Showing posts with label janmabhoomi. Show all posts
Showing posts with label janmabhoomi. Show all posts

Wednesday, February 5, 2020

૪૦ વર્ષ પહેલા... અને આજે

૪૦ વર્ષ પહેલા સંતાનો તેમના માતાપિતા સાથે નમ્રતાથી વર્તતા. આજે માતાપિતાઓએ તેમના સંતાનો સાથે નમ્રતાથી વર્તવું પડે છે!

૪૦ વર્ષ પહેલા દરેકને બાળકો હોય એવી ઇચ્છા થતી, આજે ઘણાંને બાળકો પેદા કરતા ડર લાગે છે!

૪૦ વર્ષ પહેલા સંતાનો તેમના માતાપિતાને માન આપતા, તેમનો આદર જાળવતા. આજે માતાપિતાઓએ તેમના સંતાનોને માન આપવું પડે છે, તેમનો આદર જાળવવો પડે છે!

૪૦ વર્ષ પહેલા લગ્ન સરળ હતા, છૂટાછેડા મુશ્કેલીથી જોવા મળતા. આજે લગ્ન મુશ્કેલ થતાં જાય છે, છૂટાછેડા આસાનીથી થઈ જાય છે!

૪૦ વર્ષ પહેલા બધાં તેમના પાડોશીઓને ઓળખતા. આજે આપણે આપણાં પાડોશીઓ માટે અજાણ્યાં હોઈએ છીએ!

૪૦ વર્ષ પહેલા લોકો ખૂબ ખાતા કારણ તેમણે સખત મહેનત કરવા વધુ ઉર્જાની, તાકાતની જરૂર હતી જે વધુ ખાવાથી પૂરી થતી. આજે લોકો કોલેસ્ટ્રોલના ભયથી ચરબીયુક્ત ખોરાક ખાતાં ડરે છે!

૪૦ વર્ષ પહેલા ગ્રામવાસીઓ શહેરો તરફ નોકરી મેળવવા ઘસારો કરતાં. આજે શહેરના લોકો તાણના ત્રાસથી મુક્તિ મેળવવા શાંતિની શોધમાં ગામડાભણી દ્રષ્ટિ દોડાવે છે!

૪૦ વર્ષ પહેલા સુખી દેખાવા લોકો જાડા થવું પસંદ કરતા. આજે લોકો તંદુરસ્ત દેખાવા ડાયેટીંગ કરે છે!

૪૦ વર્ષ પહેલા શ્રીમંત લોકો ગરીબ હોવાનો ડોળ કરતા. આજે ગરીબ લોકો શ્રીમંત બનવાનો દંભ કરે છે!

૪૦ વર્ષ પહેલા ઘરની માત્ર એક વ્યક્તિ આખા પરિવારનું ગુજરાન ચલાવવા કામ કરતી. આજે ઘરની દરેક વ્યક્તિએ એક બાળકનું ભરણપોષણ કરવા કમાવું પડે છે!

૪૦ વર્ષ પહેલા લોકોને ભણવું અને વાંચવું ગમતું. આજે લોકોને ફેસબુક અપડેટ કરવું અને વોટસએપ પર મેસેજ વાંચવા ગમે છે!

(ઇન્ટરનેટ પરથી)

Saturday, January 25, 2020

તમારામાંના સિંહને જગાવો!

  જંગલમાં સૌથી મોટું પ્રાણી કયું એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? હાથી.

જંગલમાં સૌથી ઉંચું પ્રાણી કયું એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? જીરાફ.

જંગલમાં સૌથી ચતુર પ્રાણી કયું એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? શિયાળ.

જંગલમાં સૌથી ઝડપી પ્રાણી કયું એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? ચિત્તો.

આ બધાં છતાં, આ બધી ખાસિયતોમાંની એક પણ ખાસિયત ના ધરાવતો હોવા છતાં સિંહ જંગલનો રાજા ગણાય છે. શા માટે?

કારણ...

સિંહ હિંમતવાન છે, સાહસિક છે, તે આત્મવિશ્વાસ પૂર્વક ચાલે છે. સિંહ કંઈ પણ કરતા ખચકાતો નથી, ક્યારેય કોઈથી ડરતો નથી. સિંહ વિચારે છે કે કોઈ ક્યારેય તેને અટકાવી શકશે નહીં. તે જોખમ ખેડનારો અને ઉદ્યમી છે.
સિંહ વિચારે છે કે કોઈ પણ પ્રાણી તેનો કોળિયો છે. સિંહ દરેક તક ઝડપી લેવામાં માને છે, તે એક પણ તક પોતાના હાથમાંથી જતી કરતો નથી. સિંહ પાસે તેનું પોતાનું આગવું પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે.

તો આપણે સિંહ પાસેથી શું શીખવું જોઈએ?

- તમારે સૌથી વધુ ઝડપી બનવાની જરૂર નથી
- તમારે સૌથી વધુ ચતુર હોવાની જરૂર નથી
- તમારે સૌથી વધુ બુદ્ધિશાળી હોવાની જરૂર નથી
- તમારે સૌથી વધુ શાણા હોવાની જરૂર નથી

જરૂર છે માત્ર હિંમતની.
જરૂર છે માત્ર પ્રયત્ન કરવાની ઇચ્છાશક્તિ ધરાવવાની.
જરૂર છે માત્ર એવી શ્રદ્ધા ધરાવવાની કે બધું જ શક્ય છે.
જરૂર છે માત્ર પોતાની જાતમાં વિશ્વાસ ધરાવવાની કે હું આ કરી શકીશ.

... તો તમારામાંના સિંહને જગાવો!... અને જગત જીતી લો!

(ઇન્ટરનેટ પરથી)


બ્રહ્માંડના મેનેજરને સઘળી ચિંતાઓ સોંપી દો



     હું સુપરમાર્કેટમાં ખરીદી કરતા ચાલી રહ્યો હતો ત્યાં અચાનક કંઈક પડવાનો - તૂટવાનો મોટો અવાજ આવ્યો. હું અવાજ જ્યાંથી આવ્યો હતો એ તરફ ગયો તો ત્યાં જોવા મળ્યું કે એક વૃદ્ધ સ્ત્રી સંતુલન ચૂકી જતા તેની સામાનની ટ્રોલી સાથે એક કાચના વાસણોના શેલ્ફ સાથે અથડાઈ હતી અને લોકો તેની આસપાસ ભેળા થયા હતાં. વૃદ્ધ સ્ત્રીથી ઘણાં કાચના વાસણ તૂટી ગયા હતાં. છોભિલી પડી ગયેલી એ વૃદ્ધ સ્ત્રી વાંકી વળી તૂટેલા કાચના વાસણોનાં ટુકડા ભેગા કરી રહી હતી. તેનો પતિ એ બધા તૂટેલા કાચના વાસણો પરના ભાવના ટેગ્‌સ વાંચી જીવ બાળતા કહી રહ્યો હતો, "આ બધું નુકસાન આપણે ભરપાઇ કરવું પડશે." કેટલું ગમગીની ભર્યું દ્રશ્ય હતું એ!
    કોઈક સાથે આ દુર્ઘટના ઘટી હતી પણ લોકો ટોળે વળી જાણે તમાશો જોતા હતાં. હું આ વૃદ્ધ દંપતિ પાસે ગયો અને વાંકા વળી મેં તેમને મદદ કરવા માંડી. આ જોઈ અન્ય એક યુવાન પણ ત્યાં આવ્યો અને તેણે પણ તૂટેલા કાચના ટુકડા ભેગા કરી ઉપાડતા કહ્યું," માજી, તમે છોડી દો, અમે આ બધું ઉપાડી લઈશું. તમે નજીક દવાખાનું આવેલું છે ત્યાં જઈ તમારા હાથમાં કાચ વાગવાથી જખમ પડ્યો છે, તેની સારવાર કરાવી લો."
    વૃદ્ધાએ કહ્યું, "પણ મારે આ બધા નુકસાનની ભરપાઈ કરવી પડશે."
    એ યુવાને કહ્યું, "ના મેડમ, હું જ અહીંનો મેનેજર છું. અમે આ બધા કાચના સામાનનો વીમો કઢાવેલો છે. આથી તમારે એ માટે કંઈ ચૂકવવાનું નથી. તમે જલ્દીથી જઈ સૌ પહેલા સારવાર કરાવી લો. "
    હવે તમે આંખ બંધ કરી વિચારો કે ભગવાન તમારા માટે આમ કરી રહ્યા છે. તે તમારા ભગ્ન હ્રદયના અને તમારી ભૂલો ને કારણે કે અન્ય કારણોસર જિંદગીએ તમને જે ફટકા આપ્યા છે તેના દ્વારા વેરાયેલા ટુકડા ભેગા કરી રહ્યા છે. એ એક ડગલું આગળ વધી તમારા જખમો રૂઝવવાનું કામ પણ કરશે અને તમારા પાપો અને ક્ષતિઓ માફ કરી દેશે.
બસ આના માટે શરત એટલી છે કે તમારે ભગવાનને તમારા મસીહા તરીકે સ્વીકારવાના છે, સઘળું તેને ભરોસે મૂકી દેવાનું છે. પછી બ્રહ્માંડના મેનેજર એવા એ ભગવાન તમને કહેશે, "તમારે કંઈ ચૂકવવાનું નથી, તમારા માર્ગે જવા તમે મુકત છો! “

(ઇન્ટરનેટ પરથી)

Sunday, January 5, 2020

વૃધ્ધાવસ્થાના મિત્રો

 <આ વાતના મૂળ લેખકની જાણ નથી, પણ ૨૫ થી ૫૦ વર્ષનાં દેખીતા પ્રતિભાશાળી સફળ વ્યક્તિઓને સાચી શીખ આપતી આ વાત ઘણી સમજવા અને અમલમાં મૂકવા લાયક છે તેથી સૌ વાચકમિત્રો સાથે શેર કરી રહ્યો છું. >

    અમદાવાદમાં નોકરી દરમ્યાન એલિસબ્રિજ પોલીસ લાઇનમાં રહેતો તે વખતે રોજનો નિત્યક્રમ છ-સાડા છ વાગ્યે જાગી અથવા નાઇટ રાઉન્ડ પૂર્ણ કરી કાયમ ચા-પાણી નાસ્તો કરવા લો-ગાર્ડન,  એન.સી.સી. સર્કલની બાજુમાં આવેલ કિશનની ચાની કીટલીએ જતો. જ્યાં કાયમ સવાર-સવારમાં લો-ગાર્ડનમાં વોકિંગ કે કસરત કરવા આવેલા માણસો એકલ-દોકલ ચા પીતા જોવા મળતાં, જેમાં એક ૭૫ વર્ષ વટાવી ચૂકેલા એક દાદા સાથે રોજની મુલાકાત પછી ઔપચારિક વાતચીત બાદ એકબીજાની હાજરી ગેરહાજરી ખબર અંતર પૂછવા અને એકબીજાને પરાણે ચા પીવરાવવાની તાણ કરી શકીએ એટલા સબંધ બંધાણેલા. મેં એ વડીલને ક્યારેય નામ કે એડ્રેસ નહોતું પૂછ્યું કેમકે જરૂર જ ના પડી, અને વડીલ પણ મને ભાઇ કે મિત્ર કહી સંબોધતા. 
    થોડા સમય બાદ મારાથી ન રહી શકાયું એટલે એક દિવસ વાત વાતમાં મેં કહ્યુ, "વડીલ તમે રોજ મારી પહેલા, વહેલી સવારના 5 વાગ્યે જાગીને ન્હાઇને તૈયાર થઈને ચા પીવા આવી જાઓ છો એ આદત બહુ સારી છે!"
      દાદાએ મારી સામે એકીટશે જોઈ રહ્યા પછી થોડું આમ મોં મચકોડયું હોય એ રીતે ખંધુ હસ્યા! પછી મને કહે, "ભાઇ આ ઉંમરે હવે નિંદર નો આવે અમને, પડખા ઘસીને રાત કાઢવી પડે એટલે  વહેલા અહિંયા આવીને બેસી જાવ છું!"
મેં કહ્યુ," તો જાગીને ભગવાનનું નામ લેવાય ને અહિંયા બેસવા કરતા!"
તો કહે, "ભાઇ અમે વહેલા જાગીએ અને ન્હાવા ધોવા જઇએ તો થોડો ઘણો અવાજ થાય એટલે અમારી *પુત્રવધૂ* (આ પુત્રવધૂ બહુ જ ભાર દઈને બોલેલા)  ને ડિસ્ટર્બ થાય જે અમારા પનોતા પુત્રને પોસાય એમ નથી! અને સવારના 5 વાગ્યાની પહેલી ઘરની ચાનો સ્વાદ તો મારા ધર્મપત્ની 8 વર્ષ પહેલા ગુજરી ગયેલા ત્યારે ચાખેલો. એ પછી તો જય ભગવાન."
મેં કહ્યુ," તો તો એમની તમને બહુ કમી પડતી હશે."
વડીલ મને કહે,"તમે ઉંમરમાં તો મારાથી ઘણા નાના છો પણ એક સાવ નક્કર સત્ય કહું તો પત્નીના સાથની જરૂર ૪૦ વર્ષ પછી હરેક પળ રહે છે."
મેં પૂછ્યું," સાંજનો સમય તો સરખી ઉંમરના મિત્રો સાથે જ પસાર થઈ જતો હશે ને? "
મારા આ સવાલ ઉપર તે વડીલ ખૂબ જ ભાવુક થઈ ગયેલા અને આંખમાં આંસુ સાથે તેમણે કહ્યું," હું એક ઉચ્ચ પગારદાર અધિકારી હતો. મેં મારી નોકરી ખૂબ જ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરેલી પરંતુ મારો સ્વભાવ ખૂબ જ કડક હતો અને કોઈ કામ બદલ કોઈ મારા જુનિયર કર્મચારીની ભૂલ થતી તો હું ખૂબ જ સખ્તાઈથી તેમની તરફ વર્તતો અને સજા કરાવતો. જેના કારણે મારી સાથે દરેક માણસ સારી રીતે વર્તન તો કરતા પણ એ ઔપચારિક રીતે જ! જેની જાણ મને મારા નોકરીના છેલ્લા દિવસે ગોઠવેલ વિદાય સમારંભમા માત્ર સાત-આઠ જણાની હાજરી જોઈને થયેલ. મારા હોદ્દાના કારણે મારી આજુ-બાજુના પાડોશીઓ સાથે પણ મેં આવુ જ વર્તન કરેલું અને જ્યારે હોદ્દાવાળી નોકરી હતી ત્યારે માણસો મને સોસાયટીની બાજુના બગીચામાં બેસવા આવકારતા ત્યારે હું બહુ જ તોછડાઇથી એમને કહેતો કે હું તમારી જેવો નવરો નથી અને હું એક સ્ટેટસવાળા હોદ્દા ઉપર ફરજ બજાવું છું, તમારી જેવા સ્ટેટસ વગરના માણસો સાથે બેસવાની વાત તો દૂર, ઉભો પણ ના રહું. અને બીજીવાર મને આવી રીતે આમંત્રણ આપવાની તેઓ ભૂલ પણ ના કરતા. આવા તલવારની ધારના જાટકા જેવા મારા શબ્દો મને પ્રેમથી આવકારતા માણસોના ઉભા કટકા કરી નાખતા પરંતુ મારા હોદ્દાના કારણે કોઈ કાંઇ બોલી શકતુ નહીં. જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે સૌ મારો પડ્યો બોલ ઝીલતા, સાહેબ સાહેબ કરતા મારાથી ડરતા. મારા કોઈ કામ અટકતા નહી અને રીટાયર્ડમેન્ટ પછી મારા પત્નીના અવસાન બાદ હું સાવ એકલો પડી ગયેલો ત્યારે મને મારી ઓફિસના કોઈ સહ કર્મચારી કે કોઈ અન્ય મળી જતા અને હું સામેથી બોલાવતો ત્યારે તે લોકો મને નજર અંદાજ કરતા કાં પછી મને સાંભળ્યો જ ન હોય એમ સામે પણ ન જુએ!  ત્યારબાદ હું પેલા સોસાયટીની બાજુવાળા બાંકડે જઈને બેસવા લાગ્યો પરંતુ મને જોઈને લોકો ઉભા થઈને ચાલવા લાગતા, હું બેસવાનું કહું તો કોઈને કોઈ બહાનું બનાવી ચાલતા થઈ જતા, છેલ્લે હું ને બાંકડો બે જ વધતા!  અરે, ક્યારેક મારે વાત કરવી હોય તો સામે કોઈ ના હોય!  ક્યારેક કોઈ અજાણ્યો દારૂડિયો મારી સાથે બફાટ કરે તો તે પણ સ્વજન જેવો લાગવા લાગતો.  હું રઘવાયો જેવો થઈ જતો જેની મને ધીરે ધીરે આદત પડતી ગઈ અને મને મારા પૂર્વના કર્મો યાદ આવતા ગયા અને હું મારા મનને મારતો ગયો અને વારતો ગયો. "
    એમની સાથે હું પણ લાગણીવશ બની ગયેલો અને પૂછ્યું કે" તમારે સારો પગાર હતો, સારુ પેન્શન આવે છે સારી મિલ્કત છે!  તો બીજું ખૂટે છે શું? "

વડીલ મને કહે," મેં પૈસા બનાવ્યા, મિલ્કત બનાવી નામ બનાવ્યું અને મારા હોદ્દાના અભિમાનમાં મારાથી ઘડપણમાં તોડી ન શકાય એવું એકલતાનું જાળુ યુવાનીમાં બનાવ્યું પણ ઘડપણમાં કામ લાગે અને બાંકડે બેસીને મારી વાટ જુએ અને મારી એકલતાને દૂર કરે એવા "મિત્રો" ના બનાવ્યા, સાચા સ્વજનો હું ના બનાવી શક્યો! હવે જેટલા વર્ષ મેં કાઢ્યા એટલા મારે નથી કાઢવાના એ તો ખાત્રી છે જ કેમકે શરીર સાથ નથી આપતું."

સાહેબ ..તમે  પૈસો-મિલ્કત ભલે બનાવો પણ ઘડપણમાં સાથ આપી એકલતાનો દૂર કરે એવા મિત્રો જરૂર બનાવજો.

(ઇન્ટરનેટ પરથી)

Tuesday, February 21, 2017

જીવનમાં યાદ રાખવા જેવી વાતો

૧ તમે ગમે તેટલા મોટા અને કદાવર કેમ ન હોવ, યાદ રાખો કે મર્યા બાદ તમે જાતે કબર કે સ્મશાન સુધી જઈ શકવાના નથી. નમ્ર બનો.
૨ તમે ગમે તેટલા સુંદર કે દેખાવડા કેમ ન હોવ, યાદ રાખો કે બબુન કે ગોરીલા પણ યાત્રીઓને આકર્ષે છે. બડાઈ મારવી બંધ કરો.
૩ તમે ગમે તેટલા ઉંચા કેમ ન હોવ, યાદ રાખો કે તમે આવતી કાલ જોઈ શકવાના નથી. ધૈર્યવાન બનો.
૪ તમે ગમે તેટલા ગોરા કેમ ન હોવ, યાદ રાખો કે અંધારામાં જોવા માટે તમને રોશનીની જરૂર પડશે જ. સજાગ બનો.
૫ તમે ગમે તેટલા શ્રીમંત અને એક કરતા વધુ ગાડીઓના માલિક કેમ ન હોવ, યાદ રાખો કે રાતે સૂવા માટે પલંગ સુધી તમારે જાતે ચાલીને જ જવું પડશે. સંતોષી બનો.
જીવન સરળતાથી જીવો. જીવન અતિ લાંબુ નથી.

(‘ઇન્ટરનેટ પરથી’)

Sunday, April 14, 2013

કરિયાવર


[ વાર્તાના લેખક કોણ છે તેની તો જાણ નથી પણ ઇન્ટરનેટ પર વાંચ્યા બાદ હું પણ એક દિકરીનો બાપ હોવાથી તેમાં પ્રગટ થતી સંવેદના અનુભવી શક્યો છું અને તમારા સૌ સાથે વહેંચવા ઇચ્છુ છું.આશા છે તમને ગમશે.]

-  વિકાસ ઘનશ્યામ નાયક

હરખ ભેર હરીશભાઈ ઘરમાં પ્રેવેશ કર્યોસાંભળ્યું ? અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.આપણી સોનલ નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે. સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ.સોનલ એમની એકની એક દીકરી હતી..ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું . હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતા પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં વાત ને ટાળી દેતા.સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી. એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન,ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી, હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ હરીશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ અને કાયમ કહેતાબેટા તારી પાસે રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.’

                બંને ઘરની સહમતી થી સોનલ અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું. લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.હરીશભાઈ સોનલને પાસે બેસાડીને કહ્યું 'બેટા તારા સસરા સાથે મારી વાત થઇ, એમણે કરિયાવરમાં કઈ લેવાની નાં કહી છે , નાં રોકડ, નાં દાગીના અને નાં તો કોઈ ઘરવખરી. તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું, તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે. ‘ભલે પપ્પાસોનલ ટુંકો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી. સમય ને જતા ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવી, સર્વે નાં હરખનો પાર નથી. ગોરબાપા ચોરીમાં લગ્નની વિધિ શરુ કરી ફેરા ફરવાની ઘડી આવી, કોયલનો જેમ ટહુકો થાય એમ સોનલનાં હૈયે થી બે શબ્દો નીકળ્યાઉભા રહો ગોરબાપા મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે.

 પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયા નો ચેક તમને હું પાછો આપું છું, એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને ત્રણ લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે, જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે. જો હું તમારો દીકરો હોત તો આટલું તો કરત ને !!!

 હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર હતીપપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું આપશો ? હરીશભાઈ ભારે આવાજમાં -હા બેટા, એટલું બોલી શક્યા, તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાવો, તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ થી છોડી દેશો. બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું માંગુ છું. દીકરીનો બાપ નાં કેવી રીતે કહી શકે. લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો રડતાં જોયા હશે પણ આજે તો જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈ

                દુરથી હું સોનલનાં લક્ષ્મી સ્વરૂપ ને જોતો રહ્યો, ૨૦૧ રૂપિયાનું કવર મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ. સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું !!

પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો, “ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય ???”

(ઇન્ટરનેટ પરથી)

Sunday, June 24, 2012

પિતા ઘર નું અસ્તિત્વ હોય છે

માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું.

કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.

પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશે જ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?

માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે.

રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા
પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?

બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતા તો રડી પણ શકતા નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એ જ કરવાનું હોય છે.

જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.

પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી ને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાસ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી કે ખાલી પાણી લગાડી ને જ દાઢી કરી લેશે.

પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.

પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તે જ તારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે.

પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે, તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુએ છે, સંભાળે છે.

માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાથમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.

બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.



દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો
ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો
માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.

કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.

પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.

યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?

પિતાનું મહત્વ કોને સમજાય છે ?

બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘર ની દીકરી! સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.

કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?

આપણી પાસે તો ઘણા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણા જ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, May 5, 2012

ઉદાર બનો, દયાળુ બનો.

ઉદાર બનો, દયાળુ બનો. દયા કરવાની તક ઝડપી લેવા તૈયાર રહો.


આજે સવારે મેં ઇશ્વરને દયાળુ બનવાના રસ્તા સુઝાડવા પ્રાર્થના કરી.

મને ઉદાર બનવાની પ્રથમ તક હોટલમાં મળી જ્યાં હું ખાવા ગયો. એક નાનકડી છોકરીના હાથમાંથી પાંચ રૂપિયાનો સિક્કો પડી ગયો. મેં દોડીને તે તેની મમ્મીના હાથમાં આપતા કહ્યું,"આ સિક્કો તમારી દિકરીના હાથમાંથી પડી ગયો." તેમણે સસ્મિત મારો આભાર માન્યો. મને સારું લાગ્યું.

આગળ બહાર રસ્તામાં એક વૃદ્ધ માથે ભારો ઉંચકી રસ્તો ક્રોસ કરવા પ્રયાસ કરી રહ્યો હતો. તેની કમર ભારાનાં વજનથી બેવડ વળી ગઈ હતી. મેં તેને પૂછ્યું શું હું તેની મદદ કરી શકું છું? તેણે આશિર્વાદની ઝડીઓ આંખો દ્વારા વરસાવતાં હા ભણી અને મેં તેને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરી. તે ખૂબ ખુશ થઈ ગયો અને તેણે હ્રદયપૂર્વક મારો આભાર માન્યો.

આગળ રસ્તામાં એક બાળક ફૂલોનો ગુચ્છો લઈ મને એ ખરીદવા આજીજી કરવા લાગ્યો. મને વિચાર આવ્યો હું કોને આપીશ એ ફુલોનો ગુચ્છો? પણ એ માસૂમ છોકરાના નિર્દોષ ચહેરા સામે જોતા હું તેને ના ન કહી શક્યો અને મેં એ ખરીદી લીધો. સામે જ એક આઈસ્ક્રીમની દુકાન હતી. કોણ જાણે કેમ પણ મને એ છોકરાને આઈસ્ક્રીમ ખવડાવવાનું મન થયું અને હું તેને સાથે લઈ આઈસ્ક્રીમની દુકાનમાં ગયો. ત્યાં કાઉન્ટર પર એક યુવતિ બેઠી હતી જેનો આખો ચહેરો બળી ગયેલો હતો. છતાં તેની આંખો ખૂબ સુંદર હતી. મેં જતા વેંત ફૂલોનો ગુચ્છો તેને ભેટમાં આપતા કહ્યું,"આ તમારા માટે!" તે ખૂબ નવાઈ પામી પહેલા તો થોડી ગભરાઈ ગઈ પણ થોડી ક્ષણોમાં મારા નિસ્વાર્થ ભાવ કળી જતાં તેના મોઢા પર સ્મિત છવાઈ ગયું અને તેણે એ પુષ્પગુચ્છ મારો આભાર માનતા સહર્ષ સ્વીકારી લીધો. મેં તેની પાસેથી આઈસ્ક્રીમ ખરીદી પેલા ગરીબ છોકરાને ખવડાવ્યો અને તેના નાનકડા ચહેરા પર જે સંતોષ અને ખુશીના ભાવ મેં જોયા એ નિહાળી મને પણ મારો દિવસ સફળ થઈ ગયાની અનુભૂતિ થઈ.


('ઈન્ટરનેટ પરથી')

Sunday, April 29, 2012

ઇન્ટરનેટ કોર્નરની ચોથી સદી વેળાએ...

વ્હાલા વાચકમિત્રો,

ઇન્ટરનેટ કોર્નરનો આજે નોન-સ્ટોપ ૪૦૦મો લેખ રજૂ કરતાં મને ખૂબ આનંદની લાગણી થઈ રહી છે.

આ કટારને આઠ વર્ષ પૂરા થઈ ગયાં છે. હું જન્મભૂમિ પરિવાર અને તમારા સૌ વાચક મિત્રોનો હ્ર્દયપૂર્વક આભાર માનું છું.

તમે આ કટાર અપનાવી લઈ મને સતત ખૂબ પ્રેમ અને પ્રોત્સાહન આપ્યાં છે. સારા વિચારો વ્યક્ત કરવાનો અને તેમને વહેતા કરવાનો મારો આશય કંઈક અંશે સફળ થયો છે એ આ કટાર પર આધારિત પાંચ પુસ્તકો (કથાકોર્નર, મહેક, કરંડિયો, આભૂષણ અને ઝરૂખો) ને મળેલી સફળતાએ સિદ્ધ કર્યું છે. ભગવાનની કૃપા, વડીલોના આશિર્વાદ અને મારા પરિવારજનો તેમજ તમારા વાચકમિત્રોની દુઆઓને પરિણામે આ પુસ્તકોનું તાજેતરમાં ચોથી વાર પુન: મુદ્રણ થયું છે. આ કટાર તેમજ પુસ્તકોની સફળતાનો બધો યશ હું જન્મભૂમિના તંત્રીશ્રી કુન્દનભાઈ વ્યાસ, આ કટાર શરૂ કરાવનાર આશાબેન ગોસ્વામી, ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સમગ્ર જન્મભૂમિ પરિવાર, મારા આ પુસ્તકોના પ્રકાશક ગૂર્જર ગ્રંથરત્ન અને રોહિતભાઈ શાહ તેમજ મારા વાચકમિત્રો તમને આપું છું.

તમને મારા સાદર વંદન અને આવો જ પ્રેમ આપતા રહેવાની અભ્યર્થના.

- વિકાસ ઘનશ્યામ નાયક


વિચારમાળા

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા


* * * * * * * * * * * * * * * * *
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે

* * * * * * * * * * * * * * * * *


માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સત્તાસ્થાને બેસાડો .

* * * * * * * * * * * * * * * * *


જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !

* * * * * * * * * * * * * * * * *
જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે ,

પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધમાં આખી જિંદગી વીતી જાય છે ..

* * * * * * * * * * * * * * * * *
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ ,

કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે

* * * * * * * * * * * * * * * * *

મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે

અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો .

* * * * * * * * * * * * * * * * *
પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને

સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !!

* * * * * * * * * * * * * * * * *
તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ

પણ બધાને ઉપ - યોગી જરૂર થાજો !!

* * * * * * * * * * * * * * * * *
દીકરો એટલે સુખડનો ટુકડો , દીકરી એટલે કસ્તુરી .

બન્નેને બરાબર સાચવી શકો તો એ

બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે !!

* * * * * * * * * * * * * * * *
પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?

જેના કાન લાંબા , આંખ મોટી અને જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો

* * * * * * * * * * * * * * * *
પુરુષને મહાત કરી શકે એવી બે વિશેષતા સ્ત્રી ધરાવે છે

એક - એ રડી શકે છે અને

બે- એ ધારે ત્યારે રડી શકે છે !!!!!

* * * * * * * * * * * * * * * *
આખી જીંદગી આંકડા તમે માંડો અને

છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ્) નસીબ!



('ઈન્ટરનેટ પરથી')

Saturday, April 21, 2012

પારસમણિ

કહેવાય છે કે જ્યારે એલેક્સેન્ડ્રિયાનો ગ્રંથાલય બળીને રાખ થઈ ગયો ત્યારે માત્ર એક પુસ્તક બચી જવા પામ્યું. પણ આ પુસ્તક કોઈ ખ્યાતનામ ગ્રંથ નહોતો અને આથી એક ગરીબ માણસ જે બરાબર વાંચી પણ શકતો નહોતો, તેને સાવ થોડા રૂપિયા આપી ખરીદી ગયો.


આ પુસ્તક કંઈ ખાસ રસ પડે તેવું નહોતું પણ તેના પાનાઓ વચ્ચે જરૂર રસપ્રદ એવી એક વાત છૂપાયેલી હતી.એક જગાએ ઉપસેલા અક્ષરોમાં ખાસ અલગ રંગના અક્ષરોમાં આ પુસ્તકમાં 'પારસમણિ'નું રહસ્ય છપાયેલું હતું.

પારસમણિ એક એવો નાનકડો ગોળ કાંકરો હતો જેના સ્પર્શ માત્રથી ગમે તે ધાતુનું સોનામાં પરિવર્તન થઈ જાય.પુસ્તકના લખાણમાં એવી માહિતી હતી કે આ પારસમણિ તેના જેવા જ દેખાતા અન્ય હજારો-લાખો કાંકરા વચ્ચે એક ખાસ દરિયા કાંઠે પડેલો હતો. પણ રહસ્ય એ હતું કે બીજા બધાં કાંકરાઓ કરતાં પારસમણિ અડીએ તો સહેજ વધુ ગરમ લાગે, અન્ય કોઈ પણ કાંકરો સ્પર્શે સાવ ઠંડો લાગે.

માણસ તો આ વાંચી પોતાનું જે કંઈ થોડુંઘણું રાચરચીલું હતું તે વેચી દઈ, પોતાની સાથે સાવ ઓછો જરૂરિયાત જેટલો જ સામાન લઈ નિકળી પડ્યો પુસ્તકમાં લખેલી જગાએ - દરિયા કિનારે, પારસમણિની શોધમાં. તેણે તો દરિયાકિનારે જ તંબુ બાંધ્યો અને તે આસપાસ પડેલા કાંકરા તપાસવા માંડ્યો.

તેને લાગ્યું કે જો તે સામાન્ય કાંકરો ઉપાડી તે ઠંડો જણાય તો તેને નીચે નાંખી દેતા ફરી તે બીજા હજારો કાંકરામાં ભળી જશે અને તે લાખો પ્રયત્ન છતાં સાચા પારસમણિને શોધી શકશે નહિં.આથી તે જે જે કાંકરો હાથમાં લઈ સ્પર્શે ઠંડો જણાય તેને દરિયામાં નાંખી દેવા લાગ્યો. આખો એક દિવસ આમ કાંકરા ચકાસવામાં નિકળી ગયો અને તેણે હજારો સામાન્ય કાંકરા દરિયામાં પધરાવી દીધા પણ પારસમણિ તેના હાથે લાગ્યો નહિં.પણ તે નિરાશ થયો નહિં.તેણે થાક્યા વગર 'કાંકરો ઉપાડવો - તે ઠંડો છે એમ જાણવું - તેને દરિયામાં નાખી દેવો - ફરી નવો કાંકરો ઉપાડી ચકાસવો' આ પુનરાવર્તી પ્રક્રિયા ચાલુ રાખી.

આજ રીતે દિવસોના દિવસો, સપ્તાહોના સપ્તાહો અને મહિનાઓના મહિનાઓ વિતી ગયાં.આખરે એક દિવસ બપોરે તે માણસના હાથમાં એક કાંકરો આવ્યો જે સ્પર્શે બીજા બધાં કાંકરાઓ કરતાં ગરમ હતો.પણ હજી એ અનુભવે કે તે શું કરવા જઈ રહ્યો છે કે તેણે શું કરવું જોઇએ, તેણે આ કાંકરાનો પણ સીધો દરિયામાં ઘા કરી દીધો.

મહિનાઓ સુધી એકની એક પ્રક્રિયા કરી તેને એટલી હદે કાંકરા દરિયામાં ફેંકવાની આદત પડી ગઈ હતી કે તેણે જ્યારે, જેની શોધમાં તે આટલી આકરી મહેનત કરી રહ્યો હતો તે પારસમણિ હાથમાં આવ્યો ત્યારે તેને પણ સામાન્ય કાંકરો સમજી દરિયામાં ફેંકી દીધો.

આવું જ આપણાં જીવનમાં આવતી તકોનું હોય છે.જો આપણે સતત જાગૃત ન હોઇએ તો કઈ ઘડીએ આવેલી ક્ષણ હાથમાંથી છટકી જાય એ કોઈ જાણી શકતું નથી.આપણે પોતે જ જાણ્યે-અજાણ્યે તેને જતી કરી દેતાં હોઇએ છીએ.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, April 14, 2012

ડોન્ટ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ...

[આજકાલ દારૂ પીને ગાડી ચલાવી બીજા નિર્દોષ લોકોની હત્યા કરવાના કિસ્સા વારંવાર બની રહ્યા છે ત્યારે આજે ઇન્ટરનેટ કોર્નરની આ કવિતા દ્વારા આમ કરનાર લોકોની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો છે.વાંચીને તે તમારા પરિવારના અન્ય સભ્યોને,મિત્રોને અને સ્નેહીજનોને વંચાવજો...રખે ને કોઈની જાન બચાવવામાં આપણે સહભાગી બનીશું..]


હું પાર્ટીમાં ગયેલો, મોમ

મને યાદ છે તે શું કહેલું,

તે મને દારૂથી દૂર રહેવા કહેલું મોમ,

અને એટલે મેં ફક્ત સોડા પીધી...



મને અંદરથી ગર્વનો અનુભવ થતો હતો, મોમ

તે કહેલું ને હું અનુભવીશ, એમ જ!

મેં દારૂ નહિં પીને જ ડ્રાઈવ કર્યું, મોમ

મારા મિત્રોએ મને ખૂબ આગ્રહ કર્યો તેમ છતાં...



હું જાણું છું કે મેં (આમ કરીને) યોગ્ય જ કર્યું, મોમ

હું જાણું છું કે તુ સદાય મને સાચી અને સારી જ સલાહ આપતી હોય છે.

હવે પાર્ટી પૂરી થઈ ગઈ, મોમ

ને બધા પોતપોતાની ગાડી ડ્રાઈવ કરી ઘેર જવા માંડ્યા.



હું પણ આપણી ગાડીમાં બેઠો, મોમ

એમ ધારીને કે હું સહી સલામત પાછો ઘેર પહોંચી જઈશ

કારણ તે જે રીતે મને ઉછેરી મોટો કર્યો છે, મોમ

એક મીઠડો પણ જવાબદાર યુવાન...



મેં હળવેથી ડ્રાઈવ કરવું શરૂ કર્યું, મોમ

પણ થોડી જ ક્ષણો બાદ હું જ્યારે હાઈવે પર આવ્યો,

બીજી એક ગાડીએ મને કે મારી ગાડીને ન જોયાં, મોમ

અને હું કોઈ નિર્જીવ પત્થર હોઉં એમ તેણે મને કચડી નાંખ્યો…



હું જ્યારે ફંગોળાઈને રસ્તાની એક બાજુએ જઈ પડ્યો મોમ

ત્યારે મેં પોલિસને એમ કહેતા સાંભળ્યો કે

એ બીજી ગાડી વાળો પીધેલો હતો, મોમ

અને એની સજા ભોગવી રહ્યો હતો હું...



હવે થોડી જ ક્ષણોમાં હું પરમધામે પહોંચી જઈશ, મોમ

હું હ્રદયના ઉંડાણથી ઇચ્છું છું કે એ પહેલા એક વાર તું આહિં આવી પહોંચે,

મારી સાથે આવું શી રીતે બન્યું મોમ?

મારું જીવન એક ફુગ્ગાની જેમ ફૂટી ગયુ...



મારી આજુબાજુ લોહી જ લોહી છે,મોમ

અને એ મારું પોતાનું જ લોહી છે

મેં ડોક્ટરને કહેતાં સાંભળ્યા,મોમ

કે થોડી જ વારમાં હું મરી જઈશ...



મારે તને માત્ર એટલું જ જણાવવું છે, મોમ

કે મેં દારૂનું સેવન કર્યું નથી

એ બીજાઓ હતાં જેમણે એમ કર્યું હતું મોમ...

જેમણે વિવેકબુદ્ધિ ગુમાવી બીજાઓનો વિચાર પણ કર્યો નહિં...



જેની ગાડીએ મને કચડી નાંખ્યો

એ યુવાન પણ મારી સાથે જ પાર્ટીમાં હતો

પણ ફરક માત્ર એટલો જ હતો કે

તેણે દારૂ પીધો અને મરી જઈશ હું..



લોકો શા માટે પીતા હશે મોમ?

દારૂનું સેવન તમારા આખા જીવનને બરબાદ કરી નાંખે છે

હવે મને ખૂબ પીડા થઈ રહી છે, મોમ

જાણે મારા શરીર પર કોઈ ચાકુના ઘા કરી રહ્યું હોય...



એ યુવાન જેણે મને કચડી નાંખ્યો એ ચાલી રહ્યો છે, મોમ

અને હું નથી માનતો કે આ બરાબર છે

હું અહિં મરી રહ્યો છું અને કંઈ કરી શકું છું

તો એટલું જ કે માત્ર તેને તાકી રહેવું…



ભાઈને કહેજે કે એ બહુ રડે નહિં મોમ

અને પપ્પાને કહેજે કે તે હિંમત રાખે...

અને હું જ્યારે સ્વર્ગે સિધાવું ત્યારબાદ

મારી કબર પર લખાવજે 'ગુડ બોય'



કોઈકે પેલા યુવાનને પણ કહેવું જોઈતું હતું કે

તે દારૂ પીને ગાડી ન ચલાવે

જો કોઈકે તેમ કર્યું હોત તો

આજે હું મૃત્યુને બિછાને ન પડ્યો હોત...



હવે મારા શ્વાસ રૂંધાય છે મોમ

મને ડર લાગી રહ્યો છે…

મહેરબાની કરીને તું રડતી નહિં મોમ

જ્યારે જ્યારે મને તારી જરૂર હતી એ દરેક ઘડીએ તું મારી પડખે હતી…



મારે એક અંતિમ પ્રશ્ન પૂછવો છે, મોમ

હું અલવિદા કહી દઉં આ ફાની દુનિયાને એ પહેલાં...

મેં તો દારૂ પીને ગાડી હંકારી નહોતી

તો પછી મારું મૃત્યુ શા માટે મોમ?



કોઈકે આ કવિતા લખવાની જહેમત ઉઠાવી છે લોકોને માત્ર એટલું જ સમજાવવા કે દારૂ પીને ડ્રાઈવ કરશો નહિં. મહેરબાની કરી ડ્રિંકિંગ અને ડ્રાઈવિંગની ભેળસેળ કરશો નહિં...

('ઈન્ટરનેટ પરથી')