એટલે ફેંગશૂઈ વર્તુળમાં સારી એવી ખ્યાતિ અને એ ક્ષેત્રે ત્રણ દાયકાનો અનુભવ ધરાવતા માસ્ટર કાઓ. તેમને લેવા સહદેવ પોતે ગયો અને તેમણે સાથે શહેરમાં બપોરનું ભોજન લીધું અને પછી તેઓ લંડન જવા રવાના થયા. તે પોતે સોનાનું હ્રદય ધરાવતો હતો અને તે ડૉ. કાઓને પોતે ગાડી હંકારી તેના બંગલે લઈ આવ્યો. માર્ગમાં જો કોઈ ગાડી તેમની ગાડીને ઓવર ટેક કરવા જાય તો તે સસ્મિત એ બધી ગાડીઓને એમ કરવા દેતો.
    ડૉ. કાઓએ હસતા હસતા કહ્યું, "તમારું ડ્રાઇવિંગ અતિ સુરક્ષિત છે! ". સહદેવે આ ટિપ્પણી પર હસતા હસતા જવાબ આપ્યો, "મોટે ભાગે જે લોકો ઓવર ટેક કરતા હોય છે, તેમને કોઈક અતિ જરૂરી બાબત સાથે નિપટવાની ઉતાવળ હોય છે તો તેમની વચ્ચે આવવું જોઈએ નહીં."
ઘર નજીક આવતા શેરી સાંકડી થઈ અને સહદેવે ગાડીની ઝડપ ઓછી કરી નાખી.
    ત્યાં અચાનક એક હસતું રમતું બાળક ગલીમાં ક્યાંકથી સામે આવી ચડયું અને ગાડીની સમાંતરે દોડવા માંડ્યું. સહદેવે ગાડીની ઝડપ ઓછી કરી નાખી. એણે કોઈની રાહ જોઈ રહ્યો હોય એમ ગલીની એક તરફ જોયા કર્યું. ત્યાં તો કોણ જાણે ક્યાંથી બીજું એક બાળક આવી પેલા પહેલા દોડી રહેલા બાળકની પાછળ દોડવા માંડ્યું.
     ફેંગશૂઈ  માસ્ટર નવાઈ પામ્યા અને તેમણે સહદેવને પૂછ્યું, "તમને કઈ રીતે જાણ થઈ કે બીજું બાળક પણ આ પહેલા બાળકને અનુસરવાનું છે?"
સહદેવે સહજતાથી કહ્યું, "બાળકો હંમેશા એકબીજાની સાથે રમતાં હોય છે. પેલો પહેલો છોકરો કોઈ સાથીની સોબત વગર આટલા ગેલમાં હોઈ જ ન શકે!"
    ડૉ કાઓ આ સાંભળી સહદેવને હસતા હસતા શાબાશી આપી કહી રહ્યાં, "તમારી અન્યો વિશે વિચારવાની ભાવનાને સલામ!"
     બંગલે પહોંચતા જેઓ તેવા ગાડીમાંથી ઉતર્યા કે ત્યાં જ બંગલાના બાગમાંથી અચાનક સાત - આઠ પંખીઓ ઉડી આવ્યાં. આ જોઈ સહદેવે માસ્ટર કાઓ ને પૂછ્યું ," જો તમને વાંધો ન હોય તો અહીં બે - પાંચ મિનિટ રોકાશો? " પછી જવાબની રાહ જોયા વગર પોતે જ ઉમેર્યું, "બાગમાં કદાચ થોડાં બાળકો લીચીના ઝાડ પરથી લીચી તોડી રહ્યાં છે. જો આપણે અત્યારે જ ત્યાં જઈ પહોંચીશું તો તેઓ ડરી જશે અને કદાચ ઝાડ પર ચડ્યા હશે તો રઘવાટ માં તેમાંનું એકાદ બાળક ઝાડ પરથી નીચે પડી જવાનો ભય પણ છે. "
    ડૉ કાઓ થોડી વાર શાંત થઈ ગયા અને પછી તેમણે કહ્યું "આ બંગલામાં ફેંગશૂઈની જરૂર જ નથી. જે જગાએ તમારા જેવા સજ્જન ની હાજરી હોય તે જગા કુદરતી રીતે સૌથી પવિત્ર ફેંગશૂઈ  વાળી આપોઆપ બની રહે છે.
જ્યારે આપણું મન બીજાઓનાં સુખ શાંતિ ને પોતાના અંગત સુખ શાંતિ કરતા વધુ પ્રાધાન્ય આપે છે ત્યારે તેનો ફાયદો એ બીજાઓને જ નહીં પરંતુ આપણને પોતાને પણ થતો હોય છે.
    જ્યારે કોઈ વ્યક્તિ દરેકે દરેક સંજોગોમાં અન્યો અંગે વિચારે ત્યારે તે વ્યક્તિએ અજાણતા સંતત્વ ધારણ કરી લીધું હોય છે. સંત ખરું જુઓ તો અન્યોના ભલા વિશે વિચારીને જ સંતત્વ પામ્યાં હોય છે.
    તમારું ઘર પણ એવું બની રહે કે તેને કોઈ ફેંગશૂઈ નિષ્ણાતની જરૂર ન રહે...

(ઇન્ટરનેટ પરથી)

Sunday, May 12, 2019

સાત ટૂંકી વાર્તાઓ

માઇક્રોસોફ્ટના સી. ઈ. ઓ. સત્યા નાદેલા દ્વારા શેર કરાયેલી સાત ટૂંકી વાર્તાઓ

પાછું વળી જોતાં...
     મારા સાઇકોલોજીના વર્ગના એક રિસર્ચ પેપર પર કામ કરતી વેળાએ મેં મારા દાદીનો ઇન્ટરવ્યૂ લીધો. મેં તેમને તેમના પોતાના શબ્દોમાં સફળતાની વ્યાખ્યા કરવા કહ્યું. તેમણે જવાબ આપ્યો," સફળતા એ છે જ્યારે તમે તમારા જીવનમાં ડોકિયું કરો અને પાછલી સ્મૃતિઓ તમારા ચહેરા પર સ્મિત લઈ આવે."

પ્રેમ વેદના અતિક્રમી જાય છે
મેં મારા પાળેલા કૂતરાને ગાડી નીચે કચડાઈ જતાં જોયો. હું તેની બાજુમાં બેસી પડ્યો, મેં તેને ખોળામાં લીધો અને રડવું શરૂ કર્યું. પણ તેણે મૃત્યુ પામતા પહેલા મારા ચહેરા પરથી આંસુ ચાટી સાફ કરી દીધા.

સાથ
મારા પિતા, ત્રણ ભાઇઓ અને અમે બે બહેનો મારી માતાના હોસ્પિટલના ખાટલાની આજુબાજુ વીંટળાઈ વળ્યા ત્યારે તે અસ્ફૂટ શબ્દો માં બોલી, "હું અત્યારે કેટલો બધો પ્રેમ પ્રાપ્ત કર્યાનું અનુભવી રહી છું! કાશ, આપણે સૌ આ પહેલા પણ આ જ રીતે સાથે વારંવાર મળ્યાં હોત! “

સ્નેહ... થોડો મોડો?
મારા પિતાના કપાળે મેં ચુંબન કર્યું જ્યારે તે નાનકડી એવી એક હોસ્પિટલના બિછાનેથી પરમધામે પ્રયાણ કરી ચૂક્યા હતા. થોડા સમય બાદ મને ખ્યાલ આવ્યો કે નાના બાળક તરીકે મેં મારા પિતાને આપેલ પપ્પી બાદનું વર્ષોના વ્હાણા બાદનું એ પ્રથમ અને અંતિમ ચુંબન હતું.

હર્ષ
જ્યારે મેં ૨૭ વર્ષની એ કેન્સર પીડિતાને તેની બે વર્ષની દીકરીના ગતકડાં પર મન મૂકીને ખડખડાટ હસતા જોઈ ત્યારે અચાનક મને અહેસાસ થયો કે મારે મારા જીવનમાં ફરિયાદો કરવાનું બંધ કરી દઈ નાની નાની ખુશીઓની ઉજવણી કરતા શીખવું જોઈએ.

ઉદારતા
વ્હીલચેરમાં બેઠેલા એક છોકરાએ મને મારા ભાગેલા પગ અને કાખઘોડીની મદદથી હવાતિયા મારતા જોયો અને તેણે મને મારી ખભે ભરાવવાની બેગ અને પુસ્તકો ઉપાડી લેવાની મદદની તૈયારી બતાવી. આખા કેમ્પસ દરમિયાન તેણે મારું આ વજન ઉંચકી મારા વર્ગ સુધી પહોંચી જાઉં ત્યાં સુધી મને સંગાથ આપ્યો. જતાં જતાં કહ્યું, "જલ્દીજ તમારો પગ સારો થઈ જાય એવી શુભેચ્છા!"

વહેંચીને ખાવું
હું કેન્યામાં પ્રવાસ કરી રહ્યો હતો. ત્યાં મને ઝિમ્બાબ્વેનો એક શરણાર્થી મળ્યો. તેણે કહ્યું છેલ્લા ત્રણ દિવસથી તેણે કંઈ ખાધું નહોતું. તે અતિ દુર્બળ અને માંદો દેખાતો હતો. મારા મિત્રે તેને અડધી ખાઈ લીધેલી સેન્ડવિચ આપી ત્યારે તેણે સૌ પ્રથમ કહ્યું, "આપણે એ વહેંચીને ખાઈએ."

જીવન આભારવશતાની લાગણી સાથે જીવો...

(ઇન્ટરનેટ પરથી)

Saturday, March 9, 2019

પડતું મૂકો

      એક વાર એક કાગડો ખોરાકનો ટુકડો ચાંચ માં પકડી શાંતિથી બેસીને ખાઈ શકાય એવી જગા શોધતો અહીં-તહીં ઉડી રહ્યો હતો. તેની પાછળ સમડીઓનું એક ટોળું પડયું અને કાગડો થોડો અસ્વસ્થ થઈ વધુ ને વધુ ઉંચે ઉડવા માંડ્યો. પણ સમડીઓએ બિચારા કાગડાનો પીછો છોડ્યો નહીં.
      ત્યાં જ એક ગરુડને કાગડાની આંખમાંના ભય અને ઉચાટ નજરે પડ્યા અને તેણે કાગડાની બાજુમાં ઉડતા ઉડતા પહોંચી જઈ પૂછ્યું, "શું વાત છે, તારી આંખોમાં ભારે થાક, ચિંતા અને નિરાશા દેખાય છે?"
     કાગડાએ જવાબ આપ્યો, "આ સમડીઓ જુઓ ને, મારા જીવની પાછળ પડી છે."
      ગરુડ તો રહ્યું શાણપણનાં ભંડાર સમુ પક્ષી! તેણે કાગડાને સલાહ આપી, "હે મિત્ર, તેઓ તારી જાનની પાછળ નથી. તેઓ તારી ચાંચમાં તે પકડેલા માંસના ટુકડા પાછળ છે. એ છોડી દે અને જો શું થાય છે!"
        કાગડાએ ગરુડની સલાહ અનુસાર માંસનો ટુકડો ચાંચમાંથી છોડી દીધો અને બધી સમડીઓ કાગડાનો પીછો છોડી એ નીચે પડી રહેલા માંસના ટુકડા પાછળ ભાગી!
      ગરુડે સ્મિત કરતા કહ્યું, "વેદના કે દુ:ખોનું પણ આવું જ છે. જ્યાં સુધી તમે એને પકડી રાખો ત્યાં સુધી એ તમને પીડે છે. એમને પડતા મૂકી દો!"
       કાગડાએ ગરુડને નમન કરતા કહ્યું, "મેં એ માંસનો ટુકડો પડતો મૂકી દીધો અને હવે હું નિશ્ચિંત થઈ વધુ ઉંચે ઉડી શકું છું!"
        આ વાર્તામાં આપણાં બધાં માટે એક સંદેશ છે :
    લોકો અહમ્ નામના મસમોટા ભારનો બોજો સહન કરતાં હોય છે જેના કારણે તેમની એક આભાસી છબી સર્જાય છે. આના કારણે આપણે કહીએ છીએ મને પ્રેમ જોઈએ છે, મને આમંત્રણ મળવું જોઈએ, હું ફલાણો છું - ઢીંકણો છું... પડતું મૂકો.
      બીજાઓની ચેષ્ટાઓ દ્વારા આપણે રોષે ભરાતા હોઈએ છીએ - જે મિત્રો, માતાપિતા, સંતાનો, સહ કર્મચારીઓ, જીવનસાથી કોઈ પણ હોઈ શકે છે. તેમના વર્તનથી અસર પામી આપણે ક્રોધિત થઈ જઈએ છીએ. પડતું મૂકો.
      આપણે સતત આપણી જાતની સરખામણી અન્યો સાથે કરતા રહીએ છીએ, સૌંદર્ય બાબતે, સંપત્તિ બાબતે, જીવન શૈલીની દ્રષ્ટિએ, પરીક્ષામાં મેળવેલ માર્કસ, નોકરીમાં મળેલ બઢતી કે કૌશલ્યને લઈને. ઈશ્વરે આપણને જે આપ્યું છે તે બદલ આપણે તેનો આભાર માનવો જોઈએ. સરખામણીને, નકારાત્મક લાગણીઓને પડતાં મૂકો.

(ઇન્ટરનેટ પરથી)

Monday, January 21, 2019

આપણાં જીવનમાં ગુરૂની જરૂર શા માટે છે?

          એક વાર એક ગાય જંગલમાં ચરવા ગઈ. અચાનક તેણે એક વાઘને પોતાના તરફ ધસતા દીઠો. તેણે ઝડપથી પોતાની દિશા બદલી અને ભાગવા માંડયું. તેને એવો ભય સતાવવા માંડ્યો કે કોઈ પણ ઘડીએ વાઘ તેના પર તરાપ મારી તેના નહોર પોતાના શરીરમાં ઘૂસાડી દેશે. તેણે હાંફળાફાંફળા થઈ બચવા માટે કોઈ સુરક્ષિત જગા શોધવા નજર દોડાવી અને ભાગતા ભાગતા છેવટે તેની નજર એક છીછરા તળાવ પર પડી. વાઘ સાવ નજીક આવી ગયો હોવાને લીધે હવે વધુ કંઈ વિચાર્યા વગર તેણે પાણીમાં છલાંગ લગાવી. પીછો કરતા કરતા વાઘે પણ તેની પાછળ આંધળુકીયું કરી કૂદકો માર્યો.
        બંનેના આશ્ચર્ય વચ્ચે તળાવનું પાણી ભલે છીછરું હતું પણ તેમાં કાદવના પડળ પર પડળ હતાં. વાઘે ગાય પર તરાપ તો મારી પણ બંને વચ્ચે થોડું અંતર રહી ગયું અને બંને ગળા સુધી કાદવ માં ફસડાઈ પડયાં. બંનેનાં માથાં પાણીની બહાર હતાં પણ આખું બાકીનું શરીર કાદવમાં બૂરી રીતે ફસાયેલું હતું. તેમણે કાદવમાંથી છૂટવા ખૂબ હવાતિયા માર્યાં પણ તેઓ એમાં વધુ ને વધુ ફસાતા ચાલ્યાં.
      આ સ્થિતીમાં પણ વાઘ વારંવાર ગાય તરફ ઘૂરકિયા કરી કહેવાનું ચૂકતો નહોતો, "હું તને ફાડી ખાઈશ. "
       ગુસ્સામાં તે ધૂંઆપૂંઆ થઈ ગયો પણ તેનું કંઈ ચાલ્યું નહીં.
       ગાયે વાઘને મુક્ત થવા હવાતિયા મારતો જોઈ વિચારશીલ થઈ હસતાં હસતાં પૂછ્યું, "શું તારો કોઈ માલિક છે?"
      વાઘે તિરસ્કાર પૂર્વક ઉત્તર આપ્યો, "હું જંગલનો રાજા છું. તું મને શા માટે પૂછે છે કે મારો કોઈ માલિક છે કે નહીં?હું પોતે જ મારો માલિક છું!"
        ગાયે કહ્યું," તું ભલે જંગલનો રાજા રહ્યો પણ આજે આ પરિસ્થિતિમાં તારી બધી તાકાત પણ તારો જીવ બચાવી શકશે નહીં."
       વાઘે સામો પ્રશ્ન કર્યો, "અને તારું શું થશે?તું યે અહીં કાદવમાં જ મરી જશે!"
        ગાયે સસ્મિત મર્માળું હસતાં કહ્યું, "ના, એવું નહીં બને. "
        "જો હું જંગલનો રાજા પણ આ કાદવમાંથી મારી જાતને બચાવી શકવાનો ન હોઉં તો તું એક તુચ્છ ગાય કઈ રીતે બચી શકવાની છે?"
        ગાયે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, "હું મારી જાતને આ કાદવમાંથી બચાવી શકવાની નથી, પણ મારો માલિક મને ચોક્કસ એમાંથી બચાવી લેશે. જ્યારે અંધારુ થઈ જશે અને હું ઘેર પાછી નહીં ફરું ત્યારે એ મને શોધવા નીકળશે અને ચોક્કસ અહીં સુધી આવી પહોંચશે. હું જ્યારે એને અહીં ફસાયેલી મળી જઈશ એટલે એ મને અહીં થી બહાર કાઢી ઉગારી લેશે અને કાળજીપૂર્વક મને અમારા સુંદર ઘર સુધી દોરી જશે. "
       આ કેફિયત સાંભળી વાઘ ચૂપ થઈ ગયો અને તેણે ઠંડા કલેજે ગાય તરફ નિહાળ્યા કર્યું.
      પછી થોડા જ સમયમાં સૂર્યાસ્ત થયો અને ખરેખર ગાયનો માલિક તેને શોધતો શોધતો કાદવ ભર્યા તળાવ સુધી આવી પહોંચ્યો. ગાયના કહ્યા મુજબ જ તેણે સાચે પરિસ્થિતીનો તાગ મેળવી લીધો અને કાળજી પૂર્વક ગાયને કાદવમાંથી બહાર કાઢી લીધી. બંને જ્યારે પાછા ઘર તરફ ડગ માંડી રહ્યાં ત્યારે પરસ્પર નવી કૃતજ્ઞતા અનુભવી રહ્યાં. તેમને વાઘની દયા આવી અને વાઘ મોઢું વકાસી તેમને જતાં જોઈ રહ્યો.
      આ પ્રતિકાત્મક વાર્તામાં ગાય સમર્પિત હ્રદય છે, વાઘ અહંકારી મન અને માલિક ગુરૂ નું પ્રતિક છે. કાદવ આ દુનિયા છે અને વાઘનો ગાયનો પીછો તેમજ કાદવમાં બચવા માટે હવાતિયા દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષને દર્શાવે છે.
સારાંશ :
-----------
સ્વતંત્ર હોવું, કોઈના પર આધાર ન રાખવો સારું છે. પણ એનો અર્થ એવો નથી કે જીવનમાં ગુરુ નું કોઈ સ્થાન કે મહત્વ નથી. તમને એવા સાથી, શિક્ષક કે માર્ગદર્શકની સદાયે જરૂર હોય છે જે સતત તમારું ધ્યાન રાખી શકે કે જ્યારે જરૂર હોય ત્યારે તમે ચોક્કસ તેમની પાસે જઈ શકો.
એ તમારા જીવનમાં હોય એનો અર્થ એવો નથી કે તમે નબળા છો, તેમની હાજરી કે મદદથી તમે વધુ સક્ષમ જરૂર બની રહો છો.

(ઇન્ટરનેટ પરથી)

Saturday, January 5, 2019

સાચું સુખ ક્યાં છે?

   ૫૦ જણનો એક સમૂહ એક પ્રશિક્ષણ સમારંભમાં હાજરી આપી રહ્યો હતો. અચાનક મુખ્ય વક્તા પ્રશિક્ષકે દરેકને એક ફૂલેલો ફુગ્ગો હાથમાં આપ્યો અને તેના પર પોતપોતાનું નામ માર્કર પેન વડે લખવા કહ્યું. પછી એ બધાં ફુગ્ગા લઈ લેવાયા અને બાજુના એક ખંડમાં મૂકી દેવામાં આવ્યાં. 
      થોડી વાર બાદ દરેક વ્યક્તિને એ ખંડમાં લઈ જવામાં આવ્યા અને તેમને પોતપોતાનું નામ લખેલો ફુગ્ગો શોધી કાઢવાનું જણાવવામાં આવ્યું,માત્ર પાંચ મિનિટમાં. ધમાચકડી મચી ગઈ! બધાં એક બીજા સાથે ભટકાતા, એકમેકને ધક્કો મારતા પોતપોતાનો ફુગ્ગો શોધવા મથી રહ્યાં. પણ પાંચ મિનિટ પૂરી થઈ જવા છતાં કોઈ પોતાનો ફુગ્ગો શોધી શક્યું નહીં. 
       હવે દરેક જણને કોઈ પણ એક જે ફુગ્ગો પોતાના હાથમાં આવે તે લઈ લેવા આદેશ અપાયો અને ત્યારબાદ જેનું નામ એ ફુગ્ગા પર લખ્યું હોય તેને એ સોંપી દેવા જણાવાયું. 
       ત્રણેક મિનિટમાં જ દરેક વ્યક્તિના હાથમાં પોતપોતાનું નામ લખેલો ફુગ્ગો હતો! 
       વક્તા પ્રશિક્ષકે કહ્યું કે આવું જ આપણાં જીવનમાં બનતું હોય છે. દરેક જણ સુખ આસપાસ શોધવા ફાંફાં મારે છે કારણ તેને જાણ નથી કે સાચું સુખ ક્યાં છે. પણ વાસ્તવિકતા એ છે કે સાચું સુખ બીજાના સુખમાં છુપાયેલું હોય છે, એ બીજાને સુખ આપીને મેળવી શકાય છે. 
અન્યને ખુશી આપીને તમે અપાર ખુશી મેળવી શકો છો. એ જ મનુષ્ય જીવનનો સાચો આશય છે. 

(ઇન્ટરનેટ પરથી)

Sunday, December 9, 2018

એક બોધકથા : વિનમ્રતા

         એક વાર નદીને પોતાના પાણીના પ્રચંડ વહેણ ઉપર અભિમાન થયું. તેને લાગ્યું કે મારામાં એટલી તાકાત છે કે હું પહાડ, મકાન, ઝાડ, પશુઓ, માનવ વગેરે બધાંને વહાવી લઈ જઈ શકું છું.

     તેણે ઘણાં ગર્વીલા સ્વરે સમુદ્રને કહ્યું, "કહો જોઈએ, તમારા માટે શું તાણી લાવું? મકાન, પશુ, માનવ, વૃક્ષ જે કંઈ તમે કહેશો તે હું તમારા માટે મૂળ સહિત ઉખાડીને લઈ આવીશ! “

       સમુદ્ર ને સમજાઈ ગયું કે નદીને અભિમાન આવી ગયું છે. તેણે નદીને કહ્યું, "જો તું મારા માટે કંઈક લાવવા જ ચાહતી હોય તો થોડું ઘાસ ઉખાડી લાવ."
     
        નદીએ તોરમાં કહ્યું, "બસ, આટલું જ માંગ્યું! હમણાં જ લઈ આવું."

        નદીએ પોતાના જળનું સઘળું જોર અજમાવ્યું. પણ ઘાસ તો ઉખડ્યું જ નહીં! નદીએ અથાગ પ્રયત્નો કર્યાં, પણ વ્યર્થ. આખરે નદી સમુદ્ર પાસે ગઈ અને બોલી, "હું વૃક્ષ, મકાન, પહાડ વગેરે તો ઉખાડીને લાવી શકું છું પણ જ્યારે જ્યારે ઘાસને ઉખાડી લાવવાની કોશિશ કરું છું ત્યારે ત્યારે એ નીચે તરફ ઝૂકી જાય છે અને મારે ખાલી હાથે તેની ઉપરથી પસાર થઈ જવું પડે છે."

        સમુદ્રએ નદીની વાત ધ્યાનથી સાંભળી અને પછી હસતા હસતા કહ્યું, "જે પહાડ અને વૃક્ષની જેમ કઠોર હોય છે તે આસાનીથી ઉખડી જાય છે પણ ઘાસ જેવી વિનમ્રતા જેણે શીખી લીધી હોય, તેને પ્રચંડ આંધી - તોફાન કે પ્રચંડ વેગ પણ ઉખાડી શકતા નથી. "

       જીવનમાં ખુશીનો  અર્થ લડાઈઓ લડવી એમાં નથી, બલ્કે એમનાથી બચવામાં છે. કુશળતા પૂર્વક પીછેહઠ પણ ક્યારેક જીતનું કારણ બને છે. અભિમાન ફરીશ્તાઓને પણ શેતાન બનાવી દે છે અને વિનમ્રતા સાધારણ મનુષ્યને પણ ફરીશ્તો બનાવી દે છે.

(ઇન્ટરનેટ પરથી)

Sunday, October 28, 2018

હૂંફ

આજે એ યુવક ફરીથી એની ઘરડી માને નાના બાળકની જેમ એક લાંબી ચાદર જેવા કપડામાં લપેટી, એનો એક છેડો પોતાને ખભે ભરાવી બહાર બગીચામાં લટાર મારવાં નીકળ્યો તો હું પૂછયા વગર ન રહી શકી.

એને એક બેંચ પર બેસેલા જોતાજ હું મારો સવાલ લઈ એની પાસે પહોંચી ગઈ...

“તમે રોજ સાંજે અહીં આવો છો. હું તમને જોવું છું. એમાં કોઈ શક નથી કે તમે ખૂબ સારા સંતાન છો જે પોતાની ઘરડી જનેતાને આટલું સાચવે છે છતાં મને એમ થાય કે તમે એમને આમ ઉચકીને કેમ લાવો છો? તમે વ્હિલચેર કેમ નથી વાપરતા?”

એ યુવક મારી સામે જોઇને સહેજ હસ્યો. પછી કહ્યું,

“જ્યારે હું નાનો હતો ત્યારે બહું કમજોર હતો. વારે વારે બીમાર પડી જતો. જરીક વાતાવરણ બદલાય કે તરત મને તાવ આવી જતો. એ વખતે આ મારી મા મને આમજ કપડામાં લપેટીને, એની છાતિસરસો  બાંધીને રાખતી. મને એ વખતે બહું સારું લાગતું. એક અનેરી હૂંફનો અહેસાસ થતો. હું ઘણો મોટો થયો ત્યાં સુંધી માનો એ ક્રમ ચાલુ રહેલો...

આજે હું સ્વસ્થ છું. મારી મા વૃધ્ધ થઈ છે, અશક્ત છે. એ હવે લાંબુ નહિ ખેંચે એમ ડોકટરે કહી દીધું છે. જીવનની ભાગદોડમાં હું વ્યસ્ત થઈ ગયેલો. મારી માને મારી જરૂર હોઇ શકે, એ આટલી કમજોર બની જશે એવું મેં વિચાર્યું જ ન હતું. ડોક્ટરના શબ્દો સાંભળીને મને મારી પોતાની જાત ઉપર ખૂબ ગુસ્સો આવેલો. બસ, ત્યારથી નક્કી કર્યું કે રોજ વધારે નહિ તો અડધો કલાક હું મારી મા સાથે ગાળીશ. હવે એ બોલી કે સાંભળી નથી શકતી પણ અનુભવી શકે છે. જ્યારે હું બોલી નહતો શકતો ત્યારે મારી મા મને આમ ઉઠાવતી હતી. આજે એ બોલી-સાંભળી નથી શકતી તો હું એને મારી જેમ બને એમ નજીક રાખું છું...જેથી એને સારું લાગે ! સાચું કહું તો આમ કરવાથી મને પોતાને બહું સારું લાગે છે. મારું વજન પહેલા બહુ વધી ગયું હતું એ હવે કાબૂમાં આવી ગયું, મારા મારી પત્ની સાથેના નાના ઝઘડા બંધ થઈ ગયા. એણે મહેસૂસ કર્યું કે જે પુરુષ પોતાની ઘરડી, અશક્ત માનું આટલું ધ્યાન રાખી શકે એ એને પોતાનેય આમ જ સાચવશે! મારા બાળકોની નજરમાં મારા માટે, મારી મા માટે આદર છે ! ઘરમાં કોઈ વડીલ હોય તો એનું કેમ ધ્યાન રાખવું એ, એ લોકો મને જોઈને શીખી રહ્યા છે...!!”

અચાનક થોડી ઠંડી હવા ફૂંકાતા એ યુવક ચાદર જેવા એ કપડાંને એની માના શરીરે થોડું સરખી રીતે લપેટીને ચાલતો થયો, “માને ઠંડી લાગી જશે...મારે નીકળવું પડશે.”

હું હજી એને જતો જોઈ રહી છું. ત્યાંજ બાબાગાડીમાં સૂતેલા મારા દીકરાને લઈને આયા આવી.

મેં એને ઉઠાવીને, મારી છાતી સાથે ભીંસીને તેડી લીધો અને આયાને કહ્યું કે આ બાબાગાડી તું જ રાખી લે. મારે હવે એની જરૂર નથી !

મારી આંખોમાંથી અનાયાસ જ આંસુ વહી આવ્યા આજે મારા વરસના થવા આવેલા બાબલાએ મને પહેલીવાર “મા" કહ્યું!

(ઇન્ટરનેટ પરથી)