Showing posts with label Internet corner. Show all posts
Showing posts with label Internet corner. Show all posts

Saturday, October 10, 2020

વિચારકણિકાઓ

  # આપણું કૌશલ્ય આપણાં ધ્યેયોની અગ્નિમાં શેકાઈને જ વિકસીત થાય છે. 

# મુશ્કેલીઓ વિજય મેળવવાં પહેલાં કરાતાં પ્રયોગો સમાન છે. 

# ઉત્સુકતા ભય પર બહાદુરી કરતાં વધુ સારી રીતે વિજય મેળવી શકે છે. 

# કોઈક વિચાર વાસ્તવિકતા ત્યારે જ બની શકે જ્યારે તે અમલમાં મૂકાય. 

# તમારી અંદર જેનું અસ્તિત્વ છે તેની સાથે વફાદાર રહો. 

# આળસના કર્કરોગનો સ્વપ્ના જ નાશ કરી શકે છે. 

# તમારા બહાનાં કરતાં સદાય વધુ મજબૂત બનો. 

# જો તમે ઈચ્છા રાખશો અને સતત શીખવાનું ચાલુ રાખશો તો જ જીવનમાં કંઈક પામી શકશો. 

# જ્યાં સુધી આપણે અસુરક્ષિતતાઓનો પુલ ઓળંગીશું નહીં, ત્યાં સુધી શકયતાઓના મહાસાગર સુધી પહોંચી શકીશું નહીં. 

# આપણે અન્યો કરતાં શાણા બનવાની જરૂર નથી, માત્ર અન્યો કરતાં વધુ શિસ્તના આગ્રહી અને અનુયાયી બનવાની જરૂર છે. 

# ગુણવત્તા સૌથી સારો બિઝનેસ પ્લાન છે. 

# કિંમત વિશે ન વિચારો, મૂલ્ય અંગે વિચારો. 

# તમે પરિપક્વ બની જશો ત્યારે સમજાશે કે કોઈક મુદ્દો ખરો સાબિત કરવા કરતાં મૌન વધારે મહત્વનું હોય છે. 

# વિશ્વમાં બધું જ સુંદર છે, જો એ જોવા માટે આપણી પાસે દૃષ્ટિ અને સારા વિચારો હોય તો. 

# યાદ રાખો તમે મોડા પડી શકશો પણ સમય કયારેય મોડો નહીં પડે. 

(ઇન્ટરનેટ પરથી) 

Saturday, September 12, 2020

સતત પ્રયત્નશીલ રહેવું

      એક વાર ઇન્દ્રદેવ ખેડૂતોથી નારાજ થઇ ગયા અને જાહેર કર્યું કે આવનારા બાર વર્ષો સુધી વરસાદ થશે નહીં અને તમે કોઇ પણ પાકની ખેતી કરી શકશો નહીં. 


ખેડૂતોએ ઇન્દ્રદેવને ખૂબ જ પ્રાર્થના કરી અને દયા કરવા વિનવ્યા તેથી તેમણે કહયું કે જાઓ જો ભગવાન શિવ ડમરૂ વગાડશે તો વરસાદ થશે. 

બીજી તરફ ઇન્દ્રદેવે બધી હકીકત ખાનગીમાં જણાવીને ભગવાન શિવને બાર વર્ષ સુધી ડમરૂ ન વગાડવા મનાવી લીધા. ખેડૂતો ભગવાન શિવના શરણે ગયા તો શિવજીએ કહયું કે હું બાર વર્ષે જ ડમરૂ વગાડીશ જાઓ. 

દુઃખી થયેલા ખેડૂતો પાસે બાર વર્ષ સુધી રાહ જોયા સિવાય કોઇ વિકલ્પ ન હતો. પરંતુ તે ખેડૂતો પૈકીનો એક ખેડૂત ખેતર ખેડતો, સમારકામ કરતો અને પાક ઉગવાનો નથી તે જાણવા છતાં દર વર્ષે વાવેતર પણ કરતો. 

અન્ય ખેડૂતો તેની મશ્કરી કરતાં, છતાં પણ દર વર્ષે તે આ મુજબ જ તેની પ્રક્રિયાનું પુનરાવર્તન કરતો હોવાથી બધા ખેડૂતો એ કહયું કે ડોબા, તને ખબર છે કે બાર વર્ષ સુધી વરસાદ પડવાનો નથી તો પણ તું ગધ્ધામજૂરી કરીને સમય અને શક્તિનો વ્યય શા માટે કરે છે?

તેણે જણાવ્યું કે હું પણ જાણું છું કે પાક ઉગવાનો નથી પરંતુ હું તો ખેતીની પદ્ધતિ ભૂલી ન જાઉં તે માટે અભ્યાસ કરું છું. બાર વર્ષ પછી જયારે વરસાદ આવશે ત્યારે તો મારે આ બધી પ્રક્રિયા કરવાની જ છે જેથી હું દર વર્ષે સતત તેનું પુનરાવર્તન કરતો રહું છું જેથી બાર વર્ષ પછી મારું શરીર પાક ઉગાડવા માટે સશક્ત તેમજ સારું રહે.

ખેડૂતની આ દલીલ સાંભળીને માતા પાર્વતીએ શિવજી સામે તેના વખાણ કર્યા અને કહ્યું કે બાર વર્ષે તો તમે પણ ડમરૂ વગાડવાનું ભૂલી જશો ભોળાનાથ. 

શિવજીએ મા પાર્વતીની વાત સાંભળીને ડમરૂ વગાડીને કહયું જુઓ હું ડમરૂ વગાડવાનું ભૂલ્યો નથી. 

ડમરૂનો અવાજ સાંભળીને ચોથા જ વર્ષે વરસાદ પડવા લાગ્યો અને જે ખેડૂતે પોતાના ખેતરમાં બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને વાવેતર કર્યુ હતું તેના ખેતરમાં પાક ઉગી ગયો અને બાકીના ખેડૂતો નિરાશ થઇને બેસી રહ્યા. 

સતત પુનરાવર્તન કરવાથી જ આપણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીએ છીએ . આપણે રોગી બનીએ કે વૃદ્ધત્વ પામીએ છીએ કારણકે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા આપણે સતત પ્રયાસો કરતા નથી. સતત પ્રયત્નશીલ રહેવું એ ગુણવત્તાયુકત જીવનનો મૂળમંત્ર છે. 

જેથી લોકડાઉન ચાર અઠવાડિયે, બે મહિને કે એક વર્ષે ખૂલે પરંતુ આપણે આપની ક્ષમતા, શક્તિને વિકસાવવા સતત પ્રયત્નો કરતા રહેવું જોઇએ. આપણી પાસે જે છે તેને ઉન્નત, સમૃદ્ધ કરીએ અને જ્ઞાનમાં વૃદ્ધિ કરતા રહીએ. 

લોકડાઉન ખૂલવાની રાહ જોતા રહેવું તે વરસાદ પડવાની રાહ જોવા જેવું છે. ડમરૂ વહેલું મોડું વાગશે જ પરંતુ તે સમયે આપણે તૈયાર નહીં હોઈએ તો તકલીફ પડશે. જેથી પડકારનો સામનો કરવા તૈયાર થઈએ. તથાગત બનીએ. 

🙏🙏ઘરમાં રહો સુરક્ષિત રહો🙏🙏

(ઇન્ટરનેટ પરથી)