Showing posts with label forgiveness. Show all posts
Showing posts with label forgiveness. Show all posts

Saturday, March 22, 2014

માફી


                માણસ તરીકે આપણે આપણને જખમ પહોંચાડનારને આસાનીથી માફી આપી શકતા નથી.આપણે અભિમાની અથવા જિદ્દી બની જઈએ છીએ અને પરિસ્થિતી સામે આંખ મિંચામણા કરી કોઈ પ્રત્યે રોષ કે ખાર મનમાં સંઘરી રાખતા હોઇએ છીએ.પણ આપણી જાણ બહાર આનાથી આપણા હ્રદયમાં કડવાશ પેદા થાય છે અને આપણે અનેક રોગોના ભોગ બનીએ છીએ.
હું માનું છું કે આપણે સૌ આધ્યાત્મિક જીવો છીએ જેઓ માનવજીવનનો અનુભવ કરે છે - પાઠ શિખવા,વિકાસ પામવા અને આત્મા અને પરમાત્મા વચ્ચેનાં જોડાણને વધુ સારી રીતે સમજવા. જેણે તમને દુભવ્યાં હોય તેને માફી આપી દેવાથી તમારા હ્રદયને શાંતિ મળે છે, તમે ભૂતકાળને ભૂલી જાઓ છો અને જેને તમે માફ કર્યા હોય તેઓ પણ તેમના પોતાના આધ્યાત્મિક વિકાસનો અનુભવ કરે છે.
હું એક દારૂડિયા સાવકા બાપ સાથે ઉછર્યો છું. તે ઘણી વાર અમને છોકરાંઓને અને અમારી માતાને મારતા. ઘણી વાર અમે તેમનાં ભયથી ઘર છોડીને ભાગી જતાં અને હોસ્પીટલ કે પોલીસ સ્ટેશને કે કોઈ અજાણી ફૂટપાથ પર કે કોઈ પાડોશીના ઘેર સૂઈ જતાં.
હું બે વર્ષનો હતો ત્યારે બધાની શરૂઆત થઈ હતી જે લગભગ હું વીસેક વર્ષનો થયો ત્યાં સુધી ચાલ્યું.ચાર ભાઈઓમાં હું સૌથી મોટો. હું ઇશ્વરનો આભાર માનું છું કે અમે બધાં જખમી હતાં છતાં અમારૂં સર ઉન્નત રાખી જીવી શક્યાં. અમારામાંના કોઈને દારૂની આદત નહોતી.
વીસી વટાવ્યાં બાદ મેં ભલે પ્રત્યક્ષ રીતે નહિ, પણ હ્રદયથી મારા પિતાને માફ કરી દીધા હતા. મારા એકેય ભાઈએ તેમને ક્યારેય માફ કર્યાં નહિ.તેઓ તેમને ધિક્કરતા હતા. મને મારી માતા માટે સૌથી વધારે દુ:ખ થતું કારણ તે હજી તેમની સાથે હતી.
મારા સાવકા પિતા હવે તો સાવ શાંત થઈ ગયેલા પણ ક્યારેક અચાનક ફરી પાછું તેમનું છટકતું અને તેઓ પેહેલા જેવા ક્રૂર બની જતા.
એક મહિના પહેલા, મેં મારા માતાપિતાની મુલાકાત લીધી.તેઓ આર્હિક સંકડામણ અનુભવતા હતા અને મને ખાતરી હતી તેમનું ફરી છટકશે. સામાન્ય રીતે મારા જલ્દી ઘેર પહોંચી જતા જેથી તેઓ સાંજનું જમણ ઘેર જમી આરામ કરી શકે. પણ રાતે તે ૧૧ વાગ્યા બાદ ઘેર પાછા ફર્યા. તેમણે ચિક્કાર પીધો હતો. માત્ર હું જાગતો હતો અને મને કોણ જાણે કેમ મારી માતાનું મારે રક્ષણ કરવાનું છે એવી સાહજિક સ્ફૂરણા થઈ હતી.
મારા તરફ જોઈ તેમણે મારી મા અને ભાઈઓને ભૂંડી ગાળો ભાંડી અને કહ્યું આજે તે બધાને ખૂબ મારશે. કોણ જાણે કેમ મારા પ્રત્યે તેમને કૂણી લાગણી હતી.અત્યાર સુધી કદાચ તેમનો સૌથી વધુ માર મેં ખાધો હતો અને મારા મનમાં ભય અને બોજની લાગણીઓ ભારોભાર ભરી હતી પણ રાતે તેમણે મને એક પણ શબ્દ કહ્યો નહિ.મેં માત્ર તેમને સાંભળ્યા કર્યા અને તેમનો ક્રોધ વ્યક્ત કરતા જોયા કર્યા.
પછી બન્યું. એવી ક્ષણ આવી જેની મેં ક્યારેય કલ્પના કરી નહોતી. તેમણે ચોધાર આંસુએ રડવા માંડ્યું અને પોતાના બધા દોષો કબૂલ્યા અને મારી પાસે માફીની માગણી કરી.
મેં ખૂબ વિચાર કર્યો.તેમનું બાળપણ પણ ઘણાં કષ્ટો સાથે વિત્યું હતું. મને રાતે ખૂબ આનંદની લાગણી થઈ.મેં તેમને શાંત કરવા બદલ હાશકારો અનુભવ્યો. એટલું નહિ,તેમણે મારી સમક્ષ પોતાનું હ્રદય ખોલી નાંખ્યું હતું અને માફી માગી હતી બદલ મને બેહદ ખુશી થઈ રહી હતી. મેં તો તેમને ક્યારનાયે માફ કરી દીધા હતા પણ પ્રત્યક્ષ આમ કરવું જુદી વાત હતી.
ભૂતકાળને આપણે બદલી શકવાના નથી અને ભવિષ્યકાળ તો હજી બનવાનો છે.આપણાં જીવનને શ્રેષ્ઠ બનાવવા માત્ર વર્તમાનકાળ આપણા હાથમાં છે. 

('ઈન્ટરનેટ પરથી')