Showing posts with label professionalism. Show all posts
Showing posts with label professionalism. Show all posts

Sunday, August 22, 2010

મળવા જેવા માણસ - ડો. દેવી શેટ્ટી

ઘણાં વખત પહેલા ઇન્ટરનેટ કોર્નરમાં આપણે બેંગ્લોરના નારાયણ હ્રદયાલયના સુવિખ્યાત સર્જન-ડોક્ટર દેવી શેટ્ટી સાથેનો 'હ્રદયની કાળજી કેવી રીતે રાખવી' એ વિશે પ્રશ્નોત્તરી ધરાવતો વાર્તાલાપ વાંચ્યો હતો.આજે આપણે આ મહાન હસ્તી વિશેની બીજી એક રસપ્રદ પ્રેરણાત્મક ઉમદા બાબત વાંચીશું.


જો તમે ડો. દેવી શેટ્ટીના પ્રખ્યાત નારાયણ હ્રદયાલયની મુલાકાત લો તો સૌ પ્રથમ તેમાં પ્રવેશતા જ મુખ્ય હોસ્પિટલના બિલ્ડીંગ તરફ દોરી જતા થાંભલાઓ વચ્ચે છાપરા નીચે વચ્ચોવચ્ચ તમને એક નાનકડું ચાર બાજુઓ ધરાવતું દેવસ્થાન જોવા મળશે.તેમાં એક બાજુ મંદિર, બીજી બાજુ ચર્ચ, ત્રીજી બાજુ મસ્જિદ અને ચોથી બાજુ ગુરુદ્વારા બનાવાયેલ છે. નારાયણ હ્રદયાલયના ડોક્ટર્સ તમને કહેશે કે આ એ દેવસ્થળ છે જ્યાંથી કોઈ પણ ઇલાજ સાચા અર્થમાં શરૂ થાય છે - ભગવાન દ્વારા ડોક્ટર્સના હસ્તે.

અહિંથી થોડા આગળ વધો એટલે મુખ્ય હોસ્પિટલના બિલ્ડીંગમાં તમને એક અતિ સુવ્યવસ્થિત સ્વાગતકક્ષ (રીસેપ્શન) જોવા મળશે.થોડું ધ્યાનથી નિરીક્ષણ કરશો તો સ્વાગતખંડના ટેબલપર એક ખૂણે એક નાનકડું પાટિયું મૂકેલું જોવા મળશે જેના પર લખ્યું છે - 'અહિં બંગાળીમાં વાતચીત કરી શકાશે'.

સાહજિક પ્રશ્ન થાય કે આવડી મોટી હોસ્પિટલમાં સ્વાગત કક્ષમાં એક ખૂણે અલાયદી સુવિધા ખાસ બંગાળી દર્દીઓ માટે શીદ ને ?પણ એની પાછળ એક ખાસ કારણ છે.આ હોસ્પિટલમાં અત્યાર સુધીના કેસોનાં સત્તાવાર આંકડા દર્શાવે છે કે અહિં આવનારા દર્દીઓમાં સૌથી વધુ લોકો પશ્ચિમ બંગાળના કે બાંગ્લાદેશના હોય છે.આ દર્દીઓ સાથે આવનાર ગામડાનો કોઈ રહેવાસી કે દર્દીનો પતિ કે પત્ની કે સંબંધી કે મિત્ર આવેલ હોય તેના માટે આ શહેર અણજાણ હોય અને તેમને મુખ્યત્વે બંગાળી ભાષા જ આવડતી હોઈ હોસ્પિટલમાં અંગ્રેજી કે હિન્દીભાષી સ્ટાફ જ સ્વાગતકક્ષ પર પ્રાપ્ય હોય તો તેઓ માટે દર્દીને લઈ આવ્યા હોય એવા કપરા સમયે મુશ્કેલી ઉભી થાય.

ડો. શેટ્ટીએ પોતાની હોસ્પિટલ મોજૂદ માહિતી અને તેમના મુલાકાતી દર્દીઓ કેવું અનુભવે છે એ સમજી તે જ્ઞાનના આધારે બનાવી છે. લાંબા થાકભર્યા દિવસને અંતે ડો. શેટ્ટી પોતાની ઓફિસમાં બેસે છે અને દર્દીઓને પ્રત્યક્ષ ચકાસે છે.તેઓ હંમેશા દર્દી સાથે તેની માતૃભાષામાં થોડી વાતચીત કરે છે.આથી જ તેઓ એ તમામ દર્દીઓનો પ્રેમ સંપાદિત કરે છે અને તેમને આરામદાયી અને સારું મહેસૂસ કરાવે છે.દર્દીના સી.ટી. સ્કેન, રીપોર્ટ્સ વગેરે સઘળી માહિતી તેમજ દર્દીનો સંપૂર્ણ સ્વાસ્થ્ય ઇતિહાસ તેમની પાસે મોજૂદ હોવા છતાં તેઓ એક અતિ બિનજરૂરી અને જૂનવાણી પ્રક્રિયા કરે છે - દર્દીને સ્ટેથોસ્કોપથી ચકાસવાની.પણ તેમના આમ કરવા પાછળ એક ચોક્કસ કારણ છે.તેમની પાસે આવનારા મોટા ભાગના દર્દીઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે અને તેમના મનમાં એવી માન્યતા ઘર કરી ગઈ હોય છે કે જો ડોક્ટર તેમના હ્રદયના ધબકારા સ્ટેથોસ્કોપથી ન સાંભળે તો ડોક્ટરે તેમને બરાબર ચકાસ્યા નથી,તેમના પર બરાબર ધ્યાન આપ્યું નથી.એ તો ઠીક પણ ડો.શેટ્ટી તેમના દર્દીને ચકાસણી દરમ્યાન ઓછામાં ઓછી એક વાર અચૂક સ્પર્શે છે. આજકાલ ડોક્ટર્સ માનવીય સ્પર્શનું મહત્વ,તેની તાકાત સમજતા નથી.સ્પર્શ વગર રોગનું નિવારણ મુશ્કેલ બની જાય છે.સ્પર્શની અસર જાદૂઈ હોય છે.દર્દીને સંપૂર્ણપણે ચકાસ્યા બાદ બિલકુલ શાંતિથી ડો. શેટ્ટી તેમના દર્દીને પૂછે છે 'હવે તમારે મને કંઈ પૂછવું છે?'તેમના જેવી વ્યસ્ત અને મોટી હસ્તી માટે આ જોખમી ગણાય કારણ દર્દીઓને લાંબી લાંબી વાતો કરવી ગમતી હોય છે.પણ ડો. શેટ્ટી માટે આમ કરવું ખૂબ અગત્યની બાબત છે.તેઓ એક સાચા પ્રોફેશનલ છે અને સારા ડોક્ટર પણ.તમે લોકો સાથે કેવી વર્તણૂંક કરો છો તે તેમને યાદ રહે છે.

Sunday, May 23, 2010

પ્રોફેશનાલિઝમ અને જાપાન (ભાગ - ૨)

[ગયા અઠવાડિયે સુબ્રોતો બાગ્ચીના પુસ્તક 'ધ પ્રોફેશનલ' માંથી જાપાન અને તેના પ્રોફેશનાલિઝમના લેખકને થયેલા બે અનુભવો વિશે આપણે વાંચ્યું. આજ પુસ્તકમાંથી, જાપાન અને ત્યાંના પ્રોફેશનાલિઝમ વિષે હજી થોડા વધુ વિચારો આજે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીએ.]

મારી જાપાનની મુલાકાત બાદ થોડા વર્ષો પછી હું એક વાર નારાયણ મૂર્તિને મળ્યો અને તેમની સાથે હું જાપાનીઓના પ્રોફેશનાલિઝમ વિષે ચર્ચા કરી રહ્યો હતો.મૂર્તિ સાહેબ પાસે પણ તેમના જાપાનના અનુભવનો એક કિસ્સો હતો જે તેમણે મારી સાથે શેર કર્યો.તેઓ એક વાર જાપાનના ગિંઝા નામના શહેરમાં દસ માળના મોલમાં માત્સુઝકાયા નામના ડિપાર્ટમેન્ટલ સ્ટોર જોવા ગયા હતા.તેઓ જાપાનમાં જે મિત્રને ત્યાં ઉતર્યા હતા તે તેમને આ સ્ટોર બતાવવા લઈ આવ્યો હતો.જેવા તેઓ બન્ને લિફ્ટમાંથી ઉતર્યા કે માત્સુઝકાયા સ્ટોરની પરંપરા મુજબ એક જાપાનીઝ યુવતિએ તેમને પોતાના સ્ટોરમાં અંદર આવવા આમંત્રણ આપ્યું.મૂર્તિએ ઉતાવળમાં અંગ્રેજીમાં બોલી નાંખ્યું કે આ તેના માટે એક અતિ કંટાળાજનક નોકરી સાબિત થતી હશે.યુવતિને અંગ્રેજી આવડતું નહોતું પણ તેણે આ વાતનું ભાષાંતર મૂર્તિના મિત્ર પાસેથી ધ્યાનપૂર્વક સાંભળ્યું.
યુવતિએ પ્રતિક્રિયામાં સ્મિત આપતા, જાપાનીઝ પરંપરા મુજબ ઝૂકીને જાપાનીઝ ભાષામાં જવાબ આપ્યો જેનું ભાષાંતર મૂર્તિના મિત્રએ ફરજ્પૂર્વક મૂર્તિને કરી સંભળાવ્યું. તે બોલી હતી : મારી કંપની મને અમારા ગ્રાહકોને સત્કારવા માટે, તેમને સારું લાગે એવું વર્તન કરવાનો પગાર આપે છે.હું મારી આ જવાબદારી ખૂબ મહેનત અને નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરું છું.અને મને તેનો ગર્વ છે. મૂર્તિ આ સાંભળી અતિ છોભીલા પડી ગયા અને તેમણે પોતાની એ ટિપ્પણીને મૂર્ખતાભરી,વિચાર વગરની ગણાવી અતિ ક્ષોભ અનુભવ્યો.

* * * * * * * * * * * * * * * * * * * * *

એક જાપાનીઝ રાહદારી એક જાપાનીઝ સાધુને બગીચામાં કંઈક કામ કરતો જોઈ ઉભો રહી ગયો.સવારનો એ સાધુ બગીચામાંથી સૂકા તણખલાં અને નકામા સળી-કચરો વગેરે એક પછી એક ઉપાડી બાજુ પર ટોપલીમાં નાખતો હતો.પેલા રાહદારીએ ઘણાં સમય સુધી નિરીક્ષણ કર્યા બાદ અંતે પૂછ્યું ,'હે મહાત્મા, તમે આ કામ ક્યાં સુધી કર્યા કરશો?'
સાધુએ ઉંચુ જોયા વગર જવાબ આપ્યો,'જ્યાં સુધી આખો આ બાગ કચરા રહિત સંપૂર્ણ સ્વચ્છ ન થઈ જાય ત્યાં સુધી.'
જાપાનીઓ માટે કામ એક જીવંત અનુભવ છે. તેઓ સદાયે વિચારે છે પોતાનાની આસપાસના લોકોનું જીવન,આસપાસની પરિસ્થિતી કઈ રીતે સારામાં સારાં બનાવી શકાય?
મને વિચાર આવે છે : મનુષ્યનો એક સાચા અને સારા પ્રોફેશનલ બનવાનો પ્રયત્ન ક્યાં સુધી ટકી શકે? જવાબ છે: જ્યાં સુધી કામના બગીચામાંથી, બગીચો લીલોછમ અને જીવંત હોય અને એક પણ સુકું તણખલું કે કચરો તેમાં બચવા ન પામે ત્યાં સુધી ઝઝૂમતા રહીને માણસ સાચો અને સારો પ્રોફેશનલ બની શકે.

પ્રોફેશનાલિઝમ અને જાપાન

મડદાં દાટનાર એક સાચા પ્રોફેશનલ - મહાદેવની વાત આપણે ઇન્ટરનેટ કોર્નરમાં થોડા સમય અગાઉ વાંચેલી.સુબ્રોતો બાગ્ચી નામના ભારતના એક નાનકડા ગામડાંથી જીવનની શરૂઆત કરી કોર્પોરેટ વર્લ્ડના શિખર પોતાની કંપની 'માઈન્ડ ટ્રી' દ્વારા સર કરનાર મહાન વ્યક્તિની ગાથા પણ ઘણા સમય અગાઉ આપણે ઇન્ટરનેટ કોર્નરમાં સમાવી હતી.એ મહાનુભાવ શ્રી બાગ્ચીના પુસ્તક 'ધ પ્રોફેશનલ'માંથી જ 'મહાદેવ - એક સાચા પ્રોફેશનલ'ની પ્રેરણાત્મક વાત લેવામાં આવી હતી.એ જ પુસ્તકમાંથી બીજા કેટલાક અંશો આજે અને આવતા અઠવાડિયે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીશું.

જે દેશોની તેમના પ્રોફેશનાલિઝમ માટે હું ભારોભાર પ્રશંસા કરું છું તેમાંનો એક દેશ છે જાપાન.મેં જાપાનની યાત્રા ઘણી વાર કરી છે પણ હું જાપાનીઝ લોકોના ખૂબ નજીકથી પરિચયમાં આવ્યો ૧૯૯૬ની મારી ત્યાં TQM (Total Quality Management) ની ટ્રેઇનિંગ દરમ્યાન.આજે જાપાન જે કંઈ પણ છે તે એ કોર્પોરેશન્સ ને કારણે જે જાપાનીઝ લોકો એ સર્જ્યા છે અને તેમની પાછળ હાથ છે એ દરેક લોકોનો જેમણે આ સંસ્થાઓ બનાવી છે. મને જાપાનના પ્રોફેશનાલિઝમનો અનુભવ પહેલીજ વાર મેં જ્યારે જાપાનની મુલાકાત લીધી હતી ત્યારે થયેલો.

મારી હોટલ સુધી મને લઈ જનાર ટેક્સી ડ્રાઈવર એ હોટલ સુધીનો રસ્તો જાણતો નહોતો (એ દિવસોમાં હજી કારોમાં આજકાલ જોવા મળતી નેવિગેશન સિસ્ટમ્સ શોધાઈ નહોતી.) તે મારી હોટલ જે રસ્તા પર હતી ત્યાં સુધી પહોંચી જ ગયો હતો છતાં રસ્તો ખબર ન હોવાને લીધે તેમજ ખોટી ગલીમાં વળી જતા અને ત્યારબાદ વન-વે હોવાને લીધે તેણે મારી હોટલ સુધી પહોંચતા પહેલા વધારાના બીજા ૫-૬ ચક્કર કાપવા પડ્યા.મારે મોડું થતું નહોતું અને તેનો વાંક પણ નહોતો આથી મને ખરાબ લાગ્યુ નહિં કે મેં તેના પર ગુસ્સો પણ કર્યો નહિં.છેવટે જ્યારે મેં તેને મીટર પ્રમાણેનું ભાડુ ચૂકવ્યું,તેણે મને થોડા પૈસા પાછા આપ્યા.મને ખૂબ આશ્ચર્ય થયું કારણ મેં તેને મીટર પ્રમાણે ચોક્કસ રકમ ચૂકવી હતી એટલે પૈસા પાછા આપવાનો સવાલ ઉભો થતો નહોતો.મને જાપાનીઝ ભાષા આવડતી નહોતી અને તેને અંગ્રેજી આવડતું નહોતું આથી મહા પરિશ્રમ બાદ હું તેની ભાંગીતૂટી ભાષા પરથી એટલું સમજી શક્યો કે છેલ્લે હોટલના રસ્તા પાસે પહોંચી ગયા બાદ જે વધારાના ચક્કર લગાવ્યા તે ભૂલની જવાબદારી પોતાને શિરે લઈ તે મને પૈસા પાછા આપી રહ્યો હતો.ડ્રાઈવર હતો એટલે તેના મતે તેને રસ્તાઓનું જ્ઞાન હોવું જરૂરી હતું અને આથી તેની ભૂલ માટે તે મારી પાસેથી શી રીતે વધારાના/પૂરા પૈસા વસૂલી શકે એમ તેને લાગતું હતું!

જેવો હું હોટલમાં પ્રવેશ્યો કે તરત મને બીજો એક પાઠ શિખવા મળ્યો.હું હજી પેલા ટેક્સી ડ્રાઈવરના પૈસા પાછા આપવાવાળી ઘટનાના સુખદ અને આશ્ચર્યકારક ઝટકામાંથી બહાર નહોતો આવ્યો ત્યાં આ બીજી ઘટના બની.હોટલનો એક કૂલી મારો સામાન મારી રૂમમાં લઈ આવ્યો.મેં તેને ટીપ આપવાનો પ્રયત્ન કર્યો.તે તો ગુસ્સે થઈ ગયો!તે બે ચાર ડગલા પાછો ખસી જઈ બબડવા લાગ્યો:'ના. સર. ટીપ નહિં. આ જાપાન છે...'

પછી તો મારે અનેક વાર જાપાન જવાનું થયું અને હું જાણવા પામ્યો કે પ્રોફેશનાલિઝમ શબ્દને કઈ રીતે આ આખું રાષ્ટ્ર જીવી જાણે છે અને કેટલી હદે તેનો એકે એક નાગરિક તેનું કેટલી સાહજિકતા અને પ્રમાણિકતાથી પાલન કરે છે.જાપાનમાં પ્રોફેશનાલિઝમ સાથે બીજા ત્રણ ગુણો પણ લોકોમાં ખૂબ સારી રીતે વણાયેલા છે:રાષ્ટ્રિય ગૌરવ, એકલતાવાદ કરતા જૂથવાદને પ્રાધાન્ય અને આધ્યાત્મિકતા.